ભારત ચીન સરહદ વિવાદ : ભારતે કહ્યું, ચીની સેનાએ કર્યું ફાયરિંગ

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ભારત અને ચીન વચ્ચે એલએસી પર સ્થિતિ તણાવપૂર્ણ છે. ચીન તરફથી દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય સેનાએ એલએસી પર વૉર્નિગ શૉટ્સ ફાયર કર્યા હતા.

તેના જવાબમાં ભારતીય સેના તરફથી જવાબ આવ્યો છે. ભારતીય સેનાએ એક નિવેદનમાં કહ્યું છે કે ચીનના સૈનિકોએ કર્યું હતું ફાયરિંગ, ભારતીય ચોકીઓની નજીક આવવાની કોશિશ કરી હતી.

ભારતીય સેનાએ કહ્યું, "7 સપ્ટેમ્બરના રોજ બનેલી તાજી ઘટનામાં પીએલએ સૈનિકોએ એલએસી પર ભારતની ફૉરવર્ડ પૉઝિશન તરફ આવવાની કોશિશ કરી હતી. જ્યારે ભારતીય સેનાના જવાનોઓએ તેનો મુકાબલો કર્યો તો ચીનના સૈનિકોએ હવામાં ફાયરિંગ કરી અમારા સૈનિકોને ડરાવવાની કોશિશ કરી હતી. ગંભીર ઉશ્કેરણી બાદ અમારા સૈનિકો ખૂબ જ સંયમ જાળવ્યો અને પરિપક્વતા દેખાડતા એક જવાબદારીભર્યો વ્યવહાર કર્યો."

ભારતીય સેનાએ આરોપ લગાવ્યો કે ચીનના વૅસ્ટર્ન થિયેટર કમાન્ડે પોતાના નિવેદનથી પોતાના દેશની અંદર અને આંતરરાષ્ટ્રીય સમાજને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી છે.

ચીનની સેના પર ભારતીય સેનાએ આરોપ લગાવતાં કહ્યું છે કે ચીની સેના ખુલેઆમ સમજૂતીનું ઉલ્લંઘન કરી રહી છે અને આક્રમક ગતિવિધિઓ કરી રહી છે.

બીજી તરફ ચીનનું કહેવું છે કે સોમવારે એલએસી પર તહેનાત ભારતીય સૈનિકોએ ફરી એકવાર ગેરકાનૂની રીતે વાસ્તવિક સીમારેખાને પાર કરી અને ચીનની સીમા પર તહેનાત સૈનિકો પર વૉર્નિંગ શૉટ્સ ફાયર કર્યા હતા.

ચીનના જણાવ્યા પ્રમાણે ચીની સૈનિક વાતચીત કરવાના હતા. ભારત તરફથી હજી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે ચીનની સેનાના એક પ્રવક્તાના હવાલેથી લખ્યું છે કે સ્થિતિને સ્થિર કરવા માટે ચીની સૈનિકોએ મજબૂરીમાં જવાબી કાર્યવાહી કરવી પડી હતી.

ભારતીય સમાચાર એજન્સી એએનઆઈએ પણ કહ્યું છે કે એલએસી પર પૂર્વ લદ્દાખમાં ફાયરિંગ થયું છે.

ચીની સેનાના પ્રવક્તા સીનિયર કર્નલ જાંગ શિયૂલીને એક નિવેદન જારી કરીને કહ્યું, "ભારતીય સૈનિકો ભારત-ચીન સીમાના પશ્વિમ ભાગમાં એલએસી પાર કરી અને પેન્ગોંગ ત્સો લેકના દક્ષિણ કિનારાની નજીક શેનપાઓ પહાડ વિસ્તારમાં ઘુસ્યા હતા."

નિવેદન અનુસાર ભારતીય સેનાના આ પગલાંથી બંને પક્ષો વચ્ચે જે સહમતી બની હતી, આ તેનું ગંભીર ઉલ્લંઘન છે અને આ વિસ્તારમાં તેનાથી તણાવ વધ્યો છે.

ચીનના પ્રવક્તા અનુસાર આનાથી બંને પક્ષો વચ્ચે ગેરસમજ વધશે અને આ ગંભીર સૈન્ય ઉશ્કેરણી અને ઘૃણાસ્પદ કાર્યવાહી છે.

પ્રવક્તા જોંગે કહ્યું, "અમે ભારતીય પક્ષ પાસેથી માગ કરીએ છીએ કે તેઓ આ પ્રકારની ખતરનાક હરકતોને તુરંત બંધ કરી દે."

"જૈ સૈનિકોએ એલએસી પાર કરી છે તેમને તુરંત પરત બોલાવી લેવામાં આવે, સીમા પર તહેનાત સૈનિકોને કાબૂમાં રાખે, આ મામલાની ગંભીરતાની તપાસ કરે અને જે સૈનિકોએ વૉર્નિગ શૉટ્સ ફાયર કર્યા તેમને સજા આપે અને એ પણ સુનિશ્ચિત કરે કે આવી ઘટનાઓ ફરીથી ના બને. "

ભારત ચીનના વિદેશમંત્રીઓની બેઠક

ચીનની સેનાના પ્રવક્તાએ કહ્યું કે ચીની સૈનિકો પોતાની ક્ષેત્રીય સંપ્રભુતાનું રક્ષણ કરશે.

આ તાજો વિવાદ એ સમયે પેદા થયો છે જ્યારે ભારત અને ચીનના વિદેશમંત્રી એકબીજા સાથે વાતચીત કરવાના છે.

ભારતના વિદેશમંત્રી એસ જયશંકર મંગળવારે ચાર દિવસની યાત્રા પર મૉસ્કો જઈ રહ્યા છે. જયશંકર શાંઘાઈ સહયોગ સંગઠનના વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે મૉસ્કો જઈ રહ્યા છે.

આઠ સભ્યોવાળા શાંઘાઈ સંગઠનના ભારત અને ચીન બંને સભ્યો છે.

આ દરમિયાન જયશંકર પોતાના ચીની સમકક્ષ વાંગ યી સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર બની શકે કે એસ. જય શંકર મૉસ્કો જતી વખતે તહેરાનમાં થોડી વખત રોકાઈને ઈરાનના વિદેશમંત્રી જવ્વા ઝરીફ સાથે પણ મુલાકાત કરે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો