કોરોના વાઇરસ: ગુજરાતમાં ચોવીસ કલાકમાં 23,150 નવા કેસ, 15 લોકોનાં મૃત્યુ

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

રાજ્ય સરકાર દ્રારા આપવામાં આવતા આંકડા અનુસાર 21 જાન્યુઆરીએ રાજ્યમાં 21 હજાર 225 કેસ નવા કોરોના કેસ નોંધાયા હતા જેમાં 22 જાન્યુઆરીના રોજ વધારો થયો છે.

22 જાન્યુઆરીની સરકારની અખબારી યાદી અનુસાર ગુજરાતમાં 23 હજાર 150 નવા કોરોના કેસ નોંધાયા છે અને 15 લોકો મૃત્યુ પામ્યાં છે.

રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 86.60 ટકા છે.

રાજ્યમાં હાલ કોરોનાના 1 લાખ 29 હજાર 875 ઍક્ટિવ કેસ છે. ગત 24 કલાક દરમિયાન રાજ્યમાં 15 લોકોનાં મૃત્યુ થયાં છે તો 10,103 દરદીઓ સાજા થયા છે.

અમદાવાદ કૉર્પોરેશનમાં 5, સુરત તથા રાજકોટ કૉર્પોરેશનમાં 1-1, સુરત જિલ્લામાં 3 તથા ભાવનગરમાં 3 કોરોના દરદીઓ મૃત્યુ પામ્યાં છે.

માયાવતીએ ઉમેદવારોનાં બીજાં નામો સાથે જાહેર કર્યો ચૂંટણીનો નવો નારો

બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયવતીએ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના 51 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

આ અવસરે બીએસપી સુપ્રીમોએ કહ્યું કે આ વખતે પાર્ટીનો નારો હશે - 'હર પોલિંગ બૂથ કો જિતાના હે BSP કો સત્તા મે લાના હૈ.'

માયાવતીએ ઉમેદવારોની યાદી જારી કરતાં કહ્યું કે તેમને આશા છે કે બીએસપીના કાર્યકરો આકરી મહેનત કરશે અને વર્ષ 2007ની જેમ ફરી એક વખત સરકાર બનશે.

મુંબઈ : 20 માળની ઇમારતમાં આગ ફાટી નીકળી, સાતનાં મૃત્યુ

મુંબઈના તારદેવમાં ભાટિયા હૉસ્પિટલ પાસે આવેલી 20 માળની ઇમારતના 18મા માળે શનિવારે સવારે સાડા સાત વાગ્યે આગ લાગી હતી.

BMCએ સમાચાર એજન્સી ANIના હવાલાથી જણાવ્યું છે કે કમલા ઇમારતમાં આગ લાગવાની ઘટનામાં સાત લોકોનાં મૃત્યુ થયાં છે.

સમાચાર એજન્સી ANI અનુસાર ઈજાગ્રસ્તોને ભાટિયા હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.

બીજી તરફ સમાચાર એજન્સી PTI અનુસાર 15 લોકોને શ્વાસ લેવામાં પરેશાનીને કારણે હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.

સમાચાર એજન્સી ANI અનુસાર સ્થળ પર પાંચ ઍમ્બુલન્સ અને ફાયર બ્રિગેડનાં 13 વાહનો પહોંચી ચૂક્યાં છે.

BMCના એક અધિકારીએ PTIને જણાવ્યું, "આ એક 20 માળની ઇમારત છે. આગ તેના 18મા માળે લાગી હતી, ફાયર બ્રિગેડનાં વાહનો અને પોલીસ સ્થળ પર પહોંચી ગયાં છે. 13 ફાયર બ્રિગેડનાં વાહનો, સાત પાણીનાં જેટ મોકલવામાં આવ્યાં છે અને બચાવકાર્ય જારી છે."

આગ લાગવાનાં કારણોની હજુ સુધી ખબર પડી શકી નથી.

મુંબઈનાં મેયર કિશોરી પેડનેકરે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને જાણકારી આપી છે કે આગ પર કાબૂ મેળવી લેવાયો છે પરંતુ ઇમારતમાંથી ખૂબ જ ધુમાડો નીકળી રહ્યો છે.

સિદ્ધાંતવાદી અને કાર્યક્ષમ નેતાઓને ચૂંટો : લેઉવા પટેલોને નરેશ પટેલનો સંદેશ

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલ પ્રમાણે ખોડલધામના પાંચમા પાટોત્સવ ખાતે લેઉવા પટેલોને સંબોધતાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે શુક્રવારે 'આત્મલક્ષી નિર્ણયઘડતર'થી દૂર રહીને ચૂંટણીમાં માત્ર મજબૂત, કાર્યક્ષમ અને સિદ્ધાંતવાદી નેતાઓને ચૂંટવા માટે સંદેશ પાઠવ્યો હતો.

ખોડલધામના સંકુલમાંથી લેઉવા પટેલોને સંબોધતાં તેમણે આગળ જણાવ્યું હતું કે, "ઘણી વખત આત્મલક્ષી નિર્ણયઘડતર આપણી પસંદગી નક્કી કરે છે. પરંતુ જ્યારે વાત સમાજની હોય ત્યારે આપણે કેવા નેતાની પસંદગી કરવી જોઈએ? એક નેતા મજબૂત, કાર્યક્ષમ અને સિદ્ધાંતવાદી હોવો જોઈએ. ચાલો આજે વચન લઈએ કે આપણે આવા જ નેતાઓને પસંદ કરશું."

તેમનું આ સંબોધન ગુજરાતનાં કુલ 1,008 સ્થળોએ વર્ચ્યુઅલી બતાવાયું હતું.

નોંધનીય છે કે પટેલ રાજકોટના એક ઉદ્યોગપતિ છે. તેઓ ખોડલધામ મંદિર પ્રોજેક્ટમાં મુખ્ય ભૂમિકામાં હતા.

તેમણે તાજેતરમાં જ એવું પણ નિવેદન આપ્યં હતું કે જો સમાજના લોકોની માગ હશે તો તેઓ રાજકારણમાં ઝંપલાવશે.

ગુજરાતમાં 900 બૅંકકર્મચારીઓ કોરોના સંક્રમિત

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક અહેવાલ અનુસાર મહાગુજરાત બૅન્ક ઍમ્પ્લોયીઝ ઍસોસિયેશન (MGBEA) માહિતી જારી કરી જણાવ્યું છે કે કોરોનાની ત્રીજી લહેરમાં રાજ્યમાં 900 કર્મચારી કોરોનાથી સંક્રમિત થયા છે. જેના કારણે ઘણી બૅંક શાખાઓ પાંચ દિવસ સુધી બંધ રાખવાની ફરજ પડી હતી.

આવી પરિસ્થિતિને કારણે સંગઠને ગુજરાતની સ્ટેટ લેવલ બૅન્કર્સ કમિટી (SLBC)એ બૅંકિંગ ઑપરેશન ચાલુ રાખવાના કલાકો ઘટાડવાની વિનંતી કરી છે.

સંગઠનની વિનંતી મુજબ SLBCએ સવારના દસથી બપોરના એક વાગ્યા સુધી જ બૅંકનું કામકાજ મર્યાદિત કરી દેવું જોઈએ.

આ માગણીને લઈને SLBC ગુજરાતના કન્વીનર એમ. એમ. બંસલ સમક્ષ શુક્રવારે રજૂઆત કરાઈ હતી.

નોંધનીય છે કે કોરોનાના સંક્રમણના કારણે ફેડરલ બૅંક, બૅંક ઑફ ઇન્ડિયા, બૅંક ઑફ બરોડા, યુકો બૅંક, યુનિયન બૅંક અને સેન્ટ્રલ બૅંક સહિતની બૅંકોની દુર્ગમ શાખાઓ બંધ રાખવામાં આવી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો