અફઘાનિસ્તાનમાં તાલિબાનનું ફરી વધતું વર્ચસ્વ, ભારત મૂંઝવણમાં?

    • લેેખક, સલમાન રાવી
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

વર્ષ 1999ની વાત છે, ત્યારે ભારતના એક યાત્રી વિમાનનું અપહરણ થયું હતું. વિમાનને અફઘાનિસ્તાનના કંધાર ઍરપૉર્ટ પર લઈ જવાયું હતું.

આ વિસ્તાર એ સમયે તાલિબાન લડાકુઓના નિયંત્રણમાં હતો. આથી અપહરણકર્તા અને ભારત વચ્ચે તાલિબાન મધ્યસ્થી કરતું હતું.

પહેલી વાર ભારત સરકારે તાલિબાનો સાથે આ રીતે સંપર્ક કર્યો હતો.

ત્યારબાદ ભારત સરકાર અને તાલિબાનો વચ્ચે કોઈ પણ પ્રકારનો ઔપચારિક રાજદ્વારી સંપર્ક રહ્યો નથી. ભારત હંમેશાં અફઘાનિસ્તાન સરકાર સાથે રહ્યું હતું.

યાત્રી વિમાનના અપહરણ દરમિયાન ભારતમાં તત્કાલીન વરિષ્ઠ રાજદ્વારી જી પાર્થસારથિ પણ સરકારી અધિકારીઓની એ ટીમમાં સામેલ હતા, જેમણે મુસાફરો અને વિમાનને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવવા મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.

મુસાફરો અને વિમાનનો છોડવા બદલ ભારતે ત્રણ ચરમપંથીઓને પણ સોંપવા પડ્યા હતા.

બીબીસી સાથે વાત કરતા પાર્થસારથિ કહે છે કે પહેલી વાર ભારતે ઔપચારિક રીતે તાલિબાનની સાથે (રાજદ્વારી ભાષામાં જેને 'ઍંગેજ' કહે છે) આમ કર્યું હતું. એ ઘટના બાદ પછી ક્યારેય રાજદ્વારી તરીકે તાલિબાન સાથે કોઈ પ્રકારની ચર્ચા થઈ નથી.

તેઓ કહે છે, "એ સમયે અમે પોતાના એક અધિકારીને કંધાર મોકલ્યા હતા, જેમણે તાલિબાનના પ્રતિનિધિ કે એમ કહો કે સૌથી પ્રભાવશાળી કમાન્ડર સાથે ઘણી વાતચીત કરી હતી. ભારતે હંમેશાં અફઘાનિસ્તાનની સરકારનું જ સમર્થન કર્યું છે."

જાણકારો કહે છે કે જ્યારે વર્ષ 1996માં તાલિબાને સત્તા પર કબજો કર્યો ત્યારે ભારતના રાજદ્વારીઓએ દેશ છોડી દીધો હતો. પછી જ્યારે 2001માં ભારતે અફઘાનિસ્તાન તરફ રાજદ્વારી સંબંધો માટે હાથ લંબાવ્યો ત્યારે અમેરિકાની નેતૃત્વવાળી 'નૅટો'ની ફોજે તાલિબાનનાં ઠેકાણાં પર હુમલા કર્યા અને તેમને પાછળ હઠવા મજબૂર કર્યા.

સામરિક મામલાના વિશેષજ્ઞ પણ માને છે કે હવે જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનો ફરીથી મજબૂત થઈ રહ્યા છે અને અમેરિકન સેનાનો જવાનો સમય પણ નજીક આવી રહ્યો છે, ત્યારે ભારત સામે એક નવો પડકાર છે, કેમ કે ગત બે વર્ષમાં અમેરિકા અને તાલિબાનો વચ્ચે વાતચીતનો દૌર ચાલી રહ્યો છે, તેનાથી ભારતે પોતાને અલગ રાખ્યું હતું.

આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકા અને તાલિબાન વચ્ચે સહમતિ પણ સધાઈ ગઈ. અમેરિકન સેના અફઘાનિસ્તાનમાંથી જઈ રહી છે અને આ સ્થિતિમાં ભારતની ચિંતા જરૂર વધી છે, કેમ કે ગત 20 વર્ષમાં ભારતે અફઘાનિસ્તાનમાં વિભિન્ન પરિયોજનાઓ અને સહાયતાના રૂપમાં હજારો કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

અફઘાનિસ્તાનમાં ભારત

માત્ર 2020ના નવેમ્બરમાં ભારતે અફઘાનિસ્તાનમાં 150 નવી પરિયોજનાઓની જાહેરાત કરી છે.

અગાઉ 2015માં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનની સંસદની નવી ઇમારતનું ઉદઘાટન કર્યું હતું.આ ભવન પણ ભારતના સહયોગથી બનાવ્યું છે.

પછીના વર્ષે અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં 42 મેગાવોટવાળી વીજળી અને સિંચાઈની પરિયોજનાનું ઉદઘાટન મોદી અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ સંયુક્ત રીતે કર્યું હતું.

ઘણી પરિયોજનાઓ એવી છે, જેને ભારતે શરૂ કરી અને સંચાલન પણ કરી રહ્યું છે.

ભારતના રક્ષા મંત્રાલયને અધીન સીમા સડક સંગઠન એટલે કે બૉર્ડર રોડ્સ ઑર્ગેનાઇઝેશન (બીઆરઓ)એ પણ અફઘાનિસ્તાનમાં ઘણી મહત્ત્વના રસ્તાઓ બનાવવાનું કામ કર્યું છે.

અફઘાનિસ્તાનની સેના, પોલીસ અને લોકસેવા સાથે જોડાયેલા અધિકારીઓને ભારતમાં તાલીમ પણ મળે છે.

ભારતના વિદેશ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે ન માત્ર માનવીય સહાયતા અને પુનર્નિમાણની પરિયોજનાઓ પણ ભારત અફઘાનિસ્તાનમાં શૈક્ષણિક સંસ્થાઓ, તેલ અને ગૅસના એકમો, સ્ટીલ ઉદ્યોગ, વિદ્યુત આપૂર્તિના ઢાંચાને વિકસિત કરવા જેવાં કામોમાં પણ સૌથી મહત્ત્વની ભૂમિકા નિભાવતું આવ્યું છે.

એ વાત સાચી છે કે ન માત્ર શરણાર્થીઓને શરણ આપવું, પણ વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે, જેણે અફઘાનિસ્તાનના પુનર્નિમાણમાં સૌથી વધુ આર્થિક અને અન્ય સહાયતા પણ આપી છે અને ભાગીદારી પણ નિભાવી છે.

શું તાલિબાન સાથે સંવાદ કરશે ભારત?

ગત મહિને યુરોપીય સંઘના ઉપાધ્યક્ષ બોરવેલ સાથે સંયુક્ત નિવેદન જાહેર કરીને ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે સ્પષ્ટ કર્યું કે ભારત અફઘાનિસ્તાનમાં કોઈ પણ રીતના 'ઇસ્લામિક અમિરાત'ને સમર્થન નહીં કરે.

સ્પષ્ટ છે કે ખુદને 'ઇસ્લામિક અમિરાત ઑફ અફઘાનિસ્તાન'ના રૂપમાં રજૂ કરનારા તાલિબાન માટે આ ભારતનો સંદેશ હતો કે તેને ભારતનું સમર્થન ક્યારેય મળી શકતું નથી.

પણ પરિસ્થિતિ બદલાતાં ભારતમાં પણ તેને લઈને મંથન ચાલી રહ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં જ્યારે અમેરિકન સેના અફઘાનિસ્તાનમાંથી જતી રહેશે ત્યારે ભારતનું વલણ કેવું રહેવું જોઈએ.

સામરિક અને વિદેશી મામલાના જાણકારો કહે છે કે એ વાત સાચી છે કે ભારતે તાલિબાન સાથે કોઈ પણ પ્રકારના સંબંધો ન રાખવા જોઈએ, પણ અફઘાનિસ્તાનની પરિસ્થિતિ એવી સર્જાવા લાગી છે કે વર્ષ 2018માં જ્યારે અફઘાનિસ્તાન અને તાલિબાનને લઈને રશિયાએ મૉસ્કોમાં વાર્તાનું આયોજન કર્યું હતું ત્યારે ભારતે પણ તેમાં પોતાનું પ્રતિનિધિમંડળ મોકલ્યું હતું.

આવું પહેલી વાર થયું હતું. પછી ગત વર્ષે સપ્ટેમ્બરમાં જ્યારે અફઘાનિસ્તાન અને તાલિબાનને લઈને દોહા શાંતિવાર્તા થઈ ત્યારે તેમાં વિદેશમંત્રી એસ. જયશંકરે વીડિયો કૉન્ફરન્સથી હાજરી આપી હતી.

આ વાર્તા દરમિયાન ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે કોઈ પણ શાંતિપ્રક્રિયા અપનાવવામાં આવે, પણ તેના કેન્દ્રમાં અફઘાનિસ્તાનના સામાન્ય લોકો જ હોવા જોઈએ. ભારતનું કહેવું હતું કે પ્રક્રિયા 'અફઘાન લેડ', 'અફઘાન ઓંડ ઍન્ડ અફઘાન કંટ્રોલ્ડ'વાળા ફૉર્મ્યૂલા પર જ હોવી જોઈએ.

આ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનના સૂચવેલા શાંતિપ્રસ્તાવમાં કહેવાયું હતું કે સંયુક્ત રાષ્ટ્રના નેતૃત્વમાં ભારત, રશિયા, ચીન, ઈરાન અને પાકિસ્તાનના પ્રતિનિધિઓની ભાગીદારીવાળી બહુપક્ષીય વાર્તા થવી જોઈએ. આ પ્રસ્તાવનું ભારતે સમર્થન કર્યું છે.

સ્વાભાવિક છે કે ભારત હવે તેની નીતિમાં થોડું લચીલાપણું દેખાડી રહ્યું છે.

જી પાર્થસારથિ કહે છે કે "તાલિબાન સાથે ભારત સંબંધો બનાવશે કે નહીં? કે પછી કઈ રીતે તેની સાથે ડીલ કરશે? આ બધું એ વાત પર નિર્ભર કરે છે કે તાલિબાન લોકતાંત્રિક રીતો અપનાવે છે કે નહીં."

તેમને લાગે છે કે હવે પરિસ્થિતિ પહેલાં જેવી રહી નથી અને વીસ વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું છે.

તેમના અનુસાર, તાલિબાનનો પ્રભાવ એ જ વિસ્તારોમાં વધુ છે, જ્યાં પશ્તુન કબાયલી વધુ સંખ્યામાં રહે છે.

તેઓ કહે છે, "આખા અફઘાનિસ્તામાં પશ્તુન કબાયલીની સંખ્યા 42 ટકા છે. જ્યાં તેમની સંખ્યા ઓછી છે, ત્યાં અન્ય કબીલાનો વધુ પ્રભાવ છે, આથી હાલની હિંસક ઘટનાઓને લઈને એવું ન કહી શકાય કે તાલિબાન આખા અફઘાનિસ્તાન અને ખાસ કરીને બિનપશ્તુન વિસ્તારો પર કબજો કરી જ લેશે.

અગાઉ પણ ઉત્તર અફઘાનિસ્તાનનો મોટો ભાગ અહમદ શાહ મસૂદના નિયંત્રણમાં હતો. કાબુલના ઉત્તરમાં તાજિક અને ઉઝ્બેક કબીલા વચ્ચે તાલિબાનનું સમર્થન પણ નથી અને પ્રભાવ પણ નથી."

જોકે પૂર્વ અફઘાનિસ્તાનમાં પશ્તુન ચરમપંથી જૂથ હક્કાનીનો ઘણો પ્રભાવ છે. આ આરોપ છે કે આ જૂથને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થાનું સમર્થન મળેલું છે. આ જૂથની સ્થાપના જલાલુદ્દીન હક્કાનીએ કરી હતી.

પણ વિશેષજ્ઞો માને છે કે પાકિસ્તાની સેનાની પુશ્તુનો સામે કરાઈ રહેલી કાર્યવાહીથી સ્થિતિ બદલાઈ છે.

રાજદ્વારીજગતમાં અફઘાનિસ્તાનને લઈને પણ ચર્ચા ચાલુ છે. ઘણા રાજદ્વારીઓનું માનવું છે કે જો ચીન, યુરોપીય સંઘ અને રશિયા તાલિબાનને લઈને ચર્ચા કરી શકે તો ભારતે પણ પાછળ ન રહેવું જોઈએ, કેમ કે જો ભારત તાલિબાન સાથે 'ઍંગેજ' નહીં કરે તો પાકિસ્તાન આ તકનો લાભ ઉઠાવવાનો પૂરો પ્રયત્ન કરશે.

સામાન્ય લોકો સાથે ભારત

પૂર્વ રાજદ્વારી નવતેજ સરના કહે છે, "ભારતનું વલણ સ્પષ્ટ રહ્યું છે. તે હંમેશાં અફઘાનિસ્તાનના સામાન્ય લોકોની સાથે રહ્યું છે અને છેલ્લાં વીસ વર્ષમાં ભારતે અફઘાનિસ્તાનની સાથે ગાઢ સંબંધો બનાવ્યા છે."

તેમનું માનવું છે કે અમેરિકન સેના અફઘાનિસ્તાનમાંથી ખસી જવાથી ચોક્કસ ચિંતાજનક સ્થિતિ સર્જાશે.

તેઓ કહે છે, "આને લઈને ભારતે કોઈ ઉતાવળ ન કરવી જોઈએ. એ જોવાનું રહેશે કે અમેરિકા પોતાની સેનાને કેવી રીતે પાછી લે છે. શું ફૉર્મ્યૂલા અપનાવે છે. એ પણ જોવાનું રહેશે કે બધી સેના એકસાથે પાછી લેશે કે તબક્કા વાર હઠાવશે."

તેમનું કહેવું છે કે ભારત ઇચ્છે છે કે જો અફઘાનિસ્તાનમાં નવી સરકાર જ બનાવવાનો વારો આવશે તો તેમાં તાલિબાનની ભાગીદારી હોય. પરંતુ એવું ન થાય કે તાલિબાન સરકાર પર કબજો કરી લે.

તેઓ એવું પણ કહે છે કે જો તાલિબાન લોકતાંત્રિક પ્રક્રિયા નહીં અપનાવે તો એવી સ્થિતિમાં ભારતે પોતાની અફઘાનિસ્તાન નીતિ પર વિચાર કરવો પડશે.

બીજી તરફ પાર્થસારથિ કહે છે કે તાલિબાનથી દૂર રહેવું જ ભારત માટે સારું રહેશે.

તેઓ કહે છે કે હાલની સ્થિતિને જોતાં ઔપચારિક વાતચીત પણ થાય અને અંતર પણ રહે, જ્યાં સુધી તાલિબાનનું વલણ સ્પષ્ટ ન થાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો