લખીમપુર ખીરી મામલે ખેડૂતોનું રેલરોકો આંદોલન, પંજાબ-હરિયાણામાં અનેક ટ્રેનો ખોરવાઈ

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતોનાં મૃત્યુના મામલે સોમવારે (18 ઑક્ટોબર) રેલરોકો આંદોલન કરવાની હાકલ સંયુક્ત કિસાન મોરચાએ કરી હતી.

દેશના વિવિધ ભાગોમાં રેલરોકો આંદોલન સવારે 9.30 વાગ્યાથી શરૂ થઈ ગયું હતું અને અનેક વિસ્તારોમાં તેની અસર જોવા મળી હતી.

ખાસ કરીને, પંજાબ અને હરિયાણામાં રેલરોકો આંદોલનની અસર વધારે જોવા મળી હતી.

સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ બપોર સુધીમાં 130 સ્થળોએ 50 ટ્રેનો અટકાવી દેવામાં આવી હતી.

રાજ્યકક્ષાના ગૃહમંત્રી અજય મિશ્ર ટેનીને તેમના પદેથી હઠાવવાની માગ ખેડૂત સંગઠને કરી હતી, જે પૂર્ણ ન થતાં રેલરોકો આંદોલન હાથ ધરવામાં આવ્યું હતું.

ખેડૂત સંગઠને રવિવારે જણાવ્યું હતું કે તેઓ છ કલાક માટે રાષ્ટ્રવ્યાપી રેલરોકો આંદોલન કરશે.

પંજાબના અમૃતસરના દેવીદાસપુર ગામ પાસે રેલવે ટ્રેક પર સવારથી ખેડૂતો બેસી ગયા હતા અને રેલવેવ્યવહારને ઠપ કરવાનો પ્રયાસ કર્યો હતો.

તો હરિયાણાના બહાદુરગઢમાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને રેલવેના પાટા પર બેસીને સૂત્રો પોકાર્યાં હતાં.

પંજાબ અને હરિયાણામાં કેન્દ્ર સરકારના નવા કૃષિકાયદાના વિરુદ્ધમાં આંદોલનની વધારે અસર જોવા મળી હતી, રેલરોકો આંદોલનની અસર પણ આ રાજ્યોમાં વધારે જોવા મળી હતી.

રાજકીય પક્ષોનાં ખેડૂત સંગઠનોનું પણ આ રેલરોકો આંદોલનને સમર્થન આપ્યું હતું અને એ સંગઠનો દ્વારા ઠેકઠેકાણે પ્રદર્શનો કર્યાં હતાં.

મુસાફરોને હાલાકી

રેલરોકો આંદોલનના કારણે ઠેકઠેકાણે રેલવેવ્યવહાર પ્રભાવિત થયો હતો, જેના કારણે મુસાફરોને હાલાકી વેઠવી પડી હતી.

પંજાબમાં રેલરોકો આંદોલનને પગલે વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા, જેના પગલે ચંડીગઢ તરફ જઈ રહેલી ટ્રેનો પ્રભાવિત થઈ હતી.

સમાચાર એજન્સી એએનઆઈએ કેટલાક મુસાફરો સાથે આ મામલે વાત કરી હતી.

એસએએસનગર જિલ્લાના ડેરા બસ્સી તાલુકામાં આવતા ડપ્પર સ્ટેશને ચંડીગઢ જઈ રહેલી ટ્રેનને ટર્મિનેટ કરી દેવાઈ હતી. જેના પગલે અનેક મુસાફરો અટવાયા હતા.

ઉત્તર રેલવેના સીપીઆરઓનું કહેવું હતું કે રેલરોકો આંદોલનના કારણે અત્યાર સુધીમાં 130 સ્થળોએ અસર જોવા મળી, 50 ટ્રેનને અસર થઈ હતી.

લખનૌમાં NSA લગાવવાની ચેતવણી

આંદોલનને ધ્યાને રાખીને ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

તો બીજી તરફ લખનૌ પોલીસે કલમ 144 લાગુ કરી હતી અને જનજીવનને ઠપ કરવાનો પ્રયાસ કરનારાઓ પર એનએસએ લગાવી દેવાની ચેતવણી આપી હતી.

રાકેશ ટિકૈતે શું કહ્યું?

ભારતીય કિસાન યુનિયનના રાકેશ ટિકૈતે રેલરોકો આંદોલન અંગે સમાચાર એજન્સી એએનઆઈને પ્રતિક્રિયા આપી હતી.

તેમણે સોમવારે સવારે રેલરોકો આંદોલન શરૂ કરાયું, એ વખતે કહ્યું હતું કે "આ અલગ-અલગ જિલ્લાઓમાં અલગ-અલગ જગ્યાઓએ થશે."

"દેશભરમાં લોકોને ખ્યાલ છે કે અમારે ક્યાં-ક્યાં ટ્રેનોને રોકવાની છે. ભારત સરકારે હજી સુધી અમારી સાથે કોઈ વાત કરી નથી."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો