'મેં ભાલો ફેંક્યો ને મારી મિત્રનું મૃત્યુ થયું', એક 'ભૂલ'થી કઈ રીતે બરબાદ થઈ બે મિત્રોની જિંદગી?

પ્રકાશિત

દુર્ઘટનાના દિવસે, લિસ કેશિન ઉત્સાહમાં વહેલા જાગી ગયાં હતાં. 1983 ની વાત હતી, લિસ માત્ર 13 વર્ષનાં હતાં અને તેમની શાળાની ભાલા ફેંક સ્પર્ધામાં પસંદગી કરવામાં આવી હતી. લિસ મેડલ મેળવવાનાં હક્કદાર હતાં.

પરંતુ તે દિવસે બપોરે તેમનું જીવન હંમેશ માટે બદલાઈ ગયું.

તે કહે છે, "મેં ભાલો ઉપાડ્યો, ઊંડો શ્વાસ લીધો અને સંપૂર્ણ તાકાત લગાવીને ભાલો ફેંક્યો."

ભાલો ફેંકવા માટેની દોડની છેલ્લી ક્ષણે ભાલો જમણી તરફ વળ્યો અને તેમની મિત્ર સેમી તરફ ફંટાયો.

લિસ કહે છે, "મેં જોયું કે ભાલો તેના માથામાં બરોબર ડાબી આંખની ઉપર વાગ્યો. સેમી ઢળી પડી અને લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું."

સહેજ અટકીને લિસ કહે છે, "હું બે હાથમાં માથું રાખીને ઘૂંટણિયે પડી ગઈ. જે થયું તેની મને કલ્પના પણ નહોતી."

ઇજાગ્રસ્ત સેમી ચાર દિવસની સારવારને અંતે મૃત્યુ પામ્યાં.

દાયકાઓ સુધી લિસ કેશિને તેના મિત્રના મૃત્યુ માટે પોતાની જાતને સખત દોષી ઠરાવતાં રહ્યાં. બસ, માત્ર બહારથી સામાન્ય હોવાનો પ્રયત્ન કર્યે રાખ્યો.

આ સ્થિતિમાં અપરાધબોધમાંથી કેવી રીતે બહાર આવવું?

મીડિયાની કાગારોળ

અકસ્માતના સમાચાર તમામ મીડિયામાં ચમક્યા. આ દરમિયાન લિસનો પરિવાર તેમને મીડિયાથી રૂબરૂ થતાં બચાવતો રહ્યો.

લિસ કહે છે કે ખરેખર કોઈ નહોતું જાણતું કે આ સ્થિતિમાં શું કરવું. આમ લિસ માટે આ સ્થિતિમાંથી બહાર આવવાની એકલ લડાઈ બની રહી.

તે સમયે લિસના અને તેમના સાવકા પિતાના સંબંધો પણ તંગ હતા, સેમીના અંતિમ સંસ્કારમાંથી પાછા ફરતા સમયે લિસને તેમના પિતાએ કહ્યું કે પીડિતાનું નામ ઘરે હવે ક્યારેય નહીં લેવું.

આમ લિસ પિતા પાસેથી કોઈપણ પ્રકારની મદદ લેવા માટે અસમર્થ તો હતાં જ, સાથે તેઓ ઘરે તેના વિશે વાત કરવામાં પણ અસમર્થ હતાં.

પોસ્ટટ્રૉમૅટિક સ્ટ્રેસ

લિસ પોસ્ટ ટ્રૉમૅટિક સ્ટ્રેસના શિકાર બન્યાં પરંતુ વર્ષો સુધી તેનું નિદાન થયું ન હતું.

પોસ્ટ-ટ્રૉમૅટિક સ્ટ્રેસ એ એક માનસિક સ્થિતિ છે જે ઝંઝાવાતી ભૂતકાળ, અનિદ્રા અને ભારે લાગણીના તણાવ સાથે જોડાયેલી હોય છે.

તત્કાલ આઘાત પછી સેમીનું મૃત્યુ પોતાની ભૂલનું પરિણામ નહોતું એવા તપાસના તારણ પછી પણ લિસે દાયકાઓ સુધી પોતાની જાતને દોષી ઠેરવવાનું ચાલુ રાખ્યું હતું.

લાંબા સમય સુધી તેમણે સ્વસ્થ હોવાનો ડોળ કર્યે રાખ્યો જ્યારે વાસ્તવમાં તેઓ તીવ્ર માનસિક અજંપો અનુભવી રહ્યાં હતાં.

બદલાવ

લિસે તેની ટ્રૉમા થૅરપી 47 વર્ષની ઉંમરે શરૂ કરી. તેમને ધીમે ધીમે ખ્યાલ આવવા લાગ્યો કે સેમીનું મૃત્યુ એ તેમની ભૂલ નહોતી.

લિસ કહે છે, "તે ઉપચાર પછી મારા ખભેથી ભાર ઊતારી ગયો એવું લાગ્યું. જે ક્ષણે મને સમજાયું કે મેં કંઈ ખોટું કર્યું નથી, ત્યારે મને એ પણ સમજાયું કે બધી પીડા અને વેદના મારા માટે ઊભી કરી હતી."

પત્રકાર અને યુકે-સ્થિત ચેરિટી ધ ફરગિવનેસ પ્રોજેક્ટનાં સ્થાપક મરિના કેન્ટાક્યુઝિનો કહે છે, "મને રૂમની અંદર એટલી પીડા ક્યારેય અનુભવાતી નથી જેટલી જ્યારે હું પોતાની જાતને માફી આપવા વિશે લોકો સાથે વાત કરું છું ત્યારે થાય છે."

મરિના લોકોને જાતને માફી આપવા અને બદલાની ભાવનામાંથી મુક્ત થવા માટે મદદરૂપ થવા પીડિતો અને ગુનાખોરોની વાસ્તવિક વાર્તાઓનો ઉપયોગ કરે છે.

મરિના ઉમેરે છે, "જ્યારે હું લોકોને બીજાઓને માફી આપવા વિશે સમજાવું છું તેના કરતાં અનેકગણી વધારે મહેનત સ્વ-ક્ષમા માટે કરવી પડે છે."

તેઓ સમજાવે છે, "જે લોકો ઘણીવાર પોતાને પિછાણવાનો પ્રયાસ કરે છે તેમના માટે લિસ એક ઉત્તમ ઉદાહરણ છે. પોતાને માફ કરવામાં અને તેનાથી પણ આગળ વધવામાં લિસને દાયકાઓ લાગ્યા, કારણ કે લિસને આખરે સમજાયું કે અકસ્માત સમયે તે એક બાળકી હતી. ત્યાં હાજર પુખ્ત વયના લોકોએ જે બન્યું તેની સંપૂર્ણ જવાબદારી લિસ માથે ઢોળી હશે."

લિસ કહે છે કે તેમને પોતાના વિશે હંમેશા એવા ખતરનાક વિચારો આવતા હતા કે તે ખરાબ છે અને તેમને સજા થવી જોઈએ. આ વિચારો તેમના મનમાં વર્ષો સુધી ઘોળાતા રહ્યા.

લિસ આપવીતી કહે છે, "જ્યારે મને ખબર પડી ત્યારે મારાં બંધ હૃદયનાં દ્વાર ખૂલી ગયાં, મેં આત્મ-કરુણા વિકસાવી અને મારી જાતને આટલાં વર્ષો સુધી પીડા આપી તેમાંથી મારી જાતને માફ કરતાં શીખી."

સંશોધન દર્શાવે છે કે સ્વ-ક્ષમા વિકસાવવાથી ચિંતા અને હતાશાનાં લક્ષણો હળવાં થાય છે અને તેનાથી શારીરિક સ્વાસ્થ્યમાં પણ સુધારો થઈ શકે છે.

તમે તમારી જાતને માફ ન કરી શકો તો શું કરશો?

મરિના દલીલ કરે છે કે અપરાધ અને શરમની સ્વ-ક્ષમામાં ઘણી ભૂમિકા છે. એટલા માટે આપણે કોણ છીએ તે સ્વીકારવું અને જીવનનો વ્યાપક પરિપ્રેક્ષ્ય અપનાવવો ખૂબ જ જરૂરી છે.

જ્યારે ડ્રગના વ્યસની સામે મરિના હંમેશા એક ઉદાહરણ પ્રસ્તુત કરે છે.

તે કહે છે, "તમે બીજાઓને અને તમારી જાતને ઘણું નુકસાન પહોંચાડો છે. તમે તમારા દૃષ્ટિકોણને વિસ્તૃત કરતા તમને નવાઈ લાગશે કે આવું શા માટે થયું. કારણ કે તે એક વ્યસન છે, એક બિમારી છે. આના આધારે જ તમે તમારી જાતને કેવી રીતે સમજો છો અને તમારું જીવન કેવી રીતે આગળ વધે છે તે બદલી શકે છે."

મરિનાના મતે, તમારી જાતને માફ કરવા માટે સહાનુભૂતિ અને કરુણા મુખ્ય ઘટકો છે.

સમદુખિયાઓની વાતોનું અન્વેષણ કરીને તેને પ્રાપ્ત કરી શકાય છે. પછી એ કરવું રહ્યું કે સ્વ-જાગૃતિ વિકસાવવી અને તમારી જાતને વધુ સારી રીતે ઓળખવી.

મરિના અનુસાર, "જો આપણે આપણી જાતને પિછાણતા નથી, તો આપણે વારંવાર આપણી જાતને છેતરીએ છીએ અને મોટું નુકસાન નોતરીએ છીએ."

મિત્રો અને પરિવારનો સંગાથ ધરાવતા લિસ પોતાના વર્તમાન વિશે કહે છે, "હવે મારું મિશન દરરોજ પ્રેમ અને સ્વ-સંભાળની પ્રેક્ટિસ કરવાનું છે. હું દરરોજ ધ્યાન કરું છું. હું કસરત કરવા અથવા પ્રકૃતિનો આનંદ માણવા બહાર જાઉં છું."

આમ તમને જરૂર હોય તો તમે વ્યાવસાયિક મદદ લો.

મરિના અંતિમ તારણ પર આવતા કહે છે, "કેટલાક લોકો કહે છે કે સ્વ-ક્ષમા સ્વાર્થી વિચાર છે, પરંતુ તે તમારા હાથે જે થઈ ગયું અને અવશ્યંભાવિ હતું તેને શાંત સ્થિતિમાં સ્વીકાર્ય બનાવે છે. સ્વીકારવું કે તમે એક માનવ છો જે અન્ય માનવીની જેમ જ નિષ્ફળતાનો અનુભવ કરી શકે છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો