You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અઝરબૈજાન-આર્મેનિયા : નાગોર્નો-કારાબાખમાં રશિયાએ મોકલેલી શાંતિસેનાથી શું બદલાશે?
- લેેખક, ફૅમિલ ઇસમાઇલફ
- પદ, સંપાદક, બીબીસી રશિયા સેવા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
આર્મેનિયા અને અઝરબૈજાનની વચ્ચે વિવાદિત નાગોર્નો-કારાબાખ વિસ્તારમાં સપ્ટેમ્બરના અંતમાં લડાઈની શરૂઆત થઈ હતી.
આ લડાઈમાં સ્પષ્ટ રીતે અઝરબૈજાનને આર્મેનિયા પર બઢત મળતી જોવા મળી રહી હતી.
હાલમાં જ અઝરબૈજાનના સૈન્યએ નાગોર્નો-કારાબાખના શુશા (આર્મેનિયામાં શુશી) શહેર પર કબજો જમાવ્યો હતો. આને કૂટનીતિની દૃષ્ટિએ એક મોટી જીત કહેવામાં આવી રહી હતી.
આ પછી અઝરબૈજાનની નજર કારાબાખની રાજધાની સ્તેપ્નાકિયર્ત પર હતી.
આ લડાઈમાં અનેક લોકોના જીવ ગયા અને અનેક વિસ્તારોને ભીષણ નુકસાન થયું છે પરંતુ, શુશા પર નિયંત્રણ પછી અઝરબૈજાનને રાજાધાની પર કબજો જમાવવાની લડાઈમાં પણ બઢત મળી હતી.
આ વિસ્તાર ઊંચાઈએ છે, તેથી કારાબાખસ્થિત આર્મેનિયાની સેના સરળતાથી અઝરબૈજાનને બૉમ્બગોળાના નિશાને લઈ શકતી હતી.
પરંતુ, આ વચ્ચે રશિયાએ દખલગીરી કરી અને બંને દેશો વચ્ચે શાંતિસમજૂતી કરાવી અને સ્તેપ્નાકિયર્તમાં શાંતિસેના મોકલી.
તુર્કી નહીં રશિયાનું નિયંત્રણ
આ પહેલાં તમામને લાગતું હતું કે તુર્કી અઝરબૈજાનને ખુલ્લું સમર્થન આપીને આ રમતને નિયંત્રિત કરી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રશિયાની આ પહેલની શરૂઆત સોમવારે થઈ, જ્યારે આર્મેનિયા, અઝરબૈજાન અને રશિયાના નેતાઓની ઑનલાઇન મુલાકાત થઈ અને તેમણે નાગોર્નો-કારાબાખમાં સંઘર્ષ પૂર્ણ કરવા માટે એક નવ સૂત્રોની સમજૂતીની વાત કરી.
આ લડાઈમાં અઝરબૈજાનની જીત દેખાતી હતી, કારણ કે તેમણે 1994થી આર્મેનિયાના નિયંત્રણવાળા અનેક અઝેરી પ્રાંત પરત લીધા હતા.
ત્રણેય નેતાઓએ સહમતિ સાધી કે આર્મેનિયાનું સૈન્ય નાગોર્નો-કારાબાખની આસપાસના કબજાવાળા વિસ્તારોમાંથી પીછેહઠ કરશે. આના પર અઝરબૈજાનનું નિયંત્રણ થઈ જશે.
શું કરશે શાંતિસેના?
રશિયાની શાંતિસેના બંને પક્ષોના સૈન્યને અલગ-અલગ કરશે અને એ સુનિશ્ચિત કરશે કે બીજી લડાઈ શરૂ ન થાય.
રશિયન સેના નાગોર્નો-કારાબાખના આર્મેનિયાઈ લોકોને મુખ્ય આર્મેનિયાથી જોડનારા પાંચ કિલોમિટર લાંબા વિસ્તારને સુરક્ષા આપશે.
પરંતુ એ સ્પષ્ટ નથી કે આર્મેનિયાના નિયંત્રણવાળા કારાબાખનું શાસન ભવિષ્યમાં કેવી રીતે ચાલશે.
સોવિયત સંઘના વિઘટન પછી બંને દેશોની વધતી રાષ્ટ્રીય ઓળખ જ નાગોર્નો-કારાબાખની લડાઈનું કારણ બની.
અઝરબૈજાન અને આર્મેનિયા, બંને સ્વતંત્ર દેશોએ ત્યારે લડવા માટે સોવિયત સેનાએ છોડેલાં હથિયારોનો ઉપયોગ કર્યો.
આ લડાઈમાં આર્મેનિયા સફળ રહ્યું હતું. 1994ના અંત સુધી તેમણે નાગોર્નો-કારાબાખ અને તેની આસપાસના અઝરબૈજાનના સાત વિસ્તારો પર નિયંત્રણ મેળવ્યું હતું.
જ્યારે બંને તરફથી એક-બીજા દેશોના લોકોએ નીકળી જવાનું શરૂ કર્યું, ત્યારે અંદાજે એક લાખ લોકો શરણાર્થી બની ગયા.
અઝરબૈજાનની વધતી તાકાત
બંને દેશોની વચ્ચે હંમેશાં તણાવ રહે છે. વચ્ચે-વચ્ચે નાની-મોટી લડાઈ થતી રહે છે પરંતુ આ વર્ષે 27 સપ્ટેમ્બરે અઝરબૈજાને ગુમાવેલો વિસ્તાર પરત લેવા માટે યુદ્ધની શરૂઆત કરી દીધી.
ખૂબ જ જલદી સ્પષ્ટ થઈ ગયું કે બંને દેશોની વચ્ચે સૈન્ય તાકાતનું સંતુલન બદલાઈ ગયું છે
કૅસ્પિયન સમુદ્રમાં મળેલાં તેલ અને ગૅસના સ્રોત અઝરબૈજાન માટે વરદાન બનીને આવ્યા અને આ તેલ તેમજ ગૅસ વેચીને અઝરબૈજાને ખૂબ પૈસા કમાવ્યા.
અઝરબૈજાને આ પૈસાનો ઉપયોગ પોતાની અર્થવ્યવસ્થાને ફરી ઊભી કરવા માટે કર્યો અને કેટલાક લોકો રાજધાની ‘બાકુ’ને ‘કૅસ્પિયનનું દુબઈ’ કહેવા લાગ્યા.
પરંતુ, અઝરબૈજાનની સરકારે પોતાના સૈન્યને મજબૂત કરવામાં મોટા પ્રમાણમાં પૈસા નાખ્યા.
તેમણે ગત કેટલાંક વર્ષોમાં સારી ટૅન્ક, હથિયારો અને ખાસ કરીને નવી તકનિક ખરીદવામાં અરબો ડૉલર ખર્ચ્યા.
અઝરબૈજાન પૂર્વ સોવિયત સંઘનો એવો પહેલો દેશ છે, જેણે યુદ્ધમાં મોટાસ્તરે ડ્રોન ટેકનિકનો ઉપયોગ કર્યો છે.
સપ્ટેમ્બરમાં યુદ્ધ પ્રારંભ થવાના શરૂઆતના દિવસોમાં અઝરબૈજાને સૌથી પહેલાં હવાઈ હુમલાઓથી બચાવની રીતોને પૂર્ણ કરી અને એ પછી આર્મેનિયાઈ સૈન્યને બહાર કાઢવા ડ્રોનનો ઉપયોગ કર્યો.
સૈન્ય તહેનાત કરીને રશિયા હવે જમીન પર સંપૂર્ણ સ્થિતિને નિયંત્રણ કરી રહ્યું છે. આમાં 2000 પેરાટ્રૂપર્સ છે.
આર્મેનિયા, અઝરબૈજાન અને તુર્કીનું સૈન્ય કંઈ પણ એવું નથી કરી શકતાં જેનાથી રશિયાના સૈનિકોની જિંદગી પર ખતરો આવે.
રશિયાએ પહેલાં દખલગીરી કેમ ન કરી?
અમે સ્પષ્ટ રીતે તો નથી કહી શકતા પરંતુ એ જરૂરી છે કે આર્મેનિયાના વડા પ્રધાન નિકોલ પાશિન્યાન અને વ્લાદિમીર પુતિન વચ્ચે બહુ સારા સંબંધ નથી રહ્યા.
પાશિન્યાન એક સફળ અને લોકપ્રિય નેતા છે. તેઓ સત્તા પરિવર્તન માટે થયેલી ક્રાંતિ પછી આર્મેનિયાના વડા પ્રધાન બન્યા હતા. પુતિન સરકારમાં આ પ્રકારના પરિવર્તનને પશ્ચિમસમર્થિત માનવામાં આવે છે.
પાશિન્યાને આર્મેનિયાની રશિયા પરની વધારે નિર્ભરતાનો વિરોધ કર્યો અને પશ્ચિમી દેશો સાંથે સંબંધો સુધાર્યા.
અઝરબૈજાનથી મોટી હાર પછી તેમનું રાજકીય ભવિષ્ય સંદેહના ઘેરામાં દેખાઈ રહ્યું છે. આર્મેનિયાના રાષ્ટ્રપતિએ કરારની સંપૂર્ણ જાણકારી હોવાની વાત નકારી કાઢી છે.
જોકે હવે કરાર થઈ ચૂક્યો છે અને રશિયાએ સંપૂર્ણ સ્થિતિ પોતાના નિયંત્રણમાં લઈ લીધી છે.
રશિયા બંને તરફ સંતુલન બનાવી રાખવા માગે છે. જ્યારે આર્મેનિયાને આ સુરક્ષા સમજૂતીમાં બાંધીને રાખવા ઇચ્છે છે પરંતુ સાથે જ તેના પર હુમલા પણ રોકવા ઇચ્છે છે.
અઝરબૈજાન માટે મોટી જીત
અઝરબૈજાનમાં આને મોટી જીતની જેમ રજૂ કરવામાં આવે છે. જોકે સોશિયલ મીડિયા પર અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે કે અઝરબૈજાને પોતાની મજબૂત સ્થિતિનો ફાયદો નથી ઉઠાવ્યો અને આખા નાગોર્નો-કારાબાખ પર હુમલો ન કર્યો.
આ જીતમાં અઝરબૈજાને ન માત્ર પોતાનો વિસ્તાર પરત લીધો પરંતુ 30 વર્ષ પહેલાં પોતાનાં ઘરે પરત ફરવા માગતા શરણાર્થીઓનો ઇંતેજાર પણ ખતમ કર્યો છે.
આર્મેનિયામાં આને લઈને લોકોની નારાજગી છે કે નુકસાન ઘટાડવા માટે રશિયાએ પહેલાં જ દખલ કરવાની જરૂર હતી.
જોકે, તેઓ એ પણ સમજતા હતા કે જો હવે લડાઈ વધારે ખેંચાશે તો નાગોર્નો કારાબાખમાં કોઈ આર્મેનિયન બચી ન શક્યી હોત.
આ શાંતિસમજૂતીમાં એ પણ જોવા મળી રહ્યું છે કે આ કરારમાંથી અમેરિકા અને યુરોપીય સંઘ સંપૂર્ણ રીતે બહાર છે.
હવે આગળ શું?
વિવાદિત નાગોર્નો-કારાબાખ પર આર્મેનિયાનો કબજો પૂર્ણ નથી થયો પરંતુ, આ યુદ્ધની સૌથી વધારે કિંમત ત્યાં રહી રહેલા આર્મેનિયાના લોકોને ચૂકવવી પડશે.
આ સારા સમાચાર છે કે હવે વધારે સૈનિકો અને સામાન્ય લોકો મૃત્યુ નહીં પામે. સાથે જ શરણાર્થી બનેલા અઝેરી લોકો પોતાના ઘરે પરત ફરી શકશે.
પરંતુ, નાગોર્નો-કારાબાખની હાલની અથવા ભવિષ્યની સ્થિતિ, વહીવટી અથવા કાયદાકીય, પોલીસ વ્યવસ્થા અંગે કોઈ સંકેત મળી નથી રહ્યા. આ એક સ્વઘોષિત ગણરાજ્ય રહ્યું છે, જેને કોઈ માન્યતા આપતું નથી.
સૌથી મોટો સવાલ એ છે કે બે દેશ જેમની એક-બીજા પ્રત્યેની નફરત પહેલાં કરતાં અનેકગણી વધી ગઈ છે, તેઓ હવે એક-બીજાની વધુ નજીક કેવી રીતે રહેશે.
આ યુદ્ધ, યુદ્ધમાં થયેલી હિંસા અને વહેલાં લોહીને જોઈને મને ડર છે કે બંને પડોશીઓને પડોશીની જેમ રહેવામાં વર્ષો લાગી જશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો