You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
TOP NEWS : ગંગા અને તેની સહાયક નદીઓમાં મૂર્તિ વિસર્જન પર રોક
ગંગા નદી અને તેની સહાયક નદીઓમાં મૂર્તિ વિસર્જન કરાશે તો રૂપિયા 50,000નો દંડ થશે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસનો અહેવાલ જણાવે છે કે નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG) દ્વારા 11 રાજ્યોના મુખ્ય સચિવોને નિર્દેશ કર્યો છે.
નિર્દેશમાં કહેવાયું કે ગંગા નદી અને તેની સહાયક નદીઓમાં કોઈ મૂર્તિ વિસર્જન કરી શકાશે નહીં.
કેન્દ્ર સરકારે દશેરા, દિવાળી, છઠ પૂજા, સરસ્વતી પૂજા સહિતના તહેવારોમાં ગંગા અને તેની સહાયક નદીઓમાં વિસર્જનને રોકવા, ઘાટને કૉર્ડન કરવા અને રૂપિયા 50,000નો દંડ સહિતના 15 મુદ્દાઓનો નિર્દેશ કર્યો છે.
ગત મહિને રાજ્યોના પ્રતિનિધિઓ અને એનએમસીજીના અધિકારીઓ વચ્ચે એક બેઠક થઈ હતી અને બાદમાં આ નિર્ણય લેવાયો હતો.
જેમાં ઉત્તરાખંડ, યુપી, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના અધિકારીઓ હાજર હતા. આ સિવાય દિલ્હી, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગ,, હરિયાણા અને રાજસ્થાનમાં આ નિર્દેશ મોકલવામાં આવ્યા છે.
11 રાજ્યોના મુખ્ય સચિવોને દરેક તહેવારની સમાપ્તિ પછી સાત દિવસની અંદર કાર્યવાહી કરવા અને અહેવાલ રજૂ કરવા કહેવાયું છે.
અજિત ડોભાલ અને સાઉદીના ક્રાઉન પ્રિન્સ વચ્ચે મુલાકાત
ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની મહત્ત્વની બેઠક અગાઉ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસડી) અજિત ડોભાલે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મુલાકાત દરમિયાન અજિત ડોભાલે સાઉદીના પ્રિન્સને જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો પરત લીધા બાદની ત્યાંની સ્થિતિથી વાકેફ કર્યા હતા.
સાઉદી અરબ પહેલો એવો દેશ છે જે એફએટીએફનો સભ્ય બન્યો છે.
માનવામાં આવે છે કે અજિત ડોભાલ પાકિસ્તાનને બ્લૅકલિસ્ટ કરવા માટે સાઉદી અરબનું સમર્થન પ્રાપ્ત કરવા માગે છે.
એફએટીએફની પ્લેનરી સેશન અને વર્કિંગ ગ્રૂપની બેઠક આ મહિનામાં 13થી 18 તારીખે થવાની છે.
શેખ હસીના અને ઇમરાન ખાન વચ્ચે વાતચીત
બાંગલાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાએ ભારતની મુલાકાત પર રવાના થતા અગાઉ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સાથે ફોન પર વાત કરી હતી.
શેખ હસીના ગુરુવારે ચાર દિવસ માટે ભારત આવી રહ્યાં છે.
આ દરમિયાન તેઓ ઇન્ડિયા ઇકૉનૉમિક સમિટમાં ભાગ લેશે અને વડા પ્રધાન મોદી સાથે પણ મુલાકાત કરશે.
તેમની મુલાકાત સમયે આ વાતચીત બહુ મહત્ત્વની માનવામાં આવે છે.
બંને દેશો વચ્ચેના સંબંધો પર નજર રાખનારા જાણકારો અનુસાર પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા બાદ શેખ હસીનાએ પહેલી વાર ઇમરાન ખાન સાથે આ રીતે વાત કરી છે.
સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશનોમાં રાજસ્થાન આગળ
બુધવારે જાહેર કરાયેલા રેલવે ક્લીનલીનેસ સર્વે એટલે કે સ્વચ્છ રેલવે સર્વેક્ષણમાં ટૉપ 10 રેલવે સ્ટેશનોમાં 6 રાજસ્થાનનાં છે.
રિપોર્ટ પ્રમાણે આ સ્ટેશનોમાં અજમેર, ઉદયપુર, જોધપુર, જયપુર, દુર્ગાપુર અને જયપુરના ગાંધીનગર રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે.
આ સૂચિમાં ટૉપ 10 નામો સાથે જ જમ્મુ તવી, સૂરતગઢ, વિજયવાડા અને હરિદ્વાર સ્ટેશન પણ સામેલ છે, જે ભારતનાં સૌથી સ્વચ્છ સ્ટેશન ગણવામાં આવ્યાં છે.
રેલમંત્રી પીયૂષ ગોયલ તરફથી જાહેર કરવામાં આવેલા આ રિપોર્ટમાં કુલ 720 સ્ટેશનોનું સ્વચ્છતાને આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો