ગુજરાત પાસે દરિયામાંથી પકડાયું 350 કરોડનું હેરોઇન, પાકિસ્તાનની બોટ કઈ રીતે ઝડપાઈ? - પ્રેસ રિવ્યૂ

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ભારતીય તટરક્ષક અને ગુજરાત એટીએસના સંયુક્ત ઑપરેશનમાં એક પાકિસ્તાની બોટમાંથી 350 કરોડ રૂપિયાની કિંમતનું 50 કિલોગ્રામ હેરોઇન પકડાયું છે.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર આ ઑપરેશનમાં ભારતીય જળસીમામાંથી પાકિસ્તાની બોટ અલ સકારને પકડી પાડવામાં આવી હતી.

તપાસ કરતા બોટમાંથી 50 કિલોગ્રામ હેરોઇન મળી આવ્યું હતું. જેથી આ બોટ અને તેમાં હાજર છ લોકોને વધુ તપાસ માટે જખૌ લાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસે છેલ્લા એક વર્ષમાં આ રીતે છઠ્ઠું સંયુક્ત ઑપરેશન પાર પાડ્યું છે. છેલ્લા એક મહિનામાં આ બીજું ઑપરેશન છે.

આ પહેલાં 14 સપ્ટેમ્બરના રોજ બંનેએ સાથે મળીને એક પાકિસ્તાની બોટમાંથી અંદાજે 200 કરોડની કિંમતનું 40 કિલો હેરોઈન પકડ્યું હતું.

વંદે ભારત એક્સપ્રેસ ફરી ઢોર સાથે અથડાઈ

ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ભેંસ સાથે અથડાઈ હતી એના બીજા જ દિવસે ટ્રેન કણજરી-આણંદ રેલવેસ્ટેશન વચ્ચે એક ગાય સાથે અથડાઈ હતી.

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, આ ઘટના શુક્રવારે બપોરે પોણા ચાર વાગ્યે આણંદ પાસે બની હતી. એક ગાય રેલવે ટ્રેક પર આવી જતા આ અકસ્માત સર્જાયો હતો.

પશ્ચિમ રેલવેના એક અધિકારીએ હિંદુસ્તાન ટાઇમ્સને જણાવ્યું કે આ ઘટનામાં ટ્રેનના આગળના ભાગે થોડું ઘણું નુકસાન થયું હતું. જેના લીધે ટ્રેનને 10 મિનિટ માટે રોકવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે આ ઘટનાના એક દિવસ પહેલાં જ ગાંધીનગર તરફ જઈ રહેલી વંદે ભારત ટ્રેન ભેંસ સાથે અથડાઈ હતી. જેમાં એન્જિનની આગળની પૅનલમાં ગંભીર ક્ષતિ થઈ હતી.

નાસિકમાં બસમાં આગ લાગવાથી 11 લોકોનાં મૃત્યુ, સંખ્યાબંધ લોકો ઈજાગ્રસ્ત

નાસિક પાસે એક ખાનગી બસમાં આગ લાગતાં 11 લોકોનાં મૃત્યુ થયાં છે. એનડીટીવીના અહેવાલ પ્રમાણે, નાસિકના નાયબ પોલીસ અધિક્ષક અમોલ તાંબેએ કહ્યું કે સવારે 5:30 વાગ્યે મુંબઈથી યવતમાલ જઈ રહેલી એક ખાનગી બસ અને માલવાહક ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો.

તેમણે વધુમાં કહ્યું, "બસમાં સવાર 11 મુસાફરોનું મૃત્યુ થયું છે. જ્યારે 38 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત છે. તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે."

પોલીસ દ્વારા અકસ્માત અને બસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ અકસ્માત નાસિક-ઔરંગાબાદ રૂટ પર નંદૂરનાકા ખાતે થયો હતો.

AAPના મંત્રીની ધર્મપરિવર્તન સંબંધિત કાર્યક્રમમાં હાજરીથી વિવાદ

દિલ્હી સરકારમાં મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ ધર્મ પરિવર્તન સંબંધિત કાર્યક્રમમાં હાજર રહેતા વિવાદ સર્જાયો છે. આ કાર્યક્રમ પાંચ ઑક્ટોબરે અશોકા વિજયદશમી નિમિત્તે દિલ્હીમાં આયોજિત કરવામાં આવ્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, સમાજકલ્યાણ મંત્રી અને સીમાપુરીથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજેન્દ્ર પાલ ગૌતમે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેઓ એક કાર્યક્રમમાં સામેલ રહ્યા, જેમાં અંદાજે 10 હજાર લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.

તેમણે ટ્વીટ કર્યું, "ચાલો બુદ્ધ તરફ, મિશન જય ભીમ બોલાવે છે. આજે 'મિશન જય ભીમ' અંતર્ગત અશોકા વિજયદશમી પર ડૉ. આંબેડકરભવન, રાણી ઝાંસી રોડ પર 10 હજારથી વધુ બુદ્ધિજીવીઓએ તથાગત ગૌતમ બુદ્ધના ધમ્મમાં ઘરવાપસી કરીને જ્ઞાતિવિહીન તેમજ છૂત-અછૂત મુક્ત ભારત બનાવવાના શપથ લીધા હતા."

જોકે ભાજપનો આરોપ છે કે આ કાર્યક્રમ દરમિયાન રાજેન્દ્ર પાલ ગૌતમે દેવી-દેવતાઓનું અપમાન કર્યું છે. તેમણે આમ આદમી પાર્ટીને હિંદુવિરોધી ગણાવી છે. જોકે, રાજેન્દ્ર પાલ ગૌતમે આ આરોપો ફગાવ્યા છે.

આદેશ ગુપ્તા સિવાય ભાજપ નેતા કપિલ મિશ્રા, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ પણ સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે.

ધ હિંદુના અહેવાલ પ્રમાણે બાદમાં રાજેન્દ્ર પાલ ગૌતમે આ વિવાદને લઈને માફી માગી હતી.

તેમણે કહ્યું, "અમે તમામ ધર્મનો આદર-સત્કાર કરીએ છીએ. સૌની આસ્થાને માન આપીએ છીએ કારણ કે બાબાસાહેબ ખુદ બંધારણમાં અધિકાર આપીને ગયા હતા કે તમામને પોતાના ધર્મની ઉપાસનાની સ્વતંત્રતા છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો