કચ્છ : રામમંદિરના દાન માટે નીકળેલા સરઘસમાં હિંસા, એક મજૂરની હત્યા

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

કચ્છના ગાંધીધામના કિડાણા ગામમાં અયોધ્યામાં બનનારા રામમંદિર માટે દાન ઉઘરાવવા નીકળેલા સરઘસમાં હિંસા થતા એક મજૂરની હત્યા કરી દેવામાં આવી હતી.

આ બનાવ ગાંધીધામના કિડાણા ગામે રાત્રે બે જૂથ વચ્ચે બન્યો હતો.

એફઆઈઆર મુજબ વિશ્વ હિંદુ પરિષદની આગેવાનીમાં નીકળેલું આ સરઘસ જ્યારે મસ્જિદ ચોકમાંથી પસાર થયું હતું ત્યારે બીજા લોકોને ઉશ્કેરવા ધાર્મિક નારાઓ પોકારવામાં આવ્યા હતા. જેના કારણે પહેલા શાબ્દિક ઝઘડો થયો પછી મારામારી થઈ અને પથ્થરમારો થયો હતો.

ત્યારબાદ જોતજાતામાં હિંસા ભડકી ઊઠી. ટોળા દ્વારા પાંચ વાહનોને આગચંપી કરવામાં આવી હતી અને અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી.

બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા 27 ટીયર ગૅસના સેલ અને સ્ટન સેલ છોડવામાં આવ્યા હતા.

આ બાદ બીજા દિવસે મોડી રાત્રે અદિપુર વિસ્તારમાં આવેલી દરગાહને નુકસાન પહોંચાડવાની ઘટના પણ બની હતી.

હિંસામાં મૃત્યુ પામનાર મજૂર ઝારખંડના અર્જુન સવાઇયો હોવાનું કહેવાઈ રહ્યું છે જેની ટોળાઓ હત્યા કરી તેની રીક્ષાને આગ લગાડી દેવામાં આવી હતી.

ગાંધીનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે વિશ્વ હિંદુ પરિષદના 15 કાર્યકર્તાઓની અટકાયત કરી છે.

હાલ ગામમાં મોટા પ્રમાણમાં પોલીસ તહેનાત કરવામાં આવી છે. કચ્છ(પૂર્વ)ના એસપી મયૂર પાટીલે કહ્યું, "ગામમાં સ્થિતિ કાબૂમાં છે અને વધારાની ફોર્સ પણ તહેનાત કરવામાં આવી છે. અમે 40 લોકોની અટકાયત કરી છે. અમારી પાસે વીડિયો છે અને પૂરાવાના આધારે કાર્યવાહી કરીશું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો