કોરોનાની રસી ગુજરાત પહોંચી, જાણો કોવિશીલ્ડ રસી તમને કેવી રીતે મળશે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

કોરોના વાઇરસની રસી ગુજરાતમાં આવી પહોંચી છે. પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટે વહેલી સવારે પાંચ વાગે કોવિશીલ્ડની પહેલી ખેપ રવાના કરી હતી. જે અમદાવાદ આવી પહોંચી છે.

કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે આજે ઍર ઇન્ડિયા, સ્પાઇસ જેટ અને ઇન્ડિગો ઍરલાઇન્સની નવ ફ્લાઇટ પૂણેથી 56.5 લાખ ડોઝ લઈને દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા, ગુવાહાટી, અમદાવાદ, શિલોંગ, હૈદરાબાદ, વિજયવાડા, બેંગ્લુરુ, પટના, લખનઉ અને ચંદીગઢ લઈને પહોંચ્યા છે.

અમદાવાદ પહોંચેલી વૅક્સિનની ખેપને લેવા માટે ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદ ઍરપોર્ટ પર પહોંચ્યા હતા.

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિક ડિરેક્ટર ડૉ. પટેલે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું હતું કે આજે કોરોના વાઇરસની રસીનું પહેલું કન્સાઇન્મેન્ટ અમદાવાદ પહોંચ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે આમાં 2.76 લાખ ડોઝ આવ્યા છે. જે અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર ઝોનમાં આપવામાં આવશે. જ્યાંથી 287 વૅક્સિનેશન સાઇટ પરથી 16 જાન્યુઆરીએ રસીકરણના કાર્યક્રમની શરૂઆત થશે.

ગુજરાતમાં કોરોના વાઇરસની કુલ રસીના 2,76,000 ડોઝ અમદાવાદ ઍરપોર્ટ પર પહોંચ્યા હતા. હાલ અમદાવાદમાં જે જથ્થો પહોંચ્યો છે તેમાંથી 60 હજાર ડોઝ ભાવનગર મોકલવામાં આવશે.આ ઉપરાંત સુરતમાં 93,500 ડોઝ, વડોદરામાં 94,500, રાજકોટમાં 77,000 ડોઝ આવતી કાલે કોલ્ડ ચેઇન દ્વારા પહોંચાડવામાં આવશે.

દેશમાં કોરોના વાઇરસ સામેના રસીકરણ કાર્યક્રમની શરૂઆત 16 જાન્યુઆરીથી થઈ રહી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કોરોના વૅક્સિન વિશે રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે વાતચીત કરી હતી.

આ ઉપરાંત તમામ રાજ્યોના આરોગ્યમંત્રીઓ સાથે પણ કોરોના વાઇરસના રસીકરણ કાર્યક્રમ અંગે કેન્દ્રિય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને ચર્ચા કરી હતી.

હાલ કોરોના વાઇરસની રસીને અમદાવાદથી ગાંધીનગર મુખ્ય કૉલ્ડ સ્ટોરેજ માટે લઈ જવામાં આવી છે. ત્યારબાદ તેને ગુજરાતના વિવિધ જિલ્લામાં મોકલવામાં આવશે.

વૅક્સિન તમને ક્યારે મળશે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે પ્રથમ તબક્કામાં ત્રણ કરોડ લોકોને કોરોનાની રસી મૂકવામાં આવશે.

સૌથી પહેલા કોરોનાની રસી એ લોકોને અપાશે જેઓ ફ્રંટલાઇન વર્કર્સ છે એટલે કે એવા લોકો જેઓ બીજાની સેવામાં દિવસ-રાત જોતરાયેલા છે. તેમને રસી મૂકવાનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કહેવા અનુસાર આવા લોકોની સંખ્યા લગભગ ત્રણ કરોડ છે અને આ લોકોને રસી અપાવવાનો ખર્ચ કેન્દ્ર સરકાર જાતે ભોગવશે, રાજ્યોને તે માટે પૈસો ય ખરચવો નહીં પડે.

ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે અગાઉ કહ્યું હતું કે આરોગ્ય વિભાગના ડૉક્ટર, નર્સ, કોરોના વાઇરસની કામગીરી સાથે સીધા સંકળાયેલા છે. તેમને સૌથી પહેલા રસી આપવામાં આવશે.

ગુજરાતમાં સરકારી હૉસ્પિટલમાં કામ કરતા કોરોના વોરિયર્સની સંખ્યા 2 લાખ 71 હજાર છે, જ્યારે ખાનગી હૉસ્પિટલમાં કામ કરતા લોકોની સંખ્યા 1 લાખ 25 હજાર એમ કુલ ત્રણ લાખ 96 હજાર આરોગ્ય કર્મચારીઓને કોરોના વાઇરસની રસી આપવામાં આવશે.

આ ઉપરાંત ફ્રન્ટલાઈન વર્કર્સ જેવા કે પોલીસ કર્મચારી, હોમગાર્ડ અને કોરોના વાઇરસની કામગીરીમાં જોડાયેલાં છે તેમને રસી આપવામાં આવશે.

આ કોરોના વાઇરસના રસીકરણનો પહેલો તબક્કો ગણવામાં આવી રહ્યો છે.

બીજા તબક્કામાં કોને અપાશે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આવનારા અમુક મહિનામાં 30 કરોડ લોકોને રસી આપવાનો ઇરાદો છે.

તેમણે વધુમાં કહ્યું કે બીજા તબક્કામાં જેમની ઉંમર કાં તો 50 વર્ષ કરતાં વધુ છે કે પછી જેઓ 50 વર્ષ કરતાં ઓછી ઉંમરના છે પરંતુ અન્ય બીમારીઓથી પીડિત છે એ લોકોને પ્રાથમિકતા અપાશે.

જેમાં 50 વર્ષ કરતાં વધુ ઉંમરના લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. જ્યારે 50 વર્ષ વર્ષથી ઓછી ઉંમરના લોકો કે જેઓ કોઈ બીમારીથી પીડાય છે તેમને બાદમાં કોરોના વાઇરસની રસી આપવામાં આવશે.

જેમને હૃદય રોગની બિમારી, ડાયાબિટીસ કે કોઈપણ બિમારીથી પીડાતા હોય તેમને રસી આપવામાં આવશે.

સામાન્ય લોકોને ક્યારે વૅક્સિન આપવામાં આવશે તેની હાલ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

કેટલી હશે વૅક્સિનની કિંમત?

સીરમ ઇન્સ્ટિટ્યૂટને ટાંકીને સમાચાર એજન્સી ANIના ટવીટમાં જણાવાયું હતું કે સીરમ ઇન્સ્ટિટ્યૂટની વૅક્સિન પ્રતિ ડોઝ 200 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ હશે.

નોંધનીય છે કે ભારતના ડ્રગ કન્ટ્રોલર જનરલ દ્વારા કોરોના વાઇરસની સારવાર માટે બે વૅક્સિનના ઇમર્જન્સી ઉપયોગની પરવાનગી આપી દેવાઈ છે.

આ બે વૅક્સિન છે કોવિશીલ્ડ અને કોવૅક્સિન. કોવિશીલ્ડ ઑક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકા કંપનીએ બનાવેલી રસીનું ભારતીય સંસ્કરણ છે.

જ્યારે કોવૅક્સિન સંપૂર્ણપણે ભારતની વૅક્સિન છે જેને 'સ્વદેશી વૅક્સિન' કહેવામાં આવી રહી છે.

કોવિશીલ્ડ ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા કંપની બનાવી રહી છે. ત્યાં, કોવૅક્સિનને ભારત બાયોટૅક કંપની અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ(આઈસીએમઆર)એ સાથે મળીને બનાવી છે.

ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની વૅક્સિનને બ્રિટનમાં ઇમર્જન્સી મંજૂરી મળ્યા પછી સંપૂર્ણ સંભાવના હતી કે કોવિશીલ્ડને ભારતમાં મંજૂરી મળી જશે અને છેલ્લે તેને પરવાનગી મળી ગઈ હતી. જોકે, અનેક નિષ્ણાતોએ આ પરવાનગી પર સવાલો પણ કર્યા છે.

રસીકરણ માટે ભારતની તૈયારી

સૌતિક બિસ્વાસ અહેવાલમાં નોંધે છે કે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં કોવિડ રસીની રસીકરણ માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સંપૂર્ણ રીતે તૈયાર રહેવા માટે કહ્યું છે.

જો વાત રસી બનાવવાની હોય, તો ભારત એક પાવરહાઉસ છે. તે એક વિશાળ રસીકરણ કાર્યક્રમ ચલાવે છે, વિશ્વના 60 ટકા જેટલી રસીનું ઉત્પાદન કરે છે અને અડધો ડઝન મોટા ઉત્પાદકો અહીં છે, જેમાં વિશ્વની સૌથી મોટી સીરમ ઇન્સ્ટિટ્યૂટ પણ સામેલ છે.

એમાં કોઈ આશ્ચર્ય નથી કે, જ્યારે એક અબજ લોકોને કોવિડ-19ની રસી આપવાની વાત હોય, ત્યારે મહત્વાકાંક્ષાનો અભાવ નથી.

કોરોના વાઇરસની રસીના 500 મિલિયન ડોઝ મેળવીને અને ઉપયોગ કરવાની સાથેસાથે જુલાઈ 2021 સુધી 250 મિલિયન લોકોનું રસીકરણ કરવાની ભારતની યોજના છે.

દર વર્ષે મોટી સંખ્યામાં લોકોનું રસીકરણ કરવાના ટ્રેક રેકર્ડના કારણે આ વિશ્વાસ દ્રઢ થઈ જાય છે.

ભારતનો 42 વર્ષ જૂનો રસીકરણ કાર્યક્રમ વિશ્વના સૌથી મોટા આરોગ્ય કાર્યક્રમોમાં સ્થાન પામે છે, જેમાં 55 મિલિયન લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે, જે મુખ્યત્વે નવજાત બાળકો અને સગર્ભા સ્ત્રીઓ હોય છે, જેઓ એક ડઝન રોગોથી રક્ષણ મેળવવા દર વર્ષે વિવિધ રસીઓના આશરે 390 મિલિયન ડોઝ લે છે.

આ રસીઓને સ્ટોક અને ટ્રેક કરવા માટે દેશમાં સુદ્રઢ ઇલેક્ટ્રૉનિક સિસ્ટમ પણ છે.

નિષ્ણાતો મુજબ આ બધું હોવા છતાં કોરોના વાઇરસ સામે એક અબજ લોકોનું રસીકરણ કરવું, જેમાં પહેલીવાર પુખ્ત વયના કરોડો લોકો પણ હશે, એક મોટો અને અનપેક્ષીત પડકાર બની રહેશે.

રસી કેવી રીતે બને છે અને કેમ વાર લાગી શકે?

માનવશરીરનાં લોહીમાં વ્હાઇટ બ્લડ સેલ (શ્વેતકણ) હોય છે, જે રોગપ્રતિકારક તંત્રનો ભાગ હોય છે.

શરીરને નુકસાન પહોંચાડ્યા વિના રસીના માધ્યમથી શરીરમાં બહુ ઓછી માત્રામાં વાઇરસ કે બૅક્ટેરિયા નાખવામાં આવે છે, જ્યારે શરીરનું રક્ષાતંત્ર આ વાઇરસ કે બૅક્ટેરિયાને ઓળખી લે, ત્યારે શરીર તેની સાથે લડવાનું શીખી જાય છે.

બાદમાં જો માણસ એ વાઇરસ કે બૅક્ટેરિયાનો સામનો કરે તો તેને ખબર હોય છે કે તે સંક્રમણથી કેવી રીતે બચે.

દાયકાઓથી વાઇરસથી બચવા માટે જ રસી બની છે, તેમાં અસલી વાઇરસનો જ ઉપયોગ કરાય છે.

અછબડા, ખીલ અને ઓરી (એમએમઆર એટલે ચાંદા, ગાલપચોળિયાં, ઓરી)ની રસી બનાવવા માટે આવા નબળા વાઇરસનો ઉપયોગ થાય છે, જે સંક્રમણ ન કરી શકે.

તેમજ ફ્લૂની રસીમાં પણ આ વાઇરસનો જ ઉપયોગ થાય છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો