શું કાશ્મીર મુદ્દે બ્રિટનમાં ભારતને કૂટનીતિક વિજય મળ્યો?

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

બ્રિટનમાં વિપક્ષ લેબર પાર્ટીના નવનિયુક્ત નેતા કીર સ્ટર્મરે પોતાની પાર્ટીના વલણમાં ફેરફાર કરીને કાશ્મીર અથવા ભારતની કોઈ પણ બંધારણીય બાબતોમાં દખલગીરી ન કરવાનો નિર્ણય કર્યો છે.

સ્ટર્મરે ગુરુવારે કહ્યું, "ભારતનો કોઈ પણ બંધારણીય મુદ્દો ભારતીય સંસદ હેઠળ આવે છે અને કાશ્મીર ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો છે."

પાર્ટીના નવા નેતા કીર સ્ટર્મરે કહ્યું કે તેઓ સુનિશ્ચિત કરશે કે તેમના નેતૃત્વમાં ઉપમહાદ્વીપના આ વિવાદનો ઉપયોગ ‘બ્રિટનમાં લોકો વચ્ચે તિરાડ ઊભી કરવા ન થાય’ અને તેમના નેતૃત્વમાં નવી લેબર સરકાર, પહેલાંની લેબર સરકારોની જેમ 'ભારત સાથે વધારે મજબૂત સંબંધ બનાવશે.'

સાથે જ જળવાયુ પરિવર્તન જેવા વૈશ્વિક મુદ્દા પર સહયોગ કરશે.

તેમણે કહ્યું કે ''લેબર પાર્ટીનો ભારત સાથે લાંબો અને સારો સંબંધ રહ્યો છે અને હું ઇચ્છું કે આ ચાલુ રહે.''

57 વર્ષના કીર સ્ટર્મરે ચાર એપ્રિલે જેરેમી કૉર્બિનની જગ્યાએ પદભાર સંભાળ્યો હતો. જેરેમી કૉર્બિનના નેતૃત્વવાળી લેબર પાર્ટીની વિચારધારા ડાબેરી માનવામાં આવતી હતી.

લેબર પાર્ટીના આ વલણને જોતાં બ્રિટનમાં વસેલો ભારતીય સમુદાય પાર્ટીને બ્રિટિશમાં રહેતા પાકિસ્તાન સમુદાય તરફ ઝૂકેલી માનતો હતો.

ગત વર્ષે કેટલાક લેબર સાંસદો લંડન સ્થિત ભારતીય ઉચ્ચાયોગની બહાર થયેલા હિંસક પ્રદર્શનમાં સામેલ પણ થયા હતા.

લેબર કૉન્ફરન્સના પ્રતિનિધિઓએ સર્વસંમતિથી એક પ્રસ્તાવ પણ પાસ કર્યો હતો જેમાં જમ્મુ કાશ્મીરના લોકોને આત્મસમર્પણનો અધિકાર આપવાની વાત કરવામાં આવી હતી.

સાથે જ ‘કાશ્મીરમાં માનવાધિકારના ઉલ્લંઘન’ અને ‘મોટા માનવીય સંકટ’ની વાતો પણ કહી હતી.

કહેવામાં આવી રહ્યું હતું કે કાશ્મીર પર લેબર પાર્ટીના વલણને લઈને ખાસ કરીને ભારતીય મૂળના હિંદુઓ ઘણા નારાજ હતા.

લેબર પાર્ટીના નેતા બદલાયા પછી એવું લાગે છે કે પાર્ટી આ નારાજગીને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.

'હિંદુફોબિયા નહીં થવા દઉં'

જોકે કીર સ્ટર્મરે કહ્યું કે લેબર એક આંતરરાષ્ટ્રીય પાર્ટી છે અને દરેક જગ્યાએ માનવાધિકારની સંરક્ષણ અને તેને પ્રોત્સાહન આપવાના પક્ષમાં રહે છે.

તેમણે કહ્યું, “મેં મારા આખા જીવનમાં અન્યાય વિરુદ્ધ અને માનવાધિકારીઓની સુરક્ષા માટે લડત લડી છે.”

“હવે હું એવી લેબર પાર્ટીનું નેતૃત્વ કરીશ જે માનવાધિકારની વાત કરશે અને હિંદુફોબિયા સહિત બધી જાતના ભેદભાવની વિરદ્ધ હશે.”

તેમણે ભરોસો આપ્યો કે પાર્ટીની અંદર ભેદભાવની બાબતોનું સમાધાન જલ્દી કરવામાં આવશે. એટલે તેમણે સ્વતંત્ર ફરિયાદ પ્રક્રિયા સ્થાપિત કરવાની વાત કહી હતી.

કીર સ્ટર્મરે હિંદુ ફોરમ બ્રિટનના અધ્યક્ષને કહ્યું કે ”તેઓ તેમના તરફથી લાંબા સમયથી ઉઠાવવામાં આવતા કાસ્ટ લેજિસ્લેશનના મુદ્દાથી વાકેફ છે."

તેમણે કહ્યું કે હાલના સમયમાં તેઓ સરકારમાં આવા કોઈ ખરડા વિશે નથી જાણતા પરંતુ જો હજુ આવા કોઈ મામલા હોય તો “અમે તમારી ચિંતાઓને સમજવા માટે તૈયાર છીએ.”

બ્રિટનના અધ્યક્ષને પત્ર લખ્યો

લેબર પાર્ટીના નેતા ચૂંટાયા પછી કીર સ્ટર્મરે આ વાતો હિંદુ ફોરમ બ્રિટનનાં અધ્યક્ષ તૃપ્તિ પટેલને પત્ર લખીને જણાવી હતી.

તેમણે લખ્યું કે ”મેં ચૂંટાયા પછી તુરંત મારા કાર્યાલયને તમારો સંપર્ક સાધવા કહ્યું એટલે લેબર પાર્ટી અને હિંદુ સમુદાયના લોકો વચ્ચે મહત્ત્વપૂર્ણ સંબંધ ફરીથી સ્થાપિત કરી શકાય.”

સ્ટર્મરે હિંદુ સમુદાયના મહત્ત્વની વાત કરતાં લખ્યું, “હું હિંદુઓના અમૂલ્ય યોગદાન વિશે જાણું છું, જે તેમણે અમારા સમાજ માટે આપ્યું છે."

"અર્થતંત્રથી લઈને કળા અને સંસ્કૃતિ સાથે-સાથે એનએચએસમાં તેમનું યોગદાન સામેલ છે.”

‘ભારતે મુશ્કેલ સમયમાં દવા આપી’

લેબર પાર્ટીના નેતા સ્ટર્મરે કહ્યું કે હાલના સમયમાં અમે જોયું કે ભારત અને બ્રિટન વચ્ચે કેટલો અગત્યનો સંબંધ છે. ભારતે મુશ્કેલ સમયમાં અગત્યની દવા પેરાસિટામોલ આપી હતી.

લેબર નેતા સ્ટર્મરે ભારત સાથે મજબૂત વ્યાપારિક સંબંધને વધારવાની વાત કહી.

તેમણે કહ્યું કે તેઓ લેબર પાર્ટી અને ભારતીયો વચ્ચે એક નવો સંબંધ શરૂ કરવા માટે ભારતીય ઉચ્ચાયુક્તને મળવા માગે છે.

તેની સાથે જ કીર સ્ટર્મરે લેબર ફ્રૅન્ડ્સ ઑફ ઇન્ડિયા એટલે એલએફઆઈએનની કાર્યકારી ટીમની મુલાકાત લીધી.

એલએફઆઈએન પ્રમાણે સ્ટર્મરે કહ્યું કે તેઓ તેમની સાથે મળીને કામ કરશે જેથી વેસ્ટમિન્સ્ટર અને સ્થાનિક સરકારના નિર્વાચિત પદ માટે ભારતીય મૂળના વધારે લોકોને ઊભા થવા માટે પ્રેરિત કરવામાં આવે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો