You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

વાયુ વાવાઝોડું : સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ

હવામાન વિભાગ મુજબ વાયુ વાવાઝોડું ઓમાન તરફ વળ્યું, આગામી 24 કલાક અસર કાયમ

લાઇવ કવરેજ

  1. વાવાઝોડા મામલે વિજય રૂપાણીની સમીક્ષા

    ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વીડિયો કૉન્ફરન્સ મારફતે રાજ્યની વાવાઝોડા મામલેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

    વિજય રૂપાણીએ સંબંધિત અધિકારીઓને વાવાઝોડાને લઈને વિવિધ સૂચનાઓ પણ આપી હતી.

    ઉપરાંત તેમણે હાલ રાજ્યમાં લોકોની સ્થળાંતરની પ્રક્રિયા ચાલી રહી છે તેના વિશે પણ વાત કરી હતી.

    બંદર પરની તૈયારીઓ અને માછીમારોની સ્થિતિને લઈને પણ વિજય રૂપાણીએ અધિકારીઓ સાથે વાત કરી હતી.

  2. લોકોનું સ્થળાંતર : આ રીતે લોકોને સલામત સ્થળે લઈ જવાઈ રહ્યા છે

    વાવાઝોડાના ખતરાને જોતા લોકોને ગામડાંઓમાંથી આ રીતે સલામત સ્થળે ખસેડાઈ રહ્યાં છે.

  3. ગુજરાતમાં દરિયો તોફાની બન્યો, ઊંચા મોજાં ઊછળવાનું શરૂ, જુઓ વીડિયો

  4. NDRFની ટીમો ગુજરાતનાં ગામડાંઓમાં

    હાલ ગુજરાતના ગામડાઓમાં લોકોને સમજાવીને સલામત સ્થળે ખસેડવા માટે એનડીઆરએફની ટીમ કવાયત કરી રહી છે.

    એનડીઆરએફના ડિરેક્ટર જનરલે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

    પોરબંદર જિલ્લો દરિયાકાંઠે આવેલો હોવાથી અહીં વાવાઝોડાની સીધી અસર થવાની છે. જેથી અહીં વાવાઝોડા પહેલાં જ તંત્ર સતર્ક થઈ ગયું છે.

    આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.

  5. ગુજરાતમાં ક્યાં છે કેવી તૈયારી? કઈ જગ્યાએ લોકોને ખસેડાયા?

    હાલ પોરબંદર જિલ્લામાં લોકોને ખસેડવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. અહીં એનડીઆરએફની ટીમો લોકોને સલામત સ્થળે લઈ જવા માટે ગામડાંઓમાં ફરી રહી છે.

    આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં એનડીઆરએફની 3 અને એસડીઆરએફની 4 ટીમોને તહેનાત કરવામાં આવી છે. અહીં પણ લોકોનું સ્થળાંતર શરૂ કરી દેવામાં આવ્યું છે.

    દીવ અને વેરાવળમાં પણ એનડીઆરએફની ટીમોને તહેનાત કરી દેવામાં આવી છે અને દરિયાકાંઠાના લોકોનું સ્થળાંતર શરૂ કરી દેવાયું છે.

    ભાવનગર અને અમરેલી જિલ્લામાં પણ કલેક્ટર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને જરૂર પડે ત્યાં લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી આરંભી દેવામાં આવી છે.

    ગુજરાતના વહાણો ભાંગવા માટે જાણીતા અલંગમાં પણ હાલ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.

    જામનગરમાં એનડીઆરએફની 3 ટીમો તહેનાત કરવામાં આવી છે અને અહીં ફૂડ પૅકેટ્સ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. જરૂર પડ્યે લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

  6. મુંબઈમાં વાવાઝોડાની કોઈ અસર નહીં થાય

    મુંબઈના સ્થાનિક હવામાન ખાતાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આવી રહેલા વાવાઝોડાની મુંબઈમાં કોઈ અસર નહીં થાય.

    અધિકારીના જણાવ્યા પ્રમાણે મુંબઈમાં માત્ર હળવો વરસાદ થઈ શકે છે પરંતુ ઝડપી પવન ફૂંકાવાની કોઈ શક્યતા નથી.

    વાવાઝોડું ગુજરાતના 10 જિલ્લા, 31 તાલુકા અને 408 ગામોને સીધી જ અસર કરશે.

    રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે આશરે 60 લાખ લોકો આ વાવાઝોડાના કારણે પ્રભાવિત થશે.

  7. દરિયા તોફાની બન્યા, પ્રવાસીઓને સલામત સ્થળે જવાની સૂચના

    વાયુ વાવાઝોડું વેરાવળના દરિયાકિનારાથી હવે 340 કિલોમિટર દૂર છે અને ગુરુવારે તે ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે.

    આ પહેલાં હાલ દ્વારકા અને વેરાવળ પાસે દરિયો તોફાની બની રહ્યો છે.

    આ સાથે જ પ્રવાસીઓને સૂચના આપી દેવામાં આવી છે કે તેઓ સલામત સ્થળે ખસી જાય.

    દ્વારકા, દીવ, સોમનાથ, કચ્છમાં આવતા પ્રવાસીઓ માટે વાવાઝોડાને લઈને તકેદારીની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.

  8. અમરેલી : કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ, લોકોનું સ્થળાંતર શરૂ

    અમરેલી જિલ્લામાં વાયુ વાવાઝોડાના પગલે વરસાદ શરૂ થઈ ગયો છે અને લોકોનું સ્થળાંતર પણ શરૂ કરી દેવાયું છે.

    અમરેલીના કલેક્ટરના જણાવ્યા પ્રમાણે લોકોને સલામત જગ્યાએ ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

    વાયુ વાવાઝોડાની સીધી અસર અમરેલી જિલ્લા પર પણ થવાની છે.

  9. વાવાઝોડું આવે ત્યારે કઈ રીતે બચશો?

    વાયુ વાવાઝોડાને લઈને હાલ સરકારે કામગીરી આરંભી દીધી છે. એ ઉપરાંત લોકોને ખસેડવાની પણ કામગીરી શરૂ થઈ છે. ત્યારે અહીં જાણો કે વાવાઝોડું આવે ત્યારે કેવી રીતે બચવું? જુઓ વીડિયો

  10. વાવાઝોડું વેરાવળથી 340 કિલોમિટર દૂર, 150 કિમી/કલાકની ઝડપે ફૂંકાશે પવન

    હવામાન વિભાગ તરફથી મળતી હાલની માહિતી પ્રમાણે વાયુ વાવાઝોડું હાલ વેરાવળના દરિયાકિનારાથી 340 કિલોમિટર દૂર છે.

    આ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને તે પોરબંદર અને મહુવા તથા દીવ અને વેરાવળ પાસે દરિયાકિનારે ત્રાટકશે.

    જે બાદ તે જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથથી થઈને કચ્છ તરફ આગળ વધશે.

    હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પવનની ગતિ પ્રતિ કલાકના 140થી 150 કિલોમિટર સુધી રહેવાની સંભાવના છે.

    પવનની ગતિ વધીને 165 કિલોમિટર થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે, વાવાઝોડું કચ્છ સુધી પહોંચતાની સાથે જ નબળું પડવા લાગશે.

  11. વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં તંત્ર સજ્જ

    વલસાડના 3 તાલુકાનાં 20થી વધુ ગામોમાં પોલીસનું પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.

    10 જેટલી પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી છે તો 10 જેટલી ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

    જે 20 ગામોમાં અસર થવાની છે તે ગામોના લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવશે.

    ઉમરગામનાં 5, વલસાડનાં 5, પારડીનાં 3 ગામો અને દમણનાં ગામોને વધુ અસર થવાની શક્યતા છે.

    જેને લઈને વલસાડ અને દમણમાં તંત્ર ખડે પગે છે અને રેસ્ક્યુ તેમજ ફાયર ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

  12. દીવ અને જાફરાબાદમાં વરસાદ શરૂ

    વાયુ વાવાઝોડાને લઈને દીવ અને જાફરાબાદ સહિત દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમા વરસાદ શરૂ થઈ ગયો છે.

    હવામાન વિભાગે વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

    આ સાથે જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી લોકોને ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

    દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા લોકોને સૌથી પહેલાં ખસેડવામાં આવી રહ્યાં છે.

  13. વાવાઝોડા માટે ક્યાં કેવી છે તૈયારી?

    રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલના કહેવા પ્રમાણે એનડીઆરએફ ઉપરાંત આર્મીની 11 ટીમો તહેનાત કરવામાં આવશે. આર્મીની 23 ટીમોને સ્ટેન્ડ બાય રખાશે.

    • BSFની બે ટીમોને પણ તહેનાત કરવામાં આવશે.
    • ગુજરાત પોલીસની સારી રીતે ટ્રેનિંગ પામેલી SDRFની ટીમોને તહેનાત કરવામાં આવશે.
    • કુલ 34 ટીમોને તહેનાત કરવામાં આવશે જ્યારે 27 ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે.
    • આ ટીમો બોટ, ઉપરાંત રસ્તા પર પડેલાં ઝાડ દૂર કરવા, રસ્તાઓ ચાલુ કરાવવા અને લોકોને બચાવવાની ક્ષમતા સાથે સજ્જ હશે.
    • આ ઉપરાંત 100 કરતાં વધારે JCB પણ તૈયાર રાખવામાં આવ્યાં છે.
  14. 140થી 150 કિમીની ઝડપથી ફૂંકાશે પવન

    ભારતના હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે 'વાયુ' વાવાઝોડું ગુજરાતના પોરબંદર અને મહુવાના તથા દીવ અને વેરાવળ પાસેના દરિયાકિનારે ત્રાટકશે.

    હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ વાવાઝોડું અતિ તીવ્ર ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે. જેથી ગુરુવારે જ્યારે તે ગુજરાત પર આવશે ત્યારે પવનની ઝડપ પ્રતિ કલાક 140થી 150 જેટલી હોવાની સંભાવના છે.

    હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે પવનની ઝડપ વધીને પ્રતિ કલાક 165 કિલોમિટર પણ થઈ શકે છે.

  15. ગીર-સોમનાથ, જામનગરમાં તૈયારીઓ શરૂ

    જામનગરના કલેક્ટરે સંબંધિત અધિકારીઓ સાથે વાવાઝોડા મામલે બેઠક કરી હતી અને પૂર્વ તૈયારીઓની સૂચનાઓ પણ આપી હતી.

    વિજયવાડાથી એનડીઆરએફની ટીમો મંગળવારે જામનગર પહોંચી હતી. આ ટીમોને ભારતીય વાયુસેનાના વિમાનમાં લાવવામાં આવી હતી.

    આ ઉપરાંત ગીર સોમનાથના કલેક્ટરે પણ ટ્વીટ કરીને પ્રવાસીઓને આવનારા કેટલાક દિવસો સુધી સોમનાથ ન આવવાની સલાહ આપી હતી.

    જેમણે બુકિંગ કરાવી દીધાં છે તેમને રદ કરાવવા તથા હાલ પૂરતાં મોકૂફ રાખવાની અપીલ કરી હતી.

  16. આંધ્ર પ્રદેશના વિજયવાડાથી જામનગર આવી એનડીઆરએફની ટીમો

    રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલના જણાવ્યા પ્રમાણે વાયુ વાવાઝોડાના પગલે હાલ રાજ્યમાં 11 એનડીઆરએફની ટીમોને તહેનાત કરી દેવામાં આવી છે. ઉપરાંત અન્ય ટીમો આજે રાજ્યમાં પહોંચશે.

    મંગળવારે વિજયવાડાથી ભારતીય વાયુસેનાના વિમાનમાં એનડીઆરએફની ટીમોને જામનગર લાવવામાં આવી હતી.

    આ અંગે ભારતીય વાયુસેનાએ ટ્વીટ કરીને માહિતી હતી. આ ટીમ હવે ગુજરાતમાં બચાવ અને રાહત કામગીરીમાં જોડાશે.

  17. વિજય રૂપાણીએ વાવાઝોડાની તૈયારીઓ અંગે માહિતી આપી

    ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડા પહેલાં કેવી તૈયારી કરવામાં આવી છે, તે અંગે જાણકારી આપી છે.

    ઉપરાંત તેમણે અસરગ્રસ્ત વિસ્તારના લોકોને ઊભા કરવામાં આવેલા શેલ્ટર હાઉસમાં ખસી જવાની અપીલ કરી હતી.

    તેમણે કહ્યું કે જ્યાં વાવાઝોડું આવવાનું છે તે વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે અને શાળા પ્રવેશોત્સવ રદ કરવામાં આવ્યો છે.

    રૂપાણીએ પ્રવાસીઓને પણ પ્રવાસન સ્થળોથી સલામત સ્થળોએ પહોંચવાની અપીલ કરી હતી.

  18. સૌરાષ્ટ્ર-કચ્છ પર વાવાઝોડાનો ખતરો

    ગુજરાત પર વાયુ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. આ વાવાઝોડાથી સૌરાષ્ટ્ર અને કચ્છને સૌથી વધારે નુકસાન થવાની ભીતિ છે.

    અરબ સાગરમાં ઊભું થયેલું ડિપ ડિપ્રેશન મંગળવારે ચક્રવાતમાં ફેરવાઈ ગયું હતું અને તે ગુરુવાર સુધીમાં તીવ્ર ચક્રવાતમાં ફેરવાઈ જાય તેવી શક્યતા છે.

    હવામાન વિભાગના કહેવા પ્રમાણે 'વાયુ' વાવાઝોડું ગુરુવારે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે.

    હાલ આ વાવાઝોડું વેરાવળના દરિયાકિનારાથી 420 કિલોમિટર દૂર છે અને તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

    ગુજરાતના 10 જિલ્લાઓનાં 408 ગામોને આ વાવાઝોડાની સીધી અસર થશે.