You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરત : અરવિંદ કેજરીવાલે કહ્યું, ભાજપ અને કૉંગ્રેસ ભયભીત છે
સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતી એ બાદ દિલ્હીના મુખ્ય મંત્રી અને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે સુરતની મુલાકાતે છે.
અરવિંદ કેજરીવાલે સુરતમાં આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા કાઉન્સિલરોને સંબોધન કરતાં કહ્યું કે, શરૂઆત એક મોટી વસ્તુ હોય છે. આ એક સારી અને મોટી લડાઈ છે.
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે સુરતમાં આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવારો સાથે વાત કરતા કહ્યું, "ભાજપ અને કૉંગ્રેસ ભયભીત છે."
આપની જીતને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે ‘સોનાની થાળીમાં ખિલ્લો ઠોક્યો’ એમ કહી હતી ત્યારે કેજરીવાલે કહ્યું કે એક મોટા નેતાનું એ નિવેદન સાંભળ્યું છે.
તેમણે વધુમાં કહ્યું, "તે તમારાથી નથી ડરતા તેઓ આમ આદમી પાર્ટીથી ડરતા નથી. તે એ લોકોથી ડરે છે જેમણે તમને વોટ આપ્યો છે. એ સોળ લાખ લોકોએ જે આ પાર્ટીઓથી કંટાળેલા છે."
એમણે કહ્યું, "હાલ સુધી વિકલ્પ ન હતો. ભાજપના રાજમા અનેક સમસ્યાઓ છે. અહીં તો એક પાર્ટી શાસન કરે છે કારણ કે બીજી પાર્ટીને ખિસ્સામાં રાખી છે. તમે જ્યારે તેમની સામે આંખોથી આંખો મિલાવી એટલે જનતાએ તમને પસંદ કર્યા છે."
જો તમે 27 લોકોએ સારું કામ કર્યું તો 2022માં ક્રાંતિ થશે - અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે આપના ચૂંટાયેલા કાઉન્સિલરોને કહ્યું, "જો તમે 27 લોકોએ સારું કામ કર્યું તો 2022માં ક્રાંતિ થશે."
અરવિંદ કેજરીવાલે કહ્યું, 'હવે તમારી પર બીજેપીવાળાનો ફોન આવશે. તોડવાની વાત કરશે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે આગળ કહ્યું, "આપણી પાસે જનતાનો ભરોસો છે. આપણે બોલીએ તો જનતાને લાગે કે આ સાચું બોલે છે. આપણામાંથી એક પણ તૂટી ત્યાં જાય તો બધાને લાગશે કે આ એમના જેવા જ છે."
"ભાજપવાળા તમને ડરાવશે ધમકાવશે લાલચ આપશે. ફોન આવે તો ગોપાલભાઈને કહી દેજો, પછી શું કરવાનું છે એ અમે કહીશું."
અરવિંદ કેજરીવાલે કહ્યું, "આપણે 27 લોકોનાં દમ પર આખા ગુજરાતમાં જઈને મત માગીશું કે આવું હોવું જોઈએ."
"સદનમાં આપણે 27 છીએ અને એ લોકો 93 છે. સદનની અંદર તેમની નાની યાદ અપાવી દેજો. એક પણ ખોટું કામ થવા ન દેતા."
‘જનતા કામ નહીં થાય તો માફ કરશે પરંતુ અપમાન સહન નહીં કરે’
અરવિંદ કેજરીવાલે નવા ચૂંટાયેલા કાઉન્સિલરોને કહ્યું કે માણસને ચૂંટણી જીત્યા પછી ઘમંડ આવી જાય છે. માણસની બૉડી લૅન્ગ્વેજ બદલાઈ જાય છે. આ માણસની ફિતરતમાં છે. આપણે જનતાની સાથે કેવી રીતે વાત કરીએ એ મહત્ત્વનું છે. કોઈનું અપમાન ન કરવું જોઈએ.
તેમણે વધુમાં કહ્યું, “જનતાના કામ કરવા તમે પ્રયત્ન કરશો પણ કામ નહીં થાય તો જનતા તમને કદાચ માફ કરી દેશે પરંતુ અપમાન સહન નહીં કરે.”
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.