You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાનનો દાવો – અમેરિકાના ઍરક્રાફ્ટ કૅરિયર અબ્રાહમ લિંકન ઉપર હુમલો કર્યો – ન્યૂઝ અપડેટ
ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોરે (આઇઆરજીસી) દાવો કર્યો છે કે તેણે અમેરિકાના નૌકાદળના ઍરક્રાફ્ટ કૅરિયર અબ્રાહમ લિંક ઉપર હુમલો કર્યો છે.
બીબીસીની પર્શિયન સેવા મુજબ, આઇઆરજીસીના જનસંપર્ક વિભાગે એક નિવેદનમાં કહ્યું, "અમેરિકાના નૌકાકાફલાના ઍરક્રાફ્ટ કૅરિયર અબ્રાહમ લિંકન ઉપર ચાર બૅલેસ્ટિક મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો."
આઇઆરજીસી દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે "દુશ્મન ઉપરનો હુમલો એક નવા તબક્કે પહોંચી ગયો છે."
જોકે, અન્ય સ્રોતોએ હજુ સુધી અમેરિકાના ઍરક્રાફ્ટ કૅરિયર અબ્રાહમ લિંકન ઉપર હુમલાની માહિતીની પુષ્ટિ નથી કરી.
ઉલ્લેખનીય છે કે ઍરક્રાફ્ટ કૅરિયર અબ્રાહમ લિંકન હાલમાં પર્શિયન ગલ્ફ તથા અરબ સાગર પાસે તહેનાત છે.
ઈરાનમાં ખોમેનેઈનાં મૃત્યુ બાદ અલી રઝા અરાફીને વચગાળાની લીડરશિપ કાઉન્સિલના સભ્ય બનાવાયા
ઈરાનના આયતુલ્લાહ અલી રઝા અરાફીને ગાર્જિયન કાઉન્સિલના જુરિસ્ટ પદે ચૂંટવામાં આવ્યા છે. વચગાળાની લીડરશિપ કાઉન્સિલ માટે આ ચૂંટણી કરવામાં આવી છે.
બીબીસીની પર્શિયન સેવા જણાવે છે કે એક્સપીડિએન્સી ડિસર્નમેન્ટ કાઉન્સિલના પ્રવક્તા મોહસિન દેહનવીએ નવી વરણીની પુષ્ટિ કરી છે.
ખોમેનેઈનાં મૃત્યુ બાદ ઈરાનના બંધારણની જોગવાઈ પ્રમાણે વચગાળાની લીડરશિપ કાઉન્સિલનું ગઠન કરવામાં આવી રહ્યું છે. જેમાં રાષ્ટ્રપતિ, ન્યાયતંત્રના વડા તથા ગાર્જિયન કાઉન્સિલમાંથી ચૂંટાયેલાં એક જુરિસ્ટ સભ્ય હશે. તેમાંથી કોઈ એક સભ્ય સર્વોચ્ચ નેતાની જવાબદારી સંભાળશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી બાજુ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ ખામેનેઈનાં મૃત્યુ અંગે સંવેદના વ્યક્ત કરી હતી. આ માહિતી રશિયાની સરકારી સમાચાર સંસ્થા તાસે આપી છે.
બીબીસીની પર્શિયન સેવાના અહેવાલ મુજબ, ઇરાનના રાષ્ટ્રપતિ પેજેશ્કિયાને પુતિનને જણાવ્યું, "અલી ખામેનેઈ તથા તેમના પરિવારજનોનું મૃત્યુ 'માનવીય નૈતિકતા અને આંતરરાષ્ટ્રીય કાયદા વિરુદ્ધની હત્યા' છે."
ખામેનેઈના મોત બાદ ઈરાને ઇઝરાયલ પર કર્યો શ્રેણીબદ્ધ મિસાઇલો અને ડ્રૉનથી હુમલો, શું થયું?
ઈરાનના સુપ્રીમ નેતા આયાતુલ્લાહ ખામેનેઈના અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં થયેલા મોત બાદ ઈરાનની સેનાએ વળતો પ્રહાર કર્યો છે.
ઈરાને ઇઝરાયલ પર શ્રેણીબદ્ધ મિસાઇલો અને ડ્રૉન વડે હુમલા કર્યા છે. જેમાં તેલ અવીવની એક ઇમારત ધ્વસ્ત થઈ ગઈ છે. ઇઝરાયલ પર કરવામાં આવેલા આ હુમલામાં એક મહિલાનાં મોતની પુષ્ટિ થઈ છે જ્યારે કે 120 લોકો ઘાયલ થયા છે.
ઈરાનની સેનાએ બહેરિનમાં યુએસ ફિફ્થ ફ્લીટ અને ગલ્ફ દેશોમાં તેમનાં લશ્કરી થાણાંઓને નિશાન બનાવ્યાં છે.
દુબઈ, દોહા અને કુવૈતમાં પણ હુમલા થયા છે. વિશ્વના સૌથી વ્યસ્ત ઍરપૉર્ટ દુબઈ ઍરપૉર્ટ પાસેના થયેલા હુમલામાં ચાર લોકો ઘાયલ થયા છે. એક પ્રત્યક્ષદર્શીએ બહેરિનના ઍરપૉર્ટ પર પણ હુમલાની જાણ કરી હતી.
બીજી તરફ ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાનના કુલ 31 પ્રાંતો પૈકી 24 પ્રાંતો પર હુમલા કર્યા હતા, જેમાં 210 લોકોનાં મોતની પુષ્ટિ કરવામાં આવી છે. ઈરાનનો દાવો છે કે આ હુમલામાં એક ગર્લ્સ સ્કૂલમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 120 લોકો માર્યા ગયા છે.
દુબઈ મીડિયા અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તેમની સુરક્ષા પ્રણાલીએ ઈરાની ડ્રૉનને તોડી પાડ્યાં છે. ઈરાની ડ્રૉનનો કાટમાળ દુબઈમાં બે ઘરોનાં આંગણાંમાં પડ્યો છે. જેમાં બે લોકો ઘાયલ થયા છે. ઘાયલોની સારવાર થઈ રહી છે.
અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે અમીરાતમાં સંભળાતા અવાજો સફળ ઇન્ટરસેપ્શન ઑપરેશનનું પરિણામ હતા.
આ હુમલાઓ બાદ મધ્ય-પૂર્વની અનેક ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે.
કતારના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે ઈરાનથી છોડવામાં આવેલી મિસાઇલોને હવામાં જ તોડી પાડવામાં આવી હતી. પરંતુ તેના ભાગો એક ઔદ્યોગિક વિસ્તારમાં પડ્યા અને તેને કારણે આગની ઘટના ઘટી હતી. આ મામલે કોઈ જાનહાનિ નથી.
ખામેનેઈના મોત બાદ પાકિસ્તાનના કરાચીમાં અમરિકન દૂતાવાસ પર હુમલો, પોલીસ ગોળીબારમાં 6 લોકોનાં મોત
ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈના માર્યા જવાના સમાચાર બાદ પાકિસ્તાનના કરાચીમાં અમેરિકાના દૂતાવાસમાં હિંસા થઈ છે. આ દૂતાવાસ કરાચીના બંદરની પાસે આવેલું છે.
સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં દેખાય છે કે કેટલાક લોકોએ વાણિજ્ય દૂતાવાસનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો અને તોડફોડ કરી.
મજલિસ-એ-વહાદર મુસ્લિમીનના પ્રવક્તા અનુસાર, 'આ એક સાર્વજનિક વિરોધપ્રદર્શન હતું જેમાં સામાન્ય લોકોએ એક ધાર્મિક નેતાની હત્યાના વિરોધમાં અમેરિકાના વાણિજ્ય દૂતાવાસની બહાર પ્રદર્શન કર્યું. જેમના પર બાદમાં ગોળી ચલાવવામાં આવી'.
પોલીસ અધિકારી ડૉ. સમી સૈયદે પુષ્ટિ કરી કે આ ઘટનામાં છ લોકો માર્યા ગયા છે અને આઠ લોકો ઘાયલ થયા છે.
ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષ બાદ ભારતે જારી કરી ઍડવાઇઝરી
મધ્ય પૂર્વમાં સુરક્ષા સ્થિતિ બગડવાને લઈને અને ફ્લાઇટો રદ થવાને લઈને ભારત સરકારે રવિવારે દેશમાં ઉપસ્થિત વિદેશી નાગરિકો માટે ઍડવાઇઝરી જારી કરી છે.
ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે "વિદેશી નાગરિકો તેમના વિઝાની સમયમર્યાદા વધારવા માટે સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરે."
ભારતીય વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું છે કે જે વિદેશી નાગરિકોને તેમની યાત્રા રદ થવાને લઈને કોઈ પરેશાની હોય તો તેઓ નજીકના વિદેશી ક્ષેત્રીય રજિસ્ટ્રેશન કાર્યાલયનો સંપર્ક કરે.
ભારતીય વિદેશ મંત્રાલયે એવા વિદેશી નાગરિકો માટે ઍડવાઇઝરી જારી કરી છે જેમને ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષને કારણે યાત્રા સ્થગિત કરી દેવી પડી છે.
ઈરાને 27 જેટલાં અમેરિકન ઠેકાણાં અને ઇઝરાયલી સૈન્યના મુખ્યાલયને નિશાન બનાવ્યાં હોવાનો કર્યો દાવો
ઈરાની રિવૉલ્યૂશનરી ગાર્ડ કૉર (આઈઆરજીસી) તરફથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે.
બીબીસી પર્શિયનના જણાવ્યા પ્રમાણે, આ નિવેદનમાં આઈઆરજીસીએ કહ્યું છે કે તેણે 'વિસ્તારમાં આવેલાં 27 અમેરિકન ઠેકાણાંની સાથે-સાથે તેલ અવીવ બેઝ, ઇઝરાયલી સેનાના જનરલ કમાન્ડ મુખ્યાલય અને તેલ અવીવમાં લાર્જ ડિફેન્સ ઇન્ડસ્ટ્રિયલ કૉમ્પ્લેક્સ'ને નિશાન બનાવ્યાં છે.
ઈરાન તરફથી આ પગલું એવા સમયે ઉઠાવવામાં આવ્યું છે જ્યારે રવિવારે સવારે અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં ઈરાનના સુપ્રીમ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈના માર્યા જવાના સમાચાર છે.
નિવેદનમાં એ પણ દાવો કરવામાં આવ્યો કે ઈરાનની સેનાના કબજા ધરાવતા વિસ્તારો તથા અમેરિકાનાં ઠેકાણાંઓ પર વાગનારી સાઇરનોને હવે તેઓ શાંત નહીં થવા દે.
ખામેનેઈના મોત બાદ ભારતમાં વિરોધપ્રદર્શન
ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈનાં મોત બાદ શ્રીનગરમાં સૈદા કદલ વિસ્તારમાં લોકો વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે, શ્રીનગરના લાલ ચોક પાસે કાશ્મીરી શિયા મુસ્લિમોએ પ્રદર્શન કર્યું.
ઈરાનની સરકારી ટીવી ચૅનલે રવિવારે કહ્યું છે કે સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈ અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં માર્યા ગયા છે.
ઈરાનના સરકારી પ્રેઝન્ટરે રડતાં રડતાં ખામેનેઈના મોતના સમાચારની ઘોષણા કરી હતી. ઈરાને તેમના મોત બાદ 40 દિવસના શોકની જાહેરાત કરી છે.
- ઈરાનના સુપ્રીમ નેતા આયતુલ્લાહ ખામેનેઈનું થયું મોત, ઈરાનમાં 40 દિવસનો શોક જાહેર, ઈરાની સેનાએ અમેરિકાને આપી ચેતવણી
- ખામેનેઈ : 11 વર્ષે મૌલવી બન્યા, દેશવટો, જેલવાસથી લઈને ઈરાનના 'સૌથી શક્તિશાળી નેતા' બનવા સુધીની કેવી રહી તેમની સફર
- ઈરાને પશ્ચિમ એશિયાના મુસ્લિમ દેશો પર કેમ હુમલો કર્યો?
- ઈરાનના પ્રથમ સુપ્રીમ લીડર આયતુલ્લાહ રુહોલ્લાહ ખુમૈની કેમ 'ભારતના એજન્ટ' કહેવાતા, શું હતો ભારત સાથે સંબંધ?
હુમલામાં ખામેનેઈનાં દીકરી, જમાઈ, દોહિત્રીનાં મોત- ઈરાનના સરકારી મીડિયાની જાહેરાત
ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર સાથે સંકળાયેલી ફાર્સ ન્યૂઝ એજન્સીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે અમેરિકાના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતોલ્લાહ અલી ખામેનેઈનાં પુત્રી, જમાઈ અને દોહિત્રીનાં મોત નીપજ્યાં છે.
ફાર્સે એમ પણ જણાવ્યું કે "કહેવામાં આવે છે કે આ હુમલામાં ખામેનેઈનાં એક પુત્રવધૂનું પણ મોત થયું છે."
અગાઉ અહેવાલ આવ્યા હતા કે તેમનાં પુત્રવધૂ અને જમાઈનાં મોત થયાં છે. ત્યાર પછી આ અહેવાલ નકારી કાઢવામાં આવ્યા હતા.
ઈરાની અધિકારીઓએ હજુ સુધી અયાતોલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુના દાવા વિશે કોઈ પુષ્ટિ નથી કરી.
રઝા પહલવીએ કહ્યું - ઇસ્લામિક રિપબ્લિકનો પ્રભાવ ખતમ થયો
ઈરાનના અંતિમ શાહના નિર્વાસિત પુત્ર રઝા પહલવીએ ઈરાનના સુપ્રીમ લીડર અયાતોલ્લાહ અલી ખામેનેઈના મોતના દાવાને આવકાર્યો છે.
તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, "હજારો ઈરાનવાસીઓને મારનાર ખામેનેઈ હવે ઇતિહાસનો હિસ્સો બની ગયા છે."
પહલવીએ કહ્યું કે "તેમના મોતની સાથે ઇસ્લામિક રિપબ્લિકનો પ્રભાવ ખતમ થઈ ગયો છે."
તેમણે ઈરાની અધિકારીઓને કોઈ નવા નેતાની વરણી ન કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે, સેના અને પોલીસ પાસે હવે જનતા સાથે જોડાવાની 'અંતિમ તક' છે.
1979ની ક્રાંતિ પછી રઝા પહલવી પોતાના પરિવાર સાથે દેશ છોડીને અમેરિકામાં વસી ગયા હતા અને ત્યારથી ત્યાં જ રહે છે.
ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલા વિશે ચીને શું કહ્યું?
ચીનના દૂત ફૂ કોંગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઇમર્જન્સી બેઠકમાં કહ્યું કે અમેરિકા અને ઇઝરાયલના તરફથી ઈરાન પર કરવામાં આવેલા હુમલાને કારણે તેમનો દેશ ઘણો ચિંતામાં છે.
તેમણે નાગરિકોનાં મોત પર ચિંતા વ્યક્ત કરી છે.
તેમણે આ ક્ષેત્રમાં શાંતિ અને વધી રહેલી હિંસાને રોકવા માટે તરત સૈન્ય કાર્યવાહી બંધ કરવાનો અનુરોધ કર્યો.
ફૂ કોંગે કહ્યું, "સશસ્ત્ર સંઘર્ષમાં નાગિરકોની સુરક્ષાને લઈને હંમેશાં સીમા રેખાનું ઉલ્લંઘન નહીં થવું જોઈએ અને અંધાધુંધ બળપ્રયોગ અસ્વીકાર્ય છે."
તેમણે તમામ પક્ષોથી આંતરરાષ્ટ્રિય કાયદો અને માનવતા અંતર્ગત પોતાનું દાયિત્વ નિભાવવાની અપીલ કરી.
તેમણે એમ પણ કહ્યું કે ચીન આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે મળીને જલદી મધ્ય પૂર્વમાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવાના પ્રયાસોમાં કામ કરવા તૈયાર છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન