'સાંતા નામે કોઈ હતા જ નહીં' એ નિવેદન બદલ ઇટાલિયન ચર્ચે માફી માગી

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

સિસિલીમાં એક રોમન કૅથલિક ડાયોસિસે વાલીઓ સમક્ષ માફી માગી છે, કારણ કે ચર્ચના બિશપે કથિત રીતે બાળકોના સમૂહને કહ્યું હતું કે સાન્તાક્લોઝ અસ્તિત્વમાં જ નથી.

ઇટાલિયન મીડિયાના એક અહેવાલ અનુસાર, ગયા અઠવાડિયે એક ધાર્મિક કાર્યક્રમમાં બિશપ એન્ટોનિયો સ્ટેગ્લિઆનોએ પણ કહ્યું હતું કે સાન્તાક્લોઝના લાલ પોશાકની પસંદગી તો કોકા-કોલા કંપની દ્વારા પ્રચાર માટે કરવામાં આવી હતી.

બાળકોના આ કાર્યક્રમમાં બિશપની ટિપ્પણી સાંભળીને વાલીઓ ગુસ્સે ભરાયા હતા.

ત્યારબાદ માફીનામામાં નોટો ડાયોસિસ તરફથી રેવ એલેસાન્ડ્રો પાઓલિનોએ કહ્યું હતું કે બિશપે નાતાલનો સાચા અર્થ રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.

તેમણે એમ પણ કહ્યું કે ટિપ્પણીઓનો ઉદ્દેશ્ય સાન્તાક્લોઝની આકૃતિ માટે પ્રારંભિક પ્રેરણા સમાન અને ગરીબોને ભેટ આપવા માટે વિખ્યાત બનેલા સૅન્ટ નિકોલસની કથા પર પ્રકાશ પાડવાનો હતો.

રેવ પાઓલિનોએ ફેસબુક પેજ પર પોસ્ટ મૂકીને જણાવ્યું હતું, "સૌપ્રથમ જેમની ટિપ્પણીથી નાનાં ભૂલકાંઓની લાગણીને ઠેસ પહોંચી એ બદલ બિશપ આ ઘોષણા માટે હું ખેદ વ્યક્ત કરું છું અને સાથે સ્પષ્ટ કરવા માગું છું કે મોન્સિગ્નોર સ્ટેગ્લિઆનોનો હેતુ સાવ જુદો જ હતો."

અખબાર લા રિપબ્લિકા સાથેની એક મુલાકાતમાં બિશપે કહ્યું કે તેમણે બાળકોને એવું નથી કહ્યું કે સાન્તા નામે કોઈ હતા જ નહી, મેં એમ કહ્યું હતું કે આપણે "આભાસી અને વાસ્તવિક ચિત્ર વચ્ચેનો ભેદ જાણવાની જરૂર છે."

જનરલ બિપિન રાવતે અકસ્માતના એક દિવસ પહેલાં શું સંદેશ આપ્યો હતો?

ભારતમાં રવિવારથી ઉજવાઈ રહેલા બે દિવસીય 'સ્વર્ણિમ વિજયપર્વ'ના અવસરે સ્વર્ગસ્થ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનો રેકૉર્ડેડ સંદેશ જારી કરવામાં આવ્યો છે.

આ સંદેશ 7 ડિસેમ્બરે એટલે કે હેલિકૉપ્ટર ક્રેશના એક દિવસ પહેલાં રેકૉર્ડ કરવામાં આવ્યો હતો. એક મિનિટ અને દસ સેકન્ડના આ વીડિયો સંદેશમાં જનરલ રાવત સેનાના સાહસની પ્રશંસા કરી રહ્યા છે અને વિજયપર્વની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

પાકિસ્તાન સાથેના 1971ના યુદ્ધનાં 50 વર્ષ પૂર્ણ થવા પર આજે વિજયપર્વ કાર્યક્રમમાં આ સંદેશ બતાવવામાં આવ્યો હતો.

સંદેશમાં જનરલ રાવતે કહ્યું છે કે, "સ્વર્ણિમ વિજયપર્વના અવસર પર હું ભારતીય સેનાના તમામ જવાનોને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આપણે 1971ના યુદ્ધમાં ભારતીય સેનાની જીતની 50મી વર્ષગાંઠને વિજયપર્વ તરીકે ઊજવી રહ્યા છીએ. આ પવિત્ર તહેવાર પર સશસ્ત્ર દળોના બહાદુર જવાનોને યાદ કરીને હું તેમના બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

"12થી 14 ડિસેમ્બર સુધી દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આપણા બહાદુર શહીદોની સ્મૃતિમાં સ્થાપિત અમર જવાન જ્યોતની છાયામાં વિજયપર્વનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે સૌભાગ્યની વાત છે. આપણે તમામ દેશવાસીઓને આ વિજય ઉત્સવમાં ભાગ લેવા આમંત્રિત કરીએ છીએ. આપણને આપણી સેના પર ગર્વ છે, ચાલો વિજયપર્વ ઊજવીએ, જય હિંદ.

ઉલ્લેખનીય છે કે 8 ડિસેમ્બરના રોજ તામિલનાડુના કુન્નૂરમાં હેલિકૉપ્ટર દુર્ઘટનામાં જનરલ બિપિન રાવત સહિત 13 લોકોનાં મોત થયાં હતાં. આ અકસ્માતમાં તેમનાં પત્ની મધુલિકા રાવતનું પણ મોત થયું હતું.

ભાજપનાં ધારાસભ્ય આશા પટેલનું ડેન્ગ્યુથી મૃત્યુ

ઉંઝાથી ભાજપનાં ધારાસભ્ય આશાબહેન પટેલનું અમદાવાદની ઝાયડસ હૉસ્પિટલમાં નિધન થયું છે.

આશાબહેન પટેલને ડેન્ગ્યુ થતાં તેમને ઝાયડસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

મલ્ટિ ઑર્ગન ફેઇલ થતાં તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યાં હતાં. રવિવારે બપોરે તેમનું નિધન થયું છે. ડૉ. વી. એન. શાહે આ અંગે પુષ્ટિ કરી હતી.

ઓમિક્રૉન વૅરિયન્ટ છે કે નહીં, એની ખરાઈ હવે બે કલાકમાં જ થઈ શકશે

દેશમાં ઓમિક્રૉન વૅરિયન્ટના કેસો વધી રહ્યા છે. ત્યારે આઈસીએમઆર દ્વારા એક નવી ટેસ્ટ કિટ તૈયાર કરવામાં આવી છે.

ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, આસામના દિબ્રુગઢ સ્થિત ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) દ્વારા તૈયાર કરવામાં આવેલી આ કિટ 2 કલાકમાં ઓમિક્રૉન વૅરિયન્ટ છે કે કેમ? તે તપાસી શકશે.

આના મુખ્ય સંશોધક ડૉ. બિશ્વજ્યોતિ બોર્કાકોટીએ ઇકૉનૉમિક ટાઇમ્સને જણાવ્યું હતું કે અત્યાર સુધી ઓમિક્રૉન વૅરિયન્ટની હાજરી જાણવા માટે આરટીપીસીઆર ટેસ્ટ બાદ સૅમ્પલને જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવતો હતો.

જોકે, હાઇડ્રોલિસિસ આધારિત આરટીપીસીઆર ટેસ્ટથી માત્ર 2 કલાકમાં પરિણામ જાણી શકાશે.

નરેન્દ્ર મોદીનું ઍકાઉન્ટ હૅક થયું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ટ્વિટર ઍકાઉન્ટ પરથી મોડી રાત્રે બિટકૉઇન અંદગે બે ટ્વીટ કરવામાં આવ્યાં હતાં.

જોકે, તેના થોડા સમય બાદ વડા પ્રધાન કાર્યાલયે સ્પષ્ટતા કરી હતી કે તેમનું ટ્વિટર ઍકાઉન્ટ હૅક થયું હતું.

ઍકાઉન્ટ પરથી કરાયેલા ટ્વીટમાં જણાવ્યું હતું કે 'ભારતમાં હવે બિટકૉઇનને માન્યતા આપવામાં આવે છે, સરકાર સત્તાવાર રીતે 500 બિટકૉઇન ખરીદશે અને તમામ નગરિકોમાં વહેંચશે.'

આ સાથે ટ્વીટમાં એક લિંક પણ આપવામાં આવી હતી. વડા પ્રધાન મોદીના ઍકાઉન્ટ પરથી આ ટ્વીટ ટૂંક જ સમયમાં ડિલીટ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ તેનો સ્ક્રીનશૉટ વાઇરલ થઈ રહ્યો છે.

વડા પ્રધાન કાર્યાલયે આ ટ્વીટ બાદ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, "નરેન્દ્ર મોદીના ટ્વિટર ઍકાઉન્ટ સાથે થોડા સમય માટે છેડછાડ કરવામાં આવી હતી. આ મુદ્દાને ટ્વિટર સમક્ષ મૂકવામાં આવ્યો હતો અને તરત જ ઍકાઉન્ટને સુરક્ષિત કરી લેવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન કરવામાં આવેલા ટ્વીટને ધ્યાનમાં ન લેવામાં આવે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો