એગ્રિકલ્ચર બિલ: કૃષિસુધારા બિલમાં સત્તાપક્ષની તરફેણના આરોપસર ઉપસભાપતિ હરિવંશ સામે અવિશ્વાસ પ્રસ્તાવ

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

કૃષિસુધારા સાથે જોડાયેલાં બે બિલ રાજ્યસભામાં ધ્વનિમતથી પાસ થઈ ગયાં છે. ઉચ્ચ સદનમાં બિલ પર ચર્ચા બાદ કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જવાબ આપ્યો. આ દરમિયાન વિપક્ષે જોરદાર હોબાળો મચાવ્યો હતો. આ ખરડો પસાર થયા પછી વિપક્ષી દળો રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે.

કૉંગ્રેસનો આરોપ છે કે ઉપસભાપતિએ ગૃહમાં ખરડા પરની ચર્ચામાં લોકશાહી પરંપરાઓ અને પ્રક્રિયાઓને નુકસાન કર્યું છે.

કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ અહમદ પટેલે કહ્યું કે રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે લોકશાહી પરંપરાઓનું રક્ષણ કરવું જોઈએ પરંતુ એમ કરવાને બદલે એમનું વલણ આજે એ લોકશાહી પરંપરાઓ અને પ્રક્રિયાઓને નુકસાન કરવાનો હતો.

ખરડા પર ચર્ચા દરમિયાન રાજ્યસભામાં ખૂબ હંગામો થયો અને તેને લઈને રાજ્યસભાને થોડી વાર માટે સ્થગિત પણ કરવામાં આવી હતી.

આ હોબાળા વચ્ચે કૃષક ઊપજ વ્યાપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) વિધેયક, 2020 અને કૃષક (સશક્તીકરણ તેમજ સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર વિધેયક, 2020 પાસ થયાં.

ટીએમસી નેતા ડેરિક ઓ બ્રાયને ઉપસભાપતિ સામે આવીને રૂલ બુક દેખાડવાની કોશિશ કરી હતી.

વિપક્ષ નેતા ગુલામનબી આઝાદે કહ્યું, "નિયમો અનુસાર સદનનો સમય બધાની સહમતીથી વધારી શકાય છે, ન કે સત્તા પક્ષની સંખ્યાને આધારે."

હકીકતમાં સદનની કાર્યવાહી એક વાગ્યા સુધી જ ચાલવાની હતી, જેને ઉપસભાપતિએ વિધેયક પાસ થવા સુધી વધારી દીધી. આના પર વિપક્ષના સાંસદો હોબાળો શરૂ કર્યો હતો એમો હવે ઉપ સભાપતિ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો