26 જાન્યુઆરીની ખેડૂતોની ટ્રૅક્ટર રેલી અંગે સુપ્રીમ કોર્ટે સરકારને શું કહ્યું?

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ખેડૂત આંદોલન મામલે સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજની બૅન્ચે સુનાવણી હાથ ધરી હતી. આ બૅન્ચની આગેવાની મુખ્ય ન્યાયાધીશ અરવિંદ બોબડે કરી રહ્યા હતા.

ખેડૂતોએ 26 જાન્યુઆરીના રોજ ટ્રૅક્ટર રેલી કાઢવાની જાહેરાત કરી છે. આ અંગે દિલ્હી પોલીસે આ રેલીને અટકાવવા સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

સુપ્રીમ કોર્ટ દિલ્હી પોલીસની આ અરજી પર સુનાવણી કરી.

મુખ્ય ન્યાયાધીશ બોબડેએ કહ્યું કે ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશનો મુદ્દો કાયદો અને વ્યવસ્થાનો છે જેને જાળવવું પોલીસનું કામ છે.

ન્યાયાધીશ બોબડેએ ઉમેર્યું કે સત્તા આ વિશે કંઈ નથી વિચારી રહી તો કોર્ટે આ મુદ્દો હાથમાં લેવો પડશે.

ઉપરાંત તેમણે કહ્યું કે કોને પ્રવેશ મળવો જોઈએ અને કોને નહીં તે મુદ્દે પોલીસે નિર્ધારિત કરવું પડશે.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું, "અમે ગત સુનાવણીમાં પણ કહ્યું હતું કે દિલ્હીમાં પ્રવેશ એ પોલીસનો મુદ્દો છે. તમારે જોવું પડશે કે ખેડૂતો દિલ્હીમાં પ્રવેશ કરી શકે છે કે કેમ? કોને પ્રવેશ મળવો જોઈએ અને કોને નહીં એ અમે નક્કી ના કરી શકીએ"

આ અંગે એટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલે કહ્યું કે દિલ્હીમાં 5000 લોકોનો પ્રવેશ ગેરકાયદે છે.

મુખ્ય ન્યાયાધીશ સાથે આ બૅન્ચમાં સામેલ જસ્ટિસ એ. એસ. બોપન્ના અને વી. રામાસુબ્રમણ્યને ઍટર્ની જનરલને સવાલ કર્યો કે શું સુપ્રીમ કોર્ટે ભારત સરકારને જણાવવું પડશે કે પોલીસ ઍક્ટ અંતર્ગત તેમને કયા અધિકારો મળેલા છે?

આ અંગે ઍટર્ની જનરલે જવાબ આપ્યો કે જો આ મુદ્દે નિર્ણય આપી શકાય તો પોલીસના હાથ મજબૂત બનશે. અમે હાલમાં અણધારી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ.

ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમે શા માટે ઇચ્છો છો કે કોર્ટ તમને તમારી સત્તા વિશે અવગત કરાવે. કોર્ટનું આ પગલું ગેરસમજ ઊભી કરશે. શહેરમાં કોણ પ્રવેશે અને કોણ નહીં એ અમારો મુદ્દો નથી."

ભારત સરકારે દિલ્હી પોલીસ મારફતે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે 26 જાન્યુઆરીના રોજ ખેડૂતોને ટ્રેક્ટર રેલી કરતા અટકાવવા જોઈએ. આમ થવું એ દેશ માટે શરમજનક હશે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 12 જાન્યુઆરીના રોજ આ મુદ્દે સુનાવણી કરવાની વાત કરી હતી. તે સમયે કોર્ટે કહ્યું હતું, "વિરોધ કરવાના અધિકારને દેશની છબી ખરાબ થાય એવું ના કહી શકીએ"

સરકારે સુપ્રીમ કોર્ટને અપીલ કરી હતી કે વિરોધરેલી, ટ્રૅક્ટર રેલી, ટ્રૉલી રેલી કે પછી અન્ય વાહોનની રેલીને દિલ્હીમાં પ્રવેશથી રોકવામાં આવે.

અમુક અહેવાલોમાં એવો દાવો કરાયો છે કે ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે 26 જાન્યુઆરીના ટ્રેક્ટર રેલી માત્ર દિલ્હી-હરિયાણા બૉર્ડર પૂરતી જ સિમિત રહેશે. ઉપરાંત ખેડૂતો લાલ કિલ્લા પર આવીને ગણતંત્ર દિવસની પરેડને ખલેલ નહીં પહોંચાડે.

ખેડૂતો રાષ્ટ્રીય એજન્સીની નજરમાં

આતંકવાદ અને ગેરકાયદે ગતિવિધિઓની તપાસ કરતી સંસ્થા ભારતના નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ પંજાબ સાથે સંબંધ રાખનારા અનેક લોકોને ગેરકાયદે ગતિવિધિ રોકવાના ઍક્ટ એટલે કે યુએપીએની કલમ હેઠળ નોટિસ પાઠવી છે.

ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરનારા પંજાબના 32 ખેડૂત સંગઠનોમાંથી એક સંગઠનના નેતા બલદેવસિંહ સિરસા અને ખેડૂત આંદોલનને ઘણા મહિનાઓથી સમર્થન આપનારા ફિલ્મ કલાકાર દીપ સિદ્ધુનું નામ એ લોકોમાં સામેલ છે, જેમને આ નોટિસ મોકલવામાં આવી છે.

15 જાન્યુઆરીએ ખેડૂતો અને સરકાર વચ્ચે થયેલી વાતચીત દરમિયાન પણ ખેડૂતનેતાઓએ ગૃહમંત્રાલય પર ખેડૂતોને દબાવવા માટે કેસ નોંધ્યા હોવાની વાત ઉઠાવી હતી અને કેસ પરત લેવાની માગ કરી હતી.

ખેડૂતોને ડરાવવાનો પ્રયાસ : સુખબીર સિંહ બાદલ

ભાજપની સહયોગી પાર્ટી શિરોમણી અકાલી દળે ખેડૂતોને રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પાઠવેલી નોટિસનો વિરોધ કર્યો છે. સરકારા આવું ખેડૂતોને ડરાવવા માટે કરી રહી છે તેવો આરોપ બાદલે મૂક્યો છે.

સુખબીર સિંહ બાદલે ટ્વીટ કરીને કહ્યું, "એનઆઈએ અને ઈડી દ્વારા ખેડૂત નેતાઓ અને આંદોલન સાથે જોડાયેલા લોકોને નોટિસ પાઠવી ડરાવવાની પ્રયાસની હું નિંદા કરું છું. તેઓ રાષ્ટ્રવિરોધી નથી"

તેમણે આગળ કહ્યું કે 9મી વખત પણ વાતચીત અસફળ થયા બાદ સરકાર ખેડૂતોને થકાવી નબળા કરવા માગે છે.

ખાલસાએડ નામના એનજીઓને એનઆઈએના સમન્સ પર પત્રકારો સાથેની વાતચીતમાં બાદલે કહ્યું, "ખાલસાએડ એક એવી સંસ્થા છે જે દુનિયામાં સેવા માટે જાણીતી છે. આ સંસ્થા સેવા માટે થાઇલૅન્ડ, બૉસ્નિયા પહોંચી જાય છે. આ સંસ્થા દેશનાં ઘણાં રાજ્યોમાં જાય છે."

"જ્યારે તે ગુજરાત જાય છે ત્યારે તેમને સારું લાગે છે. પરંતુ અહીં લાગે છે કે સરકાર નિરાશ થઈ ગઈ છે. પરંતુ સરકાર આવું કરીને ખેડૂતોના ઇરાદાને વધુ મજબૂત બનાવી રહી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો