ઇશરત જહાંનાં માતા ઍન્કાઉન્ટર મામલે આરોપીઓને અપાયેલી મુક્તિને પડકારશે

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

અમદાવાદ પાસે 15 જૂન, 2004માં થયેલા ઇશરત જહાં ઍન્કાઉન્ટર મામલે બુધવારે સીબીઆઈની વિશેષ કોર્ટે અંતિમ ત્રણ આરોપીઓને મુક્ત કર્યા છે.

આ નિર્ણયને હવે ઇશરત જહાંનાં માતા શમીમા કૌસર કોર્ટ પડકાર આપશે. શમીમા કૌસરનાં વકીલ વૃંદા ગ્રોવરે બીબીસીને આ વાતની પુષ્ટિ કરી છે.

જજ વી. આર. રાવલે ગુજરાતના પોલીસના ત્રણ અધિકારી જી.એલ. સિંઘલ, તરુણ બારોટ અને અનાજુ ચૌધરીને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

વકીલ વૃંદા ગ્રૉવરે બીબીસી સંવાદદાતા ચિન્કી સિન્હા સાથેની વાતચીતમાં કહ્યું કે "સીઆરપીસીના ધારા 197 અનુસાર, કોઈ સરકારી કર્મચારી સામે મુકદ્દમો શરૂ કરતા પહેલાં અનુમતિ લેવા માટેની કાનૂની સુરક્ષા આ મામલે લાગુ થતી નથી, કેમ કે સીબીઆઈની સઘન તપાસ એ જોવા મળ્યું છે કે આ એક રચેલું ઍન્કાઉન્ટર હતું."

વૃંદા ગ્રોવરે કહ્યું કે ઇશરત જહાંના કોઈ પણ આતંકી ગતિવિધિથી સંબંધોના કોઈ પુરાવા નથી.

ગુજરાત સરકારે સીબીઆઈને આ ત્રણેય આરોપી પર કેસ ચલાવવાની પરવાનગી નહોતી આપી. જે બાદ નિવૃત્ત પોલીસ અદિકારી તરુણ બારોટ સહિત ત્રણેયે ડિસ્ચાર્જ ઍપ્લિકેશન જમા કરાવી હતી.

એ બાદ કોર્ટે આ અરજીનો સ્વીકાર કરતાં ત્રણેયને આ મામલે મુક્ત કરી દીધા. હવે આ મામલે કોઈ આરોપી નથી અને આગામી સુનાવણી નહીં થાય.

હવે આગળ શું થશે?

ઇશરત જહાંનાં માતા શમીમા કૌસરનાં વકીલ વૃંદા ગ્રૉવરે બીબીસીનાં સંવાદદાતા ચિંકી સિન્હાને કહ્યું કે સીબીઆઈ કોર્ટનો આદેશ નકલી ઍન્કાઉન્ટર અને કેસ શરૂ કરવા પહેલાં પરવાનગી લેવા માટે સુપ્રીમ કોર્ટના નિર્ધારિત કાયદાનું ઉલ્લંઘન છે.

ગ્રૉવરે કહ્યું, "સીઆરપીસીની કલમ 197 અનુસાર કોઈ સરકારી કર્મચારી વિરુદ્ધ કેસ શરૂ કરવા માટે પરવાનગી લેવાની કાયદાકીય સુરક્ષા આ મામલે લાગુ નથી પડતી. કેમ કે સીબીઆઈને આકરી તપાસ બાદ જાણવા મળ્યું કે આ એક રચી કઢાયેલું ઍન્કાઉન્ટર હતું."

"મૃતક ઇશરતનું અપહરણ કરવામાં આવ્યું, બે દિવસ સુધી ગેરકાયદે કસ્ટડીમાં રાખવામાં આવ્યાં અને બાદમાં જાનથી મારી નાખવામાં આવ્યાં. સીબીઆઈએ જે સાક્ષી અને ફૉરેન્સિક તેમજ વૈજ્ઞાનિક પુરાવા એકઠા કર્યા છે, તેની તેઓ પુષ્ટિ કરે છે."

"રેકૉર્ડમાં હાજર તમામ પુરાવાને નજરઅંદાજ કરીને સીબીઆઈ કોર્ટને ગુજરાત સરકારે પોતાનું જે વિવરણ રજૂ કર્યું, તેમના પર તેઓ વિશ્વાસ વ્યક્ત કરાયો છે. શરૂઆતથી લઈને અત્યાર સુધી કોર્ટની બહાર અને અંદર ગુજરાત સરકારે ગુજરાત પોલીસના આરોપીઓનો બચાવ કર્યો છે.

વૃંદા ગ્રૉવરે કહ્યું કે ઇશરત જહાંના કોઈ પણ આતંકવાદી હિલચાલ સંબંધિત સંબંધોના કોઈ પુરાવા નથી.

તેમણે કહ્યું, "ગુજરાત પોલીસના કર્મચારીઓને મુક્ત કરવાનો આદેશ આ ઍન્કાઉન્ટરને વાજબી ઠેરવે છે. એનો અર્થ એવો સમજવો જોઈએ કે જેને રાજ્ય પોતાનો દુશ્મન કે ગુનેગાર ગણી લે, તેને મારી શકાય અને આનાથી આપણે સૌએ ચિંતિત થવું જોઈએ. શમીમા કૌસર મુક્તિના આ આદેશને પડકારશે."

ઇશરત જહાંનો સમગ્ર મામલો શો છે?

સીબીઆઈની ચાર્જશીટ પ્રમાણે, 12/06/2004ના ઇશરત તથા જાવેદને આણંદ પાસે વાસદ ટોલ બૂથ ખાતેથી 'ઉઠાવવા'માં આવ્યા હતા અને અમદાવાદ પાસે ખોડિયાર ફાર્મહાઉસ ખાતે રાખવામાં આવ્યા હતા.

અમજદને મે-2004માં અમદાવાદના ગોતા સર્કલ પાસેથી 'ઉઠાવવા'માં આવ્યા હતા અને અમદાવાદ પાસે અર્હમ ફાર્મ ખાતે ગોંધી રાખવામાં આવ્યા હતા. જ્યારે જીશન જોહરને ક્યાંથી લાવવામાં આવ્યા હતા, તે અસ્પષ્ટ છે.

ચારેયને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવ્યાં હતાં તે ગાળામાં ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે અલગ-અલગ સ્થળોએ બેઠક થઈ હતી.

ઍન્કાઉન્ટરના દિવસે આંખે પાટા બાંધીને તેમને ઘટનાસ્થળે લાવવામાં આવ્યા હતા અને પછી મોતને ઘાટ ઉતારી દેવાયા હતા.

સીબીઆઈએ તેની તપાસ દરમિયાન ગુજરાત પોલીસના સાત તથા આઈબીના ચાર અધિકારીઓ સામે આરોપનામું દાખલ કર્યું હતું.

મિનલ પ્રોસિજર કોડની (CrPC), 1973ની કલમ 197 મુજબ કોઈ પણ સરકારી કર્મચારી સામે ખટલો માંડવા માટે જે-તે વિભાગની લેખિત મંજૂરી લેવી જરૂરી હોય છે.

સરકારી અધિકારી કોઈ પણ ભાતના ભય કે પક્ષપાત વિના મુક્ત રીતે તેની ફરજ બજાવી શકે અને તેને કોઈ કનડગત ન થાય તે માટે આ કલમ દાખલ કરવામાં આવી છે.

જોકે, સુપ્રીમ કોર્ટે તેના અગાઉના ચુકાદાઓમાં નોંધ્યું છે કે જો અધિકારી કોઈ એવું કૃત્ય આચરે જે તેની ફરજ બજાવવા માટે જરૂરી ન હોય અથવા તો હત્યા જેવો 'જઘન્ય અપરાધ' આચરે તો તેની સામે ખટલો દાખલ કરવા માટે સરકારની મંજૂરીની જરૂર નથી.

ગુજરાત સરકારે વણજારા તથા અમીનની સામે ખટલો આપવા માટેની મંજૂરી ન આપવા પાછળ બંનેએ 'ફરજની બજવણી' તથા 'આરોપીમાંથી સાહેદ' બનેલાંઓના નિવેદનને આધારરૂપ ગણ્યા હતા.

અગાઉ વર્ષ 2013માં ગૃહ મંત્રાલયે ગુપ્તચર ખાતાના અધિકારીઓની સામે કેસ ચલાવવાની મંજૂરી આપી ન હતી, જેને સીબીઆઈએ પડકારી ન હતી. ઇન્ટેલિજન્સ બ્યૂરોએ કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો