કાશ્મીરના ભાજપ નેતા તથા પિતા અને ભાઈની શંકાસ્પદ ઉગ્રવાદીઓ દ્વારા હત્યા

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં શંકાસ્પદ ઉગ્રવાદીઓએ બુધવારે ભાજપના પૂર્વ જિલ્લા અધ્યક્ષ વસીમ બારી, તેમના પિતા અને ભાઈની ગોળી મારીને હત્યા કરી દીધી.

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરની પોલીસ પ્રમાણે આ હુમલો મોડી સાંજે થયો હતો. હુમલો થયો એ વખતે ત્રણેય તેમના ઘર પાસેની તેમની દુકાનમાં હતા.

કાશ્મીર ઝોનની પોલીસ પ્રમાણે ઉગ્રવાદીઓએ ભાજપ કાર્યકર વસીમ અહમદ બારી પર ગોળી ચલાવી.

પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં 38 વર્ષીય બારી, તેમના 60 વર્ષના પિતા બશીર અહમદ અન તેમના 30 વર્ષના ભાઈ અમર બશીર ઈજાગ્રસ્ત થયા હતા.

તેમણે હૉસ્પિટલ લઈ જવાયા પણ ત્રણેયનાં મૃત્યુ થઈ ગયાં હતાં.

બાંદીપોરાના મુખ્ય ચિકિત્સા અધિકારી બશીર અહમદના કહેવા પ્રમાણે ત્રણેયના માથામાં ગોળી મારવામાં આવી હતી.

સીએમઓના પ્રમાણે, "રાત્રે પોણા નવ વાગ્યે ત્રણેયને હૉસ્પિટલ લાવવામાં આવ્યા. ત્રણેયને ગોળી વાગી હતી અને હૉસ્પિટલ પહોંચતાં પહેલાં જ મૃત્યુ થઈ ગયાં હતાં. તેમનાં મૃત્યુ રાત્રે 8.45 વાગ્યે થઈ ગયાં હતાં."

"ત્રણેયનું પૉટ્સમૉર્ટમ થઈ ચૂક્યું છે. અન્ય કાયદાકીય પ્રક્રિયા પણ પૂરી કરી લીધી છે. હવે અમે પોલીસને મૃતદેહ સોંપી રહ્યા છીએ."

વડા પ્રધાન કાર્યાલયમાં રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે મોડી રાત્રે ટ્વીટ કરીને કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાં થયેલી ઘટના વિશે પૂછ્યું છે અને પરિવાર માટે સંવેદના પ્રગટ કરી છે.

ભાજપે કહ્યું છે કે આ હત્યા કાશ્મીરમાં રાષ્ટ્રવાદી અવાજને દબાવવાનો પ્રયાસ છે.

ભાજપના જમ્મુ-કાશ્મીર યુનિટના પ્રવક્તા અનિલ ગુપ્તાએ બીબીસી હિંદીને જણાવ્યું કે કાશ્મીરમાં આવા હુમલાઓથી અવાજને દબાણી નહીં શકાય.

તેમણે કહ્યું, "વસીમ છેલ્લાં ત્રણ વર્ષથી અમારા જિલ્લાના અધ્યક્ષ હતા. તેઓ એક સક્રીય કાર્યકર હતા અને સામાજિક કાર્યો પણ કરતા હતા."

"આ ઘટના વિશે જાણીને હું હેરાન થઈ ગયો છું. તેઓ તેમના ઘર પાસેની તેમની દુકાનમાં બેઠા હતા અને ઉગ્રવાદીઓ આવ્યા અને તેમને ગોળી મારી દીધી."

તેમણે કહ્યું, "આ કાશ્મીરના રાષ્ટ્રવાદી અવાજને દબાવવાનો સ્પષ્ટ સંદેશ છે. જો તમને યાદ હોય તો એક મહિના પહેલાં એક ઉગ્રવાદી સંગઠને અમારા ભાજપ કાર્યકરોને ડરાવ્યા હતા. આ પ્રકારના હુમલાઓની અમે નિંદા કરીએ છીએ."

ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે આ પ્રકારની હત્યાઓ સરહદ પારથી મળી રહેલા આદેશો પર કરાઈ રહી છે.

પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ પણ મોડી રાત્રે ટ્વીટ કરીને કહ્યું, "આ પાર્ટી માટે એક મોટું નુકસાન છે. મારી સંવેદનાઓ પરિવાર સાથે છે."

"પૂરી પાર્ટી શોકમગ્ન પરિવારની સાથે છે. હું વિશ્વાસ અપાવું છું કે તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય."

અન્ય રાજકીય પક્ષોએ પણ આ ઘટનાની નિંદા કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો