You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
NEET અને JEEની પરીક્ષાનો વિરોધ કેમ થઈ રહ્યો છે?
નેશનલ ઍલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) અને જૉઇન્ટ એન્ટ્રન્સ ઍક્ઝામિશન (JEE)ને લઈને વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે.
સરકારે જાહેરાત કરી હતી કે મેડિકલ અને એન્જિનિયરિંગ અંડરગ્રૅજ્યુએટ અભ્યાસક્રમો માટેની પ્રવેશપરીક્ષા સપ્ટેમ્બરમાં નિર્ધારિત હોવાથી લેવામાં આવશે.
મીડિયા અહેવાલ અનુસાર અંદાજે 25 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસશે.
જોકે સરકારના નિર્ણયનો વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે અને પરીક્ષાની તારીખ પાછી ઠેલવાની માગ કરી રહ્યા છે.
ખાસ કરીને સોશિયલ મીડિયામાં વિદ્યાર્થીઓ #PostponeNEET_JEE સહિત અનેક નામોથી અભિયાન ચલાવી રહ્યા છે.
વિદ્યાર્થીઓની શું દલીલ છે?
આ મામલે સોશિયલ મીડિયામાં અનેક વિદ્યાર્થીઓ અને લોકો વીડિયો અને ફોટો ટ્વીટ કરી રહ્યા છે.
વિદ્યાર્થીઓના કહેવા અનુસાર તેઓ હાલના સમયમાં પરીક્ષા આપી શકે તેવી સ્થિતિમાં નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અલગઅલગ રાજ્ય અને શહેરોના વિદ્યાર્થીઓ આ માટે તેમની અલગઅલગ દલીલ આપી રહ્યા છે.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે કોરોનાના સમયમાં આ પરીક્ષાઓ માટે આપેલા દિશાનિર્દેશોનું યોગ્ય રીતે પાલન કરી શકાશે નહીં.
રાષ્ટ્રીય ટેસ્ટિંગ એજન્સીએ પરીક્ષા મામલે માર્ગદર્શિકા પણ બહાર પાડી છે, જેમાં માસ્ક પહેરવા, હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ વગેરે બાબતોનું ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓ આદર સન્માન સાથે સરકારના આ નિર્ણયનો વિરોધ કરવા કહી રહ્યા છે.
દીપક મિશ્રાએ લખ્યું કે "મિત્રો, મારી સલાહ છે કે જો સરકાર આપણો અવાજ નહીં સાંભળે તો નાગરિકો અનાદરનો માર્ગ પસંદ કરે, અમે આદરથી તેમના આદેશનો અનાદર કરીશું, કોઈ પણ વિદ્યાર્થીએ પરીક્ષા ન આપવી જોઈએ, તો ચાલો જોઈએ કે સરકાર કોની પરીક્ષા લેશે."
અમિત જોગીએ ટ્વિટર પર લખ્યું કે 87 ટકા વિદ્યાર્થીઓ સપ્ટેમ્બરની પરીક્ષા રદ કરવા માગે છે.
સંદીપ સૌરવે લખ્યું કે "જુલ્મ કે સાયે મેં લબ ખોલેગા કૌન, અગર હમ ભી ચૂપ રહે તો બોલેગા કૌન?" તેમણે લખ્યું કે કોરોનાના સમયમાં પરીક્ષા ન લેવાવી જોઈએ.
હંસરાજ મીણાએ લખ્યું કે ડબલ્યુએચઓ (WHO)ને ટેગ કરીને લખ્યું કે "કૃપા કરીને ભારત સરકારને પરીક્ષા મામલે ચેતવણી આપો, આપણે જાણીએ છીએ કે કોરોના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે. કોરોનાના કેસમાં ભારત ત્રીજા નંબરનો દેશ છે, આપણા દેશમાં કોરોના કેસ 3M+ પહોંચ્યા છે.
JEEની (મેઇન) પરીક્ષાનું આયોજન 1થી 6 સપ્ટેમ્બર વચ્ચે કરવામાં આવ્યું છે અને નીટની પરીક્ષા 13 સપ્ટેમ્બરે યોજાવાની વાત કરાઈ છે.
અગાઉ પણ આ વર્ષે કોરોના વાઇરસને કારણે પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
દેશભરમાં આઈઆઈટી માટે 11 લાખ વિદ્યાર્થીઓએ ફૉર્મ ભર્યાં છે અને નીટની પરીક્ષા માટે 16 લાખ વિદ્યાર્થીઓએ અરજી કરી છે.
દેશના કેટલાક ભાગોમાં લૉકડાઉન સંપૂર્ણ દૂર કરાયું નથી. જેમ કે બિહાર 6 સપ્ટેમ્બર સુધી લૉકડાઉન હેઠળ છે.
તો બિહાર, આસામ સહિત ભારતમાં હાલ ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે.
વિદ્યાર્થીઓની દલીલ છે કે આવી સ્થિતિમાં તેઓ કેવી પરીક્ષા આપી શકશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો