સુરતમાં કોરોનાની રસી લીધા બાદ સાત પોલીસકર્મીને ચેપ લાગ્યો TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર સુરતમાં કોરોના વાઇરસની વૅક્સિન લીધેલા સાત પોલીસકર્મી કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.

હાલ આ સાતેય પોલીસકર્મી ઘરમાં ક્વોરૅન્ટિન છે. આ તમામ પોલીસકર્મીએ કોરોના વાઇરસની વૅક્સિનનો પહેલો ડોઝ લીધો હતો, જ્યારે કેટલાકે બીજો ડોઝ પણ લીધો હતો.

અખબાર સાથે વાત કરતા પોલીસ અધિકારીએ જણાવ્યું છે, "હાલ ચિંતા કરવાનું કોઈ કારણ નથી. રસીનો બીજો ડોઝ લીધા બાદ પણ ઍન્ટિબૉડી બનવામાં થોડો સમય લાગે છે. જે લોકો સંક્રમિત મળ્યા છે તેમને સામાન્ય લક્ષ્ણો છે અથવા અસિમ્ટોમૅટિક છે."

આ દરમાયન સુરત મહાનગરપાલિકાના અધિકારીએ કહ્યું છે કે ગત 24 કલાક દરમિયાન શહેરમાં કોરોના વાઇરસના સૌથી વધારે કેસ અઠવા ઝોનમાં નોંધાયા છે. આ ઝોનમાં 85 કેસ, રાંદેરમાં 74 કેસ અને લિંબાયતમાં 37 કેસ નોંધાયા છે.

કોરોનાકાળમાં બૅન્કોએ નાના વેપારીને લોન ઓછી આપતાં વિજય રૂપાણી નારાજ

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે 'પ્રધાનમંત્રી સ્વનીધિ' (પ્રધાનમંત્રી વૅન્ડર્સ આત્મનિર્ભર નીધિ) હેઠળ કોરોના કાળમાં બૅન્કોએ લોન ન આપતા ગુજરાતનું સ્થાન દેશમાં સાતમા ક્રમે પહોચ્યું છે.

બૅન્કરો અને નાબાર્ડના અધિકારીઓને સંબોધતાં મુખ્ય મંત્રીએ કહ્યું, "હું ઇચ્છું છું કે નાબાર્ડ અને બૅન્કો સરકારી યોજનાઓની સાથે જોડાય. વ્યક્તિગત લાભકર્તાને લોન ઝડપથી મળે તે માટે બૅન્કોએ મદદ કરવી પડે. કોઈ વ્યક્તિ આશાની નજરે બૅન્કનો સંપર્ક કરતી હોય છે. બૅન્કે તેની જરૂરિયાતને પૂર્ણ કરવી જોઈએ. પરંતુ તે થઈ રહ્યું નથી."

રૂપાણીએ આ વાત પર 'પ્રધાનમંત્રી સ્વનીધિ'ના આંકડા આપીને કહ્યું આ યોજના હેઠળ કોરોના કાળમાં નાના વેપારીઓને માત્ર 10 હજાર રૂપિયાની લોન આપવાની હતી. આખા ગુજરાતમાં 2.16 લાખ લોકોની અરજી આવી હતી અને 94000 લોકોને નાણાં ચૂકવવામાં આવ્યાં.

તેમણે વાંધો ઉઠાવતા આગળ કહ્યું, "બૅન્કો શું કરી રહી છે? નાના ધંધાઓને લોન આપવી બૅન્કની જવાબદારી છે. આ સરકારી સ્કીમ છે. કેમ લાખો ઍપ્લિકેશન બૅન્કમાં પૅન્ડિંગ છે. ચૂકવણી જલદી થવી જોઈએ. ગુજરાત ત્રીજા ક્રમે હતું અને તમે લોકોએ લોન ન આપતા સાતમા ક્રમે પહોંચી ગયું."

વિજય રૂપાણીએ વધુમાં કહ્યું, "આ તાલ મળતો નથી તમારો, તાલ મેળવવા માટે, યોજનાઓ સાથે, બૅન્કોએ દોડવું પડે. બૅન્કોએ ઝડપથી નિર્ણય કરવા પડે. બધુ હેડ ઑફિસ મોકલવાનું હોય અને કરવાનું હોય? માથે લેવું પડે અને ઝડપથી નિર્ણય કરવા પડે."

ગુજરાતમાં મેડિકલ કૉલેજની ફી પ્લેસ્કૂલ કરતાં પણ ઓછી?

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે વિધાનસભામાં કહ્યું હતું કે "રાજ્ય સરકાર મેડિકલના વિદ્યાર્થીને ડૉક્ટર બનાવવા માટે 30થી 40 લાખ રૂપિયાનો ખર્ચ કરે છે. જે ફી અમે લઈએ છીએ તે માત્ર 25 હજાર રૂપિયા છે, જે પ્લેસ્કૂલ કરતાં પણ ઓછી છે."

પટેલે કૉંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોધા પરમારે પૂછેલાં પ્રશ્નના જવાબમાં આ કહ્યું હતું.

ડૉક્ટરો ગ્રામીણ વિસ્તારોમાં નોકરી કરવા તૈયાર નથી અંગે આરોગ્યમંત્રી તરીકે નીતિન પટેલે કહ્યું, "આ પહેલાં બૉન્ડની રકમ માત્ર 10 હજાર રૂપિયા હતા. હું સત્તામાં આવ્યો એ પછી, અમે લોકો કડક થઈ ગયા અને 20 લાખ રૂપિયા એમબીબીએસ અને 40 લાખ રૂપિયા પોસ્ટગ્રૅજ્યુએશન માટે કર્યા."

"આના કારણે ડૉક્ટર મળતા થયા અને લોકોને પ્રાથમિક સારવારકેન્દ્ર અને સિવિલ હૉસ્પિટલમાં સારા ડૉક્ટર મળતા થયા."

મહિલાઓની સામેના અપરાધમાં લગ્ન અથવા મેળાપનું સૂચન ન કરે અદાલત : સુપ્રીમ કોર્ટ

'એનડીટીવી'ના અહેવાલ અનુસાર મધ્યપ્રદેશ હાઈકોર્ટે જાતીય સતામણીના આરોપીને એ શરતે જામીન આપ્યા હતા કે તેણે મહિલાને રાખડી બાંધવી પડશે.

સુપ્રીમ કોર્ટે ગુરુવારે આ ચુકાદાને પલટી નાખ્યો હતો અને આવા કેસમાં ગાઈડલાઇન પણ આપી છે.

કોર્ટે કહ્યું કે કોર્ટ પોતાના તરફથી પીડિતા તથા આરોપીની વચ્ચે લગ્ન, મેળાપ અથવા કરાર કરાવવાની શરત કે સૂચન ન કરે.

સુપ્રીમ કોર્ટે ગાઇડલાઈનમાં કહ્યું કે જામીનની શરત પર આરોપી અને પીડિતાની વચ્ચે સંપર્કને અનિવાર્ય અથવા પરવાનગી આપવી ન જોઈએ.

અદાલતે કહ્યું કે જામીનની શરતમાં મહિલાઓ અને સમાજમાં તેમના સ્થાનને લઈને રૂઢિવાદી અથવા પિતૃસત્તાત્મક ધારણાઓથી હઠીને આદેશ આપવો પડશે.

પાકિસ્તાનના સૈન્યવડા ભારત સાથેના સંબંધ પર શું બોલ્યા?

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર, પાકિસ્તાની સૈન્યે ભારતની સાથે પોતાના પારંપરિક સંબંધોમાં સંભવિત મોટા પરિવર્તનના સંકેત આપ્યા છે જેની જલક સૈન્યવડાના નિવેદનમાં નજર આવી.

પાકિસ્તાનના સૈન્યવડા જનરલ કમર જાવેદ બાજવાએ ગુરુવારે કહ્યું, "એ સમજવું મહત્વપૂર્ણ છે કે 'શાતિપૂર્ણ રીતે કાશ્મીર વિવાદ'ના સમાધાન વિના મૈત્રીપૂર્ણ સંબધ હંમેશાં ભયમાં રહેશે. જે રાજનીતિથી પ્રેરાઈ આક્રમકતાના કારણે પાટા પરથી ઊતરી શકે છે. જોકે મારું માનવું છે કે આ સમય ભૂતકાળને ભુલાવીને આગળ વધવાનો છે."

તેમણે કહ્યું, "શાંતિપ્રક્રિયાની બહાલી અથવા શાંતિપૂર્ણ સંવાદ માટે આપણા પડોશીએ માહોલ બનાવવો પડશે, ખાસ કરીને કાશ્મીરમાં તેઓ માહોલ હોવો જોઈએ."

જનરલ કમર જાવેદ બાજવાએ એવું પણ ઉમેર્યું કે ભારત-પાકિસ્તાનના સ્થિર સંબંધ, પૂર્વ અને પશ્ચિમ એશિયાની વચ્ચે સંપર્ક સુનિશ્ચિત કરીને દક્ષિણ અને મધ્ય એશિયામાં સંભાવનાઓના દરવાજા ખોલવાની ચાવી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો