You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના રસીકરણ : 18 વર્ષથી મોટી ઉંમરના તમામને 1 મેથી રસી અપાશે, નોંધણી કઈ રીતે કરશો?
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે ભારત સરકાર દ્વારા કોવિડ સંક્રમણને નાથવા રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ કરાઈ રહ્યો છે.
ભારત સરકારની જાહેરાત પ્રમાણે 18 વર્ષ કે તેથી વધુ વયના લોકો પહેલી મેથી રસી લઈ શકશે.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે સરકાર એક વર્ષથી એ દિશામાં મહેનત કરી રહી છે કે વધુમાં વધુ ભારતીયોને જેટલા ટૂંકા સમયમાં રસી આપી શકાય.
કોરોના મહામારી અંગેની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બેઠકમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
દુનિયાના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમના ત્રીજા તબક્કામાં રસીની કિંમત, પ્રોક્યોરમૅન્ટ, રસી મુકાવવાની લાયકાત અને રસી મૂકવાની પ્રક્રિયાને સ્થિતિસ્થાપક બનાવવામાં આવશે.
આ બધી પ્રક્રિયા સાથે સંકળાયેલા એકમો અથવા લોકોને સ્થાનિક જરૂરિયાત મુજબ રસીકરણ કાર્યક્રમમાં ફેરફાર કરવાની છૂટ પણ આપવામાં આવશે.
રસીનિર્માતાઓ તેમના જથ્થામાંથી 50 ટકા જેટલી રસી રાજ્યની સરકારોને આપી શકશે અને પહેલાંથી જાહેર કરાયેલી કિંમતે ખુલ્લા બજારમાં વેચી શકશે.
રાજ્યની સરકારોને રસીનિર્માતાઓ પાસેથી રસીના વધારાના ડોઝ ખરીદવાની સત્તાઓ આપવામાં આવશે અને 18 વર્ષથી વધારે ઉંમરના લોકોને રસી આપવાની છૂટ અપાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રસીનિર્માતાઓને રસીનું ઉત્પાદન વધારવા માટે મદદ આપવામાં આવશે તથા નવા ભારતીય અને આંતતરરાષ્ટ્રીય રસીનિર્માતાઓને આકર્ષવાના પ્રયાસ કરવામાં આવશે.
હેલ્થકૅર વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સને મફત રસી
ભારત સરકાર પહેલાંની જેમ હેલ્થકૅર વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ અને 45 વર્ષથી વધારે ઉંમરના લોકોને મફત રસી અપાવશે.
રસીના નિર્માતાઓ મહિનાના સેન્ટ્રલ ડ્રગ્સ લૅબોરેટરી (સીડીએલ)ના 50 ટકા ડોઝ ભારત સરકારને સપ્લાય કરશે જ્યારે બાકીના 50 ટકા ડોઝ રાજ્ય સરકારોને સપ્લાય કરી શકશે અને ખુલ્લા બજારમાં મૂકી શકશે.
રસીના નિર્માતાઓએ રાજ્ય સરકાર અને ખુલ્લા બજારમાં સપ્લાય માટે રસીના 50 ટકા ડોઝના ભાવ પહેલાંથી જાહેર કરવા પડશે, એ પણ તારીખ એક મે પહેલાં.
આ ભાવના આધારે રાજ્ય સરકારો, ખાનગી હૉસ્પિટલો, ઉદ્યોગો વગેરે રસીના ડોઝ નિર્માતાઓ પાસેથી લઈ શકશે. ખાનગી હૉસ્પિટલોને ભારત સરકાર માટેના આરક્ષિત 50 ટકા ડોઝ સિવાયના અન્ય 50 ટકા ડોઝમાંથીજ રસી મળી શકશે.
ખાનગી એકમોએ પારદર્શક રીતે રસીકરણ માટેના ભાવ જાહેર કરવા પડશે. આ રીતે 18 વર્ષથી વધારે ઉંમરના લોકોને રસી આપી શકાશે.
ભારત સરકારના રસીકરણ કેન્દ્રો પર આરોગ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઇન વર્કર્સ માટે રસીકરણ યથાવત રહેશે.
બધું જ રસીકરણ રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ જ આવશે અને કોવિન પ્લેટફૉર્મ મારફતે જ કરાવવામાં આવશે.
રસીકરણ માટે ભારત સરકારે CoWIN ઍપ લૉન્ચ કરી છે. આ ઍપ્લિકેશનમાં ચાર મોડ્યૂલ છે. જેમાં ઍડમિનિસ્ટ્રેશન મોડ્યૂલ, લાભાર્થીની નોંધણી, રસીકરણ અને લાભાર્થી મંજૂરી, અને સ્ટેટસ અપડૅશન છે.
કઈ રીતે નોંધણી કરશો?
CoWIN ઍપ કે વેબસાઇટ પર નોંધણી માટેના ત્રણ વિકલ્પો છે.
તેમાં સેલ્ફ રજિસ્ટ્રેશન, અંગત રજિસ્ટ્રેશન અને બલ્ક અપલોડના વિકલ્પો છે.
આ ઍપ પર રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ મોબાઇલ પર એક મૅસેજ આવશે. જેમાં વૅક્સિન લગાવવાનો સમય, તારીખ અને સેન્ટરની વિગતો હશે.
કોરોના વિરુદ્ધ રક્ષણ આપતી રસી મેળવવા માટે નોંધણી કરાવવા માટે અરજદારે ઓળખ રજૂ કરવા માટે ફોટો આઇ. ડી. પ્રૂફ આપવાનું રહેશે.
જે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, મનરેગા જોબકાર્ડ, પાસપોર્ટ કે પોસ્ટઑફિસ ખાતાની પાસબુક કે બીજું કોઈ ઓળખાણ માટેનું કાર્ડ હોઈ શકે છે.
યાદ રાખો કે તમે રજિસ્ટ્રેશન કરાવતી વખતે જે ઓળખપત્ર આપ્યું હશે તે જ સેન્ટર પર લઈને જવાનું રહેશે.
શહેરોથી માંડીને ગામડાં સુધી આ રસીકરણના કાર્યક્રમને પૂરો કરવા માટે સમગ્ર દેશમાં અંદાજે સાડા ચાર લાખ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે.
(આ અહેવાલ અપડેટ કરાઈ રહ્યો છે.)
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો