You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઑસ્ટ્રેલિયા સામે 269 દિવસ પછી રમી રહેલી ભારતીય ટીમ સામે કેવા છે પડકાર?
- લેેખક, પરાગ ફાટક
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સૌથી વ્યસ્ત રહેવાવાળી ભારતીય ટીમ 269 દિવસ પછી ક્રિકેટના મેદાનમાં હશે. ગુરુવારથી સિડનીમાં ઑસ્ટ્રેલિયાની સામે ત્રણ વન ડે, ત્રણ ટી-20 અને ચાર ટેસ્ટ મૅચની સિરીઝની શરૂઆત થઈ છે.
ઑસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
કોરોના મહામારીના કારણે ઑસ્ટ્રેલિયામાં ક્વોરૅન્ટીનની આકરી જોગવાઈઓની વચ્ચે આ સિરીઝ શરૂ થઈ છે.
સિરીઝ શરૂ થતા પહેલાં ભારતીય ટીમે 14 દિવસ ક્વોરૅન્ટીનમાં રહેવું પડ્યું. આ ઉપરાંત ટીમે બાયો બબલમાં પણ રહેવું પડ્યું છે. ખાસ વાત એ છે કે આ સિરીઝમાં ઓછી સંખ્યામાં દર્શક હાજર રહેશે.
ભારતે કોરોનાકાળથી પહેલાં ફેબ્રુઆરીમાં ન્યૂઝીલૅન્ડ સામે ટી-20 સિરીઝમાં જીત મેળવી હતી, પરંતુ વન ડેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી દુનિયા ઘણી બદલાઈ ગઈ છે.
બંને ટીમોની વચ્ચે હાલ સુધીમાં ઑસ્ટ્રેલિયામાં 51 મૅચ રમાઈ છે. જેમાં ભારતે 13માં જીત મેળવી છે.
ઑસ્ટ્રેલિયામાં ભારતે હાલ સુધી 96 વન ડે મૅચ રમી છે અને તેમાં 39 મૅચમાં જીત મેળવી છે.
આ જીતમાં 1985માં વર્લ્ડ સિરીઝ અને 2008માં સીબી સિરીઝની જીત યાદગાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિરાટ કોહલી પર નજર
ભારતીય ટીમના કૅપ્ટન વિરાટ કોહલીનો ઑસ્ટ્રેલિયામાં રેકર્ડ શાનદાર રહ્યો છે. જોકે આઈપીએલમાં તેઓ પોતાના રંગમાં ન દેખાયા. પરંતુ સિરીઝ દરમિયાન કોહલી પાસેથી રનની આશા તો હશે.
આઈપીએલમાં સૌથી વધારે રન બનાવનાર લોકેશ રાહુલ પર સૌની નજર રહેશે.
કેટલાંક વર્ષ પહેલાં ઑસ્ટ્રેલિયાની જમીન પર જ તેમણે પહેલી ટેસ્ટ સદી બનાવી હતી.
હાર્દિક પંડ્યા પણ આ સિરીઝમાં પરત ફરી રહ્યા છે. એ જોવું રસપ્રદ હશે કે તે સ્પેશિયાલિસ્ટ બૅટ્સમૅન તરીકે ટીમમાં સામેલ થાય છે કે નહીં અથવા ઑલરાઉન્ડની ભૂમિકામાં આવે છે.
મહેન્દ્રસિંહ ધોનીની ખોટ
ભારતીય ટીમના છેલ્લા ઑસ્ટ્રેલિયાના વન ડે પ્રવાસ દરમિયાન ધોની જ મૅન ઑફ ધ સિરીઝ બન્યા હતા. આ ધોનીના સંન્યાસ પછી પહેલી સિરીઝ હશે. ધોનીની જગ્યા ભરવી ટીમ માટે આકરો પડકાર છે.
ગત 15 ઑગસ્ટે ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. મહેન્દ્રસિંહ ધોની વન ડે અને ટી-20 ટીમનો સતત ભાગ રહ્યા હતા.
લોકેશ રાહુલ તેમનું સ્થાન લઈ શકે છે પરંતુ મૅચમાં ફિનિશરની ભૂમિકાથી લઈને સ્ટમ્પિંગ અને યુવાન ખેલાડીઓને સલાહ વગેરેમાં ધોની યાદ આવશે.
રોહિત શર્માની ઘટ
2013થી ઓપનરની જવાબદારી સંભાળનારા રોહિત શર્માએ સતત રન બનાવ્ય છે. ગત વર્લ્ડ કપ દરમિયાન તેમણે પાંચ સદી નોંધાવી હતી.
ઑસ્ટ્રેલિયામાં તેમનો રેકર્ડ શાનદાર રહ્યો છે. તેમણે ઑસ્ટ્રેલિયામાં લગભગ 30 મૅચમાં પાંચ સદી, ચાર અડધી સદી અને 53થી વધારેની એવરેજથી 1238 રન બનાવ્યા છે.
રોહિત વન ડે અને ટી-20 સિરીઝની ચાર મૅચમાં હેમસ્ટ્રિંગના કારણે ભાગ નહીં લઈ શકે. બીસીસીઆઈના અધિકારીઓ પ્રમાણે આઈપીએલ દરમિયાન થયેલી ઈજા ગંભીર છે અને એવામાં રમતા રહેવાથી વધારે નુકસાન થશે.
જોકે મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન રોહિત શર્માએ આ સિઝનમાં આઈપીએલની તમામ મૅચમાં ભાગ લીધો અને ટીમને પાંચમી વખત ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
અગાઉ ઑસ્ટ્રેલિયા જનારી ટીમમાં તેમનું નામ ન હતું, પરંતુ પછી બીસીસીઆઈ તરફથી કહેવામાં આવ્યું કે તેઓ ટીમની સાથે જરૂર જશે.
જોકે કહેવામાં આવી રહ્યું છે કે ઑસ્ટ્રેલિયાની આકરી ક્વોરૅન્ટીનની જોગવાઈને કારણે રોહિત શર્મા પહેલી બે ટેસ્ટ મૅચ નહીં રમી શકે.
ઓપનરને લઈને ચિંતા
ઓપનરને લઈને ભારે ચિંતા ચાલી રહી હતી. શિખર ધવન સાથે કોણ ઓપનિંગ કરશે. પૃથ્વી શૉ, લોકેશ રાહુલ કે મયંક અગ્રવાલ. પરંતુ ટીમે મયંક અગ્રવાલને ટીમના ઓપનર તરીકે પસંદ કર્યો છે.
મયંક અગ્રવાલ આજથી પોતાની વન ડે કરિયરની શરૂઆત કરી રહ્યા છે. લોકેશ રાહુલ 1થી 6 કોઈ પણ ક્રમ પર બેટિંગ કરી શકે છે.
ભારતીય ટીમ વન ડે ક્રિકટની આ સિરીઝમાં નવી જર્સીમાં દેખાશે. નવી જર્સી 1992ના વર્લ્ડ કપ દરમિયાનની ટીમની જર્સીની યાદ અપાવે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો