જેડી વેન્સનો ઇઝરાયલને કડક સંદેશ, 'દુનિયામાં એક માત્ર બચેલા તેમના મિત્ર પર હુમલો ન કરો' – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
ગુરુવારે અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સે લગભગ 45 મિનિટ સુધી પ્રેસ કૉન્ફરન્સ કરી હતી.
તેમાં તેમએ ઈરાન સાથેની સજૂતી મામલે જાણકારી આપી. પરંતુ સાથે તેમણે અમેરિકાના નીકટ સહયોગી ઇઝરાયલ અને ત્યાંના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને સલાહ પણ આપી.
આ પહેલાં પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નેતન્યાહૂને સલાહ આપતા કહ્યું હતું કે તેમણે લેબનોન અને હિઝ્બુલ્લાહ મામલે વધારે જવાબદાર થવાની જરૂર છે.
ઇઝરાયલ સરકારના કેટલાક કૅબિનેટ મંત્રીઓએ અમેરિકા-ઈરાન સમજૂતી મામલે અસહમતિ જાહેર કરી હતી. ખુદ નેતન્યાહૂ તેનાથી વધારે ખુશ નજર નથી પડતા. તેમણે ઈરાન સામે કડક વલણ જારી રાખવોનો સંકેત આપ્યો હતો.
જ્યારે ઈરાન સાથે સમજૂતીની વાત ચાલી રહી હતી, તેના વચ્ચે ઇઝરાયલે લેબનોનની રાજધાની બૈરુત પર હુમલો કરી દીધો હતો. તેનાથી પણ ટ્રમ્પ નારાજ હતા. કારણકે ઈરાનની માગ હતી કે સમજૂતીમાં લેબનોનમાં પણ સંપૂર્ણ યુદ્ધવિરામની બાબત લાગુ થાય.
હવે વ્હાઇટ હાઉસમાં જેડી વેન્સને મીડિયા સાથેની વાતચીતમાં જ્યારે આ મામલે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેના જવાબમાં તેમણે કહ્યું, "સૌથી પહેલી વાત એ છે કે દુનિયામાં માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જ એક માત્ર નેતા છે જેઓ ઇઝરાયલ પ્રત્યે સહાનુભૂતિ અને સમર્થન દેખાડે છે. સાથે, તેઓ દુનિયાના સૌથી તાકતવર દેશના નેતા પણ છે."
તેમણે ઉમેર્યું, "જો હું ઇઝરાયલી કૅબિનેટનો સભ્ય હોત તો કદાચ હું દુનિયામાં એક માત્ર બચેલા તાકતવર સહયોગી પર સાર્વજનિક રીતે હુમલો ન કરત."
અમેરિકાની ઈરાન સાથે ડીલ થતાં જ તેણે આપી આ છૂટ

ઇમેજ સ્રોત, Aaron Schwartz/CNP/Bloomberg via Getty Images
અમેરિકા દ્વારા ઈરાનનાં બંદરો પર લગાવવામાં આવેલી નૌકાદળની નાકાબંધી હટાવી લેવામાં આવી છે. બંને દેશો વચ્ચેના કરાર પર હસ્તાક્ષર થતાં જ આ પગલું લેવામાં આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકૉમ)એ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર તેની પુષ્ટિ કરતાં લખ્યું છે કે રાષ્ટ્રપતિના નિર્દેશ અનુસાર નાકાબંધી સમાપ્ત કરી દેવામાં આવી છે.
સેન્ટકૉમે ઍક્સ પર લખ્યું, "આજે અમેરિકી સેનાએ રાષ્ટ્રપતિના નિર્દેશ મુજબ ઈરાનનાં બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આવતાં-જતાં તમામ જહાજો પર લાગુ નાકાબંધી હટાવી દીધી છે."
સેન્ટકૉમે આગળ લખ્યું, "અમેરિકી સેના હવે ઈરાનનાં બંદરો તરફ આવતાં અને ત્યાંથી જતાં જહાજોને રોકી રહી નથી. અમેરિકી નૌકાદળની નાકાબંધી અમલમાં મૂકવાના તમામ પ્રયાસો બંધ કરી દેવામાં આવ્યા છે. અમારા મોટા નૌકાદળનાં જહાજો સામાન્ય વિસ્તારમાં તહેનાત રહેશે જેથી કરારની તમામ શરતોનું પાલન સુનિશ્ચિત થઈ શકે."
ઉલ્લેખનીય છે કે મધ્યસ્થ તરીકે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે ગુરુવારે જ કહ્યું હતું કે આ કરાર તરત જ અમલમાં આવશે.
તેમણે કહ્યું હતું કે પ્રથમ પગલા તરીકે ઈરાન હોર્મુઝ સામુદ્રધુની ખોલશે અને અમેરિકા નૌકાદળની નાકાબંધી હટાવશે.
ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ પહેલી વખત અમેરિકા સાથે થયેલી ડીલ પર શું બોલ્યા?

ઇમેજ સ્રોત, Morteza Nikoubazl/NurPhoto via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ કહ્યું છે કે અમેરિકા સાથે થયેલા કરાર અંગે તેમનો અભિપ્રાય અલગ હતો, છતાં તેમણે તેના પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી હતી.
ઈરાની મીડિયાએ ગુરુવાર સાંજે મોજતબા ખામેનેઈનું નિવેદન પ્રકાશિત કર્યું.
મોજતબા ખામેનેઈએ પોતાના લેખિત સંદેશમાં જણાવ્યું, "આ કરાર અંગે મારી અલગ દૃષ્ટિ હતી. પરંતુ રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને મને વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ ઈરાની જનતા અને વિરોધી શક્તિઓ સામે ઊભેલા લોકોના હકોનું રક્ષણ કરશે. તેમણે તેની જવાબદારી પણ સ્વીકારી હતી. તેથી જ મેં મંજૂરી આપી."
ખામેનેઈએ કહ્યું કે પેઝેશ્કિયાને તેમને જણાવ્યું હતું કે જો અમેરિકી પક્ષ વધુ માંગણીઓ કરશે તો તેઓ તેને સ્વીકારશે નહીં.
ખામેનેઈએ સંદેશમાં લખ્યું, "હવે આપણે બધા, હું અને આપણો ગૌરવશાળી દેશ, જણાવવામાં આવેલી શરતો પૂર્ણ થવાની રાહ જોશું."
આ સંદેશમાં ખામેનેઈએ સીધા રીતે ઈરાની અને અમેરિકી અધિકારીઓ વચ્ચેની ચર્ચાઓને પણ મંજૂરી આપી છે.
આ પહેલી વખત છે જ્યારે મોજતબા ખામેનેઈએ આ કરાર અંગે જાહેર પ્રતિક્રિયા આપી છે. માર્ચમાં સર્વોચ્ચ નેતાનું પદ સંભાળ્યા પછીથી તેઓ જાહેરમાં દેખાયા નથી.
તેમના પિતા આયાતુલ્લાહ અલી ખામેનેઈનું 28 ફેબ્રુઆરીએ અમેરિકા-ઇઝરાયલના હુમલામાં અવસાન થયું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















