પિરિયડ્સ એક શારીરિક પ્રક્રિયા છતાં તે હજુ અપવિત્ર કેમ? સોશિયલ મીડિયા પર લોકોએ આપ્યો જવાબ

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

મહિલાઓની શારીરિક પ્રક્રિયા એટલે કે 'પિરિયડ્સ' નામનો શબ્દ સાંભળતા કેટલીક આંખો ચોંટી જાય, કાન સરવા થઈ જાય. પણ લોકો એ વાત પર ઓછું ધ્યાન આપે છે કે તેના વગર એક નવા જીવનની કલ્પના પણ અશક્ય છે.

આ વાત બધા જ જાણે છે છતાં તે આજે પણ આ એક એવો વિષય છે જેના વિશે જાહેરમાં વાત કરવી સામાન્ય વાત નથી.

પણ એક નવા જીવનની રચનામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવતી એક સામાન્ય શારીરિક પ્રક્રિયા શરમની વાત કેવી રીતે હોઈ શકે છે?

આ મુદ્દા પર આજે વાત નથી થતી અને જો થાય છે તો પણ મહિલાઓ વચ્ચે સીમિત રહે છે.

મહિલાને મનાય છે અપવિત્ર

માસિક દરમિયાન મહિલાઓને ઘણી વસ્તુઓથી દૂર રાખવામાં આવે છે, આ દરમિયાન લોકો મહિલાને અપવિત્ર માને છે.

મહિલાઓ ધાર્મિક સ્થળે નથી જઈ શકતી. કેટલાંક ઘરમાં તો મહિલાઓની રસોડામાં પણ 'નો ઍન્ટ્રી' થઈ જાય છે.

લોકો કહે છે કે આપણા વડીલોએ આ નિયમો બનાવ્યા છે, તો સમજી વિચારીને બનાવ્યા હશે. કેટલાક લોકોને આમાં લૉજિક દેખાય છે તો કેટલાક લોકો માટે તો માત્ર જૂનાં રૂઢિચુસ્ત બંધન સમાન છે.

આજે પણ કોઈ છોકરીનાં કપડાં પર પિરિયડનો દાગ જોવા મળી જાય તો તે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે અને તેને શરમનો અનુભવ કરાવવા માટે લોકો દરેક પ્રયાસ કરે છે.

આજે પણ પૅડ ખરીદવું શરમની વાત

આજે દારૂ, સિગરેટને હાનિકારક મનાય છે છતાં એને તો ખુલ્લેઆમ વેચવામાં આવે છે, પણ પિરિયડ્સમાં હાઇજિનની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ પૅડને કાળા રંગની કોથળીમાં છૂપાવીને વેચવામાં આવે છે.

મેડિકલ સ્ટોરમાંથી પૅડ ખરીદતા એવું લાગ છે કે જાણે કોઈ ડ્રગ્સની તસ્કરી કરી રહ્યાં હોઈએ.

ગામડામાં ઘણી અથવા તો કહીએ તો મોટાભાગની મહિલાઓને પૅડ મળતા નથી અને તેઓ કપડાંનો ઉપયોગ કરે છે. તેનો ફરી ઉપયોગ કરવા માટે મહિલાઓ તેને ધોઈને સૂકવે છે. પણ શરમના કારણે તેઓ એ કપડાને છૂપાવીને સૂકવે છે.

પરિણામસ્વરૂપે તેને તડકો કે હવા મળતી નથી અને અંતે તે કપડું બીમારીનું કારણ બને છે. આ બધાનું મુખ્ય કારણ એક જ છે, તેના વિશે ચર્ચા નથી થતી.

સમાજમાં પરિવર્તન આવી રહ્યું છે?

જોકે, સંતોષની વાત એ છે કે આજની તારીખમાં દુનિયાના ઘણા લોકો હવે આ મુદ્દે ખુલીને વાત કરી રહ્યા છે, કૅમ્પેઇન ચલાવી રહ્યાં છે અને જૂની પરંપરાને તોડવાના પ્રયાસ થઈ રહ્યા છે.

આ વાત અમને બીબીસીના વાંચકો પાસેથી પણ જાણવા મળી.

સોશિયલ મીડિયા પર જ્યારે અમે બીબીસીના વાંચકોને આ અંગે સવાલ કર્યો કે તેઓ આ અંગે શું વિચારે છે તો તેમણે કંઈક આ પ્રમાણે પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો હતો.

ડાન્સિંગ ડૉલ નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી લખવામાં આવ્યું છે, "હું એ વાત સાથે સહમત છું કે જે વસ્તુ નવું જીવન આપી શકતી હોય એ અપવિત્ર કેવી રીતે હોઈ શકે? 21મી સદી ચાલે છે પણ લોકોની વિચારધારા હજુ પણ 18મી સદીની જ છે. આપણે આપણી વિચારધારા જાતે જ બદલવી પડશે જેની શરૂઆત આપણાથી થવી જોઈએ."

દેવરાજજી ઠાકોર લખે છે, "કેટલીક છોકરીઓ શરમના લીધે ઘરના લોકો સાથે આ મુદ્દે વાત કરી શકતી નથી. આપણે મળીને આ અંગે નિવારણ લાવવું જરૂરી છે."

ધ્રુવ જાદવ લખે છે, "જૂના વિચારોને કારણે છોકરીઓ ઘરે પડતી તકલીફ કહી શકતી નથી. જો અપવિત્રતાનો શબ્દ કાઢી નાખવામાં આવે તો ઘણા બધાને આ વાત સમજાઈ જશે કે આ રોજિંદા જીવનનો એક ભાગ માત્ર છે. જેને દર મહિને સ્ત્રીએ સહન કરવું પડે છે. સલામ છે એ સ્ત્રીને જે આટલી તકલીફ હોવા છતાં ક્યારેય જતાવતી નથી."

મહેરિયા કશ્યપના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી કૉમેન્ટ આવી છે, "આ પિરિયડ્સ છોકરીઓના જીવનનો એક ભાગ માત્ર છે, બીજું કંઈ જ નથી."

ધ્રૃતી લખે છે, "દરેક ખોટી માન્યતાઓમાંથી બહાર આવવા સ્ત્રીએ જ સ્ત્રીની મદદ કરવી પડશે. જો દીકરીને માતા કે સાસુ મંદિરે જતાં રોકશે તો આ માન્યતા ચાલતી જ રહેશે."

સોલંકી દીપક લખે છે, "ખરેખર સ્ત્રી એટલી અપવિત્ર છે જે મંદિરમાં ન જઈ શકે તો તેની પેટમાંથી જન્મ લેનાર આપણે પોતે કેવી રીતે પવિત્ર છીએ?"

એન એન ગોહિલ નામના અકાઉન્ટ પરથી લખાયું છે, "ભારતમાં વિકાસ લાવવો છે પણ લોકો જ્યારે જૂની માન્યતાઓમાંથી બહાર નીકળે ખરા અર્થમાં વિકાસ ત્યારે જ આવશે."

આ તો માત્ર થોડા લોકોના પ્રતિભાવ છે જે અમને સોશિયલ મીડિયા થકી મળ્યા છે. હજુ પણ ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે જેમને અહીં આવરી શકાઈ નથી. પરંતુ તેમણે સમાજને બદલવાની જે વાત કહી છે તે ખરેખર ખૂબ મહત્ત્વની છે.

આ કૉમેન્ટ્સને જોઈને એવું લાગે છે કે હવે કદાચ બસ લોકોએ સમજવાની જરૂર છે કે પિરિયડ્સ એ કોઈ બીમારી નથી, બસ જીવનનો એક ભાગ છે. આ આ આભળછેટનો નહીં, પણ માત્ર અને માત્ર આરામ કરવાનો મામલો છે....

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો