નરેન્દ્ર મોદી જો ગુજરાતથી ચૂંટણી લડશે તો હારશે - ખેડૂતનેતા રાકેશ ટિકૈત

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ભારતીય કિસાન યુનિયનના નેતા અને દિલ્હીની સરહદે ચાલી રહેલા ખેડૂતઆંદોલનનો ચહેરો બનેલા રાકેશ ટિકૈતે રવિવારે કિસાન મહાપંચાયતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું.

ધ ઇન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે રાકેશ ટિકૈતે કહ્યું કે "વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશથી ચૂંટણી ન લડવી જોઈએ, અને ગુજરાતમાં નસીબ અજમાવવું જોઈએ."

રાકેશ ટિકૈતે તેમના આ નિવેદન અંગે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું, "જો વડા પ્રધાન ગુજરાતમાંથી ચૂંટણી લડશે તો હારી જશે, તેમણે ગુજરાતને બરબાદ કરી નાખ્યું છે."

"તેમણે ગુજરાત રાજ્યને 'પોલીસ રાજ્ય' બનાવી દીધું છે."

રવિવારે મુઝફ્ફરનગર ખાતે યોજાયેલી કિસાન મહાપંચાયતમાં ઉત્તર પ્રદેશ અને તેની આસપાસનાં રાજ્યોમાંથી હજારો ખેડૂતો એકઠા થયા હતા.

રાકેશ ટિકૈતે મુઝફ્ફરનગરમાં આયોજિત ખેડૂત મહાપંચાયતમાં કહ્યું કે ખેડૂતો પોતાનો વિજય ન થાય ત્યાં સુધી પાછળ નહીં હઠે.

ખેડૂત મહાપંચાયતનું આયોજન ત્રણ કૃષિકાયદાના વિરોધમાં કરાયું હતું. કાયદા પાછા ખેંચવાની માગને લઈને ખેડૂતો નવ મહિના કરતાં વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે. ખેડૂતો દિલ્હીની બૉર્ડર પર અડગ છે.

ભાજપે ટિકૈત પર રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે.

કેન્દ્રીય મંત્રી અને મુઝફ્ફનગરના સાસંદ સંજીવ બાલયાને ANIને કહ્યું કે, "જો તેઓ (સંયુક્ત કિસાન મોરચા) રાજકારણમાં આવવા માગે છે. તો અમે તેમનું સ્વાગત કરીશું."

AAPથી ગુજરાતમાં કૉંગ્રેસને નુકસાન ભાજપને ફાયદો - હાર્દિક પટેલ

2022માં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે, એ વચ્ચે આમ આદમી પાર્ટી સતત ચર્ચામાં રહી છે.

આમ આદમી પાર્ટી અંગે કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલનું નિવેદન આવ્યું છે.

ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે હાર્દિક પટેલનું કહેવું છે કે આમ આદમી પાર્ટીથી ગુજરાતમાં કૉંગ્રેસને નુકસાન છે.

હાર્દિકે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને કહ્યું, "ભાજપથી નારાજ મતદારોને કૉંગ્રેસ તરફ જતાં રોકવા માટે AAP ગુજરાતમાં આવી છે. જેનો ફાયદો ભાજપને થશે અને નુકસાન કૉંગ્રેસને થશે."

હાર્દિકે ભાજપનું નામ લીધા વગર એવું પણ કહ્યું કે "કોઈ તેમની મદદ કરી રહ્યું છે, દિલ્હીથી કોઈ મદદ કરતું હોય એવું પણ હોઈ શકે."

હાર્દિકે આ શંકા વ્યક્ત કરવા અંગેના કારણો આપતાં કહ્યું, "તેમને ગુજરાતમાં પ્રચાર કરવા માટે જે સ્વતંત્રતા મળી રહી છે એની પર નજર કરો અને પ્રચાર પાછળના ખર્ચ પર નજર કરો."

ગુજરાતમાંથી 'કોરોનાથી ખતરનાક' કૉંગો ફીવરનો સ્ટ્રેન માણસમાંથી મળ્યો

ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે કૉંગો ફીવરનો એશિયન-પશ્ચિમી આફ્રિકન વૅરિયન્ટ ભારતમાં પહેલી વખત માણસમાં મળી આવ્યો છે, 2019માં ગુજરાતમાં નોંધાયેલા 34 કેસ પર કરેલા અભ્યાસ બાદ આ અંગે જાણ થઈ છે.

2019માં ગુજરાતમાં કૉંગો ફીવરના નોંધાયેલા 34 કેસો પૈકી 17 દરદીઓનાં મૃત્યુ થયાં હતાં, એટલે આ રોગમાં મૃત્યુનું જોખમ 50 ટકા જેટલું નોંધાયું છે.

કૉંગો ફીવરને કોરોના વાઇરસના સંક્રમણ કરતાં જીવલેણ માનવામાં આવે છે, આ રોગ સામાન્યપણે પ્રાણીઓથી ફેલાય છે.

કેરળના આરોગ્યકર્મીઓમાં નિપાહ વાઇરસનાં લક્ષણો દેખાયાં

કોરોના વાઇરસના માતબર કેસો વચ્ચે કેરળમાં નિપાહ વાઇરસનો કેસ આવતાં આરોગ્ય વિભાગ ચિંતામાં છે.

નિપાહ વાઇરસથી સંક્રમિત 12 વર્ષીય કિશોરના મૃત્યુ બાદ તેમના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરાઈ રહી હતી.

જેમાંથી બે આરોગ્યકર્મીઓમાં નિપાહ વાઇરસનાં લક્ષણો જોવા મળ્યાં છે.

ધ હિંદુસ્તાન ટાઇમ્સ પ્રમાણે કેરળનાં આરોગ્યમંત્રી વીણા જ્યૉર્જે રવિવારે માહિતી આપી હતી કે વધુ બે લોકોમાં નિપાહ વાઇરસના સંક્રમણનાં લક્ષણો જોવા મળ્યાં છે.

તેમના કહેવા પ્રમાણે આ બંને આરોગ્યકર્મી 12 વર્ષીય સંક્રમિત કિશોરના સંપર્કમાં આવતા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો