You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂત આંદોલન : આંદોલનકારી ખેડૂતોનું ભારત બંધનું એલાન
ખેડૂત આંદોલનને ચાર મહિના પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે ખેડૂત સંગઠનોના સમૂહ સંયુક્ત કિસાન મોર્ચાએ 26 માર્ચ ભારત બંધનું આહ્વાન કર્યું છે અને લોકોને આ બંધને સફળ બનાવવા માટે વિનંતી કરી છે.
મોદી સરકારના ત્રણ કૃષિકાયદાના વિરોધમાં ખેડૂતોના આંદોલન હેઠળ 26 માર્ચે સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ભારત બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે.
આની પહેલાં પણ ખેડૂત સંગઠનોએ ભારત બંધ બોલાવ્યું હતું.
પંજાબ હરિયાણા, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોના હજારો ખેડૂતો દિલ્હીની સિંગુર, ટિકરી અને ગાઝીપુર સરહદ પર આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોની માગ છે કે આ ત્રણ કૃષિકાયદાને નાબૂદ કરવામાં આવે અને એમએસપીને લઈને કાયદાકીય ગારંટી આપવામાં આવે.
આંદોલન કરી રહેલા ખેડૂતોને ભય છે કે નવા કૃષિકાયદાથી એમએસપી ખતમ થઈ જશે. જોકે વડા પ્રધાન મોદી સહિત કેન્દ્ર સરકારના મંત્રીઓ અનેક વખત કહી ચૂક્યા છે કે 'એમએસપી હતી, છે અને રહેશે.'
26 માર્ચના ભારત બંધ વિશે વાત કરતા સંયુક્ત કિસાન મોર્ચાના નેતા અને ભારતીય કિસાન યુનિયન દોઆબાના નેતા મંજીત સિંહે બીબીસી પંજાબીને જણાવ્યું કે આપાતકાલીન મેડિકલ સેવાને છોડીને રેલવે સહિત સડક પરિવહન અને બજારો બંધ રાખવામાં આવશે. તેમણે પંજાબના સંદર્ભમાં જણાવ્યું કે શીખ ત્યોહાર હોલા-મોહલ્લા પર્વમાં ભાગ લેવા આનંદપુર જતા લોકોને રોકવામાં નહીં આવે.
ત્યારે સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ ખેડૂત નેતા દર્શન પાલે કહ્યું કે ''અમે દેશના લોકોને ભારત બંધને સફળ બનાવીને અન્નદાતાનું સન્માન કરવાની વિનંતી કરીએ છીએ.''
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ખેડૂત નેતા બૂટા સિંહ બુર્જગિલે કહ્યું કે તેઓ ખેડૂત આંદોલનના ચાર મહિના પૂરા થઈ રહ્યા છે એવા દિવસે ભારત બંધ રાખવામાં આવશે. તેમનું કહેવું હતું કે 'સવારથી સાંજ સુધીનું આ ભારત બંધ શાંતિપૂર્ણ રીતે લાગુ કરવામાં આવશે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખેડૂત નેતાઓએ 28 માર્ચ એટલે હોળિકા દહનમાં નવા કૃષિકાયદાની કૉપીઓ સળગાવવાની વાત પણ કહી છે.
હિંદુસ્તાન ટાઇમ્સ લખે છે કે વેપારીઓ ભારત બંધમાં ખેડૂતોને સમર્થન કરે એ વૈકલ્પિક છે. ગાઝિયાબાદમાં મહાનગર વેપાર મંડલના મહાસચિવ અશોક ચાવલાએ કહ્યું હતું કે કોઈ પણ વેપારીઓ અને દુકાનદારોને બંધમાં સામેલ થવા માટે જબરદસ્તી નહીં કરે.
ત્યારે આંધ્ર પ્રદેશમાં વાયએસઆર કૉંગ્રેસ પાર્ટીએ ખેડૂતોના શુક્રવારના ભારત બંધનું સમર્થન કર્યું છે. આંધ્ર પ્રદેશ સરકારે ખેડૂતોને શાંતિપૂર્ણ બંધની વિનંતી કરી છે.
ભારત બંધ હેઠળ રેલવે અને સડક પરિવહન સેવા અને દુકાનો-બજાર પર અસર જોવા મળી શકે છે. જોકે જે રાજ્યોમાં ચૂંટણી છે ત્યાં બંધની અસર ન રહેવાની સંભાવના છે.
ડિસેમ્બરમાં ભારત બંધની ગુજરાતમાં અસર જોવા મળી હતી
આની પહેલાં ખેડૂતોએ તારીખ આઠમી ડિસેમ્બરે પણ ભારત બંધનું આહ્વાન કર્યું હતું. જેની દિલ્હી, પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલ નાડુ અને આસામમાં અસર જોવા મળી હતી. ટ્રેડ યુનિનો વામપંથી પક્ષો અને 24 વિપક્ષી પાર્ટીઓએ આ બંધને સમર્થન આપ્યું હતું.
ભારતના અન્ય રાજ્યો સહિત ગુજરાતમાં પણ આઠ ડિસેમ્બરના ભારત બંધની અસર જોવા મળી રહી હતી અને કેટલીક જગ્યાએ ટાયરો પણ સળગાવ્યાં હતા. જ્યારે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાંથી કૉંગ્રેસના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો