અદાણી મામલે રાહુલ ગાંધીએ સંસદમાં વડા પ્રધાન મોદી પર નિશાન સાધતા શું કહ્યું?
કૉંગ્રેસની રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર અદાણી સમૂહને ખોટી રીતે મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકારે સરકારી સંસાધનો મારફતે અદાણી સમૂહનો કારોબાર આગળ વધારવામાં મદદ કરી છે.
અદાણી મામલે થયેલી ચર્ચામાં તેમણે મંગળવારે લોકસભામાં આ આરોપ લગાવ્યા. રાહુલ ગાંધીએ દેશની વિદેશનીતિને અદાણીનો કારોબાર વધારવા માટેની નીતિ ગણાવી.
તેમણે આરોપ લગાવ્યો છે કે આજે દેશમાં ઍરપૉર્ટ મૅનેજમૅન્ટમાં અદાણી સમૂહનો ભાગ 30 ટકા અને ઇઝરાયલ સાથે સંરક્ષણ કારોબારમાં 90 ટકા સુધી છે, જે મોદી સરકારની ‘સીધી મદદ’ના કારણે થયું છે.
ગાંધીએ કહ્યું વડા પ્રધાન જ્યારે ઑસ્ટ્રેલિયા જાય છે, તો એસબીઆઈ તેમને એક અબજ ડૉલરની લૉન આપે છે.
તેમણે કહ્યું કે મોદીજીની પ્રથમ યાત્રા બાંગ્લાદેશની થાય છે, ત્યારે ખબર પડે છે કે ત્યાં 1500 મેગાવૉટ વીજળી વેચવાની સમજૂતી થાય છે, એ પ્રોજેક્ટ અદાણીને આપી દેવાય છે.
તેમણે આરોપ લગાવ્યો કે 2022માં શ્રીલંકાના ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચૅરમૅને સંસદીય સમિતિ સામે એક ખૂલી સુનાવણીમાં દાવો કર્યો છે કે તત્કાલીન રાષ્ટ્રપતિ રાજપક્ષાએ તેમને કહ્યું કે તેમના પર વડા પ્રધાન મોદીનું દબાણ છે અને આ પ્રોજેક્ટ અદાણીને આપી દેવાય.
એલઆઈસીનાં નાણાં અદાણીના શૅરોમાં રોકવાનો વિરોધ કરતાં તેમણે કહ્યું કે તેમના શૅર ખૂબ ‘વૉલેટાઇલ’ છે. તેમ છતાં સરકારે 36 હજાર કરોડ રૂપિયા અદાણી સમૂહની કંપનીઓમાં નાખી દીધા.
તેમણે આરોપ લગાવ્યો કે સરકારી બૅંકોએ હજારો કરોડ રૂપિયાની લૉન અદાણી સમૂહને આપી, જેનાથી સમૂહનો કારોબાર આગળ વધ્યો.
સત્તા પક્ષે કર્યો વિરોધ
રાહુલ ગાંધી જ્યારે આ આરોપ લગાવી રહ્યા હતા ત્યારે ભાજપના ઘણા સાંસદોએ વિરોધ કર્યો.
સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે તમે વડા પ્રધાન પર આરોપ લગાવી રહ્યા છો, તમે આરોપોના પુરાવા આપો અને જણાવો કે મોદી સરકારે કયા નિયમ બદલી દીધા.
તેમણે આરોપ લગાવ્યો કે કૉંગ્રેસ સરકારે દરમિયાન જીએમઆર અને જીવીકે કંપની પાસે ઍરપૉર્ટ મૅનેજમૅન્ટનો કેટલો અનુભવ હતો, તેમ છતાં તેમને કૉન્ટ્રેક્ટ આપી દેવાયા.
તેમજ સંસદીય કાર્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે તમે પોતાના આરોપોને પ્રમાણિત કરો. તેમણે ગાંધી પર આરોપ લગાવ્યો કે તેઓ નિરાધાર આરોપ લગાવી રહ્યા છે.
તેમજ રવિશંકર પ્રસાદે નિયમોનો હવાલો આપતાં કહ્યું કે પુરાવા વગર ગૃહમાં ગમે એ વ્યક્તિ પર આરોપ ન લગાવી શકાય. તેમણે માગ કરી કે ગાંધીના આરોપોને રેકર્ડમાં સામેલ ન કરવામાં આવે.