ભાજપના કેન્દ્રીય મંત્રીએ કહ્યું, 'પાપડથી વધશે રોગપ્રતિકારક શક્તિ' - TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી અર્જુનરામ મેઘવાલે શુક્રવારે દાવો કર્યો કે એક ચોક્કસ બ્રાન્ડના પાપડમાં એવાં દ્રવ્યો છે, જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને કોરોના વાઇરસને હરાવવામાં મદદ કરે છે.

'ધ ઇન્ડિયન ઍક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે અર્જુનરામ મેઘવાલનો આ ચોક્કસ બ્રાન્ડના પાપડનો આગ્રહ કરતો એક વીડિયો સોશિયલલ મીડિયા પર વાઇરલ થઈ ગયો છે.

વીડિયોમાં તેઓ ચોક્કસ બ્રાન્ડના પાપડની માટે કહે છે કે તે વાઇરસ સામે ઍન્ટિબૉડીઝ વિકસાવવામાં મદદ કરે છે.

કોઈ તારીખ વિનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાસ્પદ બન્યો છે અને ઘણા લોકો મંત્રીના આવા અવૈજ્ઞાનિક દાવાની ટીકા કરી રહ્યા છે.

બોર્ડ પરીક્ષાઓ માટે જગ્યા ન આપવાનો ગુજરાતની ખાનગી સ્કૂલોની ચીમકી

સેલ્ફ-ફાઇનાન્સ સ્કૂલ મૅનેજમૅન્ટ ફેડરેશને ચીમકી આપી છે કે તેની સભ્ય શાળાઓ ઑગસ્ટમાં લેવાનારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પૂરક પરીક્ષાઓ માટે પરીક્ષાકેન્દ્રો માટે જગ્યા નહીં ફાળવે.

'ધ અમદાવાદ મીરર'ના અહેવાલ પ્રમાણે રાજ્ય સરકારના ફી મુદ્દે કડક વલણ સામે આકરા વિરોધ તરીકે ખાનગી શાળાઓએ રાજ્ય સરકારને આ ચીમકી આપી છે.

અહેવાલ પ્રમાણે બોર્ડના અધિકારીઓએ કહ્યું કે ખાનગી શાળાઓે સંકુલ આપવાનો ઇન્કાર ન કરી શકે અને જોડાણના નિયમોના ભંગ બદલ તેમની સામે કાયદાકીય પગલાં લઈ શકાશે.

ફી મુદ્દે સરકાર અને ખાનગી શાળાઓ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં ગુરુવારથી ખાનગી શાળાઓએ ઑનલાઇન શિક્ષણ આપવાનું બંધ કર્યું, એ બાદ રાજ્યના શિક્ષણવિભાગે ઑનલાઇન વર્ગો શરૂ કરવાનું વળતું પગલું લીધું હતું.

જેને પડકારતાં ખાનગી શાળાઓના ફેડરેશને કહ્યું કે તેઓ ગ્રાન્ટ મેળવતી શાળાઓ અને સ્વખર્ચે ચાલતી શાળાઓના ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનાં પરિણામો અંગે રિયાલિટી ચૅક હાથ ધરશે.

નરસિમ્હારાવ ભારતમાં આર્થિક સુધારના પિતામહ : ડૉ. મનમોહન સિંઘ

"ભૂતપૂર્વ વડા પ્રધાન પી. વી. નરસિમ્હારાવ દેશના મહાન સુપુત્ર હતા અને તેમને ખરા અર્થમાં ભારતમાં આર્થિક સુધારાના પિતામહ કહી શકાય કારણ કે તેમનામાં તેને આગળ લઈ જવા માટેની દૂરદૃષ્ટિ અને હિંમત બંને હતાં."

પૂર્વ વડા પ્રધાન અને નરસિમ્હારાવની સરકારના નાણામંત્રી ડૉ. મનમોહન સિંહે શુક્રવારે ઉપરોક્ત શબ્દો કહ્યા હતા.

'ધ ઇકૉનૉમિક ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે કૉંગ્રેસના તેલંગણા એકમ દ્વારા પૂર્વ વડા પ્રધાનની જન્મશતાબ્દિ નિમિત્તે આયોજિત ઉજવણીના ઉદ્ઘાટન સંબોધનમાં ડૉ. સિંઘે આ વાત કહી હતી.

1991ની નરસિમ્હારાવની સરકારના નાણામંત્રી ડૉ. સિંઘ દ્વારા રજૂ કરાયેલા એ બજેટે જ દેશમાં મહત્ત્વના અને જરૂરી આર્થિક સુધારાઓનો પાયો નાખ્યો.

નાણામંત્રી તરીકે તેમણે પ્રથમ બજેટ રાજીવ ગાંધીને સમર્પિત કર્યું હતું, એને યાદ કરતાં ડૉ. સિંઘે કહ્યું કે 1991નું એ બજેટ ભારતમાં ઘણી રીતે બદલાવ લાવ્યું, કારણ કે એનાથી દેશ આર્થિક સુધારા અને મુક્ત અર્થતંત્રના યુગમાં પ્રવેશ્યો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો