બાબુલ સુપ્રિયો ભાજપ છોડીને તૃણમૂલ કૉંગ્રેસમાં જોડાયા TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ભાજપના પૂર્વ નેતા અને પશ્ચિમ બંગાળના રાજકારણનો મહત્ત્વનો ચહેરો ગણાતા બાબુલ સુપ્રિયો તૃણમૂલ કૉંગ્રેસમાં જોડાઈ ગયા છે.

કોલકાતામાં હાજર બીબીસીના સહયોગી પત્રકાર પ્રભાકર મણી તિવારીએ માહિતી આપી કે બાબુલ સુપ્રિયો શનિવારે કોલકાતામાં એક કાર્યક્રમમાં ટીએમસીમાં સામેલ થયા હતા.

મુખ્ય મંત્રી મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજીએ બાબુલ સુપ્રિયોનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.

બાબુલ સુપ્રિયોએ ટીએમસીમાં જોડાયા બાદ એક પત્રકારપરિષદ પણ યોજી હતી અને જોડાવવાનું કારણ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે ટીએમસીમાં લોકોની સેવા કરવાનો મોકો મળશે. કામ કરવા માટે ટીએમસીમાં જોડાયો છું.

બાબુલ સુપ્રિયો છેલ્લી બે ટર્મથી પશ્ચિમ બંગાળના આસનસોલથી સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે.

સાત જુલાઈએ જ્યારે મોદી સરકારે બે વર્ષ બાદ મંત્રીમંડળનો વિસ્તાર કર્યો ત્યારે બાબુલ સુપ્રિયોને મંત્રીમંડળમાંથી બહાર કરી દીધા હતા.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પણ બાબુલ સુપ્રિયોને ભાજપના ઉમેદવાર બનાવ્યા હતા, પણ બાબુલ સુપ્રિયો અંદાજે 50 હજાર મતના અંતરથી ટીએમસીના અરૂપ બિશ્વાસ સામે હારી ગયા હતા.

વર્ષ 2014માં લોકસભાના સાંસદ બનીને સંસદમાં પહોંચનારા બાબુલ સુપ્રિયો ઘણાં મંત્રાલયોમાં કાર્યભાર સંભાળી ચૂક્યા છે.

સોનુ સૂદ અને સાથીદારોએ 20 કરોડની ટૅક્સચોરી કરી- IT વિભાગનો આરોપ

સેન્ટ્રલ બ્યૂરો ઑફ ડાઇરેક્ટ ટૅક્સિસ (CBDT) અનુસાર, સોનુ સૂદ અને તેમના સાથીદારોએ 20 કરોડની ટૅક્સચોરી કરી છે.

નોંધનીય છે કે તાજેતરમાં જ આવકવેરા વિભાગે સોનુ સૂદ અને લખનૌ ખાતેના એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રૂપ પર દરોડો પાડ્યો હતો.

વિભાગનો દાવો છે કે તેમણે ઘણી બનાવટી વ્યક્તિઓ પાસેથી અસુરક્ષિત લૉન સ્વરૂપે આવક મેળવી હતી.તેમજ વિભાગે સોનુ સૂદ પર ફોરેન કન્ટ્રિબ્યૂશન રેગ્યુલેશન ઍક્ટ (FCRA)ના ઉલ્લંઘનનો પણ આરોપ મૂક્યો છે.

વિભાગે પોતાનું નિવેદન જારી કરતાં કહ્યું હતું કે, "આવી રીતે મેળવાયેલાં નાણાં રોકાણ અને સંપત્તિની ખરીદી માટે ફાળવવામાં આવ્યાં હતાં."

વિભાગે જણાવ્યું કે દરોડા દરમિયાન 1.8 કરોડ રૂપિયા રોકડા જપ્ત કરાયા છે, જ્યારે 11 લૉકર સીઝ કરાયાં છે.

નોંધનીય છે કે અત્યાર સુધી મુંબઈ, લખનૌ, કાનપુર, જયપુર, દિલ્હી અને ગુરુગ્રામ ખાતેનાં 28 સ્થળોએ સર્ચ ઑપરેશન ચલાવાયું હતું.

સોનુ સૂદની સંસ્થા દ્વારા કોરોના મહામારી દરમિયાન અઢળક લોકો, ખાસ કરીને પ્રવાસી મજૂરોને મદદ કરીને ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. ત્યારથી ઘણા સમય સુધી તેઓ લોકોને જુદીજુદી રીતે મદદ કરતા હોવાનું સામે આવ્યું હતું, જેના કારણે ઘણા લોકોએ તેમની પ્રશંસા કરી હતી.

નોંધનીય છે કે દરોડા અગાઉ તેઓ આમ આદમી પાર્ટીના એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

અમેરિકાએ ભૂલ સ્વીકારીને કહ્યું કે કાબુલ ડ્રોન હુમલામાં સામાન્ય લોકો માર્યા ગયા

અમેરિકાએ સ્વીકાર કર્યો છે કે તેની સેનાના અફઘાનિસ્તાનમાં નીકળવાના થોડા દિવસ પહેલાં કાબુલમાં કરાયેલા ડ્રોન હુમલામાં 10 સામાન્ય લોકોનાં મોત થયાં છે.

યુએસ સેન્ટ્રલ કમાન્ડની તપાસમાં જાણવા મળ્યું કે 29 ઑગસ્ટે થયેલા હુમલામાં એક સહાયકકર્મી અને તેમના પરિવારના નવ સભ્યો માર્યા ગયા હતા, જેમાં સાત બાળકો પણ સામેલ છે.

તાલિબાનના અફઘાનિસ્તાન પર ઝડપથી કબજા બા કાબુલ ઍરપૉર્ટ પર આતંકી હુમલો થયો હતો, જેના કેટલાક દિવસ પછી આ હવાઈ હુમલો કરાયો હતો.

20 વર્ષના લાંબા અભિયાન સમાપ્ત કર્યા બાદ અફઘાનિસ્તાનમાં આ અમેરિકાની અંતિમ સૈન્ય ગતિવિધિ હતી.

યુએસ સેન્ટ્રલ કમાન્ડના જનરલ કૅનેથ મૅકેંઝીએ કહ્યું કે અમેરિકન જાસૂસી વિભાગે રાહતકર્મીની કારને આઠ કલાક સુધી ટ્રેક કરી હતી. એવું માનવામાં આવતું હતું કે આ આઈએસ-કે ચરમપંથ સંબંધિત હતી. આ ઇસ્લામિક સ્ટેટ સમૂહની સ્થાનિક શાખા છે.

તપાસમાં જાણવા મળ્યું કે એ વ્યક્તિની કારને આઈએસ-કે સંબંધિત કમ્પાઉન્ડમાં જોઈ હતી અને તેની ગતિવિધિઓનો જાસૂસી વિભાગથી મળેલી જાણકારી સાથે મેળ બેસાડ્યો હતો.

એક સમયે દેખરેખ રાખતા ડ્રોને લોકોને કારમાં કંઈક રાખતા જોયું, જેને વિસ્ફોટક માની લેવાયું હતું, પરંતુ તે ખરેખર પાણીનાં કન્ટેનર હતાં.

જનરલ મૅકેંઝીએ આ હુમલાને 'દુખદ ભૂલ' ગણાવી હતી અને કહ્યું કે હુમલાને લઈને જે જાસૂસી જાણકારી મળી હતી, તેમાં તાલિબાન સામેલ નહોતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો