મોદી સરકાર લોકસભા અને રાજ્યસભામાં જે રીતે બે તૃતીયાંશ સમર્થનની નજીક પહોંચી રહી છે, કેવી અસર થશે?

લોકસભા, રાજ્યસભા, બીજેપી, રાજકારણ, ભારત, બીબીસી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમત પણ નહોતો મળ્યો
    • લેેખક, રજનીશકુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

ભાજપે 2024ની લોકસભા ચૂંટણીમાં 400 પારનું સૂત્ર આપ્યું હતું, પરંતુ તેને પૂર્ણ બહુમતી પણ નહોતી મળી.

ભાજપ 240 સીટો પર જ સીમિત થઈ ગયો હતો પરંતુ સરકાર બનાવવા માટે 272 સીટોની જરૂર હોય છે. એટલે કે ભાજપને સામાન્ય બહુમતી કરતાં 32 સીટો ઓછી મળી હતી.

આવી સ્થિતિમાં મોદી સરકાર એનડીએના સહયોગી પક્ષોના સમર્થનથી ચાલી રહી છે.

લોકસભામાં બેઠકોની દૃષ્ટિએ આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) 16 સીટો સાથે એનડીએમાં સૌથી મોટો સહયોગી પક્ષ હતો. જ્યારે નીતીશકુમારની જનતા દળ યુનાઇટેડ લોકસભા સીટોની દૃષ્ટિએ એનડીએની બીજી મોટી પાર્ટી હતી. જેડીયુના 12 સાંસદ છે. પરંતુ તૃણમૂલ કૉંગ્રેસના 20 બળવાખોર સાંસદ એક અજાણી નૅશનલ સિટિઝન્સ પાર્ટી ઑફ ઇન્ડિયામાં જોડાઈ ગયા અને એનડીએને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી. એટલે કે લોકસભામાં હવે એનડીએની સૌથી મોટી સહયોગી પાર્ટી અજાણી પાર્ટી બની ગઈ છે.

આ રીતે એકનાથ શિંદેની શિવસેનાને 2024ની લોકસભા ચૂંટણીમાં 7 સીટો પર જીત મળી હતી, પરંતુ ચાલુ મહિને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના 6 સાંસદોએ પક્ષપલટો કર્યો અને શિંદે જૂથમાં આવી ગયા.

સમીકરણો બદલાઈ રહ્યાં છે

લોકસભા, રાજ્યસભા, બીજેપી, રાજકારણ, ભારત, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને પોતાના બળે બહુમતી મળી હતી

એટલે કે, એકનાથ શિંદેની શિવસેના પાસે હવે કુલ 13 સાંસદ થઈ ગયા છે. એટલે, શિવસેના લોકસભામાં જેડીયુ કરતાં પણ મોટી પાર્ટી બની ગઈ છે. એકનાથ શિંદેની શિવસેના પહેલાંથી જ એનડીએની સાથે છે.

ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના પણ 5 લોકસભા સાંસદ છે. આ સિવાય પણ કેટલીક નાની-નાની પાર્ટીઓ છે. 2024ની લોકસભા ચૂંટણીમાં એનડીએને 293 સીટો પર જીત મળી હતી, પરંતુ હવે આ સંખ્યા વધીને 319 થઈ ગઈ છે.

લોકસભા, રાજ્યસભા, બીજેપી, રાજકારણ, ભારત, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસને ગઈ વખતની લોકસભા ચૂંટણીમાં 99 બેઠકો પર જીત મળી હતી

બીજેપી હવે એ આંકડાની નજીક પહોંચી રહી છે, જે મહત્ત્વના બંધારણીય સુધારાને પસાર કરાવવા માટે અનિવાર્ય છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ પણ પાર્ટીમાંથી નીકળી ગયા અને સીધા ભાજપમાં સામેલ થઈ ગયા છે.

બીજી તરફ, દ્રવિડ મુનેત્ર કષગમ એટલે કે ડીએમકેના 22 સાંસદ લોકસભામાં છે અને તે પક્ષ ઇન્ડિયા ગઠબંધનથી દૂર રહ્યો છે. વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી કહે છે કે ડીએમકે પણ ભાજપ સરકારને મુદ્દાના આધારે સમર્થન આપી શકે છે.

લોકસભાનું ગણિત

લોકસભા, રાજ્યસભા, બીજેપી, રાજકારણ, ભારત, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ વખતની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર પછી મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ અસ્તિત્વના સંકટનો સામનો કરી રહી છે

અત્યારે લોકસભામાં કુલ 540 સાંસદ છે. એ સ્થિતિમાં બે તૃતીયાંશનો આંકડો 360 પર પહોંચે છે. ભાજપ હજુ પણ બે તૃતીયાંશ બહુમતથી દૂર છે.

લોકસભામાં બે તૃતીયાંશ બહુમતનો આંકડો 362 છે, કેમ કે ગૃહની કુલ સંખ્યા 543 છે.

હાલમાં ત્રણ લોકસભા બેઠકો ખાલી છે – આસામની નાગાંવ, પશ્ચિમ બંગાળની બસીરહાટ અને મેઘાલયની શિલૉન્ગ.

જો એનડીએ ત્રણ પેટાચૂંટણી જીતી જાય છે, તો સીમાંકન બિલ પર સરકારને 323 મત મળવાની આશા રાખી શકાય છે.

તેમ છતાં, તે બે તૃતીયાંશ બહુમતના આંકડાથી હજુ પણ ઓછામાં ઓછી 20 સીટ દૂર રહેશે.

વિશ્લેષકો કહે છે કે ડીએમકેના 22 સાંસદોનું સમર્થન ભલે ના મળે, પરંતુ તેમને મતદાનથી દૂર રહેવા માટે મનાવી લઈ શકાય છે.

રાજ્યસભામાં નવું સમીકરણ

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તાજેતરના મહિનાઓમાં એનડીએ રાજ્યસભામાં બે તૃતીયાંશ બહુમતના આંકડા 164ની નજીક પહોંચી ગયું છે. રાજ્યસભાની કુલ સભ્યસંખ્યા 245 છે.

બીજુ જનતા દળ છોડ્યા પછી 12 જૂને દેબાશિષ સામંતરાય ભાજપની ટિકિટ પર બિનહરીફ ચૂંટાઈ આવ્યા. તેનાથી રાજ્યસભામાં ભાજપની સંખ્યા વધીને 115 થઈ ગઈ.

તદ્ ઉપરાંત, એનડીએને હવે ઉપલા ગૃહમાં ઓછામાં ઓછા 149 સાંસદોનું સમર્થન પ્રાપ્ત છે.

27 બેઠકો માટે ચાલી રહેલી રાજ્યસભા ચૂંટણી 28 જૂને સમાપ્ત થયા પછી એનડીએની સંખ્યામાં બીજી 3 સીટોનો વધારો થવાની શક્યતા છે. ત્યાર પછી, જ્યારે પણ એ ખાલી સીટો પર ચૂંટણી થશે, જે ટીએમસીના 3 સાંસદો સુખેન્દુ શેખર રૉય, સુષ્મિતા દેવ અને પ્રકાશ ચિક બડાઈકના રાજીનામાના કારણે ખાલી થઈ છે, ત્યારે એનડીએ પોતાના ખાતામાં બીજી 3 બેઠકો ઉમેરી શકે છે.

ટીએમસી પાસે હવે રાજ્યસભામાં માત્ર 10 સાંસદ રહ્યા છે.

આ સિવાય કેટલાંક નાનાં દળ પણ છે, જેઓ નથી એનડીએની સાથે કે નથી ઇન્ડિયા ગઠબંધનનો ભાગ.

તેમાં વાયએસઆર કૉંગ્રેસ (7 સાંસદ), બીજુ જનતા દળ (5 સાંસદ), આમ આદમી પાર્ટી અને ભારત રાષ્ટ્ર સમિતિ (3-3 સાંસદ)ના સિવાય બીએસપી (1 સાંસદ)નો સમાવેશ થાય છે.

સીમાંકન બિલ પર મતદાન દરમિયાન ડીએમકેના 8 સાંસદ મતદાનથી દૂર રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

લોકસભા, રાજ્યસભા, બીજેપી, રાજકારણ, ભારત, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કહેવાય છે કે પ્રાદેશિક પક્ષોમાં વિભાજનનો લાભ કૉંગ્રેસને પણ મળી શકે છે

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક નિરજા ચૌધરી કહે છે કે ભાજપનો ભરપૂર પ્રયાસ છે કે આગામી લોકસભા ચૂંટણી પહેલાં સીમાંકન બિલ પાસ કરાવી લેવામાં આવે.

નીરજા ચૌધરી કહે છે, "ભાજપ જાણે છે કે સીમાંકનનો સીધો ફાયદો તેને થશે અને મહિલા અનામત પાસ કરાવવાનું શ્રેય પણ મેળવી લેશે. જે રીતે પ્રાદેશિક પાર્ટીઓમાં વિભાજન થઈ રહ્યાં છે, તે સ્થિતિમાં બે તૃતીયાંશની બહુમતી મેળવી લેવી વધુ મુશ્કેલ નહીં રહે. ચંદ્રબાબુ નાયડુ આંધ્ર પ્રદેશ સિવાય બીજું કશું નથી વિચારતા. તેમને બસ કેન્દ્રમાંથી ફંડ મળતું રહે. ભાજપને કેન્દ્રમાં સરકાર ચલાવવા માટે હવે ટીડીપી પર એવી નિર્ભરતા નથી રહી."

નીરજા ચૌધરી કહે છે કે પ્રાદેશિક પાર્ટીઓ નબળી થવાના કારણે કૉંગ્રેસને ફાયદો મળી શકે છે, પરંતુ તેમની સંગઠનાત્મક નબળાઈ અવરોધરૂપ સાબિત થશે.

જે પ્રાદેશિક પક્ષો તૂટી રહ્યા છે, તેના સાંસદોને ભાજપ પોતાનામાં સામેલ કેમ નથી કરતી? આ સવાલના જવાબમાં નીરજા ચૌધરી કહે છે, ભાજપ નથી ઇચ્છતો કે વિપક્ષની પૂરી સ્પેસ કૉંગ્રેસને મળે. નીરજા કહે છે કે ભાજપ સત્તા અને વિપક્ષ બંનેમાં રહેવા માગે છે.

કૉંગ્રેસ શું કરશે?

મુખ્ય વિપક્ષી પાર્ટી કૉંગ્રેસે બુધવારે આરોપ કર્યો કે ભાજપ લોકસભામાં બે તૃતીયાંશ બહુમત પ્રાપ્ત કરવાની કોશિશ કરી રહ્યો છે, કેમ કે તેનું વાસ્તવિક અને અંતિમ લક્ષ્ય બંધારણમાં સુધારા કરીને અનામત વ્યવસ્થાને સમાપ્ત કરવાનું છે.

કૉંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સમાચાર એજન્સી પીટીઆઇને આપેલા ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો કે સત્તારૂઢ પાર્ટી પહેલાં મહિલા અનામતના નામે સીમાંકનને આગળ વધારવા માગે છે, જોકે, તેનો અંતિમ ઉદ્દેશ અનામતને સંપૂર્ણ ખતમ કરવાનો છે.

તેમણે કહ્યું કે સીમાંકન પહેલો મોટો પડાવ છે, જેને ભાજપ પાર કરવા માગે છે; પરંતુ આ સરકારના કાર્યકાળનાં હજુ ત્રણ વર્ષ બાકી છે અને તેનું લાંબા ગાળાનું લક્ષ્ય ઘણું મોટું છે.

17 એપ્રિલે, 2029થી વિધાનસભાઓ અને સંસદમાં મહિલા અનામત લાગુ કરવાની સાથે લોકસભામાં સીટોની સંખ્યા વધારવા સંબંધિત બંધારણીય સુધારા બિલ નીચલા ગૃહમાં પસાર નહોતું થઈ શક્યું.

બિલના સમર્થનમાં 298 સાંસદોએ વોટ આપ્યા હતા, જ્યારે 230 સાંસદોએ તેનો વિરોધ કર્યો હતો.

કુલ 528 સાંસદોએ મતદાનમાં ભાગ લીધો હતો. તે સમયે બે તૃતીયાંશ બહુમત માટે આ બિલને 352 મતોની જરૂર હતી.

લોકસભા, રાજ્યસભા, બીજેપી, રાજકારણ, ભારત, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઉદ્ધવ ઠાકરે અને મમતા બેનરજી બંનેની પાર્ટીઓ તેમના નિયંત્રણમાંથી સરકી જતી દેખાય છે

સીમાંકન બિલ મહત્ત્વપૂર્ણ કેમ છે?

ભાજપ માટે સીમાંકન બિલ ઘણું મહત્ત્વનું મનાય છે.

સીમાંકનથી લોકસભામાં વધારે વસ્તી ધરાવતાં ઉત્તરનાં રાજ્યોનું પ્રતિનિધિત્વ દક્ષિણી, પશ્ચિમી અને નાનાં રાજ્યોની તુલનાએ ઘણું વધી જશે. ઉત્તર ભારતમાં ભાજપ પહેલાંથી જ ખૂબ મજબૂત સ્થિતિમાં છે.

સરકારનો સીમાંકનને આગળ વધારવાનો પહેલો પ્રયાસ માત્ર બે મહિના પહેલાં નિષ્ફળ થયો હતો. સરકારે આને મહિલા અનામત જેવા વ્યાપક રીતે લોકપ્રિય મુદ્દા સાથે જોડ્યું હતું.

વિરોધી પક્ષો આ બિલની સામે એકજૂથ થઈ ગયા. તેમની દલીલ હતી કે આવું કરવાથી વધારે વસ્તીવાળાં હિંદીભાષી રાજ્યોને અસમાન રીતે લાભ મળશે, જ્યાં ભાજપને મજબૂત સમર્થન છે, જ્યારે એવાં રાજ્યોને નુકસાન થશે, જેમણે વસ્તીવધારાને નિયંત્રિત રાખવામાં સફળતા મેળવી છે.

1976થી લોકસભા સીટો વ્યાવહારિક રીતે 1971ની વસ્તીગણતરીના આધારે સ્થિર રહી છે. જો આ પ્રતિબંધને હટાવી દેવાય તો બાબતો જટિલ બની શકે છે. ઉત્તરનાં રાજ્ય પોતાની વધતી વસ્તીના આધારે વધારે બેઠકોની માગણી કરશે, જે એક વ્યક્તિ, એક વોટના લોકશાહી સિદ્ધાંતને અનુરૂપ છે.

બીજી તરફ, દક્ષિણી અને પશ્ચિમી રાજ્યોનો, રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં અસમાન રીતે વધારે યોગદાન આપ્યા અને વસ્તી નિયંત્રણનાં ફેડરલ લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા છતાં, રાજકીય પ્રભાવ ઘટી શકે છે. ટીકાકારોનું કહેવું છે કે નાનાં પૂર્વી અને પૂર્વોત્તર રાજ્યો વધારે હાંશિયા પર જવાની આશંકા પણ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન