You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા?
"એ દિવસે અચાનક દરવાજેથી પુષ્કળ પાણી ઘરમાં આવી ગયું. વાવાઝોડું છે એવું જણાતાં લોકો પોતાનું ઘર છોડીને સુરક્ષિત સ્થળે ભાગવા માંડ્યા, પરંતુ ઘણા લોકો ડૂબીને મરી ગયા, કોઈ મકાન તૂટ્યાં એમાં મરી ગયા, તો કોઈ પતરા નીચે દબાઈ ગયા. કોઈને ભાગવાની તક ન મળી."
વર્ષ 1998માં કચ્છના કંડલામાં આવેલા વાવાઝોડાના કેર અને તે સમયની સ્થિતિ અંગે વાત કરતાં કંડલા પૉર્ટ પાસે આવેલાં ઝૂંપડાંમાં રહેતા અનવરભાઈ આ વાત કરે છે.
કંડલા પૉર્ટ પાસે રહેતા અને કંડલા વાવાઝોડાના કેરના સાક્ષી અલીભાઈએ એ સમયની ભયાનક યાદો વિશે વાત કરતાં કહ્યું હતું કે, “એ સમયે કેમિકલવાળું પાણી શેરીઓમાં ફરી વળ્યું હતું અને ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો. વાવાઝોડું એટલું શક્તિશાળી હતું કે તેના કારણે સમુદ્રનાં મોજાં ઇમારતોના ચોથા માળની ઊંચાઈ સુધી પહોંચી ગયાં. એ દૃશ્ય અત્યંત ખતરનાક હતું, ભગવાન આવું કોઈને ન દેખાડે.”
વાવાઝોડું પસાર થયા બાદ તેણે વેરેલા વિનાશનાં દૃશ્યો અંગે વાત કરતાં અનવરભાઈ કહે છે કે, “માંડમાંડ જીવ બચાવ્યાના બીજા દિવસે જ્યારે હું પાછો આવ્યો ત્યારે જોયું તો શેરીમાં બધે ગારો હતો. અને એ ગારામાં માણસની લાશો હતી. રેલવે સ્ટેશને અને રેલવે ટ્રૅક પર ઠેરઠેર માણસો પડ્યા હતા, જેમાંથી કેટલાય મરી ગયા.”
વાવાઝોડાને કારણે થયેલી લોકોની દયનીય સ્થિતિ અંગે વાત કરતાં તેઓ કહે છે કે, “એ સમય ખૂબ કપરો હતો, અમારી પાસે ખાવા માટે કંઈ નહોતું. લોકો ભૂખ્યા હતા, આ ભૂખ્યા લોકોએ બજારમાં મજબૂરીમાં દુકાનો તોડીને અનાજ કાઢવું પડ્યું હતું. એ વાવાઝોડાના કારણે આવેલા પૂરમાં મારા ભાઈના દીકરાનું પણ મૃત્યુ થયું હતું.”
અલીભાઈ વાવાઝોડા બાદનાં વિનાશક દૃશ્યો વિશે વાત કરતાં કહે છે કે, “એ આપત્તિ દરમિયાન અમે બચી ગયા, પરંતુ જ્યાં જઈએ ત્યાં માત્ર લાશોના ઢગલા હતા. એ દૃશ્ય જોઈને અમે બધા હેબતાઈ ગયા હતા. બીજી સવારે અહીં નજીકમાં જ ઝેરી ગૅસ લીક થયો, જે બાદ બધા પોતાનો જીવ બચાવવા અન્યત્રે ભાગી ગયા, થોડી વારમાં તો આખું કંડલા ખાલી થઈ ગયું.”
આવા જ એક રહેવાસી અને આપત્તિના સાક્ષી શબ્બીરભાઈ કહે છે કે, “એ વાવાઝોડામાં ઘણાનાં મૃત્યુ થયાં હતાં. લગભગ હજાર-1,100 જેટલા માણસોનાં મૃત્યુ તો અમે નજરે જોયાં છે. જાનમાલનું ઘણું નુકસાન થયું હતું. બન્ની વિસ્તારમાં પણ ઘણાનાં મૃત્યુ થયાં હતાં.”
બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા હાલ કચ્છમાં છે અને તેમણે વર્ષ 1998માં વાવાઝોડાએ જે વિસ્તારમાં તારાજી સર્જી હતી એની મુલાકાત લીધી હતી. એ સમયે લોકોએ તેમને એ સમયના વાવાઝોડાની ભયાનકતા જણાવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાત પર કેર વરતાવનારા 'વિનાશક' વાવાઝોડા અને એ સમયની પરિસ્થિતિ અંગે સંપૂર્ણ માહિતી વિશે આ અહેવાલ વાંચો.
કૅનેડામાંથી ડિપોર્ટ થવાના ભયનો સામનો કરી રહેલા સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ માટે કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદને આશા જન્માવી છે.
વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, “અમારો ઉદ્દેશ ગુનેગારની ઓળખ કરવાનો છે, નહીં કે પીડિતોને દંડિત કરવાનો.”
ટ્રુડો દેશની સંસદમાં એનડીપી નેતા જગમીત સિંહ દ્વારા પૂછવામાં આવેલા સવાલોના જવાબ આપી રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ પર કૅનેડા આવવા નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવાનો આરોપ છે, તેથી તેમને કૅનેડામાં સ્થાયી નિવાસ (પીઆર - પરમેનન્ટ રેસિડેન્સી) આપવામાં આવતો નથી.
આ વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે, તેમને ડિપોર્ટ કરવામાં આવી શકે છે.
આ વિદ્યાર્થીઓ કૅનેડાના એજન્ટોની છેતરપિંડી અને તેમના ભવિષ્યને લઈને વિરોધ પણ કરી રહ્યા છે.
સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.
ભારતમાં નિયમિત ક્રિકેટ રમાવાનો પ્રારંભ આમ તો 1890ની આસપાસ થઈ ગયો હતો તેમ છતાં ભારતે ટેસ્ટ ક્રિકેટનો પ્રારંભ કર્યો ત્યાર બાદ જ ભારતના ક્રિકેટરને ગંભીરતાથી લેવામાં આવ્યા હતા.
એ અગાઉ 1880ના દાયકામાં પારસીઓની ઘણી ટીમ ઇંગ્લૅન્ડનો પ્રવાસ ખેડતી હતી અને તેઓ ઉમદા ક્રિકેટ રમતા હતા. આમ છતાં એ જમાનામાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતની હાજરી નહિવત્ હતી.
આ સંજોગોમાં ભારતમાં આ રમતને લોકપ્રિય બનાવવામાં રણજી અને દુલીપના નામ અગ્રેસર હતા. જામસાહેબ ઑફ જામનગર એટલે કે રણજી ખુદ મહાન બૅટ્સમૅન હતા અને તેમની ગણના એ સમયના વિશ્વના સર્વશ્રેષ્ઠ બૅટ્સમૅનમાં થતી હતી.
આજે પણ વિશ્વના સર્વકાલીન મહાન અથવા તો ગઈ સદીના સર્વકાલીન મહાન બૅટ્સમૅનની વાત રણજી વિના અધૂરી ગણાશે. એવી જ રીતે તેમના ભત્રીજા દુલીપસિંહ પણ એટલા જ પ્રતિભાશાળી બૅટ્સમૅન હતા. કદાચ રણજીના પડછાયામાં તેઓ થોડા ઢંકાઈ ગયા હશે તેમ વિવેચકો માને છે પરંતુ ખુદ રણજી પણ આમ માનતા ન હતા.
દુલીપ કે રણજી ક્યારેય ભારત માટે રમ્યા નથી તો તેમને આટલું સન્માન કેમ આપવામાં આવે છે તેઓ સવાલ દાયકાઓથી થાય છે પરંતુ એક જ હકીકત રજૂ કરી શકાય કે બંનેના જમાનામાં ભારતીય ટીમ ટેસ્ટ ક્રિકેટ રમતી ન હતી અને તેથી તેઓ ઇંગ્લૅન્ડ માટે રમ્યા હતા.
1905ની 13મી જૂને દુલીપસિંહનો જન્મ સૌરાષ્ટ્ર (એ સમયનું કાઠિયાવાડ)ના સરોદર (જામનગર નજીક) થયો હતો. આ એ જ સ્થળ છે જ્યાં રણજીનો જન્મ થયો હતો.
1907માં રણજીએ પોતાના ભત્રીજા દુલીપને નવાનગર (હાલનું જામનગર) બોલાવી લીધા અને ત્યારથી તેમના પાલન પોષણની જવાબદારી ઉઠાવી લીધી. અને, અહીંથી એક મહાન ક્રિકેટરની કારકિર્દીનો પ્રારંભ થયો.
સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.
લૅન્સેટમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, ભારતમાં 10. 1 કરોડ લોકો એટલે કે દેશની 11.4 ટકા વસતી ડાયાબિટીસથી પીડાઈ રહી છે.
તો ભારતના આરોગ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવેલા આ સર્વે અનુસાર, ભારતમાં 13.6 કરોડ લોકો (દેશની 15.3 ટકા વસતી) પ્રી-ડાયાબિટીસ સાથે જીવી રહી છે.
ટાઇપ-2 ડાયાબિટીસ આ બીમારીનું સૌથી સામાન્ય રૂપ છે.
ડાયાબિટીસમાં લોકોનાં શરીરમાં બ્લડશુગરની માત્રા વધી જાય છે, કારણ કે શરીર પર્યાપ્ત માત્રામાં ઇન્સ્યુલિન હાર્મોનનું નિર્માણ કરી શકતું નથી. આ હાર્મોન યોગ્ય રીતે કાર્ય ન કરી શકવાને કારણે પણ ડાયાબિટીસ થાય છે.
ધ લૅન્સેટ ડાયાબિટીસ ઍન્ડ એન્ડોક્રિનોલૉજીમાં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર, ભારતના તમામ રાજ્યને વ્યાપકરૂપે આવરી લેનારું પ્રથમ સંશોધન માનવામાં આવે છે, જેમાં દેશ પર અસંક્રામક રોગના બોજનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
સંશોધકોનું માનવું છે કે ભારતની વસતીમાં ડાયાબિટીસનો વ્યાપ અગાઉ લગાવવામાં આવેલા અંદાજ કરતાં ઘણો વધારે છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અનુમાન લગાવ્યું હતું કે, ભારતમાં 7.7 કરોડ લોકો ડાયાબિટીસથી પીડાશે અને લગભગ 2.5 કરોડ લોકો પ્રી-ડાયાબિટીસના હશે અને નજીકના ભવિષ્યમાં ડાયાબિટીસ થવાના જોખમને પ્રી-ડાયાબિટીસ કહેવામાં આવે છે.
સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.
આખો દેશ પ્રાર્થના કરી રહ્યો હતો અને કોલંબિયાના ખતરનાક જંગલમાં શુક્રવારે મધરાતે સૈન્યના રેડિયો દ્વારા પ્રસારિત કરવામાં આવેલા “ચમત્કાર, ચમત્કાર, ચમત્કાર, ચમત્કાર” સંદેશને પગલે તે પ્રાર્થના જાણે કે ફળીભૂત થઈ હતી.
લશ્કરના આ સંદેશથી જાહેર થયું હતું કે જંગલમાં 40 દિવસથી ગુમ થયેલાં ચાર બાળકો જીવંત મળી આવ્યાં છે.
સ્થાનિક હુઇટોટો સમાજનાં એ ચારેય બાળકો લાઇટ પ્લેનમાં પ્રવાસ કરી રહ્યાં હતાં અને પહેલી મેની વહેલી સવારે તે પ્લેન એમેઝોનના જંગલમાં તૂટી પડ્યું ત્યારથી ગુમ થયાં હતાં.
એ દુર્ઘટનામાં તેમની માતાનું મૃત્યુ થયું હતું અને 13, 9, 4 અને એક વર્ષની વયનાં ચાર બાળકો સાપ, જગુઆર અને મચ્છરોથી ભરપૂર વિસ્તારમાં ફસાઈ ગયાં હતાં.
બચાવકર્તાઓને પ્રારંભે કશુંક અમંગળ થયાની આશંકા હતી, પરંતુ પગલાંનાં નિશાન, આંશિક રીતે ખાવામાં આવેલાં ફળો અને અન્ય કડીઓએ બાળકો જીવંત હોવાની આશા આપી હતી.
બચાવકર્તાઓએ ધાર્યું હતું કે બાળકો મદદની શોધમાં દુર્ઘટનાસ્થળેથી અન્યત્ર ગયાં હશે.
એ પછીના છ સપ્તાહ સુધી બાળકોએ જંગલમાં અનેક મુશ્કેલીનો સામનો કર્યો હતો, જેને કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ “અસ્તિત્વ ટકાવી રાખવાનું ઐતિહાસિક ઉદાહરણ” ગણાવ્યું હતું.
સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.