You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજ્યસભા ચૂંટણી : બહુમત માટે ભાજપના પ્રયાસો, શું કહે છે આંકડા?
- લેેખક, અનિલ જૈન
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
રાજ્યસભાની 18 બેઠક પર થઈ રહેલી ચૂંટણીમાં કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપના સંખ્યાબળમાં વધારો ચોક્કસ થશે, પરંતુ સંસદના આ ઉચ્ચ સદનમાં તેણે બહુમતી મેળવવા હજુ પણ રાહ જોવી પડશે. જો કંઈ અનપેક્ષિત ન થયું તો.
245 સભ્યવાળા આ સદનમાં બહુમતનો આંકડો 123 હોય છે, જ્યારે ભાજપ પાસે હાલમાં 75 સભ્યો અને છે આ ચૂંટણીમાં તેને કમસે કમ આઠ બેઠક મળવાની આશા છે, આ રીતે કુલ 83 સભ્યો થઈ જશે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે રાજ્યસભાની 73 સીટ માટે ચૂંટણી પ્રસ્તાવિત હતી, જેમાં 18 રાજ્યોમાં રાજ્યસભાની 55 સીટ માટે ગત 26 માર્ચે ચૂંટણી થવાની હતી, પરંતુ મતદાનના બે દિવસ અગાઉ ચૂંટણીપંચે કોરોના વાઇરસને કારણે ચૂંટણી ટાળી હતી.
જોકે રાજ્યસભાની 55માંથી 37 સીટની ચૂંટણી નિર્વિરોધ થઈ ચૂકી હતી અને રાષ્ટ્રપતિના નોમિનેશન કોટાની ખાલી થયેલી એક સીટ સેવાનિવૃત્ત ન્યાયાધીશ રંજન ગોગોઈના સમાવેશથી ભરાઈ ગઈ હતી.
આ દરમિયાન કર્ણાટકની ખાલી થયેલી ચાર સીટ માટે પણ નિર્વિરોધ સાંસદ ચૂંટી લીધા હતા.
18 સીટ પર મતદાન
જે 18 સીટની ચૂંટણી કોરોના સંક્રમણ અને લૉકડાઉનને કારણે ગત માર્ચે રોકવામાં આવી હતી એ બધી સીટો પર આજે મતદાન થઈ રહ્યું છે.
જે સીટો પર મતદાન થઈ રહ્યું છે, તેમાં ગુજરાત અને આંધ્ર પ્રદેશની 4-4 સીટ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની 3-3 સીટ, ઝારખંડની 2 તથા મણિપુર અને મેઘાલયની 1-1 સીટ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો આ ચૂંટણીમાં ક્રૉસ-વોટિંગ ન થયું તો રાજ્યોમાં પાર્ટીઓની તાકાતના હિસાબે 18 સીટમાંથી ભાજપને 8, કૉંગ્રેસને 4, વાઈએસઆર કૉંગ્રેસને 4, ઝારખંડ મુક્તિ મોરચાને 1 સીટ મળવી નક્કી છે.
મણિપુરની એક સીટ પણ ભાજપને મળવાની નક્કી હતી, પરંતુ બે દિવસ પહેલાં ભાજપના નેતૃત્વવાળી રાજ્ય સરકારથી છ ધારાસભ્યોએ સમર્થન પાછું લઈ લેતાં સમીકરણ બદલાઈ ગયું છે અને ત્યાં ન માત્ર સરકારને લઈને પણ રાજ્યસભાની એક સીટની ચૂંટણી માટે પણ અનિશ્ચિતતાની સ્થિતિ સર્જાઈ છે.
આ ચૂંટણી પછી 11 સીટ માટે આ જ વર્ષે નવેમ્બરમાં ચૂંટણી થવાની છે. આ 11 સીટમાંથી એકલા ઉત્તર પ્રદેશમાં 9 સીટ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશમાં 1-1 સીટ પર ચૂંટણી થશે.
રાજ્યના આંકડાને હિસાબે આ 11 સીટમાંથી 10 સીટ ભાજપને મળશે, જ્યારે એક સીટ સમાજવાદી પાર્ટીને મળશે. ભાજપને જે 10 સીટ મળશે તેમાં 5 સીટ તો તેની પોતાની જૂની હશે અને 5 સીટનો તેના સંખ્યાબળમાં વધારો થશે.
આ રીતે આ વર્ષના અંત સુધીમાં ઉચ્ચ સદનમાં ભાજપની કુલ 88 સીટો થવાની શક્યતા છે.
ભાજપને અન્ય ક્ષેત્રીય દળોનો સહયોગ
જોકે આ સ્થિતિએ પહોંચવું ભાજપ માટે સરળ નથી રહ્યું. આ પહેલાં ગુજરાત અને મધ્ય પ્રદેશમાં મોટા પાયે વિપક્ષી ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં, તેના માટે ભાજપ પર ખરીદીનો આરોપ પણ લાગ્યો હતો. વિપક્ષી ધારાસભ્યોનાં રાજીનામાંથી તેને બંને રાજ્યોમાં એક-એક સીટનો ફાયદો થતો જોઈ શકાય છે.
રાજસ્થાનમાં પણ કૉંગ્રેસના ધારાસભ્યોમાં તોડફોડની કોશિશ થઈ હતી, પરંતુ એ શક્ય ન બન્યું. નહીં તો ત્યાં પણ ભાજપને ન માત્ર રાજ્યસભાની એક વધુ સીટ મળત, પરંતુ ત્યાં મધ્ય પ્રદેશની જેમ સરકાર પડવાની પણ સ્થિતિ આવી જાત.
જોકે આ બધી રણનીતિના અમલ છતાં રાજ્યસભામાં બહુમતીના આંકડાથી ન માત્ર ભાજપ એકલી પાર્ટી તરીકે દૂર રહેશે, પરંતુ 23 સીટો સાથે તેની સહયોગી પાર્ટીના સંખ્યાબળને આધારે પણ તેના રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન એટલે કે એનડીએને બહુમતી નહીં મળી શકે.
જોકે તેમ છતાં તેને કોઈ વિધેયક પાસ કરાવવામાં કોઈ મુશ્કેલી નહીં પડે, કેમ કે બીજુ જનતાદળ અને તેલંગણા રાષ્ટ્ર સમિતિ જેવી ક્ષેત્રીય પાર્ટીઓ હંમેશાં તેની મદદ કરી રહી છે. આ સમયે પણ બંને પાર્ટીઓની સભ્યસંખ્યા ક્રમશઃ 9 અને 7 છે.
આવનારા સમયમાં ભાજપને કોરોના મહામારીને લઈને જાહેર કરેલા 20 લાખ કરોડના પૅકેજ અને શ્રમ કાયદામાં સંશોધન સંબંધિત કેટલાંક વિધેયક પાસ કરવાં પડશે, જેમાં તેને કોઈ સમસ્યા નહીં આવે.
છેલ્લાં ત્રણ દશકથી કોઈને બહુમત નહીં
લાંબા સમયથી ચર્ચા છે કે મોદી સરકાર સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની દિશામાં પગલું ભરવાની છે. આ મુદ્દો 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઢંઢેરામાં સામેલ હતો.
દરમિયાન મોદી સરકાર ગત દિવસોમાં બંધારણની કલમ 270ને નિષ્પ્રભાવી કરીને અને તીન તલાકને દંડનીય અપરાધ બનાવવા જેવાં પડકારજનક વિધેયક રાજ્યસભામાં સામાન્ય બહુમતી ન હોવા છતાં પાસ કરાવી ચૂકી છે.
આથી જો તે સમાન નાગરિકતા કાયદો લાગુ કરવા સંબંધી કોઈ પણ વિધેયક આવનારા દિવસોમાં લાવે તો માની શકાય કે તેને બહુ મુશ્કેલી નહીં આવે, કેમ કે બીજુ જનતાદળ, તેલંગણા રાષ્ટ્ર સમિતિ અને વાઈએસઆર કૉંગ્રેસ જેવી ક્ષેત્રીય પાર્ટીઓ એનડીએનો હિસ્સો ન હોવા છતાં સંસદનાં બંને સદનમાં સામાન્ય રીતે સરકારનાં સહયોગી દળની ભૂમિકામાં રહ્યાં છે.
અને રાજ્યસભામાં બહુમતની વાત છે તો છેલ્લાં ત્રણ દશકમાં આ સદનમાં એ જ સ્થિતિ રહી છે કે સરકાર ભલે કોઈની પણ હોય, પરંતુ આ સદનમાં તેનો બહુમત રહ્યો નથી.
વર્ષ 1990 અગાઉ આ સદનમાં કૉંગ્રેસની બહુમતી હતી, કેમ કે મોટાં ભાગનાં રાજ્યોમાં તેની સરકારો હતી, પણ 1990થી સ્થિતિ સાવ બદલી ગઈ છે.
ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાત જેવાં મોટાં રાજ્યો તેના હાથમાંથી નીકળી ગયાં, જ્યાં હજુ સુધી તે પાછી આવી શકી નથી. મહારાષ્ટ્રમાં પણ જનાધારમાં સતત ઘટાડો થવાને કારણે વિધાનસભામાં તેના સંખ્યાબળમાં ઘટાડો થતો આવ્યો છે.
દક્ષિણ ભારતમાં આંધ્ર પ્રદેશ અને તેલંગણા તેના હાથમાંથી સાવ નીકળી ગયાં છે, જ્યારે કર્ણાટક વિધાનસભામાં પણ તેના સંખ્યાબળમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
બીજી તરફ આ ત્રણ દશકમાં ભાજપ પણ મોટાં ભાગનાં રાજ્યોમાં પોતાનો સ્થિર જનાધાર જાળવી શક્યો નથી, જેના કારણે વિધાનસભામાં તેના સંખ્યાબળમાં વધઘટ થતી રહી.
એ જ કારણે 1989થી આજ સુધી બધી સરકારોને રાજ્યસભામાં મહત્ત્વપૂર્ણ વિધેયકોને પાસ કરાવવા માટે નાનાંનાનાં દળોને સાધવાં પડ્યાં છે કાં તો વિપક્ષી દળો સાથે મળીને સામાન્ય સહમતી બનાવવી પડી છે, પરંતુ આ સ્થિતિમાંથી ભાજપ ધીમેધીમે બહાર આવી રહ્યો છે.
ભાજપની આ સ્થિતિનું સકારાત્મક પાસું એ છે કે હવે નાનાંનાનાં ક્ષેત્રીય દળો કે અપક્ષ સાંસદોની યોગ્ય માગોને લઈને તેમના સમર્થનના બદલામાં સરકારથી ભાવતાલ કરવાની સ્થિતિ ખતમ થઈ રહી છે.
જોકે તેનું નકારાત્મક પાસું એ છે કે હવે સંસદીય કામકાજમાં સામાન્ય સહમતીની રાજનીતિની તકો ઓછી થઈ રહી છે, જે લોકતંત્ર માટે સારી સ્થિતિ નથી.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો