ભારત-ચીન સીમાવિવાદ : ડોભાલ અને ચીની વિદેશમંત્રીની વાતથી શાંતિપ્રક્રિયા શરૂ

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ભારત અને ચીન વચ્ચે ગલવાન ખીણમાં થયેલાં હિંસક ઘર્ષણ બાદ બંને તરફથી શાંતિ માટેની કોશિશ વચ્ચે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ચીનના વિદેશમંત્રી વાંગ યી વચ્ચે રવિવારે ટેલિફોનિક વાતચીત થઈ હતી.

ભારતીય વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું કે ભારત અને ચીન વચ્ચે વેસ્ટર્ન સૅક્ટરની સીમા પર હાલની ગતિવિધિઓને લઈને ડોભાલ અને વાંગ યી વચ્ચે સ્પષ્ટ અને વિસ્તારથી વાત થઈ છે.

બંને પક્ષોએ આ વાતે સહમતી દર્શાવી છે કે દ્વિપક્ષી સંબંધોને મજબૂત કરવા માટે બંને દેશોની સીમા પર શાંતિ જાળવવી પડશે અને મતભેદોને વિવાદનું રૂપ લેતાં રોકવા પડશે.

આ દિશામાં બંને પક્ષો સીમા પર તણાવ ઓછો કરવાની પ્રક્રિયા પર કામ કરી ચૂક્યા છે.

એટલે કે હવે એવી સ્થિતિ રહી નથી, જેવી રીતે બંને પક્ષના સૈનિકો સામસામે આવવાથી ઉત્પન્ન થઈ હતી. બંને પક્ષોએ તબક્કા વાર તેના પર સહમતી દર્શાવી છે.

નિવેદનમાં એ પણ કહેવાયું કે બંને વિશેષ પ્રતિનિધિઓની વાતચીતમાં બંને દેશનાં સૈન્ય અને રાજદ્વારી અધિકારીઓ વચ્ચે પણ વાતચીત ચાલુ રાખવા પર સહમતી દર્શાવી છે.

આ સિવાય ડોભાલ અને વાંગ યીની આંતરિક વાતચીતને નિયમિત કરવા પર પણ સહમતી સધાઈ છે.

તો સમાચાર એજન્સી એએફપી અનુસાર, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને સોમવારે બેઇજિંગમાં પત્રકારોને કહ્યું, "બંને પક્ષોમાં સીમા પર તણાવ ઓછો કરવાને લઈને સકારાત્મક પ્રગતિ થઈ છે."

લિજિયાને આશા વ્યક્ત કરી છે કે ભારતીય પક્ષ ચીન સાથે મળીને એ વાતોને લાગુ કરવાની દિશામાં પગલાં ભરશે, જે વાતો પર આંતરિક સહમતી બની છે.

ભારત-ચીન સીમાવિવાદ પર નજર રાખતા અધિકારીઓએ બીબીસીને જણાવ્યું કે સીમા પર તણાવ ઓછો કરવાની પ્રક્રિયા સોમવાર સવારથી શરૂ થઈ ગઈ છે.

અધિકારીઓએ જણાવ્યું કે આ કામ ત્રણ સ્થળોએ ચાલી રહ્યું છે.

આ સ્થળો છે- ગલવાન, ગોગરા અને હૉટ સ્પ્રિંગ્સ. બીબીસીને માહિતી આપનારા અધિકારીએ સ્પષ્ટ કર્યું કે તેઓ દેપસાંગ કે પૈંગોંગ સો સરોવરની વાત નથી કરતા.

એક અધિકારી કહ્યું, "તંબુ અને અસ્થાયી માળખુ બંને તરફથી દૂર કરાઈ રહ્યું છે અને સૈનિકો પાછળ હઠી રહ્યા છે. પરંતુ તેનો મતલબ વાપસી કે પ્રકરણનો અંત નથી."

ભારતીય અધિકારીએ જણાવ્યું કે આ ગતિવિધિઓની સતત વૉચ રખાઈ રહી છે, જેના માટે સેટેલાઇટ તસવીરો અને ઊંચા પ્લૅટફૉર્મની મદદ લેવાઈ રહી છે.

ઘણા મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું કે ચીની સૈનિકો કેટલા પાછળ ખસ્યા છે, આ સવાલના જવાબમાં અધિકારીએ કોઈ અંતર જણાવવાનો ઇન્કાર કર્યો હતો.

તેઓએ એટલું જ કહ્યું, "આ એ પ્રક્રિયાની શરૂઆત છે, જે 30 જૂને ચુસુલમાં બંને પક્ષોના કમાન્ડરો વચ્ચે થયેલી બેઠક બાદ નક્કી કરાઈ હતી."

જોકે મીડિયામાં આવેલા રિપોટ્ર્સ અનુસાર, ગલવાનમાં જ્યાં હિંસા થઈ હતી, ત્યાંથી ચીની સૈનિકો બે કિલોમીટર પાછળ ખસી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગત 15 જૂને ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું, જેમાં 20 ભારતીય સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં.

ત્યારબાદ ગત એક જુલાઈએ બંને દેશની સેનાઓ વચ્ચે કમાન્ડર સ્તરની વાતચીત થઈ અને એ વાતચીતમાં પણ ભારત-ચીન એલએસી પર તણાવ ઓછો કરવા પર સહમતી દર્શાવવામાં આવી હતી.

બાદમાં ભારત સરકારે અઠવાડિયા પહેલાં એવી 59 મોબાઇલ ઍપ બંધ કરવાની જાહેરાત કરી હતી, જેમાં જાણીતું સોશિયલ પ્લૅટફૉર્મ ટિકટૉક, વીચેટ અલીબાબા ગ્રૂપનું યુસી બ્રાઉઝર સામેલ હતું.

જોકે ભારતના સૂચના અને પ્રસારણ મંત્રાલયે ચીનનું નામ નહોતું લીધું, પણ સ્પષ્ટ કહ્યું હતું કે ફરિયાદો મળી હતી કે ઍન્ડ્રોઇડ અને આઈઓએસ પર આ ઍપ લોકોના ખાનગી ડેટામાં ગાાબડું પાડવાનો પ્રયાસ કરી રહ્યી છે.

આ ઍપ પર પ્રતિબંધથી ભારતના મોબાઇલ અને ઇન્ટરનેટ ગ્રાહકો સુરક્ષિત રહેશે. આ ભારતની સુરક્ષા, અખંડતા અને સંપ્રભુતા માટે જરૂરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો