You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ દેશ છોડ્યો, તાલિબાનનો રાષ્ટ્રપતિભવન પર કબજો - રિપોર્ટ્સ
તાલિબાને દાવો કર્યો છે કે તેમણે કાબુલમાં રાષ્ટ્રપતિભવનને પોતાના કબજામાં લઈ લીધું છે.
આ લખાય છે ત્યાર સુધીના સમાચાર મુજબ રવિવારે રાષ્ટ્રપતિ અશરફ ઘનીએ દેશ છોડી દીધો છે પરંતુ રાષ્ટ્રપતિભવનની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી.
સ્થાનિક પત્રકાર બિલાલ સરવરીએ બે અફઘાન લોકો સાથે વાત કરી જે તાલિબાન સાથે સીધી વાર્તામાં સામેલ છે.
તેમનું કહેવું છે કે સમજૂતી હેઠળ રાષ્ટ્રપતિ ભવનમાં સત્તા હસ્તાંતરણ થવાનું હતું જેમાં ઘનીએ સામેલ થવાનું હતું પણ તેઓ અને તેમના સહયોગી દેશ છોડીને ચાલ્યા ગયા છે.
સહયોગીઓઓનું કહેવું છે, " રાષ્ટ્રપતિ ભવનના કર્મચારીઓને કથિત રીતે ભવન છોડવાનું કહેવામાં આવ્યું છે અને તે ખાલી થઈ ગયું છે."
તાલિબાને પછી સમાચાર એજન્સી રૉયટર્સને કહ્યું કે તેમને રાષ્ટ્રપતિભવન પર કબજો કરી લીધો છે.
જોકે સરકારી અધિકારીઓએ હજી આ લખાય છે ત્યાં સુધી આ વાતની પુષ્ટિ નથી કરી.
એ ઉપરાંત કાબુલમાં તાલિબાનનો કબજો અને રાષ્ટ્રપતિના દેશ છોડવાના સમાચાર પછી શહેરમાં ગોળીબારનો અવાજ સંભળાયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમાચાર એજન્સી રૉયટર્સે કેટલાક પ્રત્યક્ષદર્શીઓ જેમણે ગૃહમંત્રાલયના હવાલાથી જણાવ્યું કે કાબુલના કેટલાક ભાગોમાં ગોળીઓનો અવાજ સંભળાયો છે.
આની પહેલા તાલિબાનના એક અધિકારીએ કહ્યું હતું કે તેમના લડવૈયા શાંતિ અને સુરક્ષા માટે કાબુલમાં પ્રવેશ કરી રહ્યા છે.
અફઘાનિસ્તાનની હાઈ કાઉન્સિલ ફૉર નેશનલ રિકન્સિલિએશનના ચૅરમૅન અબ્દુલ્લા અબ્દુલ્લાએ પુષ્ટિ કરી છે કે અશરફ ઘની દેશ છોડી ગયા છે.
આ કાઉન્સિલ તાલિબાન સાથે વાટાઘાટો માટે સ્થાપિત કરાઈ હતી. અબ્દુલ્લા અબ્દુલ્લાએ કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ દેશને આવી પરિસ્થિતિમાં છોડીને ચાલ્યા ગયા છે.
રાષ્ટ્રપતિ અશરફ ઘની અફઘાનિસ્તાન છોડીને ભાગ્યા- રિપોર્ટ્સ
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની અને ઉપરાષ્ટ્રપતિ અમીરુલ્લાહ સાલેહે દેશ છોડી દીધો છે.
આ દરમિયાન તાલિબાનના લડવૈયા કાબુલ શહેરની અંદર દાખલ થઈ રહ્યા છે.
તાલિબાને છેલ્લા દસ દિવસમાં અફઘાનિસ્તાનનાં મોટાં ભાગનાં શહેરો પર નિયંત્રણ કરી લીધું છે ત્યારબાદ રાષ્ટ્રપતિ ગની પર રાજીનામું આપી દેવાનું દબાણ હતું.
તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીને બીબીસીને કહ્યું કે અફઘાનિસ્તાનમાં તાલિબાન કોઈની સામે બદલો લેવાની કાર્યવાહી નહીં કરે.
બીબીસી સંવાદદાતા યાલદા હકીમ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "અમે અફઘાનિસ્તાનના લોકો, ખાસ કરીને કાબુલના લોકોને ભરોસો અપાવીએ છીએ કે તેમનાં જીવન અને સંપત્તિ સુરક્ષિત છે. કોઈની સામે બદલાની કાર્યવાહી નહીં થાય."
શાહીને કહ્યું કે તેઓ અફઘાનિસ્તાનના લોકોના સેવક છે.
તેમણે કહ્યું, "અમારા નેતૃત્વે અમારા લડવૈયાઓને કહ્યું છે કે તેઓ કાબુલની બહાર શાંતિપૂર્ણ રીતે સત્તા પરિવર્તનની રાહ જોવે. અમે શાંતિથી સત્તા લેવા માગીએ છીએ."
સુહૈલ શાહીને કહ્યું કે "તાલિબાન શાસનની સરકારમાં અફઘાનિસ્તાનના સામાન્ય લોકોને પણ ભાગીદાર બનાવાશે એટલે જે લોકો તાલિબાનમાં સામેલ નથી તેઓ પણ સરકારમાં સામેલ હશે."
કાબુલને અમે ચારે તરફથી ઘેરી લીધું છે- તાલિબાન
તાલિબાને કહ્યું છે કે તેમણે કાબુલને ચોતરફથી ઘેરી લીધું છે.
અફઘાનિસ્તાનનાં બધાં પ્રમુખ શહેરોને નિયંત્રણમાં લીધા પછી આજે સવારે તાલિબાને કાબુલને ઘેરવાનું શરૂ કરી દીધું છે.
તાલિબાનના એક પ્રવક્તાએ કહ્યું કે લડવૈયાઓને ઉજવણી કરતા ગોળીબાર નહીં કરવા દેવાય. તેમણે કહ્યું કે અફઘાન સૈન્યદળોને તેમના ઘર પાછા જવા દેવાશે.
તાલિબાને કહ્યું છે કે ઍરપૉર્ટ અને હૉસ્પિટલ સંચાલિત કરાશે અને આપાત પૂર્તિ પણ ચાલુ રહેશે.
વિદેશી નાગરિકોએ કહ્યું છે કે જો તેઓ પોતાના દેશ પાછા જવા માગે છે તો જઈ શકે છે અને જો અફઘાનિસ્તાનમાં રહેવા માગે છે તો પોતાની હાજરી તાલિબાન સામે રજિસ્ટર કરાવવી પડશે.
ત્યારે અમેરિકાએ પોતાના નાગરિકો અને કર્મચારીઓને કાઢવા માટે પાંચ હજાર સૈનિકોને કાબુલ મોકલ્યા છે.
'સત્તા હસ્તાંતરણની તૈયારી'
અફઘાનિસ્તાનના કાર્યવાહક ગૃહ મંત્રી અબ્દુલ સત્તાર મીરઝકવાલે ટોલો ન્યૂઝને આપેલા એક નિવેદનમાં કહ્યું છે કે સત્તાનું હસ્તાંતરણ શાંતિપૂર્વક રીતે થશે અને અંતરિમ સરકાર બનશે.
તેમણે કહ્યું કે કાબુલ પર હુમલો નહીં થાય.
આ દરમિયાન સમાચાર એજન્સી એપીએ કહ્યું છે કે તાલિબાનના વાર્તાકાર રાષ્ટ્રપતિ ભવન પહોંચી રહ્યા છે જ્યાં સત્તા હસ્તાંતરણની તૈયારી થશે.
આની પહેલા આપેલા એક નિવેદનમાં તાલિબાને કહ્યું હતું કે તેમણે પોતાના લડવૈયાઓને કાબુલની બહાર રહેવા અને હુમલો ન કરવાના નિર્દેશ આપ્યા છે.
અમેરિકાના યુદ્ધનું કેન્દ્ર રહેલા બગરામ ઍરબેઝ પર કબજો
તાલિબાનનું કહેવું છે કે તમણે બગરામ ઍરફિલ્ડ અને જેલ પર કબજો કરી લીધો છે. આ કાબુલની બહારનો વિસ્તાર છે.
બગરામ ઍરપૉર્ટ ગત મહિના સુધી અલ-કાયદા અને તાલિબાનની વિરુદ્ધ લડાઈનું કેન્દ્ર હતું. અમેરિકાએ અફઘિસ્તાનમાં વીસ વર્ષ સુધી ચાલેલા યુદ્ધ આ જગ્યાનો ઉપયોગ મુખ્ય કેન્દ્ર તરીકે કર્યો હતો.
ગત મહિને અમેરિકન સૈનિકો રાતોરાત આ ઍરબેઝને છોડીને જતા રહ્યા હતા.
બગરામ ઍરબેઝમાં અમેરિકન જેલો કેદીઓ સાથે થતા દુર્વ્યવહાર માટે કુખ્યાત થઈ હતી. આની સરખામણી અમેરિકાની સેનાની ગુઆંટેનામો જેલ સાથે થતી હતી.
અમેરિકાએ આ જેલને બનાવીને 2013માં અફઘાનિસ્તાનને સોંપી દીધી હતી.
કાબુલને ચોતરથી ઘેરવામાં આવ્યું
સમાચાર સંસ્થા એએફપીએ કાબુલમાં રહેનારા કેટલાક લોકોને ટાંકીને કહ્યું છે કે તાલિબાનના લડવૈયાઓ રાજધાની કાબુલ પાસે પહોંચી ગયા છે.
એક દિવસ પહેલાં તાલિબાને દેશના પૂર્વમાં આવેલા મહત્ત્વના શહેર જલાલાબાદ પર કોઈ પણ જાતના સંઘર્ષ વગર કબજો કરી લીધો હતો. આ શહેર કાબુલથી અમુક કલાકોના જ અંતરે આવેલું છે.
બીબીસી સંવાદદાતા યલ્દા હાકીમે સોશિયલ મીડિયા પર તાલિબાનનું અધિકૃત નિવેદન ટાંક્યું છે અને જાણકારી આપી છે કે તાલિબાનના નેતા અફઘાન સરકાર સાથે વાતચીત કરી રહ્યા છે.
તાલિબાને પોતાના નિવેદનમાં કહ્યું છે, "અમારા લડવૈયાઓ શહેરની બહારના વિસ્તારમાં છે, પણ હાલ શહેરની અંદર નહીં પ્રવેશે."
"અત્યારે વર્તમાન સરકાર સાથે સત્તાના હસ્તાંતરણ અને સુરક્ષાના સંબંધે અમારી વાતચીત ચાલી રહી છે."
કાબુલમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ?
આ દરમિયાન અફઘાન રાષ્ટ્રપતિના ટ્વિટર હૅન્ડલ પરથી એક સંદેશ પોસ્ટ કરવામાં આવ્યો છે.
રાજધાનીમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું આ સંદેશામાં જણાવાયું છે.
સંદેશમાં કહેવાયું છે, "કાબુલમાં ગોળીબારની એકલદોકલ ઘટનાઓ ઘટી છે પણ કાબૂલ પર હુમલો થયો નથી. શહેરને સુરક્ષિત રાખવા માટે સુરક્ષાદળો તથા સૈન્ય આંતરરાષ્ટ્રીય સહયોગીઓ સાથે મળીને કામ કરી રહ્યાં છે. સ્થિતિ હાલ નિયંત્રણ હેઠળ છે."
સમાચાર સંસ્થા એપી અનુસાર તાલિબાને કહ્યું છે કે તેઓ 'શક્તિનો ઉપયોગ કરીને કાબુલ પર કબજો કરવાનું ઇચ્છતા નથી.'
આ પહેલાં રવિવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં તાલિબાને કહ્યું હતું કે તેના લડવૈયા કાબુલ શહેરની બહારના વિસ્તારોમાં પહોંચી ગયા છે.
તાલિબાને પોતાના લડવૈયાઓને કહ્યું છે કે તેઓ હિંસા ન આદરે અને જે લોકો રાજધાની છોડીને જવા માગે છે તેમને શાંતિપૂર્વક જવા દે.
યુદ્ધ થોપવામાં નહીં આવે : અશરફ ઘની
અફઘાનિસ્તાનમાં સતત આગળ વધી રહેલા તાલિબાનના પ્રભાવ વચ્ચે શનિવારે રાષ્ટ્રપતિ અશરફ ઘનીએ કહ્યું હતું કે અફઘાન લોકો પર 'યુદ્ધ થોપવામાં નહીં આવે.'
રાષ્ટ્રજોગ સંદેશમાં ઘનીએ કહ્યું હતું, "અમે ગત 20 વર્ષમાં જે મેળવ્યું છે, તે ગુમાવવા માગતા નથી. અમે હવે અફઘાન લોકોની હત્યાઓ થવા નહીં દઈએ અને જાહેર સંપત્તિને પણ નષ્ટ થવા નહીં દઈએ."
અફઘાન રાષ્ટ્રપતિએ એક રેકૉર્ડેડ સંદેશમાં કહ્યું કે તેઓ જાણે છે કે લોકોને ભવિષ્યની ચિંતા છે.
તેમણે કહ્યું, "હું ભરોસો અપાવું છું કે રાષ્ટ્રપતિ તરીકે મારું ધ્યાન અસ્થિરતા, હિંસા અને વિસ્થાપનને રોકવા પર રહેશે."
અશરફ ઘનીએ કહ્યું, "વર્તમાન પરિસ્થિતિમાં અફઘાનિસ્તાનનાં સુરક્ષાદળો અને સેનાને ફરીથી એક કરવી એ જ અમારી પ્રાથમિકતા છે."
રાષ્ટ્રપતિના સંબોધન પહેલાં એવી અટકળો બાંધવામાં આવી હતી કે અશરફ ઘની રાજીનામું આપી શકે છે. જોકે, તેમણે પોતાના સંબોધનમાં રાજીનામાની જાહેરાત કરી નહોતી.
અફઘાનિસ્તાનમાં બીબીસીના સંવાદદાતા સિકંદર કિરમાણીના જણાવ્યા અનુસાર "અશરફ ઘની તાલિબાન વિરુદ્ધ સુરક્ષાદળોને ફરીથી એકજૂથ કરવાની વાત કરી રહ્યા છે. જોકે, સરકારની સ્થિતિમાં ગભરામણ જણાઈ રહી છે. "
બીબીસી સંવાદદાતા અનુસાર કેટલાય લોકોને કાબુલ પર તાલિબાનના કબજા કરતાં કાબુલમાં લડાઈનો ડર વધુ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો