ગાઝિયાબાદમાં શ્મશાનની છત પડતાં 23નાં મૃત્યુ, મૃતકોના પરિવારને બે-બે લાખની સહાય - BBC Top News

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

દિલ્હી સાથે જોડાયેલા ગાઝિયાબાદમાં શ્મશાન ઘાટની છત પડી જવાથી 23 લોકોનાં મૃત્યુના સમાચાર છે.

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે તમામ મૃતકોને બે લાખ રૂપિયાની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે.

સાથે જ તેમને મેરઠના ડિવિઝનલ કમિશનર અને પોલીસના એડીજીને આ ઘટના અંગે રિપોર્ટ દાખલ કરવા કહ્યું છે.

સ્થાનિક પોલીસે જણાવ્યું છે કે મૃતકો પૈકી મોટાભાગના લોકો અંતિંમસંસ્કારની વિધિમાં સામેલ હતા. આ ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોને ઈજા પણ થઈ છે.

સ્થાનિક તંત્ર અને NDRFની ટીમે ઘટનાસ્થળે લોકોને કાટમાળમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

રાત્રિથી ચાલી રહેલા વરસાદને કારણે લેંટર પડી ગયું જેનો ભોગ ત્યાં હાજર રહેલા લોકો બન્યા. આ લોકો વરસાદથી બચવા માટે ત્યાં ઊભા હતા.

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાનું સંજ્ઞાન લેતાં જિલ્લાધિકારી અને વરિષ્ટ પોલીસ અધીક્ષકને તાત્કાલિક સ્થળ પર પહોંચી રાહત અને બચાવ કાર્ય સંચાલિત કરવાની સૂચના આપી હતી.

મુખ્ય મંત્રીએ મૃતકોના પરિવારજનોને બબ્બે લાખ રૂપિયાની આર્થિક સહાયતા અને ઘાયલોનો સંપૂર્ણ ઇલાજ કરાવવાના પણ નિર્દેશ આપ્યા છે.

ખેડૂતો 13મી એ સંકલ્પ દિવસ, 26મીએ ટ્રૅક્ટર રેલી કરશે

કેન્દ્ર સરકારે લાવેલા નવા કૃષિકાયદાઓ સામે ખેડૂતો દિલ્હીની સરહદે આંદોલન કરી રહ્યા છે તે વાતને 35 દિવસથી વધુ સમય થઈ ગયો છે. આવતીકાલે ફરી સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠક થવાની છે.

'એનડીટીવી'ના અહેવાલ અનુસાર ખેડૂત સંગઠનો 13મી જાન્યુઆરીએ સંકલ્પ દિવસ મનાવશે અને તેમણે અલ્ટિમેટમ આપ્યું છે કે જો સરકાર તેમની માગ નહીં માને તો પ્રજાસત્તાક દિવસ એટલે કે 26મી જાન્યુઆરીના રોજ તેઓ ટ્રૅક્ટર રેલી કાઢશે. ખાસ કરીને દિલ્હીમાં આ રેલી કાઢવાનું આયોજન છે.

અત્રે નોંધવું કે સરકાર અને ખેડૂતો વચ્ચે 6 વખત બેઠકો થઈ ચૂકી છે. પરંતુ કોઈ સમાધાન નથી આવ્યું.

મુંબઈ હુમલાના આરોપી અને લશ્કરના વડા લખવીની પાકિસ્તાનમાં ધરપકડ

પાકિસ્તાનમાં આંતકી ગતિવિધિયો મામલે ભંડોળ પૂરુ પાડવાના કેસમાં લશ્કર-એ-તૈયબાના વડા ઝકી-ઉર-રહમાન લખવીની અટકાયત થઈ છે.

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર આંતકવાદીઓને કથિત આર્થિક મદદ કરવાના આરોપસર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાંથી લખવીની અટકાયત થઈ હતી.

જોકે આ ધરપકડને મુંબઈ હુમલાના કેસ સાથે કોઈ લેવાદેવા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે લખવીને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદી જાહેર કરેલ છે.

આગામી સમયમાં ફાઇનાન્સિયલ ઍક્શન ટાસ્ફ ફોર્સની બેઠક મળવાની છે અને તેમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવું કે નહીં તે નિયત થવાનું છે તે અગાઉ આ ધરપકડ થઈ છે.

દિલ્હી-હરિયાણા, યુપીમાં માવઠું અને તીવ્ર ઠંડી

દિલ્હી, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં કમોસમી વરસાદના સમાચાર છે. દિલ્હીમાં પણ આજે વહેલી સવારથી માવઠું છે.

મીડિયા અહેવાલો અનુસાર ઉત્તર ભારતના રાજ્યોમાં તીવ્ર ઠંડીની સાથે સાથે માવઠું પણ છે. હવામાન વિભાગ મુજબ સતત 5 દિવસ સુધી માઇનસમાં રહેલા તાપમાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળો છવાઈ જતાં એકાએક વાતાવરણમાં ફેરફાર આવી ગયો છે.

રાજસ્થાનમાં પણ માવઠું પડ્યું છે. જોકે સતત માઇનસમાં રહેલા તાપમાનમાં આવેલા ફેરફારથી ખેડૂતોમાં થોડી રાહત જોવા મળી હતી. કેમ કે માઇનસમાં તાપમાન રહેવાથી પાકને નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.

બીજી તરફ હિમાચલમાં પારો માઇનસ 7.3 ડિગ્રીને સ્પર્શી ગયો હતો. જ્યારે દિલ્હીમાં 7 ડિગ્રી ન્યૂનતમ સાથે માવઠું પણ થયું.

મહિસાગર જિલ્લામાં ખેડૂતનો આપઘાત

ગુજરાતના મહિસાગર જિલ્લાના ખાનપુર બાકોરના વાદરવેડ ગામાન એક ખેડૂતે તેમના શૌચાલય અને અને આવાસના પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા આત્મહત્યા કરી હોવાના સમાચાર છે.

બીબીસીના સહયોગી દક્ષેશ શાહ મુજબ, તેમણે આવાસ પાણીના પ્રશ્ને અનેક વખત તાલુકા પંચાયતમાં રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતા આ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે.

વાંદરવેડ ગામે રહેતા બળવતસિંહ ચારણનો આવાસનો અને પાણીનો પ્રશ્ન હતો. તેમણે વારંવાર સરકારી કચેરીએ આંટાફેરા માર્યાં પરંતુ ઉકેલ નહીં આવતા આખરે કંટાળીને આત્મહત્યા કરી હોવાના અહેવાલ છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો