You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ભાજપના નેતાઓ ખેડૂત આંદોલન મુદ્દે શું કહી રહ્યા છે?
દિલ્હીમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતમાં ભાજપે ખેડૂત સંમેલન મારફતે ખેડૂતોને નવા કૃષિકાયદા સમજાવવાનું અભિયાન શરૂ કર્યું છે.
ભારતમાં ખેડૂત આંદોલનનો આજે 23મો દિવસ છે ત્યારે વિવિધ ભાજપશાસિત રાજ્યોમાં કૃષિ સુધારણા અધિનિયમ પર જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં ભાજપની સરકાર અલગઅલગ જિલ્લામાં કૃષિકાયદાઓ પર જનજાગૃતિ સભાઓ યોજી રહી છે અને તેમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીથી લઈને નીતિન પટેલ તથા તમામ દિગ્ગજ નેતાઓ અને મંત્રીઓ ભાગ લીધો હતો.
આ અભિયાન હેઠળ ગુજરાત ભાજપના નેતાઓએ વિપક્ષ પર ખેડૂતોને ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપના નેતાઓ કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી તથા એનડીએમાં પોતાનાં પૂર્વ સહયોગી દળ અકાલી દળને નિશાન પર લઈ રહ્યા છે.
ગુજરાત ભાજપના પ્રમુખ સીર.આર. પાટીલે ગુરુવારે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવાર, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર હુમલો કર્યો હતો.
બારડોલીમાં તેમણે એક કિસાન સંમેલનમાં કહ્યું કે 'કૉંગ્રેસ અને વિપક્ષના અન્ય દળો અશાંતિ ફેલાવવા માટે ખેડૂતોના સંમેલનને ટેકો આપી રહ્યાં છે.'
"શરદ પવાર કૉંગ્રેસના શાસનકાળમાં સૌથી લાંબા સમય સુધી કૃષિમંત્રી રહ્યા છે. અને કૃષિ મંત્રી તરીકે સૌથી વધુ નિષ્ફળતા પણ તેમના ભાગે આવે છે. તેમના કાર્યકાળ દરમિયાન કોઈ બિલ પાસ થયા નહોતા અને ખેડૂતોની તરફેણમાં કોઈ સ્કીમો પાસ કરવામાં આવી નહોતી."
તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે પણ આરોપ કર્યા. તેમણે કહ્યું, ''કેજરીવાલ કાગળના વાઘ જેવા છે. તેઓ માત્ર રાષ્ટ્રીય રાજકારણમાં પોતાની હાજરી દેખાડવા માટે ખેડૂત આંદોલનનો સાથ આપી રહ્યા છે. રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલને ખેતી સાથે કંઈ લેવા-દેવા નથી''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાટીલે દાવો કર્યો કે નરેન્દ્ર મોદી 2001માં ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા ત્યારથી ગુજરાતમાં એપીએમસીમાં 9000 કરોડનું વેચાણ હતું જે વધીને હવે 1.50 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.
ત્યારે ગુજરાત ભાજપના ઉપ પ્રમુખ ગોર્ધન ઝડફિયાએ બનાસકાંઠાના ડીસામાં કિસાન સંમેલનમાં એનડીએમાં ભાજપના પૂર્વ સહયોગી અકાલી દળ પર હુમલો કર્યો.
તેમણે બાદલ પરિવારના નેતૃત્વવાળા અકાલી દળ પર કમિશન એજન્ટ હોવાનો આરોપ લગાવ્યો હતો.
બનાસકાંઠામાં બટાકાના ખેડૂતોને ત્રણ નવા કૃષિકાયદા સમજાવવા માટે જે સભા બોલાવવામાં આવી હતી તેમાં ગુજરાત ભાજપના ઉપ પ્રમુખ ગોર્ધન ઝડફિયાએ ખેડૂતોને સંબોધતા કહ્યું કે કૃષિ સુધાર કાયદા આવ્યા પછી ખેડૂતો ચાર પૈડાવાળી ગાડીમાં ખેતરે જશે.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ તેમણે કહ્યું, લોકો પૂછે છે કે તમારા જૂના સહયોગી હરસિમરત કૌર બાદલે (શિરોમણિ અકાલી દળનાં નેતા અને પૂર્વ કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રી) એ કેમ રાજીનામું આપી દીધું. તેમણે એટલે રાજીનામું આપ્યું કારણકે તેમનો બાદલ પરિવાર પણ એક કમિશન એજન્ટ હતો. તેમને એટલે વાંધો છે કારણકે એપીએમસીમાં 7.5 ટકા સેસ છે અને પંજાબ તથા હરિયાણામાં 1800થી વધારે એપીએમસી છે.
બીજી તરફ પંચમહાલ જિલ્લામાં યોજાયેલા આવા જ એક કાર્યક્રમમાં ગુજરાતના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે દાવો કર્યો કે દેશવિરોધી પરિબળો આંદોલનને લાખો રૂપિયા આપે છે.
ખેડૂત આંદોલનમાં પિત્ઝાની ચર્ચા સોશિયલ મીડિયામાં થઈ હતી તેને ટાંકીને નીતિન પટેલે કહ્યું કે ''આપણે જોઈએ છીએ કે (આંદોલનમાં) લોકો પિત્ઝા ખાય છે અને પકોડી ખાય છે. બધુ મફત થાય છે કેમ કે દેશવિરોધી પરિબળો એમને લાખો રૂપિયા મફત આપે છે અને કહે છે કે લો લાખો રૂપિયા વાપરો અને પડ્યા રહો.''
એમણે એવો પણ દાવો કર્યો કે ''આખા દેશના ખેડૂતો આ ભાગલાવાદી, આતંકવાદી, ચીનતરફી, પાકિસ્તાનતરફી, ખાલિસ્તાનવાદીઓનાં હાથા બનવાના નથી.''
નીતિન પટેલે પણ વિપક્ષ પર હુમલો બોલાવ્યો અને કહ્યું ''આ સામ્યવાદીઓ અત્યારે ખેડૂતોની ભેગા બેસી ગયા છે. આ ખાલિસ્તાનવાદીઓ જે પંજાબને ભારતથી અલગ કરવા માગે છે, પાકિસ્તાનમાં જવા માગે છે, ભારત જોડે રહેવા નથી માગતા.''
એમણે કહ્યું કે, ''જેમ કાશ્મીરીઓ, આતંકવાદીઓ, અલગતાવાદીઓ કાશ્મીર ભારતમાં રહે તેમ નથી ઇચ્છતા એમ આ લોકો સામ્યવાદીઓ પણ સામ્યવાદની બોલબાલા કરે છે.''
સાવરકુંડલામાં આવા જ એક ખેડૂત જાગૃતિ સંમેલનમાં ગુજરાતના કૃષિ મંત્રી આર સી ફળદુએ પણ કૉંગ્રેસ પર આરોપ મૂક્યા અને કહ્યું કે કૉંગ્રેસે જે ભૂલો કરી તેને સુધારવાનું કામ ભાજપની સરકાર કરી રહી છે.
તેમણે કહ્યું કે 'વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિકાયદાઓ લાવીને કોઈ પાપ નથી કર્યું. અને કહ્યું કે વાચાળ લોકોએ આ વિશે વાત કરવી જોઈએ. ભાજપના કાર્યકર્તાઓએ માથું નીચું કરવું પડે એવું કંઈ નથી થયું.'
'જ્યારથી અમારી સરકાર આવી છે ત્યારથી ખેડૂતોને દર વર્ષે 30 હજાર કરોડ રૂપિયાની મદદ સબસિડી અને અન્ય મદદ આપવામાં આવે છે.'
ખેડૂત આંદોલન યથાવત્ અને કૃષિ મંત્રીનો પત્ર
દિલ્હીમાં જ્યારે 23માં દિવસે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે હજી આ મુદ્દે ઉકેલ આવ્યો નથી.
ભાજપ શાસિત રાજ્યોમાં ખેડૂતોને નવા કૃષિ કાયદા સમજાવવા માટે ભાજપના નેતાઓ આવી સભાઓ કરી રહ્યા છે.
ત્યારે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર તોમરે ખેડતોના નામ એક પત્ર લખ્યો છે જેમાં તેમણે કહ્યું છે કે અમુક ખેડૂત સંગઠનો નવા કૃષિકાયદાને લઈને ભ્રમ ફેલાવી રહ્યા છે.
તેમણે લખ્યું છે કે તેઓ પોતે ખેડૂત પરિવારમાંથી આવે છે અને ખેતીની બારીકીઓને સમજે છે.
આ પત્રમાં લખ્યું છે કે સંકટના સમયમાં પણ ખેડૂતોએ રૅકોર્ડ ઉત્પાદન કર્યું છે. સરકાર એમએસપી પર ખરીદના નવા રૅકોર્ડ બનાવી રહી છે અને ખરીદ કેન્દ્રોની સંખ્યા પણ વધી રહી છે ત્યારે અમુક લોકો એમએસપી વિશે ભ્રમ ફેલાવી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ પત્રને ટ્વીટ કરતા લખ્યું હતું કે 60 વર્ષ સુધી દેશ પર રાજ કરનાર લોકો ખેડૂતોને માત્ર ભ્રમિત કરી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો