ગુજરાતમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ થઈ રહી છે, સરકાર શું પગલાં લઈ રહી છે જણાવે : સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images
સુપ્રીમ કોર્ટે કોરોના વાઇરસની સ્થિતિે લઈને કહ્યું છે કે ગુજરાતમાં સ્થિતિ બેકાબૂ થઈ રહી છે.
દેશમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસ જોતાં સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકારને જવાબ દાખલ કરવા કહ્યું છે.
સુપ્રીમ કોર્ટે ગુજરાત સાથે દિલ્હી, મહારાષ્ટ્ર, અને આસામની રાજ્ય સરકારોને જવાબ દાખલ કરવા કહ્યું છે.
સર્વોચ્ચ અદાલતે રાજ્યો પાસેથી જવાબ માગ્યો છે કે તેઓ મહામારીને રોકવા માટે શું પગલાં લઈ રહી છે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી અને ગુજરાત જેવી જગ્યાએ સંક્રમણના વધી રહેલા કેસને જોતાં ચિંતા વ્યક્ત કરી રહી છે. કોર્ટે કહ્યું કે ગુજરાતમાં સ્થિતિ બેકાબૂ થઈ રહી છે.
જસ્ટિસ અશોક ભૂષણના વડપણવાળી બેન્ચે દિલ્હી સરકારના વકીલ ઍડિશનલ સૉલિસીટર સંજય જૈનને કહ્યું, "દિલ્હીમાં સ્થિતિ કથળી રહી છે. ખાસ કરીને નવેમ્બર મહિનામાં. આપ એક સ્ટેટમેન્ટ રિપોર્ટ રજૂ કરીને જણાવો કે કેવાં પગલાં ભરાયાં છે."
મામલાની સુનાવણી દરમિયાન સૉલીસીટર જનરલ તુષાર મહેતાએ આ વાત પર સહમતી વ્યક્ત કરી કે દિલ્હીમાં ઘણું કરવાની જરૂર છે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી અને ગુજરાત જેવી જગ્યાઓ પર સંક્રમણના વધતા મામલાઓને લઈને ચિંતા જાહેર કરી. કોર્ટે એમ પણ કહ્યું કે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ થઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુપ્રીમ કોર્ટ આ મામલામાં કોરોના સંક્રમણમાં મરનારા લોકોના મૃતદેહોના સન્માનપૂર્વક અંતિમસંસ્કારના મુદ્દા પર સ્વત: સંજ્ઞાન લઈને સુનાવણી કરી રહી છે.

સરકારે કર્ફ્યુ લાદવાની કેમ ફરજ પડી?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં દિવાળીના તહેવાર બાદ સતત વધી રહેલા કોરોના વાઇરસના નવા કેસ અને મોતના આંકડાને કાબૂમાં લેવા રાજ્ય સરકારે કર્ફ્યુ લાગુ કરવાની ફરજ પડી છે.
રાજ્યનાં ચાર મહાનગરોમાં સતત વધતા કેસ અને કોરોનાના સંક્રમણને ઓછું કરવા માટે રાજ્ય સરકારે કર્ફ્યુનો સહારો લેવો પડ્યો છે.
ગત શુક્રવાર રાતથી સોમવાર સવાર સુધી અમદાવાદમાં 57 કલાકનો કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો. તથા રાજ્ય સરકારે રાજ્યનાં બીજાં ત્રણ શહેરો સુરત, વડોદરા, રાજકોટમાં પણ રાત્રી કર્ફ્યુ લાગુ કર્યો હતો.
શનિવારે આ ત્રણ શહેરોમાં લાગેલો કર્ફ્યુ હવે લંબાવી દેવાયો છે. એટલે કે રાજ્યનાં ચાર મહાનગરોમાં હવે રાત્રી કર્ફ્યુ લાગુ કરી દેવાયો છે.
રવિવારે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કર્ફ્યુ લંબાવવાની જાહેરાત કરતાં લોકોને કર્ફ્યુનું પાલન કરવા અને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી હતી.

દિવાળી પછી ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કેવી રીતે બગડી?

ઇમેજ સ્રોત, Getty Images
14 નવેમ્બરના રોજ સમગ્ર દેશમાં દિવાળી ઊજવવામાં આવી. પરંતુ ગુજરાત જેવાં કેટલાંક રાજ્યો માટે ઉજાસનો આ તહેવાર કોરોનાની પરિસ્થિતિને વધુ બેકાબૂ બનાવનાર સાબિત થયો.
સમાચાર સંસ્થા પીટીઆઈએ રાજ્યના આરોગ્યવિભાગને ટાંકીને જણાવ્યું છે કે રાજ્યમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 1,94,402 થઈ ગઈ છે, જ્યારે કુલ મૃતાંક 3,837 થઈ ગયો છે.
તેમાં પણ ગુજરાતનાં મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની પરિસ્થિતિ તો એટલી બધી નાજુક બની ગઈ કે હવે સંપૂર્ણ અને આંશિક કર્ફ્યુ લાદી દેવાનો વારો આવી ગયો છે.
નોંધનીય છે કે દિવાળી પહેલાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસોમાં રાજ્યવ્યાપી વધારો જોવા મળ્યો છે.
અહીં નોંધવું ઘટે કે નવરાત્રી બાદથી ગુજરાતીઓમાં વધતાં જતાં બેદરકારીના પ્રમાણને કારણે તબીબો અને નિષ્ણાતો કોરોનાની પરિસ્થિતિ વકરશે તેવી ચેતવણી ઉચ્ચારી રહ્યા હતા.

દિવાળી પછી કેવી થઈ સ્થિતિ?

ઇમેજ સ્રોત, kalpit bhachech
15 નવેમ્બર, 2020ના રોજ રાજ્યમાં કોરોના 1,070 નવા કેસો નોંધાયા હતા.
જ્યારે 16 નવેમ્બરે 926, 17 નવેમ્બરે 1,125, 18 નવેમ્બરે 1,281, 19 નવેમ્બરે 1,340 અને 20 નવેમ્બરે 1,420 21 નવેમ્બરે 1,515 અને 22 નવેમ્બરે 1,495 નવા કોરોનાના દર્દી નોંધાયા હતા.
આમ દિવાળી પછી છ દિવસમાં પ્રતિ દિવસ સરેરાશ 1100થી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. નોંધનિય છે કે ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અખબારના એક અહેવાલ અનુસાર રાજ્યમાં 53 દિવસ બાદ પહેલી વાર 1400 કરતાં વધુ કેસો નોંધાયા હતા.
નોંધનીય છે કે પાછલા ઘણા દિવસોથી અમદાવાદમાં કોરોનાના કેસોનો આંકડો 200 કરતાં ઓછો રહેતો હતો. પરંતુ દિવાળી અને તહેવારોની સિઝન બાદ આ આંકડો વધતા શહેરીજનો અને તબીબોની ચિંતામાં વધારો થયો છે.
નોંધનીય છે કે એક તબક્કે રાજ્યમાં કોરોનાના કેસોનો આંકડો 900 કરતાં પણ ઓછો થઈ ગયો હતો. હાલ રાજ્યમાં કુલ 1,97,412 કોરોનાના કેસ આવી ચૂક્યા છે.

વિજય રૂપાણીએ કહ્યું, 'ભીડ ના કરો'

ઇમેજ સ્રોત, VIJAY RUPANI SOCIAL
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રવિવારે રાત્રી કર્ફ્યુને લંબાવવાની જાહેરાત કરી હતી.
મુખ્ય મંત્રીએ જણાવ્યું છે કે તહેવારો બાદ અલગ અલગ રાજ્યો અને શહેરોમાં પણ કોરોના કેસનું સંક્રમણ વધ્યું છે. તેવા સમયે આપણે કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે તાત્કાલિક નિર્ણય કરીને અમદાવાદમાં કર્ફ્યુનો અમલ કરાવવો પડ્યો છે.
રૂપાણીએ કહ્યું, "સોમવારથી અમદાવાદ શહેરમાં રાત્રી કર્ફ્યુનો અમલ શરૂ થાય છે સાથે-સાથે વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ ગઈકાલથી જે રાત્રી કર્ફ્યુનો અમલ થયો છે તે ચાલુ રહેવાનો છે."
ઉપરાંત રૂપાણીએ નાગરિકો ખાસ કરીને યુવાનોને અપીલ કરી છે કે સાંજથી રાત દરમિયાન રેસ્ટોરાં, પાનના ગલ્લા, ચાની લારી વગેરે પર ટોળે વળીને ભીડ એકત્રીત ન કરે. બિનજરૂરી બહાર જવા-આવવાનું ટાળે.
રૂપાણીએ કહ્યું કે આ ચાર શહેરો સિવાય રાજ્યના બાકીનાં નગરો અને ગામોમાં સંક્રમણ ન વધે તે માટે લોકો રાત્રે ઘરમાં જ રહે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















