You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શરદ પવાર હવે સોનિયા ગાંધીની જગ્યા લેશે? એનસીપીએ આપી સફાઈ
છેલ્લા થોડા દિવસોથી મીડિયામાં એક અહેવાલને લઈને ચર્ચા થઈ રહી છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે સોનિયા ગાંધીની જગ્યાએ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન એટલે કે યુપીએના અધ્યક્ષ બની શકે છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર અમુક અખબારોમાં લેખ પ્રકાશિત થયા બાદ શરદ પવાર વિશે આ ચર્ચા શરૂ થઈ હતી. લેખમાં કહેવામાં આવ્યું છે કે શરદ પવારને કૉંગ્રેસમાં સામેલ થઈ જવું જોઈએ અને પક્ષની કમાન સંભાળી લેવી જોઈએ.
ગુરુવારે એક ટીવી ન્યૂઝ ચેનલે આ અંગે સમાચાર આપ્યા જે બાદ બીજા મીડિયા સંસ્થાઓએ પણ આ સમાચારને પ્રાધાન્ય આપ્યું અને પવારના પક્ષને ચોખવટ કરવાની ફરજ પડી હતી. એનસીપીએ આ સમાચારને પાયાવિહોણા ગણાવ્યા છે.
પક્ષના મુખ્ય પ્રવક્તા મહેશ તાપસેએ પત્રકારોને જણાવ્યું કે યુપીએના બીજા પક્ષો સાથે આ વિશે એનસીપીએ કોઈ ચર્ચા કરી નથી.
તેમણે કહ્યું કે એવું લાગે છે અંગત સ્વાર્થ ધરાવતા અમુક લોકો ખેડૂત આંદોલનથી ધ્યાન ભટકાવવા માટે આવા સમાચારો પ્લાન્ટ કરી રહ્યા છે.
રાજકરણમાં કંઈ પણ શક્ય છે
મહારાષ્ટ્રમાં એનસીપીની સહયોગી પક્ષ શિવસેનાએ કહ્યું છે કે રાજકરણ કંઈ પણ શક્ય છે.
શિવસેનાના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજ્ય રાઉતે જણાવ્યું કે, "રાજકરણ અશ્ચિતતાઓથી ભરેલું છે. કોઈ નથી જાણતું કે આગળ શું થવાનું છે."
"જો પવાર સાહેબ યુપીએના ચૅરમૅન બનશે તો અમારા માટે બહુ ખુશીની વાત હશે. પરંતુ પવાર સાહેબે જાતે આ માટે ના પાડી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે રાઉતે કહ્યું કે શરદ પવારમાં દેશનું નેતૃત્વ કરવા માટેની દરેક ક્ષમતા છે.
બીજી બાજુ સમાચાર એજન્સી પીટીઆઈએ મહારાષ્ટ્રના એક વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય મંત્રીને ટાંકતાં લખ્યું છે કે નેતાએ પક્ષમાં આ વિશે તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરતું કોઈને આ વિશે માહિતી સુદ્ધાં નહોતી.
ખેડૂત આંદોલન દરમિયાન શરદ પવાર સમાચારોમાં નજરે પડ્યા હતા. દેશના વિરોધ પક્ષોએ 9 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. વિરોધ પક્ષોના પ્રતિનિધિમંડળની આગેવી શરદ પવારે કરી હતી.
શરદ પવારની સાથે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી, સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી, સીપીઆઈના મહાસચિવ ડી રાજા અને ડીએમકે નેતા ટી કે એસ એલનગોવન સામેલ હતા.
યુપીએ ગઠબંધન અને તેની સ્થાપના
સંયુક્ત પ્રગતિશીલ ગંઠબંધન એટલે કે યુપીએ 2004માં અસત્ત્વિમાં આવ્યું હતું. જ્યારે કૉંગ્રેસ પક્ષે બીજા પક્ષો સાથે કેન્દ્રમાં સરકાર બનાવી હતી.
મનમોહનસિંહ વડા પ્રધાન બન્યા અને સોનિયા ગાંધી યુપીએનાં અધ્યક્ષ બન્યાં હતાં. 2017માં સોનિયા ગાંધીએ કૉંગ્રેસ પ્રમુખનું પદ છોડી દીધું પરંતુ તેમણે યુપીએનું અધ્યક્ષ પદ છોડ્યું નહોતું.
સોનિયા ગાંધી બાદ રાહુલ ગાંધી કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા પરંતુ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પક્ષની હાર થતાં તેમણે રાજીનામું આપી દીધું હતું. તે બાદ સોનિયા ગાંધીને ફરીથી કૉંગ્રેસ પક્ષના અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો