રશિયા: પુતિન પર આજીવન નહીં થઈ શકે કોઈ કેસ, સંસદમાં બિલ પસાર

ઇમેજ સ્રોત, AFP
રશિયાની સંસદના નીચલા ગૃહ ડૂમાએ એક બિલને સમર્થન આપ્યું છે જે પ્રમાણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તેમના પરિવાર પર તેમના રાષ્ટ્રપતિ ન રહ્યા બાદ પણ કોઈ પણ પ્રકારનો આપરાધિક કેસ નહીં ચલાવી શકાય.
આ એ બંધારણીય સંશોધનો પૈકી એક છે જેને જુલાઈમાં એક જનમતસંગ્રહ મારફતે સહમતી અપાઈ હતી.
પુતિનના સમર્થકો રશિયાનાં બંને ગૃહોમાં બહુમતીમાં છે.
રાષ્ટ્રપતિ તરીકે તેમનો કાર્યકાળ વર્ષ 2024માં પૂરો થઈ જશે પરંતુ કરાયેલાં સંશોધનો પ્રમાણે તેઓ વર્ષ 2014 બાદ પણ બે કાર્યકાળ સુધી એટલે કે 12 વર્ષ સુધી પોતાના પદ પર જળવાઈ રહેશે.
આ સુરક્ષા બિલ આવ્યાની સાથે જ પુતિનના રાજકીય ભવિષ્ય અંગે ફરીથી ચર્ચા શરૂ થઈ ગઈ છે. વર્ષ 2000થી પુતિન રશિયાની સત્તાના શિખર પર છે અને આ દરમિયાન તેમણે શક્તિનો પણ ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કર્યો છે.
પુતિનના ટીકાકાર એલેક્સી નવેલનીએ આ બિલ આવ્યા બાદ ટ્વીટ કર્યું, "પુતિનને અત્યારે સુરક્ષા બિલની શી જરૂર છે."
ત્યાર બાદ નવેલનીએ એક પ્રશ્ન ટ્વીટ કરતાં પૂછ્યું કે, "શું તાનાશાહ જ્યારે ઇચ્છે ત્યારે પદ છોડી શકે છે?"
ડૂમામાં આ બિલ ત્રણ વખત આવવાનું છે. મંગળવારે પ્રથમ વખત આ બિલ પસાર કરી દેવાયું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગૃહમાં પુતિનની સમર્થક પાર્ટી યુનાઇટેડ રશિયા પાર્ટી બહુમતીમાં છે. જોકે, લેફ્ટિસ્ટ સાંસદોના 37 વોટ આ બિલ વિરુદ્ધ પડ્યા છે.
આ સિવાય ડૂમામાં આ વિધેયક વધુ બે વખત વાંચવામાં આવશે. ત્યાર બાદ તે ફેડરેશન કાઉન્સિલ એટલે કે ઉપલા ગૃહમાં જશે. આ બિલ પર અંતિમ મહોર પોતે રાષ્ટ્રપતિ પુતિન મારશે.

આ બિલમાં શું છે?

ઇમેજ સ્રોત, HANDOUT
આ નવા ઇમ્યુનિટી બિલ એટલે કે સુરક્ષા વિધેયક અંતર્ગત પૂર્વ રાષ્ટ્રપતિ અને તેમના પરિવારની કોઈ પણ પ્રકારની પોલીસતપાસ, પૂછપરછ નહીં કરી શકાય. સાથે જ તેમની સંપત્તિઓ જપ્ત નહીં કરી શકાય.
'અસાધારણ પરિસ્થિતિઓમાં કરાયેલ મોટા અપરાધ કે કથિત રાજદ્રોહ'ના મામલાઓને બાદ કરતાં જીવનભર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને તેમના પરિવાર પર કોઈ પણ પ્રકારના અપરાધને લઈને કેસ નહીં ચલાવી શકાય.
હાલ માત્ર એક જ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દમિત્રી મેદવેદેવ જીવિત છે અને તેઓ વ્લાદિમીર પુતિનના સહયોગી છે.
બિલના લેખકો પૈકી એક અને રશિયાના સાંસદ પાવેલ ક્રિશનિકોવે કહ્યું કે, "આ બિલનો ઉદ્દેશ એક રાષ્ટ્રપતિની 'ગૅરંટી આપવાનું છે જે રાજ્ય અને સમાજની સ્થિરતા માટે મહત્ત્વપૂર્ણ' છે."
આ વર્ષે જુલાઈમાં બંધારણીય પરિવર્તનો માટે કરાયેલા જનમતસંગ્રહ પ્રમાણે પુતિન વર્ષ 2024 બાદ 6-6 વર્ષના બે કાર્યકાળ સુધી પોતાના પદ પર જળવાઈ રહેશે. એટલે કે વર્ષ 2036 સુધી પુતિન જ રશિયાના રાષ્ટ્રપતિ હશે.
વિપક્ષ આ જનમતસંગ્રહનાં પરિણામો વિરુદ્ધ છે. તેમનું કહેવું છે કે પુતિન "આજીવન રાષ્ટ્રપતિ બની રહેવા માગે છે."
જોકે, પુતિન આ આરોપોને નકારે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

























