બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા ને...

પર્વત

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

મિત્રો, દર અઠવાડિયે અમે તમારા માટે એવા લેખો લાવીએ છીએ જે અલગ-અલગ ઘટનાઓ વિશે તમને માહિતી આપે છે. જો તમે આ અઠવાડિયે કંઈ ચૂકી ગયા હો તો અહીં વાંચી શકો છો. અમે તમારા માટે પાંચ એવા લેખો લાવ્યા છીએ જે તમને વાંચવા ગમશે. આખો લેખ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

લાઇન

પૃથ્વીની સપાટી પર પડેલો ખડક એક રહસ્ય સમાવીને બેઠો છે, આ ખડક એક ગાયબ કાળખંડની કહાણી સંઘરીને બેઠો છે.

પર્વતો, ખીણો અને અન્ય ભૂમિપ્રદેશ બનાવતા પહાડના પોપડા પુસ્તકનાં પાનાં જેવા છે જે આપણને જણાવે છે કે આજે આપણે જે પૃથ્વી જોઈએ છીએ તે ક્યારે અને કેવી રીતે રચાઈ હતી.

પૃથ્વીના પોપડાને અડીને આવેલો ખડક આ પુસ્તકના શરૂઆતનાં પાનાં છે. આ પાનાં જે પૃથ્વીનો પ્રારંભિક ઇતિહાસ રજૂ કરે છે.

પછીના પોપડા વિશે જાણવા સાથે આપણને પૃથ્વી વિશે વધુ જાણકારી મળે છે. પણ પ્રશ્ન એ છે કે પુસ્તકનાં પાનાં ગાયબ હોય તો શું થાય? જો તમે તેનાં પ્રકરણો પણ વાંચી શકતાં નથી, તો પછી તમે કહાણી કેવી રીતે સમજશો?

line

જંત્રી શું છે? ગુજરાતમાં જંત્રીમાં કરાયેલા ભાવવધારાને કારણે ઘર ખરીદવું કેટલું પડશે મોંઘું?

જંત્રી

ઇમેજ સ્રોત, Ani

ગુજરાત સરકારે જંત્રીમાં કરાયેલા બમણા ભાવવધારાને કારણે બિલ્ડર જગતમાં તો હાહાકાર છે પણ સાથે સામાન્ય લોકોને પણ તેની અસર થઈ શકે છે.

12 વર્ષ બાદ કરાયેલા જંત્રીના આ વધારાને કારણે ન માત્ર બિલ્ડરો મુંઝવણમાં મુકાયા છે, પરંતુ જે લોકો પ્રૉપર્ટી ખરીદી રહ્યા છે અથવા તો ખરીદવા માગે છે તેમને પણ ખિસ્સામાંથી વધુ પૈસા ખરચવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.

રાજ્ય સરકારે હાલ ઍડ્હૉક ધોરણને નવી જંત્રી અમલમાં રહેશે તેવો નિર્ણય કર્યો છે. સરકારી સૂત્રો જણાવી રહ્યા છે કે સરકારે મહેસૂલી આવક વધારવાના ભાગરૂપે આ નિર્ણય લીધો છે.

છેલ્લા 12 વર્ષથી જંત્રીનો ભાવ વધ્યો ન હોવાથી સરકારની આવક ઓછી થઈ છે વળી બજાર ભાવ વધુ અને જંત્રી ઓછી હોવાના કારણે જમીન સંપાદનમાં પણ સરકારને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

જોકે બિલ્ડર લોબી માને છે કે સરવાળે તો તમામ બોજ ઘર કે પ્રૉપર્ટી ખરીદનારા પર જ પડશે.

CREDAIના હોદ્દેદારોએ ગુજરાત સરકારને જંત્રીનો ભાવવધારો ધીરે-ધીરે અમલમાં લાવવાની માગ કરી છે. જાણો જંત્રીની આંટીઘૂંટી.

line

કેરળના ટ્રાન્સજેન્ડર કપલની કહાણી

સહદ અને જિયા

ઇમેજ સ્રોત, ZIYA PAVAL/INSTAGRAM

કેરળનાં સહદ અને જિયા ટ્રાન્સજેન્ડર છે. થોડાડ દિવસોમાં તેઓ માતા-પિતા બનવાનાં છે. સહદની પ્રેગનેન્સીના ફોટો વાઇરલ થઈ રહ્યા છે.

કેરળના કોઝિકોડ-ઉમ્માલાથુર વિસ્તારના સહદ અને જિયા બંને ખૂબ ખુશ છે. સહદ તુલસી મહિલા તરીકે જન્મ્યાં હતાં અને પુરુષ બન્યા હતા. એ જ રીતે જિયા પાવલ ટ્રાન્સજેન્ડર છે, જે પુરુષ તરીકે જન્મ્યા હતા અને મહિલા બન્યાં છે.

તેઓ એકબીજાને પ્રેમ કરે છે અને છેલ્લાં ત્રણ વર્ષથી સાથે રહે છે. તેઓ પ્રથમ સંતાનની ઇચ્છાના કારણે બાળકને દત્તક લેવા માગતાં હતાં, પરંતુ કેટલીક કાયદાકીય બાબતોના કારણે તેમણે જાતે બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું અને ડૉક્ટરનો સંપર્ક કર્યો.

જોકે સહદના સ્તન સેક્સ રિ-અસાઇનમેન્ટ સર્જરીમાં કાઢી નાખવામાં આવ્યા હતા, પરંતુ તેમના ગર્ભાશય સહિતનાં અંગો હજુ કાઢવાનાં બાકી હતાં. તેથી ડૉક્ટરોએ કહ્યું કે તેઓ મેડિકલ ટ્રીટમેન્ટ દ્વારા ગર્ભવતી બની શકે છે. જોકે જિયા અને સહદ બંનેની રિઅસાઇમેન્ટ ટ્રીટમેન્ટ ચાલી રહી છે, પરંતુ ડૉક્ટરે કહ્યું છે કે સહદ ગર્ભવતી થઈ શકે છે, કારણ કે તેઓ હજુ સંપૂર્ણપણે વિકસિત નથી.

તે મુજબ, જિયાના શુક્રાણુને લૅબોરેટરીમાં પુન:પ્રાપ્ત કરવામાં આવ્યા અને તેને સહદના ગર્ભાશયમાં ઇન્જેક્ટ કરવામાં આવ્યા. સહદે આ રીતે ગર્ભ ધારણ કર્યો, સહદ ફેબ્રુઆરી મહિનામાં સિઝેરિયન સેક્શન દ્વારા બાળકને જન્મ આપવાના છે.

line

બીબીસી સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરઃ પાંચ દાવેદારોનાં નામ જાહેર

બીબીસી

'બીબીસી સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર'ની ચોથી આવૃત્તિનું આયોજન બીબીસીએ કર્યું છે અને તેનાં દાવેદારોનાં નામ જાહેર કર્યાં છે.

2022 માટેનાં પાંચ દાવેદારોમાં વેઇટલિફટર મીરાબાઈ ચનુ, કુસ્તીબાજ સાક્ષી મલિક તથા વિનેશ ફોગાટ, બૅડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુ અને બૉક્સર નિખત ઝરીનનો સમાવેશ થાય છે.

એશિયા પૅરા ગેમ્સ 2018નાં ગોલ્ડ મેડલિસ્ટ પૅરાથ્લીટ એકતા ભ્યાને બીબીસી દ્વારા પૅરાથ્લીટ્સને પુરસ્કાર આપવાની સરાહના કરી. તેમના મુજબ આનાથી લોકોમાં એક મજબૂત સંદેશ પહોંચે છે કે વિકલાંગ લોકોમાં પણ ટૅલેન્ટ અને પ્રતિભા હોય છે જેની નોંધ લેવી જોઈએ અને તેની ઉજવણી પણ થવી જોઈએ.

મુક્કાબાજ અને ઑલિમ્પિક ચંદ્રક વિજેતા વિજેન્દર સિંહે કહ્યું હતું કે, "તમે મૅરી કોમ, નિખત ઝરીન, સાક્ષી મલિકને જોઈ શકો છો. તેઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યાં છે. મને લાગે છે કે મહિલાઓ અમારા (પુરુષો) કરતાં બે ડગલાં આગળ છે."

બીબીસી ન્યૂઝનાં ભારતનાં વડાં રૂપા ઝાએ આજે યોજાયેલી પત્રકારપરિષદમાં જણાવ્યું હતું કે આ પુરસ્કાર ભારતીય ખેલાડીઓના યોગદાનનું સન્માન કરે છે અને દેશમાં સ્પૉર્ટ્સ ક્ષેત્રે મહિલાઓએ મેળવેલી સિદ્ધિની ઉજવણી કરે છે.

line

ગર્ભમાંથી જ બાળકની સ્વાદ અને સૂંઘવાની સમજણ વિકસિત થાય છે?

ગર્ભવતી

ઇમેજ સ્રોત, IMAGESBAZAAR

તમારા ગર્ભમાં રહેલા બાળકને પણ સ્વાદની ખબર પડે છે અને તેના પર તે પ્રતિક્રિયા પણ આપે છે, આ વાત એક સંશોધન દ્વારા સામે આવી છે.

રેશમા આ સવાલ સાંભળીને જ ફોન પર હસી પડે છે અને કહે છે કે ખબર ન હતી, પણ સાંભળીને સારું લાગી રહ્યું છે.

તેઓ ત્રીજી વાર માતા બન્યાં છે. તેઓ કહે છે કે, "જ્યારે પહેલી વાર મને ગર્ભ રહ્યો ત્યારે ખાટું ખાવાનું મન થતું, બીજી વારના ગર્ભ વખતે હું બીમાર રહી અને ત્રીજી વાર મને ચટપટું ખાવાનું મન થતું હતું."

"એ સાંભળીને સારું લાગ્યું કે બાળકોને પણ સ્વાદ આવે છે. હું ચટપટું ખાઉં છું એટલે કદાચ મારા ગર્ભમાં વિકસી રહેલા બાળકને પણ ચટપટું ખાવાનું ગમી રહ્યું હશે."

ગર્ભમાં વિકસી રહેલા બાળકને પણ સ્વાદનો અહેસાસ થાય છે અને તેઓ સૂંઘવાની ક્ષમતા પણ ધરાવે છે - આ ખોટું નથી પરંતુ એક નવા સંશોધનમાં આ વાત સામે આવી છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન