પોલ ઑફ ધ પોલ (ઍક્ઝિટ પોલોની સરેરાશ)
ઉપર નજર કરીએ તો ઉત્તર પ્રદેશમાં ભાજપને 242 બેઠક મળી શકે છે, જે બહુમત માટે જરૂરી 202 કરતાં 40 (લગભગ 20 ટકા) વધારે છે. ગત ચૂંટણી
દરમિયાન દેશના સૌથી મોટા રાજ્ય તથા સત્તા
માટે 'દિલ્હીના દરવાજા' એવા યુપીમાં ભાજપને 320 બેઠક મળી હતી.
અહીં તેની મુખ્ય ટક્કર અખિલેશ યાદવની
સમાજવાદી પાર્ટી તથા માયાવતીની બહુજન સમાજ પાર્ટી સાથે છે. બંનેને અનુક્રમે 143
તથા 11 બેઠક મળવાનું અનુમાન મૂકવામાં આવે છે. આકલનો મુજબ ભાજપ જીતે, તો પણ તેનું નુકસાન ભારે હશે.
ઉત્તરાખંડની 70 બેઠકમાંથી ભાજપને 35 બેઠક
મળી શકે છે અને બહુમતીથી એક બેઠક ઓછી થઈ શકે છે. ગત ચૂંટણી વખતે ભાજપને 57 તથા
કૉંગ્રેસને 11 બેઠક મળી હતી. વિધાનસભાના ચાલુ કાર્યકાળ દરમિયાન પાર્ટીએ
ત્રિવેન્દ્રસિંહ રાવત, તીરથસિંહ રાવત તથા પુષ્કરસિંહ ધામી એમ
ત્રણ મુખ્ય મંત્રી બદલાવ્યા, જેના કારણે તેની છાપ ખરડાઈ હતી.
2017ની ચૂંટણી પછી ગોવામાં ભાજપને 13
અને કૉંગ્રેસને 17 બેઠક મળી હતી, પરંતુ નાના-નાના પક્ષોએ તત્કાલીન
સંરક્ષણમંત્રી મનોહર પર્રિકરને મુખ્ય મંત્રી બનાવવામાં આવે તો ટેકો આપવાની તૈયારી
દેખાડી હતી. આથી, પર્રિકરને ગોવા મોકલવામાં આવ્યા અને 40
ધારાસભ્યોવાળી વિધાનસભામાં ભાજપની સરકાર બની.
2019માં તેમના અવસાન પછી પ્રમોદ
સાવંતને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા અને કેન્દ્રીય માર્ગ અને નિર્માણમંત્રી
નીતિન ગડકરી બહુમતી મૅનેજ કરવામાં સફળ રહ્યા. આ વખતે ભાજપ તથા કૉંગ્રેસ બંનેને
16-16 બેઠક મળશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે. ચૂંટણી પછી અને પરિણામ પહેલાં
મુખ્ય મંત્રી સાવંતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે 'શુભેચ્છા મુલાકાત' કરી હતી, જેને ઘણી સૂચક માનવામાં આવે છે.
ઍક્ઝિટ પોલના અનુમાનો અનુસાર, પજાબમાં સત્તાપરિવર્તન થઈ શકે છે અને દિલ્હી પછી પંજાબમાં આમ આદમી
પાર્ટીની સરકાર બની શકે છે. અહીં 'જનતાની પસંદ' પર પૂર્વ કૉમેડિયન ભગવંત માનને મુખ્ય મંત્રીપદના ઉમેદવાર જાહેર કર્યા
હતા.
પંજાબમાં 77 બેઠક સાથે કૉંગ્રેસે સત્તા મેળવી હતી. વર્તમાન કાર્યકાળ દરમિયાન
કૅપ્ટન અમરિંદરસિંહની મુખ્યમંત્રીપદેથી હકાલપટ્ટી બાદ, તેમણે અલગ પક્ષ રચીને ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. કૉંગ્રેસે
દલિતનેતા ચરણજિતસિંહ ચન્નીને મુખ્ય મંત્રી બનાવ્યા હતા.
ગત ચૂંટણી વખતે ભાજપ અને શિરોમણિ
અકાલીદળે (18 બેઠખ) ગઠબંધન કર્યું હતું. આ વખતે
બંને અલગ લડ્યાં છે. ગત ચૂંટણી દરમિયાન 20 જેટલી બેઠક
સાથે આપ બીજા ક્રમાંકે રહી હતી.
60 ધારાસભ્યોવાળી મણિપુર વિધાનસભામાં
ભાજપયુતિને 30 બેઠક મળી શકે છે, એવું 'પોલ ઑફ પોલ'નું અનુમાન છે. ભાજપને આશા છે કે તેને પૂર્ણ બહુમત મળશે અને જો કચાશ
રહી જશે તો અપક્ષો તથા અન્ય પક્ષોની મદદથી ખોટ પૂરી કરી લેશે.