અમેરિકાએ ઈરાનનાં દસ સૈન્ય ઠેકાણાં પર હુમલાનો કર્યો દાવો – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, US CENTCOM/Handout/Anadolu via Getty Images
અમેરિકાની સેનાએ પોતાના હાલના નિવેદનમાં દાવો કર્યો છે કે તેનાં ફાઇટર પ્લેનોએ હોર્મુઝ સામુદ્રધુનીની નજીક આવેલાં ઈરાનનાં લગભગ 10 સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવ્યાં છે.
અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકૉમ)એ ઍક્સ પર જણાવ્યું, "ઈરાન તરફથી એમ-ટી કિકૂ પર કરવામાં આવેલા ડ્રૉન હુમલાના જવાબમાં અમેરિકાની નૌસેના અને વાયુસેનાનાં ફાઇટર પ્લેનોએ શનિવારે રાત્રે હોર્મુઝ સ્ટ્રેટ તથા તેની આસપાસનાં ઘણાં સ્થાનો પર ઈરાનનાં 10 સૈન્ય ઠેકાણાં પર હુમલો કર્યો."
સેન્ટકૉમે આ નિવેદન સાથે એક વીડિયો પણ શૅર કર્યો છે. જેમાં રાત્રે અંધારામાં વિસ્ફોટો થઈ રહ્યા છે.
પહેલાં એક નિવેદનમાં સેન્ટકૉમે જણાવ્યું હતું કે તેણે ઈરાન પર હાલ હુમલો કર્યો છે. સેન્ટકૉમે કહ્યું હતું કે આ કાર્યવાહી ઈરાન તરફથી પનામાના ઝંડા ધરાવતા એમ-ટી કિકૂ જહાજ પર હુમલા બાદ કરવામાં આવી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ હુમલાની પુષ્ટિ કરી છે અને ઈરાનને ચેતવણી આપી છે કે જો તે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતું રહેશે તો તેનું 'અસ્તિત્વ સમાપ્ત' કરી દેવામાં આવશે.
ઈરાને કુવૈત અને બહેરીનમાં આવેલાં અમેરિકી સૈન્ય ઠેકાણાં પર હુમલો કરવાનો દાવો કર્યો

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી ફારસી સેવાના જણાવ્યા અનુસાર, ઈરાનની ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ્સ કૉર્પ્સ (આઈઆરજીસી)એ જણાવ્યું છે કે તેણે રવિવાર સવારે 'કુવૈતમાં સ્થિત અલી અલ-સલેમ ઍરબેઝ અને બહેરીનમાં અમેરિકાના પાંચમા બેડાના મુખ્યાલય સાથે સંબંધિત આઠ ઠેકાણાંને નિશાન બનાવ્યાં' છે.
આઈઆરજીસીના અનુસાર, તેણે આ હુમલા એક સંયુક્ત અભિયાન હેઠળ કર્યા હતા. આ દરમિયાન 'બૅલિસ્ટિક મિસાઇલ અને ડ્રૉન' છોડવામાં આવ્યાં હતાં.
નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે આ હુમલા તાજેતરમાં થયેલા અમેરિકી હુમલાઓના જવાબમાં કરવામાં આવ્યા હતા. અમેરિકી અધિકારીઓએ અત્યાર સુધી કોઈપણ નુકસાન અથવા જાનહાનિ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આઈઆરજીસીનું એવું પણ કહેવું છે કે અમેરિકાએ અગાઉ આઈઆરજીસી નૌકાદળ અને એક જહાજના આમના-સામના થવાના બહાને ઈરાનની પાંચ તટીય ચોકીઓ પર હુમલો કર્યો હતો.
નિવેદનમાં આ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે ઇસ્લામાબાદ કરારના આધારે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાં અવરજવરને નિયંત્રિત કરવા માટે જવાબદાર છે અને આઈઆરજીસી હવે એવાં જહાજો સામે વધુ કડક કાર્યવાહી કરશે જેને તે 'ઉલ્લંઘનકર્તા' માને છે.
આઈઆરજીસીએ ચેતવણી આપી છે કે યુદ્ધવિરામનું ઉલ્લંઘન થવાથી ઇસ્લામાબાદ કરારની આગળની પ્રક્રિયાઓ અટકી શકે છે.
આ પહેલા બીબીસી ફારસી સેવાને અહેવાલ આપ્યો હતો કે કુવૈતની સેનાએ મિસાઇલ અને ડ્રૉન હુમલાઓની પુષ્ટિ કરી છે.
કુવૈતી સેનાના જનરલ સ્ટાફે જણાવ્યું કે દેશની ઍર ડિફેન્સ સિસ્ટમ 'દુશ્મન' મિસાઇલ અને ડ્રૉન હુમલાઓનો સામનો કરી રહી છે.
અમેરિકાએ ઈરાન પર કર્યો નવો હુમલો, જણાવ્યું આ કારણ

ઇમેજ સ્રોત, Shady Alassar/Anadolu via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હોર્મુઝ સામુદ્રધુનીના પનામાના ધ્વજવાળા એક જહાજ પર શનિવારે ડ્રૉન હુમલા બાદ અમેરિકાએ ઈરાન પર નવા હુમલા કર્યા છે.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકૉમ) એ જણાવ્યું કે તેણે ઈરાનમાં ઘણાં ઠેકાણાંને નિશાન બનાવ્યાં. આ કાર્યવાહી વેપારી જહાજો વિરુદ્ધ ચાલી રહેલી 'સતત આક્રમક પ્રવૃત્તિઓ'ના સીધા જવાબ તરીકે કરવામાં આવી.
સેન્ટકૉમે જે ઠેકાણાંને નિશાન બનાવ્યાંની વાત કરી છે, તેમાં સૈન્ય સાધનસામગ્રી, કૉમ્યુનિકેશન સિસ્ટમ, ઍર ડિફેન્સ અને ડ્રૉન સ્ટોરેજ સાથે જોડાયેલાં ઠેકાણાંનો સમાવેશ થાય છે.
સેન્ટકૉમે એક નિવેદનમાં કહ્યું, "ઈરાનને યુદ્ધવિરામ કરારનું સન્માન કરવાની તક આપવામાં આવી હતી, પરંતુ તેણે એવું કર્યું નહીં. તેની સેનાએ એકતરફી હુમલાખોર ડ્રૉન દ્વારા એમ/ટી કિકૂ પર હુમલો કર્યો."
એમ/ટી કિકૂ પનામાના ધ્વજવાળું એક ટૅન્કર છે. સેન્ટકૉમના જણાવ્યા મુજબ, આ ટૅન્કર બે મિલિયન બેરલથી વધુ ક્રૂડઑઈલ લઈને હોર્મુઝ સામુદ્રધુની નજીકથી પસાર થઈ રહ્યું હતું.
સેન્ટકૉમે એ પણ જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી વેપારી જહાજોની અવરજવર ચાલુ છે.
ઈરાને અત્યાર સુધી આ તાજેતરના હુમલાઓ પર કોઈ ટિપ્પણી કરી નથી.
પાકિસ્તાન : કરાચીમાં રેન્જર્સ કાર્યાલય નજીક વિસ્ફોટ, અનેક લોકો ઘાયલ

ઇમેજ સ્રોત, Reuters
પાકિસ્તાનના કરાચીના ગુલિસ્તાન-એ-જૌહર વિસ્તારમાં સ્થિત રેન્જર્સ કાર્યાલય નજીક થયેલા વિસ્ફોટ અને ગોળીબારની ઘટનામાં અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે.
આ ઘટના શનિવારે રાત્રે ગુલિસ્તાન-એ-જૌહરના બ્લૉક-પાંચમાં સ્થિત સચલ રેન્જર્સ ભવન નજીક ઘટી હતી. પ્રત્યક્ષદર્શીઓએ બીબીસીને જણાવ્યું કે સૌપ્રથમ વિસ્ફોટનો અવાજ સંભળાયો, ત્યારબાદ વચ્ચે-વચ્ચે ગોળીબાર થયો.
વિસ્ફોટના પ્રકાર અને જાનમાલના નુકસાન વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. અધિકારીઓનું કહેવું છે કે ઘટનાની તપાસ ચાલી રહી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટના બાદ આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને તપાસ એજન્સીઓ પણ ઘટનાસ્થળે પહોંચી પુરાવા એકત્ર કરી રહી છે.
રૅસ્ક્યૂ 1122ના પ્રવક્તા અનુસાર, કેન્દ્રીય કમાન્ડ અને કંટ્રોલરૂમને માહિતી મળતાની સાથે જ રાહત-બચાવ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
રૅસ્ક્યૂ ટીમના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ લોકો ઘાયલ થયા છે.
ઘટનાસ્થળે હાજર રૅસ્ક્યૂ 1122ના સીઈઓ ડૉ. આબિદ જલાલે બીબીસીને જણાવ્યું કે ગ્રૅનેડ સૌપ્રથમ રેન્જર્સના કાર્યાલયમાં ફેંકવામાં આવ્યો હતો, ત્યારબાદથી ગોળીબાર ચાલુ છે.
તેમણે શનિવાર સાંજે જણાવ્યું કે અત્યાર સુધીમાં બે રેન્જર્સના કર્મચારીઓને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ ગોળીબાર હજુ પણ ચાલુ છે. સાવચેતીના ભાગરૂપે કોઈને પણ ઘટનાસ્થળે જવાની મંજૂરી આપવામાં આવી રહી નથી.
સિંધ સરકારના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, સિંધના મુખ્ય મંત્રી સૈયદ મુરાદ અલી શાહે પોલીસ પાસેથી ઘટનાનો વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.
પ્રવક્તાએ જણાવ્યું કે સિંધના મુખ્ય મંત્રીએ નિર્દેશ આપ્યો છે કે ઘટના વિશે તાત્કાલિક તપાસ થાય.
આતંકવાદી જૂથ જમાત-ઉલ-અહરાર સાથે સંકળાયેલા એક જૂથે આ હુમલાની જવાબદારી લીધી છે. જૂથે એવો પણ દાવો કર્યો છે કે હુમલો હજુ પણ ચાલુ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















