ડ્રગ્સ કેસ : આર્યન ખાન સામે પ્રથમ દૃષ્ટિએ કાવતરાના પુરાવા નહીં- બૉમ્બે હાઈકોર્ટ TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

બૉમ્બે હાઈકોર્ટે ડ્રગ કેસમાં આર્યન ખાન અને અન્ય બે લોકોને જામીન આપતા કહ્યું કે પ્રાથમિક નજરે આ લોકો વિરૂદ્ધ એવા કોઈ પુરાવા નથી મળ્યા, જેનાથી એ વાત સાબિત થાય કે તેમણે ગુનો કરવા માટે કોઈ ષડયંત્ર રચ્યું હતું.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, કોર્ટનો વિસ્તૃત આદેશ શનિવારના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો.

ન્યાયમૂર્તિ એન ડબલ્યૂ સાંબ્રેની બેન્ચ દ્વારા 28 ઑક્ટોબરના રોજ આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને જામીન આપવામાં આવ્યા હતા.

કોર્ટે કહ્યું કે આર્યન ખાનના મોબાઇલ ફોનમાંથી લેવામાં આવેલી વૉટ્સઍપ ચૅટમાં ગુના માટે ષડયંત્ર રચવામાં આવ્યું હોય તેવા કોઈ પુરાવા મળ્યા ન હતા.

કોર્ટે કહ્યું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા નોંધાયેલા આર્યનના નિવેદનને તપાસના હેતુથી જ ધ્યાનમાં લેવામાં આવી શકે છે. આરોપીએ એનડીપીએસ ઍક્ટ હેઠળ કોઈ ગુનો કર્યો હોય તેવું તારણ કાઢવા માટે તેનો ઉપયોગ કરી શકાતો નથી.

ગુજરાતમાં કપડાં થશે મોંઘાં, જાણો શું છે કારણ?

કેન્દ્ર સરકાર દ્વારા કપડાં પર જીએસટીનો દર વધારતા ગુજરાતમાં કપડાંની કિંમત 20 ટકા સુધી વધશે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, કેન્દ્ર સરકાર દ્વારા તમામ પ્રકારના ગારમૅન્ટ્સ પર જીએસટીનો દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો છે, જેના કારણે કપડાંની કિંમતમાં સરેરાશ 7 ટકાથી 20 ટકા સુધીનો વધારો થશે.

અહેવાલમાં જણાવ્યા પ્રમાણે આ નિર્ણયથી ગ્રાહકો તેમજ ઉત્પાદકો બન્નેને માઠી અસર પડશે. જીએસટીનો દર વધતા કાચો માલ, જોબ વર્ક, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ સહિતની તમામ કિંમતો વધશે. આથી બજારમાં મળતા રેડિમેડ ગારમૅન્ટ્સ સરેરાશ 20 ટકા મોંઘાં થશે.

છેલ્લા એક વર્ષમાં કોટન અને યાર્નની કિંમત સરેરાશ 60 ટકા વધી છે, જ્યારે સરકારના આ નિર્ણયની કાપડ ઉત્પાદકોને પોતાનો ધંધો વિયેતનામ તેમજ બાંગ્લાદેશ તરફ જતો રહેશે તેવો ભય સતાવી રહ્યો છે.

ઇન્ડિયન ચેમ્બર ઑફ કૉમર્સની ટૅક્સટાઇલ કમિટીના ચૅરમૅન સંજય જૈને ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ગ્રાહકોએ હવે કપડા ખરીદતી વખતે 7 ટકા વધુ કિંમત ચૂકવવી પડશે. છેલ્લા એક વર્ષમાં જે પ્રકારે કૉટન સહિત વિવિધ કાપડોની કિંમતમાં વધારો થતા તૈયાર કપડાંની કિંમત એમ પણ વધી હતી. જ્યારે જીએસટીમાં વધારો થતા કપડાં વધુ મોંઘાં થશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે લોકોને આ ભાવવધારો નહીં પોસાય, તેઓ ખરીદશે નહીં. જેથી બજારમાં કપડાંની માગ પણ ઘટશે અને નાના અને મધ્યમવર્ગના કાપડ ઉદ્યોગો પર અસર પડશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો