ચીન ભારતીય સૈનિકોને સરહદ પર પંજાબી ગીતો સંભળાવે છે? અને પીએમ મોદીના જન્મદિને ગુજરાતમાં કેટલયી યોજનાની જાહેરાત -TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ચીનના સૈનિકોએ લાઉડસ્પીકરો મૂકી અગ્રીમ પંક્તિના ભારતીય સૈનિકોને પંજાબી ગીતો સંભળાવી રહ્યા છે.

'લાઇવમિન્ટ' અખબાર ના અહેવાલ પ્રમાણે એક તરફ જ્યાં ફિંગર 4 ખાતે ભારતીય સેનાના પ્રભુત્વ વાળી પહાડીઓ પર ભારતીય સૈનિકો રાઉન્ડ ધ ક્લૉક નજર રાખી રહ્યા છે ત્યાં ચીનના સૈનિકોએ આ લાઉડ સ્પીકરો મૂક્યાં છે.

આ પગલા પાછળ ચીનના સૈનિકો ભારતીય સૈનિકોનું ધ્યાનભંગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય અથવા દબાણ હળવું કરવા માટે પણ આમ કરી રહ્યા હોય એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

પૂર્વ લદ્દાખમાં ફિંગર 4 ખાતે જ ભારત અને ચીન વચ્ચે હાલની ઘટના 8મી સપ્ટેમ્બરે ઘટી હતી, જ્યાં બંને બાજુના સૈનિકો તરફથી ગોળીબાર કરાયો હતો.

છેલ્લા 20 દિવસમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફાયરિંગની ઓછામાં ઓછી ત્રણ ઘટનાઓ ઘટી છે.

પીએમ મોદીના જન્મદિવસે રાજ્યમાં થશે આ સ્કીમો લૉન્ચ

ગુજરાત સરકારે જાહેરાત કરી કે પીએમ મોદીના 70મા જન્મદિવસે રાજ્યમાં પ્રજાલક્ષી અનેક સ્કીમો લૉન્ચ કરાશે

એનડીટીવીના સમાચાર અનુસાર રાજ્ય સરકારે બુધવારે જાહેર કરેલા નિવેદન પ્રમાણે મુખ્ય મંત્રી વિજય રૂપાણી ગાંધીનગરથી વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી આ પ્રોજેક્ટ અને સ્કીમો લૉન્ચ કરશે અને એમાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ જોડાશે.

તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીથી આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે. ગૃહમંત્રી અમિત શાહ 11 વાગ્યે ગાંધીનગર માટે પાણીપુરવઠાની યોજનાના ઈ-ભૂમિ પૂજન સમારંભમાં જોડાશે.

પીએમ મોદીના જન્મદિવસે લૉન્ચ થનારી યોજના અને પ્રોજેક્ટમાં કેટલાક ખેડૂતલક્ષી પ્રોજેક્ટ સામેલ છે. તો 10 લાખ મહિલાઓને તેઓ વેપાર શરુ કરી શકે તે માટે લૉનની વ્યવસ્થા કરી આપતી 1000 કરોડની યોજના પણ લૉન્ચ કરાશે.

ભારતમાંથી કૃત્રિમ હીરાની નિકાસમાં 40 ટકાનો વધારો

અમદાવાદ મીરરના અહેવાલ પ્રમાણે વૈશ્વિક મહામારીના સમયમાં જ્યાં પૉલિશ્ડ ડાયમંડની નિકાસ નબળી રહી ત્યાં જ પાછલા એક વર્ષમાં સિન્થેટિક ડાયમંડ (કૃત્રિમ હીરા)ની નિકાસમાં 40 ટકાનો વધારો જોવા મળ્યો છે.

કોવિડ-19 દરમ્યાનના લૉકડાઉનને કારણે આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ આવતા રફ હીરાના ભાવમાં 15થી 20 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

જીજેઈપીસીના પ્રાદેશિક ચૅરમેન દિનેશ નાવડિયાએ આ વિશે કહ્યું કે સિન્થેટિક ડાયમંડની માગ અમેરિકામાં પાછલા ઘણા સમયથી વધી રહી છે કારણ કે ત્યાં એને પ્રાથમિકતા અપાય છે.

ઑગસ્ટ 2019માં દેશમાંથી સિન્થેટિક ડાયમંડની 266.50 કરોડ રુપિયાની નિકાસ થઈ હતી જ્યારે ઑગસ્ટ 2020માં 373.22 કરોડ રુપિયાની નિકાસ થઈ જે 40.05 ટકાનો વધારો બતાવે છે.

તો રફ ડાયમંડમાં જોવા મળેલા ભાવ વધારાનું કારણ ઉદ્યોગના જાણકારો સપ્લાયમાં ઘટાડાને ગણાવી રહ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો