કોરોના વૅક્સિન : પહેલા ત્રણ કરોડ લોકોને કેન્દ્ર સરકારના ખર્ચે કોરોના રસી અપાશે, જાણો શું છે કિંમત?

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પ્રથમ તબક્કામાં ત્રણ કરોડ લોકોને કોરોનાની રસી મૂકવામાં આવશે અને તેનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે.

મોદીએ સોમવારે કોરોના વૅક્સિન વિશે રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે થયેલી વાતચીતમાં આ વાત કરી હતી.

તેમણે કહ્યું કે 16 જાન્યુઆરીથી ભારતમાં વિશ્વનો સૌથી મોટા રસીકરણ પ્રોગ્રામની શરૂઆત થશે. તેમણે કહ્યું કે ભારતના લગભગ તમામ જિલ્લાઓમાં ડ્રાય રન થઈ ચૂક્યું છે એક મોટી સફળતા છે.

તેમણે કહ્યું કે બે 'મેડ ઇન ઇન્ડિયા' વૅક્સિનને કટોકટીની સ્થિતિમાં ઉપયોગની મંજૂરી અપાઈ છે.

તેમણે પોતાની સરકારની પ્રશંસા કરતાં કહ્યું કે આ સંકટ દરમિયાન તમામે એકઠા મળીને કામ કર્યું, જલદી નિર્ણયો લેવાયા અને આ કારણે બીજા દેશોની સરખામણીએ ભારતમાં કોરોના એ સ્તર પર ન ફેલાયો.

વડા પ્રધાને કહ્યું કે સૌથી પહેલા કોરોનાની રસી એ લોકોને અપાશે જેઓ ફ્રંટલાઇન વર્કર્સ છે એટલે કે એવા લોકો જેઓ બીજાની સેવામાં દિવસ-રાત જોતરાયેલા છે.

વડા પ્રધાન અનુસાર કુલ જોવામાં આવે તો આવા લોકોની સંખ્યા લગભગ ત્રણ કરોડ છે અને આ લોકોને રસી અપાવવાનો ખર્ચ કેન્દ્ર સરકાર જાતે ભોગવશે, રાજ્યોને તે માટે પૈસો ય ખરચવો નહીં પડે.

વડા પ્રધાને કહ્યું કે આવનારા અમુક મહિનામાં 30 કરોડ લોકોને રસી આપવાનો ઇરાદો છે.

તેમણે કહ્યું કે બીજા તબક્કામાં એ લોકોને પ્રાથમિકતા અપાશે જેમની ઉંમર કાં તો 50 વર્ષ કરતાં વધુ છે કે પછી જેઓ 50 વર્ષ કરતાં ઓછી ઉંમરના છે પરંતુ અન્ય બીમારીઓથી પીડિત છે.

કેટલી હશે વૅક્સિનની કિંમત?

સીરમ ઇન્સ્ટિટ્યૂટને ટાંકીને સમાચાર એજન્સી ANIના ટવીટમાં જણાવાયું હતું કે સીરમ ઇન્સ્ટિટ્યૂટની વૅક્સિન પ્રતિ ડોઝ 200 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ હશે.

નોંધનીય છે કે ભારતના ડ્રગ કન્ટ્રોલર જનરલ દ્વારા કોરોના વાઇરસની સારવાર માટે બે વૅક્સિનના ઇમર્જન્સી ઉપયોગની પરવાનગી આપી દેવાઈ છે.

આ બે વૅક્સિન છે કોવિશીલ્ડ અને કોવૅક્સિન. કોવિશીલ્ડ ઑક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકા કંપનીએ બનાવેલી રસીનું ભારતીય સંસ્કરણ છે.

જ્યારે કોવૅક્સિન સંપૂર્ણપણે ભારતની વૅક્સિન છે જેને 'સ્વદેશી વૅક્સિન' કહેવામાં આવી રહી છે.

કોવિશીલ્ડ ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા કંપની બનાવી રહી છે. ત્યાં, કોવૅક્સિનને ભારત બાયોટૅક કંપની અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ(આઈસીએમઆર)એ સાથે મળીને બનાવી છે.

ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની વૅક્સિનને બ્રિટનમાં ઇમરજન્સી મંજૂરી મળ્યા પછી સંપૂર્ણ સંભાવના હતી કે કોવિશીલ્ડને ભારતમાં મંજૂરી મળી જશે અને છેલ્લે તેને પરવાનગી મળી ગઈ હતી. જોકે, અનેક નિષ્ણાતોએ આ પરવાનગી પર સવાલો પણ કર્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો