You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

વાયુ વાવાઝોડું : સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ

હવામાન વિભાગ મુજબ વાયુ વાવાઝોડું ઓમાન તરફ વળ્યું, આગામી 24 કલાક અસર કાયમ

લાઇવ કવરેજ

  1. અલંગના દરિયાનું રૌદ્ર સ્વરૂપ

    અલંગ ખાતે દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું, 20 ફૂટથી પણ વધારે ઊંચાં મોજાં જોવાં મળ્યાં હતાં.

    અલંગના શિપયાર્ડની કામગીરી બે દિવસ માટે બંધ રાખવામાં આવી છે.

  2. કઈ રીતે આગળ વધી રહ્યું છે વાવાઝોડું, જુઓ લાઇવ

    'વાયુ' વાવાઝોડું કઈ રીતે આગળ વધી રહ્યું છે તે આ વીડિયોમાં જોઈ શકાશે.

    વાવાઝોડાની દિશા છેલ્લા કેટલાક કલાકોમાં બદલાઈ છે, પણ હજી સુધી ખતરો યથાવત છે.

  3. થાંભલા ધરાશાયી

    દીવ-સોમનાથ હાઈવે પર થાંભલા ધરાશાયી થઈ ગયા હતા, જેને પગલે તંત્ર દ્વારા તેને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

  4. વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં ફૂંકાતો પવન

    'વાયુ' વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી રહી છે.

    વલસાડ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.

  5. NDRFની 52 ટુકડીઓ તૈયાર

    વાવાઝોડાને પગલે કોઈ પણ ઘટના ઘટે તો નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (એનડીઆરએફ)ની 52 ટુકડીઓ તૈયાર છે.

    એનડીઆરએફ દ્વારા તેમની ટુકડીઓની તસવીરો ટ્વીટ કરવામાં આવી હતી.

  6. વાવાઝોડું પોરબંદરથી 130 કિમી દૂર

    હવામાન વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર 'વાયુ' વાવાઝોડું હવે પોરબંદરની દક્ષિણે 130 કિલોમિટર જેટલું દૂર છે, જ્યારે વેરાવળથી 110 કિલોમિટર દૂર છે.

    વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાઈ તટ પાસેથી બપોર સુધીમાં પસાર થઈ શકે છે.

  7. 10 જિલ્લાઓમાંથી સ્થળાંતર કરાયું

    મોરબી, ભાવનગર, જૂનાગઢ, ગીર-સોમનાથ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, કચ્છ, પોરબંદર, રાજકોટ તથા અમરેલીમાંથી 2 લાખ 75 હજાર કરતાં વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

    દેવભૂમિ-દ્વારકામાંથી જ 54 હજાર અને પોરબંદરમાંથી 40 હજારથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

  8. બ્રેકિંગ, વાવાઝોડું વેરાવળથી માત્ર 110 કિમી દૂર

    વાયુ વાવાઝોડાનો ખતરો હજી ગુજરાત પરથી ટળ્યો નથી અને વાવાઝોડું આગળ વધી રહ્યું છે.

    હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને સ્પર્શીને આગળ વધશે.

    હાલ વાયુ વાવાઝોડું વેરાવળથી 110 કિલોમિટર અને પોરબંદરથી 150 કિલોમિટર દૂર છે.

    સૌ પ્રથમ વાવાઝોડું ગુજરાતના મહુવા અને વેરાવળ વચ્ચે ત્રાટકવાનું હતું, જે બાદ તેની દિશામાં ફેરફાર થયો અને તે વેરાવળ તથા દ્વારકાના દરિયાકિનારે ત્રાટકવાનું હતું.

    જોકે, તેની દિશા વધારે ફંટાતા હવે તે માત્ર સૌરાષ્ટ્રના દરિયાકિનારાને જ સ્પર્શ કરશે.

  9. સ્થળાંતર માટે છ વિશેષ ટ્રેન કાર્યરત

    પશ્ચિમ રેલવેએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે વાવાઝોડાને પગલે લોકોને સ્થળાંતરિત કરવા માટે છ વિશેષ ટ્રેન કાર્યરત છે.

    અત્યાર સુધી રાજ્યમાંથી 2 લાખ 75 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

  10. દરિયામાં ભારે મોજાં

    પોરબંદરના દરિયાકાંઠે સવારથી ઊંચાં મોજાં ઊછળતાં જોવાં મળ્યાં હતાં.

    વાવાઝોડાની દિશા પલટાઈ છે પણ હજી ખતરો ટળ્યો નથી.

    આજે બપોર સુધીમાં પોરબંદર, વેરાવળ પાસેથી વાવાઝોડું પસાર થશે.

  11. સરકાર હજી ઍલર્ટ : અધિક મુખ્ય સચિવ

    વાવાઝોડાની દિશા બદલાઈ એ પછી રાજ્યના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે સરકાર હજી પણ એટલી જ ઍલર્ટ રહીને કામ કરી રહી છે. લોકોએ હજી પણ સુરક્ષિત વિસ્તારમાં જ રહેવું જોઈએ.

  12. બ્રેકિંગ, વાવાઝોડું વેરાવળથી 110 કિમી દૂર

    હવામાન વિભાગ દ્વારા અપાતી માહિતી પ્રમાણે 'વાયુ' વાવાઝોડું વેરાવળથી દક્ષિણ-પશ્ચિમમાં 110 કિલોમિટર, દીવથી 150 કિલોમિટર અને પોરબંદરની દક્ષિણે 150 કિલોમિટર દૂર છે.

    વાવાઝોડું આજે બપોરે અહીંના કાંઠા વિસ્તારને સ્પર્શીને પસાર થાય એવી આગાહી છે.

  13. વાવાઝોડાની દિશા આ રીતે બદલાઈ

    ગુજરાત તરફ આવતા વાવાઝોડાની દિશા કઈ રીતે બદલાઈ ગઈ એ હવામાન વિભાગની આ ઇમેજમાં જોઈ શકાય છે.

    જોકે હવામાન વિભાગ દ્વારા એવું જણાવવામાં આવે છે કે હજી સુધી ખતરો ટળ્યો નથી.

    વાવાઝોડું દરિયાઈ તટને સ્પર્શીને પસાર થવાનું હોવાથી તેની અસર જોવા મળશે.

  14. પોરબંદરમાં NDRFની છ ટીમ સ્ટેન્ડબાય

    એનડીઆરએફની છ ટીમને પોરબંદરના ચોપાટી બીચ પર સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

    'વાયુ' વાવાઝોડાની દિશા બદલાઈ હોવા છતાં હજી ખતરો ટળ્યો નથી.

  15. ખતરો હજી ટળ્યો નથી : હવામાન વિભાગ

    આઈએમડી, અમદાવાદના મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે સમગ્ર સૌરાષ્ટ્ર તથા કચ્છના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડશે.

    તેમણે એવું પણ જણાવ્યું હતું કે વાવાઝોડાને પગલે દક્ષિણ ગુજરાતમાં પણ હળવાં વરસાદી ઝાપટાંની શક્યતા છે.

    તેમણે એવું પણ જણાવ્યું હતું કે દિશા બદલાઈ રહી હોવા છતાં ખતરો હજી યથાવત છે, કારણ કે સૌરાષ્ટ્રના કેટલાક પ્રદેશમાં ભારે વરસાદ વરસશે અને પવન પણ ફૂંકાશે.

  16. બ્રેકિંગ, વાવાઝોડું ગુજરાત પર નહીં ત્રાટકે, પણ અસર દેખાશે : હવામાન વિભાગ

    હવામાન વિભાગના અમદાવાદ સ્થિત વૈજ્ઞાનિક મનોરમા મોહંતી જણાવે છે કે 'વાયુ' વાવાઝોડું ગુજરાત પર નહીંં ત્રાટકે. વેરાવળ, પોરબંદર અને દ્વારકા પાસેથી પસાર થઈ જશે.

    જોકે તેમણે એવું પણ જણાવ્યું છે કે દરિયાકાંઠાના પ્રદેશમાં વાવાઝોડાની અસરરૂપે પવન ફૂંકાશે અને ભારે વરસાદી ઝાપટાં પણ જોવાં મળશે.

  17. વેરાવળથી 130 કિમી અને પોરબંદરથી 180 કિમી દૂર

    હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાયુ વાવાઝોડું વેરાવળના દરિયાકાંઠાથી 130 કિલોમિટર તથા પોરબંદરના દરિયાકાંઠાથી 180 કિલોમિટર દૂર છે.

    જોકે હવામાન વિભાગનું એવું પણ કહેવું છે કે છેલ્લા છ કલાકમાં વાવાઝોડાની દિશામાં ફેરફાર જોવા મળ્યો છે.

  18. બ્રેકિંગ, ગુજરાતના તટને અડીને નીકળી જશે 'વાયુ' : હવામાન વિભાગ

    હવામાન વિભાગે જણાવ્યું છે કે છ કલાકમાં વાયુ વાવાઝોડાની દિશામાં ફેરફાર જોવા મળ્યો છે. હાલની સ્થિતિ જોતા એમ લાગે છે કે 135-145 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપના પવન સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ તટને અડીને વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ તરફ નીકળી જશે.

  19. કોંકણના તમામ બીચ બંધ

    મહારાષ્ટ્રમાં અરબ સાગરના કાંઠા વિસ્તારોમાં પણ વાયુ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.

    આગાહી કરવામાં આવી છે કે 12 અને 13 તારીખે મહારાષ્ટ્રના દરિયા વિસ્તારમાં ભરતી આવશે તથા સામાન્ય કરતાં ઊંચાં મોજાં ઊછળશે.

    જેને પગલે કોંકણ પ્રદેશના તમામ બીચ સામાન્ય લોકો માટે બંધ રાખવામાં આવ્યા છે.

  20. 70 ટ્રેન રદ કરાઈ

    વાવાઝોડાને પગલે 70 ટ્રેન રદ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે 28 જેટલી ટ્રેનના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

    એમ કુલ 98 ટ્રેનને વાયુ વાવાઝોડાને પગલે અસર થઈ છે.