પાકિસ્તાનના કૅપ્ટન સરફરાઝની સોશિયલ મીડિયા પર આ કારણે થઈ રહી છે મજાક

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

વિશ્વ કપમાં ભારત-પાકિસ્તાન મૅચ હંમેશા હાઈ-વોલ્ટેજ મૅચ સાબિત થાય છે.

કરોડો દર્શકો ટીવી અને અન્ય માધ્યમોથી ભારત અને પાકિસ્તાન મૅચ નિહાળતા હોય છે.

સોશ્યલ મીડિયા પર #INDvsPAK, #Kohli, #Virat, #Vijay Shankar મૅચ દરમિયાન અલગ- અલગ સમયે ટ્રૅન્ડમાં રહ્યા પણ #Sarfaraz સતત ટ્રૅન્ડમાં રહ્યા.

માનચૅસ્ટરમાં ઑલ્ડ ટ્રૅફોર્ડમાં રમાતી ભારત-પાકિસ્તાન મૅચનો રોમાંચ પણ એવો જ હતો પણ પાકિસ્તાની ટીમના કૅપ્ટન સરફરાઝ અહેમદની મજાક ઉડાડવામાં આવી રહી છે.

સોશ્યલ મીડિયા પર સરફરાઝને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

પાકિસ્તાનના કૅપ્ટન સરફરાઝ અહેમદે ટૉસ જીતીને પહેલા બૉલિંગ પસંદ કરી હતી.

ભારતની ટીમ પહેલા બૅટિંગ કરતા પાકિસ્તાન સામે 337 રનનો લક્ષ્ય મૂક્યો.

આ સ્કોર માનચૅસ્ટરના ઑલ્ડ ટ્રૅફોર્ડમાં રમાયેલી આંતરરાષ્ટ્રીય વન ડે મૅચોમાં સૌથી વધુ સ્કોર છે.

પાકિસ્તાન ક્યારેય ભારત સામે વિશ્વ કપમાં જીત્યું નથી.

બીજી તરફ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે ટ્વીટ કરી કહ્યું હતું કે સરફરાઝે એજ ભૂલ કરી જે વિરાટ કોહલીએ 2017માં ચૅમ્પિયન્સ ટ્રૉફી કરી હતી. તેમણે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી છે.

આ અગાઉ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પણ પાંચ ટ્વીટ કરીને પાકિસ્તાની ટીમને ભારત સામેની મૅચ માટે ટિપ્સ આપી હતી.

તેમણે કહ્યું હતું કે જો પિચ બહુ નરમ ન હોય તો સરફરાઝે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરવી જોઈએ.

ઇમરાને ખાને એમ પણ લખ્યું હતું કે ભારતની ટીમ ભલે ફેવરેટ મનાતી હોય પણ પાકિસ્તાને છેલ્લી બૉલ સુધી દમ લગાવવો જોઈએ.

એ સિવાય પાકિસ્તાની ક્રિકેટ ટીમના કોચ મિકી આર્થરે કહ્યું હતું કે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ ભારતને હરાવી દે છે તો તેને 'ખેલ ક્ષેત્રે અમરતા' હાંસલ કરી લેશે.

મ‌ૅચને ટુર્નામેન્ટનો સૌથી મોટો મુકાબલો ગણાવતા તેમણે કહ્યું, "હું અમારા ખેલાડીઓને ડ્રેસિંગ-રૂમમાં કહી રહ્યો છું કે તમે આવતી કાલે હીરો બની શકો છો."

પણ પાકિસ્તાનના કૅપ્ટન સરફરાઝે જ્યારે બૉલિંગ પસંદ કરી ત્યારે ટ્વિટર પર લોકોએ આ અંગે ચર્ચા શરુ કરી દીધી.

અને જ્યારે માનચૅસ્ટરમાં વરસાદની સંતાકૂકડી વચ્ચે ભારતના બૅટ્સમૅને રનોનો વરસાદ શરુ થયો ત્યારે ટ્વિટર પર સરફરાઝની મજાક ઉડાડવામાં આવી.

વિવેક ગાવરી નામના ટ્વિટર યૂઝરે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર સાથે પોસ્ટ કરી હતી.

માનચૅસ્ટરમાં વરસાદના કારણે એક વખત ભારત-પાકિસ્તાનની મૅચને અટકાવવી પડી હતી.

ભારતની બૅટિંગ ચાલી રહી હતી અને ત્રણ ઓવર બાકી હતી, પણ વરસાદ બંધ થયા બાદ મૅચ ફરી શરુ થઈ હતી.

બીસીસીઆઈએ કહ્યું હતું કે મૅચમાં ઓવરો ઓછી કરવામાં નહીં આવે. ક્રિકેટ વિશ્લેષકો માની રહ્યા હતા કે ભારત 350થી વધુ રન બનાવશે પણ ભારત 50 ઓવરમાં 336 રન બનાવી શક્યું હતું.

રોહિત શર્માએ ભારત માટે સદી ફટકારી હતી, જ્યારે ભારતીય કૅપ્ટને વિરાટ કોહલીએ 77 રન બનાવ્યા હતા. જ્યારે કે એલ રાહુલે 57 રન બનાવ્યા હતા અને હાર્દિક પંડ્યાએ 26 રન બનાવ્યા હતા.

ત્યારે મરિયમ મૅડનેસ નામના ટ્વિટર હૅન્ડલ પર પોસ્ટ કરવામાં આવેલા ટ્વીટમાં લખ્યું છે કે ઇમરાને ખાને કહ્યું હતું કે જો પીચ નરમ ન હોય તો પહેલા બૅટિંગ કરવી જોઇએ. એટલે મારે જાણવું છે કે પીચ નરમ નહોતી કે સરફરાઝે તેમની સલાહ ન માની.

ઉસ્માન મલિક નામના યૂઝરે એક ફોટો પોસ્ટ કરી લખ્યું છે કે વડા પ્રધાનને કહ્યું હતું કે પહેલા બૅટિંગ કરજો, સરફરાઝે બૉલિંગ પસંદ કરી.

મૅચ દરમિયાન જ્યારે 46મી ઓવરમાં પાકિસ્તાની કૅપ્ટન બગાસું ખાતા દેખાયા હતા ત્યાર બાદ લોકો એ સોશ્યલ મીડિયા વિવિધ પ્રકારની કમેન્ટ કરવાની શરુ કરી હતી.

ભૈરબ પાત્રાએ બગાસું ખાતા સરફરાઝના ફોટો સાથે લખ્યું છે કે સરફરાઝ વિજય શંકરને બૅટિંગ કરતા જોઈ રહ્યા છે.

વકાસ મિર્ઝા નામના ટ્વિટર હૅન્ડર પરથી ટ્વીટ કરવામાં આવ્યું કે અમે મૅચને ગંભીરતાથી નથી લેતા. અમે આરામ કરીએ છીએ. માનચૅસ્ટરમાં મોસમ સરસ છે. મારે હવે આરામ જોઈએ છે.

ત્યારે કાસિમ ફારુકે લખ્યું છે કે જ્યારે કોહલી 25 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપથી દોડી રહ્યા હતા ત્યારે સરફરાઝ બગાસું ખાઈ રહ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો