You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ચૂંટણીપરિણામ : 'મહિલાઓ ભાજપની જીતની સારથિ બની છે' - વડા પ્રધાન મોદી

પાંચેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો હવે થોડા કલાકોમાં જ સ્પષ્ટ થઈ જશે. હાલમાં વલણો અનુસાર ઉત્તર પ્રદેશ, પંજાબ, મણિપુરમાં ભાજપ સરકાર બનતી જણાઈ રહી છે.

લાઇવ કવરેજ

  1. ચૂંટણી પરિણામ: સાંજે ચાર વાગ્યા સુધી ક્યાં કોણ જીત્યું?

    ઉત્તર પ્રદેશ: ભાજપનો પાંચ બેઠક પર વિજય

    ઉત્તર પ્રદેશમાં સાંજે ચાર વાગ્યા સુધીમાં 403 બેઠકોમાંથી પાંચ બેઠકો પર પરિણામ આવી ચૂક્યાં છે. તમામ પાંચ બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જ્યારે અન્ય 247 બેઠકો પર ભાજપ અત્યારે આગળ છે.

    જ્યારે સમાજવાદી પાર્ટી 113 બેઠકો પર આગળ છે. અપના દલ 12 બેઠકો પર અને રાષ્ટ્રીય લોકદલ નવ બેઠક પર આગળ છે.

    પંજાબ: 117માંથી 54 બેઠકો પર આમ આદમી પાર્ટીનો વિજય

    પંજાબમાં આમ આદમી પાર્ટીએ સપાટો બોલાવ્યો છે. કુલ 117 બેઠકો પૈકી 54 બેઠકો પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે. હજુ પણ તેઓ 38 બેઠકો પર લીડ ધરાવે છે.

    જ્યારે કૉંગ્રેસે આઠ બેઠકો પર જીત મેળવી છે અને હજુ 10 બેઠકો પર આગળ છે. પંજાબમાં ભાજપ અત્યાર સુધી માત્ર એક બેઠક મેળવી શક્યો છે અને એક બેઠક પર આગળ ચાલી રહ્યો છે.

    ગોવા: ભાજપે 40માંથી 14 બેઠકો કબજે કરી

    ગોવામાં કુલ 40 બેઠકો પૈકી 25 બેઠકોનાં પરિણામ આવી ચૂક્યાં છે. ભાજપ 14 બેઠકો પર જીત મેળવી ચૂક્યો છે. જ્યારે હજુ છ બેઠકો પર આગળ ચાલી રહ્યો છે. જ્યારે કૉંગ્રેસે પાંચ બેઠકો પર જીત મેળવી છે અને છ બેઠકો પર આગળ છે.

    મણિપુરની 49 બેઠકો પૈકી 22 બેઠકો પર પરિણામ જાહેર, 12 ભાજપના ખાતામાં

    મણિપુરમાં 49 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જે પૈકી સાંજે ચાર વાગ્યા સુધીમાં 22 બેઠકો પર પરિણામ આવી ચૂક્યાં છે. સૌથી વધુ 12 બેઠકો ભાજપના ખાતામાં છે અને હજુ 11 બેઠકો પર એ આગળ ચાલી રહ્યો છે.

    જ્યારે કૉંગ્રેના ખાતામાં બે, અપક્ષના ખાતામાં બે બેઠકો આવી છે તો જનતા દલના ત્રણ ઉમેદવારોનો વિજય થયો છે.

    ઉત્તરાખંડ: કુલ 70માંથી ભાજપ-કૉંગ્રેસ બન્નેના ફાળે ત્રણ-ત્રણ બેઠકો

    ઉત્તરાખંડની 70 બેઠકો પર મતદાન યોજાયું હતું. જે પૈકી અત્યાર સુધી કુલ છ બેઠકોનાં પરિણામ આવી ચૂક્યાં છે.

    આ છ બેઠકોમાંથી ભાજપ અને કૉંગ્રેસ બન્નેના ફાળે ત્રણ-ત્રણ બેઠકો છે. ભાજપ અત્યારે 45 બેઠકો પર આગળ છે અને કૉંગ્રેસ 15 બેઠકો પર લીડ ધરાવે છે.

  2. બ્રેકિંગ, રાહુલ ગાંધીએ કૉંગ્રેસના પરાજય પર શું કહ્યું?

    કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પાંચ રાજ્યોમાં પક્ષોનો પરાજય સ્વીકારતાં વિજય મેળવનારા પક્ષોને અનિભંદન પાઠવ્યાં છે.

    રાહુલ ગાંધીએ પોતાના કાર્યકરો પ્રત્યે આભાર પણ વ્યક્ત કર્યો.

    તેમણે કહ્યું, "કાર્યકરોએ આકરી મહેનત કરી હતી. અમે આ પરિણામોથી શીખ લઈશું અને ભારતની જનતાના હિતમાં કામ કરવાનું ચાલુ રાખીશું."

  3. પંજાબમાં આપ જીતી તો ગુજરાતમાંથી આપના નેતા નિખિલ સવાણીએ કઈ વાત કહી?

    પંજાબ વિધાનસભાની ચૂંટણીનાં વલણો પર નજર કરીએ તો પંજાબમાં છેલ્લાં 55 વર્ષનો ક્રમ બદલાતો જણાય છે. અહીં પહેલી વખત કૉંગ્રેસ કે શિરોમણિ અકાલીદળને બદલે કોઈ ત્રીજા પક્ષની સરકાર બની રહી છે.

  4. પંજાબનાં પરિણામો પર બોલ્યા કેજરીવાલ, “દેશે જણાવી દીધું, હું આતંકવાદી નથી સાચો સપૂત છું”

    પંજાબમાં આમ આદમી પાર્ટી ભવ્ય જીત તરફ આગળ વધી રહી છે. આ વચ્ચે પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પોતાના સમર્થકોને સંબોધિત કરતાં કહ્યું કે પંજાબના લોકોએ કમાલ કરી દીધી છે.

    અરવિંદ કેજરીવાલે કહ્યું, “પંજાબ, અમે બધા તમને પ્રેમ કરીએ છીએ. પંજાબમાં મોટી-મોટી ખુરશીઓ હલી ગઈ. કૅપ્ટન હારી ગયા, સુખબીરસિંહ બાદલ હારી ગયા, પ્રકાશસિંહ બાદલ હારી ગયા અને નવજોતસિંહ સિદ્ધુ હારી ગયા. ભગતસિંહે એક વખત કહ્યું હતું કે આઝાદી મળ્યા બાદ સિસ્ટમ નહીં બદલાય તો કશું નહીં બદલાય.”

    કેજરીવાલે કહ્યું, "છેલ્લાં 75 વર્ષોમાં સિસ્ટમ બદલાઇ નથી. આ લોકોએ જાણી જોઈને ગરીબ રાખ્યા. અમે ઈમાનદાર રાજનીતિની શરૂઆત કરી, બાબાસાહેબ આંબેડકર અને ભગતસિંહનું સ્વપ્ન પૂર્ણ થઈ રહ્યું છે. ઘણી મોટી તાકતો છે. જે સાથે મળીને દેશને આગળ વધવાથી રોકવા માગે છે. "

    "તમામેતમામ આમ આદમી પાર્ટી વિરુદ્ધ એકજૂથ થઈ ગયા હતા. આ લોકોએ મોટાં ષડ્યંત્રો રચ્યાં અને કહ્યું કે કેજરીવાલ આતંકી છે. નિર્ણયો દ્વારા દેશે જણાવી દીધું કે કેજરીવાલ આતંકી નથી, દેશનો સાચો સપૂત છે, દેશભક્ત છે.”

  5. મનોહર પર્રિકરના પુત્રને હરાવનારા ભાજપના ઉમેદવાર નિરાશ કેમ?

    ગોવાની પણજી બેઠકના ઉમેદવાર અને મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકર ચૂંટણી હારી ગયા છે. તેઓ અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા હતા. તેમને ભાજપના ઉમેદવાર અતાનાસિયો મોનસેરેટે હરાવ્યા છે.

    ચૂંટણીપંચના આંકડા પ્રમાણે, ભાજપ ઉમેદવારને કુલ 6,787 મત મળ્યા હતા. જ્યારે ઉત્પલ પર્રિકરને 6,071 મતો મળ્યા હતા. ઉત્પલ માત્ર 716 મતોથી હાર્યા હતા.

    ન્યૂઝ એઝન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં ભાજપ ઉમેદવારે જીતવા છતાં નિરાશા વ્યક્ત કરી હતી. તેમનો દાવો છે કે ભાજપની કૅડરે તેમના માટે નહીં પરંતુ વિપક્ષ માટે કામ કર્યું છે.

    તેમણે કહ્યું, “જ્યાં સુધી પરિણામની વાત છે તો નિરાશા થઈ છે. મેં ભાજપ અને કૉંગ્રેસ બન્ને સામે લડાઈ લડી છે. મને લાગે છે કે ભાજપ કૅડરે મારો સ્વીકાર કર્યો નથી.”

  6. મણિપુરના મુખ્ય મંત્રી બિરેન સિંહ પોતાની બેઠક પરથી જીત્યા, રાજ્યમાં ભાજપ આગળ

    મણિપુરના મુખ્ય મંત્રી એન. બિરેન સિંહે હિંગાંગ વિધાનસભા બેઠક પર વિજય પ્રાપ્ત કર્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે તેમણે કૉંગ્રેસના ઉમેદવારને 18,271 મતોથી હરાવ્યા છે.

    પત્રકારોએ બિરેનસિંહને મુખ્ય મંત્રીના નામ અંગે સવાલ પૂછ્યો તો તેમણે કહ્યું કે આ નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ લેશે. બિરેનસિંહે કહ્યું, “હજુ અંતિમ નિર્ણય આવવા દો. અમને બહુમત મળશે. એ (મુખ્ય મંત્રીના નામની જાહેરાત) નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ લેશે, મારું કામ છે રાજ્ય માટે કામ કરવાનું.”

  7. પંજાબમાં ભારે લીડ બાદ આમ આદમી પાર્ટીના મુખ્ય મંત્રી પદના ઉમેદવાર ભગવંત માને કહ્યું...

    પંજાબમાં આમ આદમી પાર્ટીને ભવ્ય લીડ મળતા પાર્ટીના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર ભગવંત માને કહ્યું કે આ બેરોજગારી વિરુદ્ધ જનાદેશ છે.

    ભગવંત માને કહ્યું કે "જેમણે આમ આદમી પાર્ટીને વોટ નથી આપ્યો તેમનું પણ સ્વાગત છે. માને કહ્યું કે તેઓ પંજાબના મુખ્ય મંત્રી બનશે અને વોટ આપનારા અને ન આપનારાઓથી તેમની સરકારને કોઈ ફરક નહીં પડે."

    ભગવંત માને કહ્યું, “વિરોધી પાર્ટીઓના નેતાઓએ અરવિંદ કેજરીવાલ અને મારા પર અંગત ટિપ્પણીઓ કરી, ખોટા શબ્દો વાપર્યા. તેમના શબ્દો તેમને મુબારક. તેમને માફ કરી દો પણ હવે બધાએ પોણા ત્રણ કરોડ પંજાબીઓની ઇજ્જત કરવી પડશે.”

    “આપણે મળીને પંજાબ ચલાવવાનું છે. પહેલાં પંજાબ મોટા-મોટા દરવાજાવાળાં ઘરોથી ચાલતું હતું પરંતુ આજ પછી પંજાબ ગામોથી ચાલશે, વૉર્ડોથી ચાલશે, શહેરોથી ચાલશે.”

  8. બ્રેકિંગ, ઉત્તરાખંડમાં પણ ભાજપ ભવ્ય વિજય તરફ, 47 બેઠકો પર આગળ

    70 બેઠકો ધરાવતી ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીનાં પરિણામોનાં વલણોમાં ભાજપ 47 બેઠકો પર આગળ છે.

    ચૂંટણીપંચના તાજેતરના આંકડા પ્રમાણે, કૉંગ્રેસની 18 બેઠકો પર લીડ છે. બીએસપી બે અને અપક્ષ બે બેઠકો પર આગળ છે.

    વોટ શૅરની વાત કરીએ તો અત્યાર સુધીના વલણ પ્રમાણે ભાજપને અંદાજે 44 ટકા મત મળ્યા છે. કૉંગ્રેસની તરફ અંદાજે 39 ટકા મત પડ્યા છે. આ સિવાય બીએસપીના ખાતામાં અંદાજે પાંચ ટકા તો આમ આદમી પાર્ટીના ખાતામાં લગભગ ત્રણ ટકા મત પડ્યા હોવાનું અનુમાન છે.

  9. શું યોગી આદિત્યનાથ વડા પ્રધાન મટીરિયલ છે? શું કહ્યું હેમા માલિનીએ?

    મથુરાથી લોકસભાનાં સાંસદ અને જાણીતાં અભિનેત્રી હેમા માલિનીએ ઉત્તર પ્રદેશમાં ભાજપને મળી રહેલી લીડ અંગે કહ્યું કે "યોગીજીએ મહિલાઓને સુરક્ષા આપી હતી અને તેની ઘણી અસર પડી છે. વિકાસનાં પણ ઘણાં કામ થયાં છે."

    એનડીટીવી સાથેની વાતચીતમાં તેમણે ઉમેર્યું, "વૃંદાવનમાં મેં મારું ઘર બનાવ્યું છે અને હું ઉત્તર પ્રદેશ આવતી રહું છું. લોકો મને એક અભિનેત્રી તરીકે વધારે ઓળખે છે."

    હેમા માલિનીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું યોગી આદિત્યનાથ વડા પ્રધાન મટીરિયલ છે? તો તેના જવાબમાં તેમણે કહ્યું, “હું આ પ્રશ્નનો જવાબ નહીં આપી શકું પરંતુ બન્ને મહાન વ્યક્તિ છે.”

  10. ઉત્તર પ્રદેશમાં '2017 બાદ એક પણ રમખાણ નથી થયું', સીએમ યોગીનો આ દાવો સાચો કેટલો?

  11. પંજાબમાં ભવ્ય વિજય તરફ વધી રહેલ આમ આદમી પાર્ટીના નેતાએ કહ્યું, “હવે કેન્દ્રનો વારો”

    પંજાબ વિધાનસભા ચૂંટણીની મતગણતરીના વલણમાં સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહેલી આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે કહ્યું કે તેમની પાર્ટીના એજન્ડાની જીત છે.

    સંજય સિંહે કહ્યું,"દેશ વૈકલ્પિક રાજકારણ તરફ જોઈ મીટ માંડી રહ્યો છે અને કેજરીવાલની રાજનીતિને લોકો પસંદ કરી રહ્યા છે."

    સંજય સિંહે કહ્યું કે પંજાબના લોકોએ વિકાસ અને સારી કામગીરી માટે મત આપ્યા છે.

    તેમના કહેવા પ્રમાણે આમ આદમી પાર્ટી દેશની ચોથી એવી પાર્ટી બની છે, જેની સરકાર બે રાજ્યોમાં હશે.

    આ પહેલાં દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલની નીતિઓની જીત છે અને આ જીતનો સિલસિલો યથાવત્ રહેશે.

  12. પંજાબમાં આમ આદમી પાર્ટીની જીતને લઈને ગોપાલ ઇટાલિયા સાથે ખાસ વાતચીત

    117 બેઠકો ધરાવતા પંજાબમાં આમ આદમી પાર્ટીના જીત લગભગ નક્કી છે આમ આદમી પાર્ટીએ સંગરૂરની બેઠક પરથી લોકસભાના સાંસદ ભગવંત માનને પાર્ટીના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર બનાવ્યા છે. એવામાં ગુજરાત આપના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આપની જીત અને ભાજપ પર શો નિવેદનો આપ્યાં?

  13. આમ આદમી પાર્ટીને ગોવામાં બે બેઠકો પર જીત મળી: કેજરીવાલ

    દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે ગોવામાં આમ આદમી પાર્ટીને બે બેઠકો પર જીત મળી છે.

    કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું છે કે 'પાર્ટીને ગોવામાં બે બેઠકો પર જીત મળી છે. તમામને શુભકામનાઓ. ગોવામાં આ ઇમાનદાર રાજનીતિની શરૂઆત છે.'

    ગોવામાં કુલ 40 વિધાનસભા બેઠકો છે. ચૂંટણીપંચ અનુસાર, ભાજપ 18 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે અને એક પર જીત મળી છે. આમ આદમી પાર્ટી બે બેઠકો પર આગળ છે. જ્યારે કૉંગ્રેસ એક બેઠક પર જીતી ચૂકી છે અને 10 બેઠકો પર આગળ છે.

  14. ભાજપની જંગી સરસાઈ અંગે સમાજવાદી પાર્ટીએ કહ્યું, હજુ 60 ટકા મતોની ગણતરી બાકી

    ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની મતગણતરીમાં ભાજપ જંગી સરસાઈથી આગળ વધી રહ્યો છે. તમામ 403 બેઠકોનાં વલણ આવી ચૂક્યાં છે અને ચૂંટણીપંચ અનુસાર, ભાજપ 255 બેઠકો પર આગળ છે. સમાજવાદી પાર્ટી 116 બેઠકો પર આગળ ચાલી રહી છે.

    અત્યાર સુધીના વલણ અંગે સમાજવાદી પાર્ટીએ ટ્વીટ કરીને કહ્યું કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીનાં વલણોમાં 100 બેઠકોમાં અંતર 500 મતોથી પણ ઓછું છે. "સમાજવાદી પાર્ટી કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને નેતાઓને અપીલ છે કે તેઓ સતર્ક રહે. જે વિધાનસભા બેઠકો પર સમાજવાદી પાર્ટી ગઠબંધનના ઉમેદવારો આગળ છે, ત્યાંથી માહિતી ખૂબ ધીમી ગતિએ ચૂંટણીપંચની વેબસાઇટ સુધી પહોંચાડવામાં આવી રહી છે."

    અન્ય એક ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, "ચિંતા ન કરો, હજુ પણ 60 ટકા મતોની ગણતરી બાકી છે અને 100 બેઠકો પર અંતર 500 મતોથી પણ ઓછું છે. આપ સૌ અડગ રહો અને અંતિમ પરિણામ સુધી સાવચેત રહો. ગોરખપુર ગ્રામીણ બેઠક પર અત્યાર સુધી 32 હજાર મત ગણાઇ ચૂક્યા છે. જ્યારે ગાઝીપુરમાં હજુ સુધી માત્ર 16 હજાર મતોની જ ગણતરી કરવામાં આવી છે. સમાજવાદી પાર્ટી ગઠબંધનની લીડવાળી બેઠકો પર ગણતરી ધીમી કેમ થઈ રહી છે? ચૂંટણીઆયોગ જવાબ આપે."

  15. LIVE: પંજાબમાં આમ આદમી પાર્ટી વિજય તરફ વધતા ગુજરાતમાં ઉજવણી

    પંજાબમાં આમ આદમી પાર્ટી વિજય તરફ આગળ વધી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા તેની ઉજવણી કરવામાં આવી રહી છે. જુઓ ઉજવણીના લાઇવ દૃશ્યો બીબીસી સંવાદદાતા સાગર પટેલ સાથે...

  16. LIVE: લખનૌસ્થિત ભાજપ કાર્યાલય બહાર ઉજવણીના દૃશ્યો

    ઉત્તર પ્રદેશના ચૂંટણી પરિણામોનાં વલણોમાં ભાજપ આગળ વધતાં લખનૌસ્થિત ભાજપ કાર્યાલય બહાર ઉજવણીનો માહોલ. જુઓ બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા અને કૅમેરામેન પવન જયસ્વાલ સાથે....

  17. બ્રેકિંગ, મણિપુરની બે અને ગોવાની એક બેઠકનું પરિણામ જાહેર

    હાલમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીની મતગણતરી યોજાઈ રહી છે. ત્યારે મણિપુરની બે બેઠકો અને ગોવાની એક બેઠકનું પરિણામ જાહેર થઈ ગયું છે.

    ચૂંટણીપંચ પ્રમાણે, મણિપુરની તિપાઇમુખ બેઠક પરથી જનતાદળ (યુનાઇટેડ)ના ઉમેદવાર ગુરસંગલુર સનાતે 1249 મતોની સરસાઈથી વિજય થયા છે.

    જ્યારે વાબગાઈ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડૉ. ઉશમસિંહ માત્ર 50 મતોથી વિજય થયા છે.

    આ ઉપરાંત ગોવાની કાલિંગટ બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર માઇકલ વિન્સૅન્ટ લોબોએ ભાજપના ઉમેદવાર જૉસેફ રૉબર્ટ સેક્વેરાને 4979 મતોની સરસાઈથી હરાવ્યા છે.

  18. ચૂંટણી પરિણામના વલણને લઇને નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું...

    પંજાબ વિધાનસભા ચૂંટણીની મતગણતરીના આવી રહેલાં વલણોને લઈને પંજાબ કૉંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુએ ટ્વીટ કર્યું છે કે 'લોકોનો અવાજ ભગવાનનો અવાજ છે.'

    તેમણે લખ્યું છે કે તેઓ પંજાબની જનતાનો જનાદેશ વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરે છે. આ સાથે તેમણે આમ આદમી પાર્ટીને અભિનંદન પણ પાઠવ્યાં હતાં.

    પંજાબનાં ચૂંટણીપરિણામોનાં વલણોમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે.આપ 90 બેઠકો પર આગળ છે. જ્યારે સત્તારૂઢ કૉંગ્રેસ ગઠબંધન 18 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.

    117 બેઠકો ધરાવતી વિધાનસભામાં બહુમતનો આંકડો 59 બેઠકોનો છે.

  19. ઉત્તર પ્રદેશ ચૂંટણી: ભાજપને બહુમતી તરફ વધતાં લખનૌમાં ઉજવણીનાં દૃશ્યો

    ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની મતગણતરીનાં વલણોમાં ભાજપ સૌથી આગળ હોવાથી લખનૌસ્થિત ભાજપ કાર્યાલય ખાતે ભાજપ કાર્યકર્તાઓ ઉજવણી કરતા નજરે પડ્યા છે.

    વલણોમાં ભાજપ 250 બેઠકોનો આંકડો પાર કરી ચૂકી છે અને સમાજવાદી પાર્ટી 100 બેઠકો પર પહોંચી છે.

  20. પંજાબ ચૂંટણીને લઇને કેજરીવાલે કહ્યું, ઇન્કલાબ માટે પંજાબના લોકોને શુભકામનાઓ

    દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પાર્ટીના સાંસદ અને પંજાબમાં પાર્ટીના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર ભગવંત માન સાથે એક તસવીર ટ્વીટ કરી છે.

    કેજરીવાલે ટ્વીટમાં લખ્યું છે કે, “આ ઇન્કલાબ માટે પંજાબના લોકોને ઘણી શુભકામનાઓ.”