You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ચૂંટણીપરિણામ : 'મહિલાઓ ભાજપની જીતની સારથિ બની છે' - વડા પ્રધાન મોદી

પાંચેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો હવે થોડા કલાકોમાં જ સ્પષ્ટ થઈ જશે. હાલમાં વલણો અનુસાર ઉત્તર પ્રદેશ, પંજાબ, મણિપુરમાં ભાજપ સરકાર બનતી જણાઈ રહી છે.

લાઇવ કવરેજ

  1. પંજાબમાં આપના મુખ્ય મંત્રીપદના ઉમેદવારના ઘરે જલેબીઓ બનાવવાનું શરૂ

    પંજાબ વિધાનસભાની 117 બેઠકો પર યોજાયેલી ચૂંટણીનું પરિણામ આજે આવશે. જોકે, મતગણતરી શરૂ થાય તે પહેલાં જ સંગરૂરમાં આમ આદમી પાર્ટીના સાંસદ અને મુખ્ય મંત્રીપદના ઉમેદવાર ભગવંત માનના ઘરે જલેબી બનવાની શરૂ થઈ હતી.

  2. ઍક્ઝિટ પોલ અને ઇતિહાસની આરસી

    પોલ ઑફ ધ પોલ (ઍક્ઝિટ પોલોની સરેરાશ) ઉપર નજર કરીએ તો ઉત્તર પ્રદેશમાં ભાજપને 242 બેઠક મળી શકે છે, જે બહુમત માટે જરૂરી 202 કરતાં 40 (લગભગ 20 ટકા) વધારે છે. ગત ચૂંટણી દરમિયાન દેશના સૌથી મોટા રાજ્ય તથા સત્તા માટે 'દિલ્હીના દરવાજા' એવા યુપીમાં ભાજપને 320 બેઠક મળી હતી.

    અહીં તેની મુખ્ય ટક્કર અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી તથા માયાવતીની બહુજન સમાજ પાર્ટી સાથે છે. બંનેને અનુક્રમે 143 તથા 11 બેઠક મળવાનું અનુમાન મૂકવામાં આવે છે. આકલનો મુજબ ભાજપ જીતે, તો પણ તેનું નુકસાન ભારે હશે.

    ઉત્તરાખંડની 70 બેઠકમાંથી ભાજપને 35 બેઠક મળી શકે છે અને બહુમતીથી એક બેઠક ઓછી થઈ શકે છે. ગત ચૂંટણી વખતે ભાજપને 57 તથા કૉંગ્રેસને 11 બેઠક મળી હતી. વિધાનસભાના ચાલુ કાર્યકાળ દરમિયાન પાર્ટીએ ત્રિવેન્દ્રસિંહ રાવત, તીરથસિંહ રાવત તથા પુષ્કરસિંહ ધામી એમ ત્રણ મુખ્ય મંત્રી બદલાવ્યા, જેના કારણે તેની છાપ ખરડાઈ હતી.

    2017ની ચૂંટણી પછી ગોવામાં ભાજપને 13 અને કૉંગ્રેસને 17 બેઠક મળી હતી, પરંતુ નાના-નાના પક્ષોએ તત્કાલીન સંરક્ષણમંત્રી મનોહર પર્રિકરને મુખ્ય મંત્રી બનાવવામાં આવે તો ટેકો આપવાની તૈયારી દેખાડી હતી. આથી, પર્રિકરને ગોવા મોકલવામાં આવ્યા અને 40 ધારાસભ્યોવાળી વિધાનસભામાં ભાજપની સરકાર બની.

    2019માં તેમના અવસાન પછી પ્રમોદ સાવંતને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા અને કેન્દ્રીય માર્ગ અને નિર્માણમંત્રી નીતિન ગડકરી બહુમતી મૅનેજ કરવામાં સફળ રહ્યા. આ વખતે ભાજપ તથા કૉંગ્રેસ બંનેને 16-16 બેઠક મળશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે. ચૂંટણી પછી અને પરિણામ પહેલાં મુખ્ય મંત્રી સાવંતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે 'શુભેચ્છા મુલાકાત' કરી હતી, જેને ઘણી સૂચક માનવામાં આવે છે.

    ઍક્ઝિટ પોલના અનુમાનો અનુસાર, પજાબમાં સત્તાપરિવર્તન થઈ શકે છે અને દિલ્હી પછી પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની શકે છે. અહીં 'જનતાની પસંદ' પર પૂર્વ કૉમેડિયન ભગવંત માનને મુખ્ય મંત્રીપદના ઉમેદવાર જાહેર કર્યા હતા.

    પંજાબમાં 77 બેઠક સાથે કૉંગ્રેસે સત્તા મેળવી હતી. વર્તમાન કાર્યકાળ દરમિયાન કૅપ્ટન અમરિંદરસિંહની મુખ્યમંત્રીપદેથી હકાલપટ્ટી બાદ, તેમણે અલગ પક્ષ રચીને ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. કૉંગ્રેસે દલિતનેતા ચરણજિતસિંહ ચન્નીને મુખ્ય મંત્રી બનાવ્યા હતા.

    ગત ચૂંટણી વખતે ભાજપ અને શિરોમણિ અકાલીદળે (18 બેઠખ) ગઠબંધન કર્યું હતું. આ વખતે બંને અલગ લડ્યાં છે. ગત ચૂંટણી દરમિયાન 20 જેટલી બેઠક સાથે આપ બીજા ક્રમાંકે રહી હતી.

    60 ધારાસભ્યોવાળી મણિપુર વિધાનસભામાં ભાજપયુતિને 30 બેઠક મળી શકે છે, એવું 'પોલ ઑફ પોલ'નું અનુમાન છે. ભાજપને આશા છે કે તેને પૂર્ણ બહુમત મળશે અને જો કચાશ રહી જશે તો અપક્ષો તથા અન્ય પક્ષોની મદદથી ખોટ પૂરી કરી લેશે.

  3. ચૂંટણીકાર્યક્રમ ફ્લૅશબૅક

    પાંચ રાજ્યોમાં કુલ 690 વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી યોજાઈ હતી.

    જેમાં સૌથી વધુ બેઠકો ઉત્તર પ્રદેશ વિધાનસભા માટે હતી. જ્યાં સાત તબક્કામાં (10મી, 14મી, 20મી, 23મી, 27મી ફેબ્રુઆરી તથા ત્રીજી અને સાતમી માર્ચના) ચૂંટણી યોજાઈ હતી.

    ઉત્તરાખંડ (70 બેઠક) તથા ગોવામાં (40 બેઠક) 'વેલેન્ટાઇન્સ ડે' એટલે કે 14મી ફેબ્રુઆરીના એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી.

    મણિપુરની કુલ 60 બેઠક પર 28મી ફેબ્રુઆરી તથા પાંચમી માર્ચના બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી, જ્યારે પંજાબમાં તા. 20મી ફેબ્રુઆરીના એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી.

  4. ચૂંટણી પહેલાં હાઇવૉલ્ટેજ ડ્રામા

    સમાજવાદી પાર્ટીના સર્વેસર્વા અખિલેશ યાદવે મતદાન પછી અને મતગણતરી પૂર્વે મંગળવારે પાર્ટી તથા સાથી પક્ષોના કાર્યકરોને સતર્ક રહેવા તાકિદ કરી હતી, તેમણે આરોપ મૂક્યો હતો કે ભાજપ "બહુમતી ચોરવા" માટે પ્રયાસરત્ છે. તેમણે વારાણસીનું ઉદાહરણ ટાંક્યું હતું.

    ભાજપ દ્વારા અખિલેશના નિવેદનને "હાર પહેલાંની હતાશા" કહીને વખોડી કાઢવામાં આવ્યું હતું. ચૂંટણીપંચ દ્વારા પણ આરોપો અંગે સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું હતું.

    બીજી બાજુ, બુધવારે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ટ્રેનિંગ માટેના ઈવીએમની હેરફેર દરમિયાન નિયમોનું પાલન નહીં કરનારા સબ ડિવિઝિનલ મૅજિસ્ટ્રેટ સામે કાર્યવાહી કરવા ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીને સૂચના આપી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

  5. પાંચ રાજ્યનાં ચૂંટણીપરિણામો પહેલાં શું છે રાજકીય હલચલ?

    પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. નિર્ધારિત સમય પ્રમાણે, ગુરુવારે સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થશે. આ માટે ચૂંટણીપંચ દ્વારા સંબંધિત તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

    સંખ્યાબળની દૃષ્ટિએ જોતાં ગોવા, ઉત્તરાખંડ તથા મણિપુરમાં કોની સરકાર બની રહી છે, તેનો અંદાજ બપોર સુધીમાં મળી જશે, પરંતુ ઉત્તર પ્રદેશમાં ચિત્ર સ્પષ્ટ થતાં સમય લાગી શકે છે.

    ઍક્ઝિટ પોલનાં તારણો અનુસાર ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારનું પુનરાવર્તન થઈ શકે છે. મણિપુરમાં પણ ભાજપયુતિ વિજયી બનશે. પંજાબમાં પૂર્વ કૉમેડિયન ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર બની શકે છે.

    જ્યારે ગોવા અને ઉત્તરાખંડમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે ખેંચતાણ થઈ શકે છે. આ શક્યતાને જોતાં બંને પક્ષોએ પોત-પોતાના ઉમેદવારોને સાચવવાની તૈયારી શરૂ કરી દીધી છે.

    અત્રે એ યાદ રાખવું ઘટે કે ઍક્ઝિટ પોલનાં તારણ અને વાસ્તવિક પરિણામોની વચ્ચે તફાવત હોઈ શકે છે.

  6. નમસ્કાર! બીબીસી ગુજરાતીના લાઈવ રિપોર્ટિંગ પેજમાં આપનું સ્વાગત છે. લાઇવ પેજમાં પાંચ રાજ્યોની ચૂંટણીની મતગણતરીની તમામ અપડેટ્સ મેળવી શકશો.