You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તક્ષશિલા આગકાંડ : અમદાવાદની શ્રેય હૉસ્પિટલની આગને લોકો સુરતની આગ સાથે કેમ સરખાવી રહ્યા છે?
અમદાવાદના નવરંગપુરા વિસ્તારની શ્રેય હૉસ્પિટલ કે જ્યાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર થઈ રહી હતી, ત્યાં આગ લાગતાં આઠ દર્દીઓનાં મૃત્યુ થયાં છે. આ સાથે જ અનેક દર્દીઓ ઈજાગ્રસ્ત થયા છે.
આ ઘટના બાદ હૉસ્પિટલને ઇમારતને સીલ કરી દેવાઈ અને એફએસએલ દ્વારા તપાસ આદરવામાં આવી.
રાજ્ય સરકાર દ્વારા મુખ્ય મંત્રી રાહતનીધિમાંથી મૃતકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરાઈ છે.
જોકે આ ઘટનામાં હૉસ્પિટલ અને કૉર્પોરેશન પર બેદરકારી દાખવવાનો લોકો આક્ષેપ મૂકી રહ્યા છે.
આ ઘટના બાદ પોલીસે દ્વારા શ્રેય હૉસ્પિટલના એક ડિરેક્ટરની અટકાયત પણ કરવામાં આવી છે.
આ કરુણ ઘટનાથી રાજકીય નેતાઓ, સોશિયલ મીડિયા યુઝર્સ સુરતના તક્ષશિલા અગ્નિકાંડને યાદ કરી રહ્યા છે.
પરેશા છાયા નામના ટ્વિટર યુઝરે અમદાવાદની ઘટના બાદ તક્ષશિલા અગ્નિકાંડની તસવીર ટ્વીટ કરતાં લખ્યું :
"સુરતની જીવલેણ આગની દુર્ઘટના પછી જવાબદારો સામે કડક કાર્યવાહી સરકારે કરી? જવાબદાર લોકોને સજા પડી? છેલ્લી પાંચ આગની દુર્ઘટના પછી જવાબદારોને સજા થઈ? @vijayrupanibjp જવાબ આપો ... @BJP4Gujarat મૌન કેમ છે?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાકેશ પટેલ નામના ટ્વિટર યુઝરે લખ્યું, "સુરતની તક્ષશિલા જેવી ધટના ભૂલી નથી શકયા. ત્યાં જ અમદાવાદમાં શ્રેય હૉસ્પિટલમાં આગની ધટના બની એ બહુ દુખદ છે."
"આ ધટનામાં આઠ વ્યકિતએ જીવ ગુમાવ્યો. ઘોર બેદરકારીનો શ્રેય કોણ લેશે?"
અર્જુનસિંહ વાળા નામના ટ્વિટર યુઝરે લખ્યું, "સુરતમાં આગ લાગી તે ઘટનામાંથી કોઈ બોધપાઠ ન લીધો એટલે આજે ફરી અમદાવાદમાં એક દર્દનાક ઘટના બની. આ વખતે આગ હૉસ્પિટલમાં લાગી છે, જેમાં અમુક દર્દીઓએ જીવ પણ ગુમાવ્યા."
કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા આ ઘટાન બાદ હૉસ્પિટલ આવી પહોંચ્યા હતા અને તેમણે સમગ્ર ઘટના માટે સત્તા પક્ષને જવાબદાર ઠેરવ્યો હતો.
મોઢવાડિયાએ કહ્યું, "ભાજપની સરકાર આવી ઘટના બાદ એકાદ-બે બલીના બકરાને અંદર લઈજઈને રફેદફે કરે છે."
"સુરતની ઘટનામાં પણ એવું જ કરાયું, હજુ જરૂરી કાર્યવાહી થઈ નથી."
તેમણે અમદાવાદની ઘટના સંદર્ભે સવાલ ઉઠાવતાં કહ્યું, "જેમણે હૉસ્પિટલને બિલ્ડિંગ, ફાયર-સેફ્ટી, ઇલેક્ટ્રિક-સેફ્ટીનાં સર્ટિફિકેટ આપ્યાં એ અધિકારીઓની ચકાસણી કરવાની જવાબદારી હતી. આ ગંભીર નિષ્કાળજીનો મામલો છે."
તેમણે કહ્યું, "સિવિલ હૉસ્પિટલમાં બહાર આવેલી નિષ્કાળજીઓ અને એ પછી ઘટેલી આ ઘટના બાદ એક વાત ચોક્કસ છે કે જે 'અમદાવાદ મૉડલ'ની વાતો સત્તા પક્ષ કરે છે એ સદંતર નિષ્ફળ છે."
જે સુરત તક્ષશિલા અગ્નિકાંડને લોકો યાદ કરી રહ્યા છે, એ ઘટના શું છે?
સુરત અગ્નિકાંડ
24મી મે 2019ના દિવસે, સાંજે 4.30 વાગ્યે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં આગ લાગી હતી.
જેમાં સૌથી ઉપરના ફ્લોર ઉપર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા 22 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 15 ઈજાગ્રસ્ત થયા હતા.
ડરેલા વિદ્યાર્થીઓએ ચોથા માળેથી છલાંગ લગાવી હતી, કેટલાક વિદ્યાર્થીઓ આગમાં દાઝવાથી નહીં પણ કૂદવાથી થયેલી ઈજાના કારણે મૃત્યુ પામ્યા હતા.
ઘટનાને નજરે જોનારા વિજય મંગુકિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે "પહેલાં ધુમાડો નીકળતો દેખાયો અને ઝડપથી આગ ફેલાવવા લાગી. આ ઇમારતમાં ટ્યુશન-ક્લાસિસ ચાલતા હતા."
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાની તપાસ કરવાના આદેશ આપ્યા હતા, આ ઉપરાંત મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી હતી.
'વિદ્યાર્થીઓ બારી તોડીને કૂદી ગયા'
એ ઘટનાના દૃશ્યો કંપાવનારાં હતાં. આગ લાગી ગયા બાદ કૉચિંગ ક્લાસમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ નીચે ઊતરી શકે એવી સ્થિતિ નહોતી.
મંગુકિયાએ એવું પણ જણાવ્યું કે કેટલીક છોકરીઓ ઉપરથી કૂદી રહી હતી.
તેઓ કહે છે કે ઘટના બાદ શરૂઆતમાં ફાયર-બ્રિગેડના ચાર બંબાઓ પહોંચ્યા હતા. થોડી વારમાં વધારે બંબાઓ બોલાવાયા હતા.
એક વિદ્યાર્થીના વાલી અરવિંદભાઈ વેકરિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, "ટયુશન-ક્લાસિસના દાદરાની પાસે જ ભયાનક આગ લાગતાં મારો દીકરો ક્લાસના છેલ્લા રૂમમાં જતો રહ્યો હતો."
"ધુમાડો વધી જવાથી વિદ્યાર્થીઓ કૂદી ગયા હતા."
જે-તે વખતે પ્રત્યક્ષદર્શીઓએ આરોપ લગાવ્યો હતો કે કે ફાયર-ફાઇટર ત્રીજા માળ સુધી પહોંચી શક્યા નહોતા. આથી બાળકોએ ઉપરથી ભૂસકા મારવા પડ્યા હતા.
જોકે, શહેરી વિકાસવિભાગના અગ્રસચિવ મુકેશ પુરીએ એ વખતે કરેલી સ્પષ્ટતા પ્રમાણે, 'ફાયરબ્રિગેડ પાસે જે નિસરણી હતી, તે સમગ્ર દેશમાં સ્ટાન્ડર્ડ સાઇઝ નિસરણી હતી.'
એસીથી લાગી હતી આગ
મુકેશ પુરી અનુસાર બિલ્ડિંગની પાછળના ભાગમાં સ્પ્લિટ ઍરકંડિશનરના આઉટર યુનિટમાં સ્પાર્ક થવાથી આગ ફાટી નીકળી હતી.
જાહેરાત માટે લગાડવામાં આવેલી વિશાળ પૅનલ આ આગની ઝપેટમાં આવી ગઈ હતી.
દરમિયાન નીચેની આગ મિટરરૂમ સુધી પહોંચી ગઈ હતી અને તે સળગી ઊઠ્યું હતું.
પ્રથમ તથા બીજા માળના લોકો સિમેન્ટની સીડી મારફત નીચે ઊતરી ગયા હતા એટલે આ બંને ફ્લોર ઉપર કોઈ જાનહાનિ થઈ ન હતી.
ક્લાસરૂમમાં બનાવટી છત લગાડવામાં આવી હતી. હાઇટ ઓછી હોવાને કારણે બેસવાને માટે ખુરશીને બદલે ડિઝાઇનર ટાયરનો ઉપયોગ થયો હતો.
છત તથા ટાયર જ્વલનશીલ હોવાને કારણે ઉપર સુધી પહોંચેલી આગ ભયાનક રીતે ફેલાઈ હતી.
ચોથા માળે આગ પહોંચતાં વિદ્યાર્થીઓએ ઉપરથી કૂદીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો, જેમાં પણ અમુક વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં.
આ બધાં બાળકો વૅકેશન બેચમાં ભણવાં આવ્યાં હતાં. 13થી 18 વર્ષનાં તરુણ-તરુણીઓ વૅકેશન બેચમાં NATA (નેશનલ ઍપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર)ની તૈયારીઓ કરી રહ્યાં હતાં.
અમદાવાદની હૉસ્પિટલમાં આગની ઘટના બાદ તંત્રની બેદરકારી મામલે લોકો આ ઘટનાને સુરતની તક્ષશિલા આગકાંડની ઘટના સાથે સરખાવી રહ્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો